Old/New Testament
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
કારણકે તે સારું અને ગમતું છે.
2 યહોવા યરૂશાલેમને બાંધે છે;
તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે;
અને તેઓને નામ દઇને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે!
તેમના સાર્મથ્યનો પાર નથી!
તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
6 યહોવા નમ્રજનોને આધાર આપે છે;
પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
8 તે આકાશને વાદળોથી ઢાંકે છે;
પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
ખ્રિસ્ત વિષે સુવાર્તા
15 હવે ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું છું કે તમે સુવાર્તાને યાદ રાખો કે જે વિષે મેં તમને કહ્યું હતું. 2 તમે આ સંદેશાથી તારણ પામ્યા છો અને તે બાબતે તમે વધુ ને વધુ દઢ અને વફાદાર બનવાનું ચાલુ રાખો. આ સંદેશ દ્વારા તમારું તારણ થયું પરંતુ મેં તમને જે કહ્યું છે તેમાં વિશ્વાસ રાખવાનું તમારે સતત ચાલુ રાખવું જ જોઈએ. જો તમે તેમ નહિ કરો તો તમારો વિશ્વાસ નકામો છે.
3 મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે; 4 ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે; 5 પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું. 6 ત્યારબાદ એક જ સમયે[a] કરતાં પણ વધુ ભાઈઓને ખ્રિસ્તે પોતાનું દર્શન આપ્યું. આમાંના મોટા ભાગના ભાઈઓ હજુ જીવિત છે, જો કે કેટલાક મૃત્યુ પામ્યા છે. 7 પછી ખ્રિસ્તે યાકૂબને દર્શન આપ્યું અને પાછળથી પ્રેરિતોને પુન:દર્શન આપ્યું. 8 અને અંતે જાણે હું સમય પહેલા જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે ખ્રિસ્તે મને પોતે દર્શન દીધું.
9 ધા જ પ્રેરિતો મારા કરતાં મહાન છે, કારણ કે દેવની મંડળીની મેં સતાવણી કરી છે તેથી હું તો પ્રેરિત કહેવાને પણ લાયક નથી. 10 પરંતુ દેવની કૃપાએ અત્યારે હું જે છું તે છું. અને દેવની કૃપા જે તેણે મને અર્પિત કરી તે નિરર્થક નથી ગઈ. બીજા બધા પ્રેરિતો કરતા મેં વધારે સખત કામ કર્યુ છે. (જો કે કામ કરનાર હું ન હતો, પરંતુ મારામાં સ્થિત દેવની કૃપા કાર્યરત હતી.) 11 તેથી એ મહત્વનું નથી કે હું ઉપદેશ આપું કે અન્ય પ્રેરિતો તમને ઉપદેશ આપે-કારણ કે અમે એ જ વસ્તુનો ઉપદેશ આપીએ છીએ કે જેમાં તમે વિશ્વાસ કરો.
મૃત્યુમાંથી આપણે ઊઠીશું
12 ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊઠયો છે તેવો ઉપદેશ આપવામાં આવે છે તો તમારામાંના કેટલાએક એમ શા માટે કહે છે કે મૂએલાનું પુનરુંત્થાન નથી? 13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી. 14 અને જો ખ્રિસ્ત કદી પણ ઊઠયો નથી તો અમારો ઉપદેશ નિરર્થક છે. અને તમારો વિશ્વાસ અર્થહીન છે. 15 અને દેવ વિષે અસત્ય બોલવા માટે અમે ગુનેગાર ઠરીશું. શા માટે? કારણ કે અમે દેવ વિષે એવો ઉપદેશ આપ્યો કે દેવે ખ્રિસ્તને મૂએલામાંથી ઊઠાડયો છે. અને જો લોકો મૂએલામાંથી ઊઠયા ન હોય તો દેવે ખ્રિસ્તને મૂએલામાંથી કદી પણ ઊઠાડયો નથી. 16 જો મૃત લોકો મૂએલામાંથી ઊઠયા નથી તો ખ્રિસ્ત પણ કદી મૂએલામાંથી ઊઠયો નથી. 17 અને જો ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો નથી તો તમારો વિશ્વાસ નિરર્થક છે, પરંતુ તમે તમારાં પાપો માટે હજુ પણ દોષિત છો. 18 અને ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલાં છે, તેઓ હંમેશને માટે વિલિન થઈ ગયા છે. 19 જો આપણી ખ્રિસ્તમાંની અભિલાષા માત્ર આ દુન્યવી જીવન પૂરતી મર્યાદિત હોય તો બીજા લોકો કરતાં પણ આપણે વધુ દયાજનક છીએ.
20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો. 21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે. 22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું. 23 પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે. 24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે.
25 જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ. 26 મૃત્યુ તે આખરી દુશ્મન હશે જેનો નાશ થશે. 27 શાસ્ત્રલેખ કહે છે કે, “દેવ બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે.”(A) જ્યારે શાસ્ત્રલેખ, “બધીજ વસ્તુઓ” ને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે ત્યાં એ સ્પષ્ટ છે કે દેવનો આમાં સમાવેશ થતો નથી. કારણ કે દેવ તે એક છે કે જે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે. 28 જ્યારે ખ્રિસ્તના નિયંત્રણ નીચે બધી જ વસ્તુઓ આવશે. પછી પુત્ર પોતે જ જેવના નિયંત્રણને આધીન થશે. દેવ તે એક છે કે જે બધી વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે તેથી દેવ બધી જ વસ્તુઓના સંપૂર્ણ શાસક બનશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International