Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નીતિવચનો 3-5

નીતિમત્તાથી રહેવું તમારું જીવન વધારશે

મારા દીકરા! મારો ઉપદેશ ભૂલી જઇશ નહિ. પરંતુ તારા હૃદયમાં મારી આજ્ઞાઓને સંઘરી રાખજે, કારણ કે એ તને દીર્ઘ પૂર્ણ જીવન અને શાંતિ આપશે.

પ્રેમ અને વફાદારી તારો ત્યાગ ન કરે, વિશ્વાસનીયતાને તું તારા ગળે બાંધી રાખજે, અને તારા હૃદયપર લખી રાખજે; આ રીતે તું દેવ તથા માણસોની દ્રષ્ટિમાં કૃપા અને સફળતા પામશે.

તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. તું જ્યાં પણ જાય, તેનો આભારમાન, અને તે તને સાચે માર્ગે દોરશે અને તને સફળ બનાવશે. તું તારી પોતાની જાતને જ્ઞાની ન માનીશ; યહોવાનો ડર રાખજે અને પાપથી દૂર રહેજે. તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારા હાડકાં બળવંત રહેશે.

તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર. 10 એમ કરવાથી તારા અન્નના ભંડાર હર્યાભર્યા રહેશે અને તારા દ્રાક્ષારસના કુંડો દ્રાક્ષારસથી ઊભરાઇ જશે.

11 મારા દીકરા, યહોવાની શિક્ષાને નકારીશ નહિ, અથવા તેના ઠપકાથી કંટાળી જઇશ નહિ. 12 કારણ કે યહોવા જેના ઉપર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે, જેમ બાપ પોતાના દીકરાને, જે તેને ખુબ પ્યારો છે, તેને ઠપકો આપે છે.

13 જેને જ્ઞાન મળ્યું છે, અને જેણે સમજશકિત મેળવી છે, તેને ધન્ય છે. 14 કારણ કે તેનો નફો ચાંદીથી વધારે છે, અને તેનો લાભ ચોખ્ખા સુવર્ણના લાભ કરતાં શ્રેષ્ઠ છે. 15 તે કીંમતી પથ્થરો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તારી માલિકીની કોઇપણ વસ્તુ એની સાથે સરખાવાય તેમ નથી.

16 તેના જમણા હાથમાં દીર્ધાયુંષ્ય છે અને તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. 17 તેના માર્ગો સુખદાયક અને તેના રસ્તા શાંતિપૂર્ણ છે. 18 જેઓ તેને વીટંળાય છે તેને માટે એ સંજીવનીવેલ છે, અને જેઓ તેને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.

19 યહોવાએ પૃથ્વીને જ્ઞાનથી અને આકાશને સમજશકિતથી ભરીને સ્થાપન કર્યા છે. 20 તેના જ્ઞાનને પ્રતાપે પાતાળમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળ્યા છે, અને વાદળોમાંથી વરસાદ વરસે છે.

21 મારા દીકરા, તેઓને તારી નજર આગળથી દૂર થવા દઇશ નહિ, વ્યવહારૂ ક્ષમતા, વિવેકબુદ્ધિ, અને સાર્મથ્યને પકડી રાખજે. 22 તો તેઓ તને જીવન આપશે અને તારા ગળાનો હાર બની રહેશે. 23 પછી તું તારા માર્ગે સુરક્ષિત જઇ શકીશ અને ઠોકર ખાઇને લથડશે નહિ. 24 સૂતી વખતે તને કોઇ ડર રહેશે નહિ. અને તું મીઠી ઊંઘ લઇ શકીશ. 25 ઓચિંતા ભયથી કે દુષ્ટ માણસો પર આવતા સર્વનાશથી તું ગભરાઇશ નહિ. 26 કારણ કે યહોવા તારી જોડે રહેશે અને તારા પગને ફસાઇ જતાં બચાવશે.

27 જો કોઇને તારી મદદની જરૂર હોય અને તું સમર્થ હોય તો ના પાડીશ નહિ. 28 જો તારી પાસે હોય તો તારા પડોશીને એમ ના કહીશ કે, “જાઓ, ફરીથી આવજો,” આવતીકાલે હું આપીશ.

29 તારો પડોશી તારી પડોશમાં પોતાને સુરક્ષિત અનુભવે છે, તેની સામે અનિષ્ટ યોજના કરીશ નહિ.

30 જો કોઇ માણસે તમારું નુકશાન કર્યુ ન હોય તો તેની સાથે કારણ વગર વિખવાદ કરીશ નહિ.

31 દુષ્ટ માણસની ઇર્ષ્યા ન કરશો, અને તેનો એક પણ માર્ગ પસંદ ન કરશો. 32 કારણ કે છેતરપિંડી કરનારા માણસોને યહોવા દુ:ખી કરે છે. વાંકા માણસોને યહોવા ધિક્કારે છે પણ પ્રામાણિક માણસોને તે પોતાના અંગત ગણે છે.

33 યહોવાનો શાપ દુષ્ટ માણસોના ઘર ઉપર ઉતરે છે. પણ સાચા માણસોના ઘર ઉપર તેમના આશીર્વાદ ઉતરે છે.

34 તે ટીખળી માણસોની ટીખળ કરે છે અને જેઓ નમ્ર છે તેના માટે કૃપાળુ છે.

35 જ્ઞાનીઓને ગૌરવનો વારસો મળશે પરંતુ મૂર્ખોને અપકીર્તિ જ મળશે.

જ્ઞાનની ફળશ્રુતિ

દીકરાઓ, પિતાનો ઉપદેશ ધ્યાનથી સાંભળો, અને સમજણ મેળવવા માટે ધ્યાન આપો. હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

જ્યારે હું મારા પિતાના ઘરનો સભ્ય હતો, જ્યારે હું મારી માતાની દ્રષ્ટિએ એકનો એક યુવાન દીકરો હતો. ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતુ કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે, અને મારા આજ્ઞાઓને રાખજે અને તું જીવીશ. જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ. જ્ઞાનનો ત્યાગ ન કરીશ, તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે, તે તારી સંભાળ રાખશે.

“જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે: જ્ઞાન મેળવો! તારા સર્વસ્વને ભોગે પણ જ્ઞાન પ્રાપ્ત કરજે. તું એમનું સન્માન કરીશ તો એ તને ઊંચે ચઢાવશે; તું જો તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે. તે તને હારનો શણગાર અને સુશોભિત મુગટ પહેરાવશે.”

10 હે મારા પુત્ર, મને ધ્યાનથી સાંભળ અને મારા શબ્દોનો સ્વીકાર કર તો તારું આયુષ્ય વધશે. 11 હું તને જ્ઞાનનો માર્ગ બતાવીશ અને તને પ્રામાણિકતાને માર્ગે દોરીશ. 12 જેથી ચાલતી વખતે તને કોઇ બાધા પડે નહિ અને દોડતી વખતે ઠોકર વાગે નહિ, એનું જીવની જેમ સંભાળ રાખજે. 13 આ શિક્ષાને તું મજબૂતીથી વળગી રહેજે, તેને છોડતો નહિ, તેની કાળજી રાખજે કારણકે તે જ તારું જીવન છે.

14 દુષ્ટ માણસોના માર્ગે જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. 15 તે રસ્તાથી દૂર રહેજે, તેની પાસે જઇશ નહિ. તેમાંથી છૂટો પડીને નીકળી જજે. 16 એ દુષ્ટ લોકોને કોઇનું નુકશાન કર્યા વિના ઊંઘ આવતી નથી. અને કોઇને ફસાવ્યા ન હોય તો તેમની ઊંઘ ઊડી જાય છે. 17 કારણ કે તેઓ પાપનો રોટલો ખાય છે અને હિંસાનો દ્રાક્ષારસ પીએ છે.

18 પણ સદાચારીઓનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતાં સુધીમાં વધું ઉજ્જવળ અને ઉજ્જવળ પ્રકાશિત થતો જાય છે. 19 જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.

20 દીકરા, મારા વચનો ઉપર ધ્યાન આપ, અને મારા ઉપદેશને કાને ધર. 21 તારી આંખ આગળથી તેને દૂર થવા દઇશ નહિ, તેને તારા હૈયામાં સંઘરી રાખજે. 22 જે કોઇ તેને મેળવે તેના માટે તે જીવન છે. અને તેમને પૂર્ણ સ્વાસ્થ્ય આપે છે. 23 કોઇપણ બીજી વસ્તુ કરતાં સૌથી વધારે તારાં હૃદયની કાળજી રાખજે. કારણ એમાંથી જ જીવનમાં ઝરણાં વહે છે.

24 જૂઠ્ઠું બોલીશ નહિ અને ષ્ટવાણી બોલીશ નહિ. 25 તારી આંખો સામી નજરે જુએ. અને તારી સીધી નજર સામેના રસ્તા ઉપર રાખજે. 26 તારા ચરણોના માર્ગની યોજના કરજે. અને તારો સમગ્ર માર્ગ સુરક્ષિત હશે. 27 જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે ચાલ્યો જજે. દુષ્ટ પાપને માર્ગે પગ મૂકીશ નહિ.

વ્યભિચાર સામે ચેતવણી

મારા દીકરા, મારા ડહાપણને સાંભળજે અને મારા શાણા શિક્ષણ પર ધ્યાન આપજે. જેથી કરીને તારી વિવેકબુદ્ધિ જળવાઇ રહે, અને તારી વાણીમાં જ્ઞાન આવે. કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે. પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે. તેણીના પગ મૃત્યુ સુધી પહોંચે છે અને તેણીનાં પગલાં શેઓલમાં પહોંચે છે. તેણી સાચા રસ્તે જવાની મનાઇ કરે છે અને તેણીને ખબર નથી કે પોતાના માર્ગેથી તેણી રખડી પડશે.

તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ. પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ. રખેને તું તારી સંપતિ ખોઇ બેસે અને તારું જીવન નિર્દય ઘાતકી માણસોના હાથમાં જાય. 10 રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે. 11 તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે. 12 અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો! 13 શા માટે મેં મારા ગુરૂજનોનું કહ્યું માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારાઓ પ્રત્યે ધ્યાન નહોતું રાખ્યું! 14 હું તો લોકોની દરેક અનિષ્ટ વસ્તુઓમાં સંકળાયેલો હતો.”

15 તારા પોતાના ટાંકામાંથી અને તારા પોતાના કૂવાના ઝરણામાંથી જ પાણી પીજે. 16 તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ. 17 એ પાણી ફકત તારા એકલા માટે જ હો, તારી સાથેના બીજાઓ માટે નહિં. 18 ભલે એ તારા ઝરણાઓને ઘણી સંતતિ મેળવવાના આશીર્વાદ મળે. તારી પોતાની યુવાન પત્ની સાથે તું આનંદ માન. 19 જે હરણી જેવી સુંદર અને પર્વતીય મૃગલી જેવી જાજરમાન નારી છે તેના સ્તનોથી તું સદા સંતોષ પામ અને તેના પ્રેમમાં જ તું નિરંતર મગ્ન રહે. 20 મારા પુત્ર, શા માટે તારે પરસ્ત્રી પર મોહિત થવું જોઇએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઇએ?

21 કારણ કે, માણસના પ્રત્યેક વર્તન-વ્યવહાર ઉપર યહોવાની નજર હોય છે. અને તે જે કાઇં કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે. 22 દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે. 23 કારણકે, સંયમના અભાવે તે મરી જશે અને તેની મૂર્ખતા ને કારણે તે છકી જશે.

2 કરિંથીઓ 1

ખ્રિસ્ત ઈસુના, પ્રેરિત પાઉલ તરફથી, કુશળતા હો હું એક પ્રેરિત છું કારણ કે દેવની એવી ઈચ્છા હતી. આપણો ભાઈ તિમોથી જે ખ્રિસ્તમાં છે તેના તરફથી પણ અભિવાદન.

દેવની મંડળી જે કરિંથમાં છે અને આખા અખાયામાંના દેશના દેવના બધાજ લોકોને:

આપણા દેવ પિતા તરફથી તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

પાઉલ દેવનો આભાર માને છે

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે. તે સર્વ દિલાસાનો બાપ છે. જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે તેમને દિલાસો આપી શકીએ. જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ. આપણે ખ્રિસ્તની ધણી પીડાઓમાં ભાગીદાર થઈ શકીએ. એજ રીતે ધણો દિલાસો આપણને ખ્રિસ્ત તરફથી મળે છે. જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે. તમારા માટેની અમારી આશા મજબૂત છે. અમે જાણીએ છીએ કે અમારા દુ:ખમાં તમે સહભાગીદાર છો. તેથી અમે જાણીએ છીએ કે અમારા દિલાસામાં પણ તમે ભાગીદાર છો.

ભાઈઓ તથા બહેનો, અમે ઈચ્છીએ છીએ કે આસિયાના દેશમાં અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનાથી તમે પરિચિત થાઓ. અમારી શક્તિ કરતાં પણ વધુ એવો એ બોજ હતો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી. ખરેખર, અમને અમારા મનમાં તો એમ જ હતું કે અમે મરી જઈશું. પરંતુ આ બન્યું કે જેથી અમે અમારી જાત પર વિશ્વાસ ન કરીએ પણ જે લોકોને મરણમાંથી ઊઠાડે છે તે દેવ પર વિશ્વાસ કરીએ. 10 મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે. અમારી આશા તેનામાં છે, અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે. 11 અને પછી ધણા લોકો આભાર માનશે. કારણ કે દેવે તેમની ધણી પ્રાર્થનાઓ દ્વારા આપણને આશીર્વાદ આપ્યા છે. અને તમે તમારી પ્રાર્થનાઓ દ્વારા અમને મદદરૂપ થશો.

પાઉલની યોજનામાં પરિવર્તન

12 અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે. 13 અમે તમને એજ વસ્તુ લખીએ છીએ જે તમે વાંચી અને સમજી શકો. અને હું આશા રાખું છું કે તમે સંપૂર્ણ રીતે સમજશો. 14 જે રીતે અમારા વિષેની કેટલીક બાબતો તમે સમજી ચુક્યા છો. હું આશા રાખું છું કે તમે સમજશો કે તમે અમારા માટે ગર્વ અનુભવી શકો છો, એ જ રીતે જે રીતે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમનને દિવસે અમે તમારા માટે ગર્વ અનુભવીશું.

15 મને આ સર્વ વિષે ખાતરી છે. અને તેથી જ પહેલા તમારી મુલાકાત લેવાની મેં યોજના કરી હતી. પછી તમે બે વખત આશીર્વાદીત થઈ શકો. 16 મકદોનિયા જતા રસ્તામાં તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. અને પછી પાછા ફરતા ફરીથી તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. મારા યહૂદિયાના પ્રવાસ માટે તમારી મદદ લેવાની મારી ઈચ્છા હતી. 17 શું તમે એમ માનો છો કે મેં ખરેખર વિચાર્યા વગર તે યોજનાઓ કરી હતી? અથવા કદાચ તમે એમ માનશો કે જે રીતે દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી હશે, કે જેથી હુ, “હા ની હા” કહું અને તે જ સમયે “ના ની ના” પણ કહું.

18 પરંતુ જો તમે દેવમાં માનતા હો તો, તમે માનશો કે અમે તમને કદી પણ એક જ સમયે “હા” અને “ના” સાથે નથી કહ્યું. 19 દેવ પુત્ર ઈસુ ખ્રિસ્ત, સિલ્વાનુસ અને તિમોથી અને મેં તમને જે ઉપદેશ આપ્યો તે “હા” અને “ના” નહોતો. ઈસુ ખ્રિસ્તમાં હમેશા “હા” હતી. 20 દેવના દરેક વચનોની “હા” તે ખ્રિસ્તમાં છે. અને તેથી જ આપણે ખ્રિસ્તના થકી “આમીન” કહીએ છીએ. દેવનો મહિમા થાઓ. 21 અને દેવ તે એક છે જે આપણને ખ્રિસ્ત થકી તમારી સાથે શક્તિશાળી બનાવે છે. દેવે આપણને તેના વિશિષ્ટ આશીર્વાદ આપ્યા છે. 22 આપણે તેના છીએ તે સાબિત કરવા તે તેનું અદભૂત ચિહન આપણા ઉપર મૂકે છે. અને તેણે જે વચન આપ્યું છે તે પ્રમાણે તે આપશે તેની ખાતરીરુંપે, તેની સાબિતીરુંપે, તે તેનો આત્મા આપણા હૃદયમાં મૂકે છે.

23 હું દેવની સાક્ષીએ તમને સત્ય કહું છું. હું કરિંથ પાછો ન આવ્યો તેનું કારણ એ જ હતું કે મારી ઈચ્છા તમને ઈજા પહોંચાડવાની નહોતી. 24 હું એમ કહેવા નથી માગતો કે અમે તમારા વિશ્વાસને અંકૂશ કરવા માગીએ છીએ. તમે તમારા વિશ્વાસમાં દઢ છો. પરંતુ તમારા સુખ-આનંદ માટેના અમે સહકાર્યકર છીએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International