Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 3-4

જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઇ લેનાર છે; તેમના વીરપુરુષો અને તેમના યોદ્ધાઓ, તેમના ન્યાયાધીશો અને તેમના પ્રબોધકો, તથા વડીલો; સેનાનાં સેનાપતિઓ, સરકારના નેતા, સલાહકાર અને કુશળ કારીગરો તેમજ જાદુગરો એ બધાને તે લઇ લેનાર છે.

“તે છોકરાઓને તેમના અધિકારીઓ ઠરાવશે, અને નાના બાળકો તેમના પર શાસન કરશે. પડોશીઓ એકબીજા પર જુલમ કરશે. જુવાનો વૃદ્ધોની સામે વિદ્રોહ કરશે. ઉતરતી કક્ષાના લોકો માણસોની અવગણના કરશે.”

એવો સમય આવશે જ્યારે માણસ પોતાના પિતાના ઘરમાં પોતાના ભાઇને પકડીને કહેશે કે, “તારી પાસે તો વસ્ત્ર પણ છે; ચાલ, તું અમારો આગેવાન થા અને આ ખંડેરના ઢગલા ઉપર રાજ્ય કર.”

ત્યારે તે બોલી ઊઠશે, “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં નથી ખાવાનું કે નથી પહેરવાનું; તમે મને લોકોનો આગેવાન ન બનાવશો.”

યરૂશાલેમ ચોક્કસ રીતે નાશ પામશે કારણ કે યહૂદાના લોકો પોતાની વાણીથી અને કરણીથી યહોવાની વિરુદ્ધ બોલ્યા છે. અને તેમને માન આપતા નથી; તેઓ તેની પવિત્ર હાજરી છતાં વિદ્રોહી બન્યા છે.

તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; તેઓ સદોમના લોકોની જેમ પોતાના પાપનું પ્રદર્શન કરે છે. તેઓ પાપને છુપાવતાં નથી; તેમનું ભવિષ્ય ભયંકર છે અફસોસ! તેમણે પોતે જ આફત વહોરી લીધી છે.

10 ન્યાયીને માટે સર્વ સારું થશે. માટે તેને કહે કે, “તારું ભલું થશે. તને તારા સારા સુકૃત્યોનો બદલો મળશે જ!” 11 પણ દુષ્ટ માણસને કહે; “દુષ્કૃત્યોના કરનારા દુ:ખી થશે, તેમનું અકલ્યાણ થશે, તેઓ તેમના હાથે કરેલાં કૃત્યોનું ફળ ભોગવશે.” 12 મારા લોકો પર બાળકો અન્યાય કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ્ય કરે છે.

અરે મારા લોકો, તમારા આગેવાનો તમને ખોટે માર્ગે દોરે છે, જેથી તમને ખબર પડતી નથી કે કયે રસ્તે જવું.

પોતાના લોકો માટે દેવનો નિર્ણય

13 યહોવા અદાલત ભરવાને તૈયાર થયા છે; 14 અને પ્રજાઓનો ન્યાય તોળવા ઊભા છે. સૌ પ્રથમ તે વડીલો તથા રાજાઓ પર ગુસ્સો ઠાલવશે. કારણ કે તેઓએ ગરીબો વિરુદ્ધ લાંચ લીધી છે.

“તેઓએ ગરીબ ખેડૂતોને લૂંટીને પોતાના ભંડારો ભર્યા છે. 15 મારા લોકોને કચડી નાખવાનો અને ગરીબોના ચહેરાને ધૂળમાં રગદોડવાનો તમને શો અધિકાર છે?” આ યહોવા મારા માલિક સૈન્યોના દેવનાં વચન છે.

16 વળી યહોવા કહે છે, “સિયોનની પુત્રીઓ ઘમંડી થઇ ગઇ છે! તેઓ ઊંચી ડોક કરીને, રમતિયાળ આંખોથી ચારેબાજુ જોતી અને રણકતા ઝાંઝરને ઝમકાવતી લયમાં ચાલે છે.”

17 તેથી મારા માલિક યહોવા સિયોનની પુત્રીઓના માથાને ઊંદરીવાળાઁ કરી નાખશે. તેઓના માથા બોડાં કરી દેશે, અને તેઓના પાપ ઉઘાડાં પાડશે. 18 પછી માલિક તેઓના માથાં, પગ, તથા ગળા ફરતે પહેરવાના સર્વ આભૂષણો લઇ લેશે; 19 ગળામાં તથા હાથ પર પહેરવાનાં ઘરેણાં, બુટ્ટી, પોંચી, દુપટ્ટા; 20 માથા પરના રૂમાલ, બાજુબંધ પગનાં ઝાંઝર, રેશમી કમરપટ્ટા, સુગંધી દ્રવ્યો, માદળિયાં, 21 વીંટીઓ, વાળીઓ, 22 સુંદર વસ્ત્રો, ઝભ્ભાઓ, ટોપીઓ, અને બુરખાઓ, અલંકૃત પર્સ, 23 કિંનારવાળા કપડાં, મલમલના કપડાં.

24 પછી સુગંધને બદલે દુર્ગંધ, કમરબંધને બદલે દોરડું, સુંદર અંબોડાને બદલે તાલ, કીંમતી વસ્ત્રને બદલે ચીંથરો, અને સુંદરતાને બદલે કુરુપતા રહેશે.

25 સિયોનનગરીના પુરુષો તરવારનો ભોગ થઇ પડશે. એના વીર યોદ્ધાઓ રણમાં ખપી જશે. 26 પછી એના દરવાજા પણ આક્રંદ કરશે અને મરશિયા ગાશે; અને એ નગરીની દશા સર્વસ્વ ગુમાવીને ભોંય પર બેઠેલી સ્ત્રીના જેવી થશે.

તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો રોટલો ખાઇશું અને અમારાઁ પોતાનાં વસ્ત્રો પહેરીશું. પણ તું અમને તારે નામે ઓળખાવા દે, જેથી અમારું કુવારાંપણાનું મહેણું ટળે.”

તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે. સિયોનમાં તથા યરૂશાલેમમાં જેઓ બાકી રહ્યા હશે, જીવવા નિર્માયા હશે તેઓ પવિત્ર કહેવાશે.

જ્યારે માલિકે, ન્યાયના પાવક અગ્નિ વડે સિયોનની પુત્રીઓના ગંદવાડને ધોઇ નાખ્યો હશે, અને યરૂશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી નિર્મળ કરી નાખ્યું હશે, યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે. દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.

ગલાતીઓ 6

એકબીજાને મદદરૂપ બનો

ભાઈઓ અને બહેનો, તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ. તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ. તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ. પરંતુ સાવધ રહેજો! તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો. તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો. જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને બીજા લોકો સાથે સરખામણી ના કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કૃત્યની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યુ છે તે વિષે તે ગર્વ લઈ શકે. દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.

જીવન ખેતરમાં કરેલી રોપણી જેવું છે

જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.

ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે. જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે, તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે. પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે, તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે. સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. 10 જ્યારે અન્યના લાભાર્થે કાંઈક કરવાની આપણને તક હોય, ત્યારે તેમ કરવું જોઈએ. પરંતુ વિશ્વાસીઓના પરિવાર માટે આપણે વધારે ખાસ ધ્યાન આપવું જોઈએ.

પાઉલના પત્રની પૂર્ણહૂતિ

11 હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો. 12 કેટલાએક લોકો તમને સુન્નત માટે દબાણ કરે છે. તેઓ આમ કરે છે કે જેથી અન્ય લોકો તેઓને અપનાવે તે માણસોને ભય છે કે જો તેઓ માત્ર ખ્રિસ્તના વધસ્તંભને જ અનુસરશે તો તેઓ ઉપર જૂલમ ગુજારવામાં આવશે. 13 પરંતુ ખરેખર તો જેઓની સુન્નત કરાવે છે તે પોતે જાતે જ નિયમને અનુસરતા નથી. પરંતુ તમે સુન્નત કરાવો તેવો આગ્રહ તેઓ રાખે છે. જેથી પછી તેઓ તમને જે કરવાની ફરજ તેઓ પાડી શક્યા તે વિષે તેઓ બડાઈ મારી શકે.

14 હું આશા રાખું છું કે આવી બાબત માટે હું પોતે કદી બડાઈખોર ના બનું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ તે એક જ મારે માટે અભિમાનનું કારણ છે. ઈસુના વધસ્તંભ ઉપરના મૃત્યુના પરિણામે મારે માટે આ દુનિયા મરી ચૂકી છે; અને દુનિયા માટે હું મરી ચૂક્યો છું. 15 એક વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે બિલકુલ મહત્વનું નથી. દેવે સર્જયા છે તેવા નૂતન લોકો થવું તે મહત્વનું છે. 16 જેઓ આ નિયમનું પાલન કરે છે. તે સર્વને શાંતિ અને કૃપા હો. અને દેવના સર્વ લોકોને પણ.

17 તેથી હવે વધુ તસ્દી ન પહોંચાડશો. મારા શરીર ઉપર ઘણા ઘાનાં ચિહનો છે. અને આ ધાના ચિહનો બતાવે છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું.

18 મારા ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International