Old/New Testament
સુલેમાન:
4 તું કેવી સુંદર અને મનોહર છે;
મારી પ્રિયતમા!
તારા બુરખા પાછળ
તારી કબૂતર જેવી આંખો છે;
તારા ચહેરા પર લટકતી કેશની લટો જાણે ગિલયાદ પર્વતના
ઢાળ પરથી નીચે આવતાં બકરાંના ટોળા જેવા લાગે છે!
2 તારા દાંત તરતની કતરાયેલ
અને ધોયેલ ઘેટીના જેવા સફેદ છે.
પ્રત્યેક ઘેટીને છે બબ્બે બચ્ચાં,
કોઇ નથી અહીં એકલી.
3 તારા હોઠ લાલ રંગના રેશમના તાંતણા જેવા છે,
ને કેવું સુંદર છે તારું મુખ!
તારા બુરખાની પાછળ,
તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે!
4 શસ્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ,
જેમા હજારો ઢાલો એટલે યોદ્ધાઓની
સર્વ ઢાલો લટકાવેલી છે,
તેના જેવી છે ગરદન તારી.
5 સફેદ કમળોની વચ્ચે ચારો ચરતાં
હરણના જોડીયાં બચ્ચાં જેવાં છે,
જાણે બંન્ને સ્તન તારા.
6 દિવસ આથમે અને ઓળા ઉતરી જાય
ત્યાં સુધી હું કસ્તૂરી અને લોબાનની
સુગંધ ધરાવતા પર્વતો પર જઇશ.
7 તું અતિ સુંદર છે મારી પ્રીતમા,
તારા અંગમા કોઇ ખોડ નથી.
8 હે મારી નવોઢા,
લબાનોનથી તું આવ મારી સાથે;
આપણે આમાનાહ પર્વતના શિખર પર જઇએ
અને સનીરની ટોચ પરથી નિહાળીશું;
આપણે હેમોર્ન પર્વતની ટોચ પરથી નીચે જ્યાં સિંહોના રહેઠાણ છે
ત્યાં ચિત્તાઓ શિકારની શોધમાં ફરે છે.
9 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,
તેં મારું હૃદય હરી લીધું છે. હું તારી આકર્ષક આંખોથી
અને તારા ગળાના હારના એક મણકાથી સંમોહિત થઇ ગયો છું.
10 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,
તારો પ્રેમ કેવો મધુર છે!
સાચે જ તે દ્રાક્ષારસથીય વધુ મધુર છે,
તારા પ્રેમની સુવાસ કોઇ પણ સુગંધિત દ્રવ્યો કરતાં વધારે મધુર છે.
11 મારી નવોઢા, મધપૂડાની જેમ ટપકે છે મીઠાશ તારા હોઠમાંથી;
તારી જીભ તળે મધને દૂધ છે;
અને તારા વસ્રોની ખુશ્બો લબાનોનના દેવદારોના વૃક્ષોની ખૂશ્બો જેવી છે.
12 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,
તું બંધ કરેલી વાડી;
બાંધી દીધેલો ઝરો,
અથવા પૂરી દીધેલાં કૂવા જેવી છે!
13 તું જાણે દાડમડીઓના બગીચા જેવી છે
જેમાં મેંહદીના છોડવાઓ
અને મધુર સુગંધિત મૂળિયાઓ છે.
14 કેશર, તજ, મધુર સુગંધી વૃક્ષો
અને સર્વ પ્રકારના શ્રે તેજાના પણ ખરા.
15 તું બાગમાંના ફુવારા જેવી,
નદીના વહેતાં પાણી જેવી,
તથા લબાનોનના વહેતાં ઝરણાં જેવી છે.
કન્યા:
16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા,
અને હે દક્ષિણના વાયુ,
તું આવ, મારા બગીચામાં થઇને તું પસાર થા,
જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય,
મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે
અને તેના શ્રે ફળો આરોગે.
સુલેમાન:
5 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું આવ્યો છું મારા બાગમાં;
મેં એકઠાં કર્યાં છે મારા બોળને સુગંધી દ્રવ્યો;
ને મેં ખાધું છે મધ મારાં મધપૂડામાંથી;
મેં પીધો છે મારો દ્રાક્ષારસ મેં મારા દૂધની સાથે.
સ્ત્રીઓ: સ્ત્રીના શબ્દો તેના પ્રેમીઓને:
હે મિત્રો, ખાઓ; હે વ્હાલાઓ, પીઓ;
હા પુષ્કળ પીઓ.
કન્યા:
2 હું સૂતી હોઉં છું પણ મારું હૃદય જાગૃત હોય છે.
એ મારા પ્રીતમનો સાદ છે!
તે ખટખટાવે છે દરવાજો ને કહે છે કે,
“મારી પ્રાણપ્રિયા, મારી વ્હાલી[a] મારી (ક્ષતિહીન) સંપૂર્ણ,
મારી સુંવાળી સ્ત્રી, મારે માટે બારણું ખોલ;
મારા વાળ રાત્રીના ઝાકળથી ભરેલા છે,
તેથી મારું માથું ઝાકળથી ભીજાઇ ગયું છે!”
3 “મે મારું વસ્ત્ર કાઢયું છે;
તે હું કેવી રીતે ફરી પહેરું?
મેં મારા ચરણ ધોયા છે;
હું તેમને શા માટે મેલા કરું?”
4 મારા પ્રીતમે કાણામાંથી તેનો હાથ અંદર નાખ્યો
અને મારા મનમાં તેના પર દયા આવી.
5 હું બારણું ખોલવા કૂદી પડી
અને સાંકળ ખોલવા ગઇ
ત્યારે મારા હાથમાંથી અત્તર
અને મારી આંગળીઓમાંથી બોળ ટપકવા લાગ્યું.
6 મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડ્યું;
પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો;
તે બોલ્યો તે સમયે મારું
મન નાહિમ્મત થઇ ગયું હતું;
મેં તેને શોધ્યો,
પણ મને જડ્યો નહિ.
મે તેને બોલાવ્યો,
પણ તેણે મને કઇં ઉત્તર આપ્યો નહિ.
7 નગરની ચોકી કરતાં ચોકીદારોએ મને જોઇ;
તેમણે મને મારી
અને ઘાયલ કરી,
નગરની દીવાલ પાસે ફરજ બજાવતાં
ચોકીદારે મારો ઘુમટો ચીરી નાખ્યો.
8 હે યરૂશાલેમની કન્યાઓ; હું તમને સમ દઉ છું કે,
જો તમને મારો પ્રીતમ મળે,
તો તેને કહેજો કે હું પ્રેમની બિમારીથી પીડિત છું.
યરૂશાલેમની સ્ત્રીનો જવાબ કન્યાને:
9 ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી,
અમને કહે કે,
તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે,
તું અમને આવી આજ્ઞા કરે છે?
કન્યાનો જવાબ યરૂશાલેમની સ્ત્રીને:
10 મારો પ્રીતમ ઉજળો મનોહર બદામી રંગનો છે,
અને ફૂટડો છે, દશહજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે!
11 તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે,
તેની લટો લહેરાતી અને કાગડાના રંગ જેવી કાળી છે.
12 તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે;
તે દૂધમાં ધોયેલી
તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13 તેના ગાલ સુગંધી દ્રવ્ય તેજાના ઢગલા જેવા,
તથા મધુર સુગંધવાળા ફૂલો જેવા છે;
જેમાંથી કસ્તૂરી ઝરતી હોય
ગુલછડીઓ જેવા તેના હોઠ છે!
14 તેના હાથ સોનાની વીંટીઓ જે
કિંમતી પથ્થરોથી જડવામાં આવી છે.
તેનું શરીર નીલમ જડિત
સફેદ હાથીદાંત જેવું છે.
15 તેના પગ શુદ્ધ સુવર્ણના
પાયા પર ઊભા કરેલા આરસપહાણના સ્તંભો જેવા છે,
તે લબાનોનના ઊમદા દેવદાર
વૃક્ષો જેવો ઊંચો ઊભો રહે છે.
16 તેનું મુખ અતિ મધુર
અને મનોહર છે,
હે યરૂશાલેમની યુવતીઓ,
આવો છે મારો પ્રીતમ ને મારો મિત્ર.
દેવનો આશીર્વાદ વિશ્વાસથી ઉદ્દભવે છે
3 તમને ગલાતીઓના લોકોને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમે ઘણા મૂર્ખ હતા. તમે કોઈકનાથી છેતરાયા. 2 મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો. 3 તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે. 4 તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો! 5 દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.
6 પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”(A) 7 તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે. 8 પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”(B) 9 ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.
10 પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”(C) 11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.”(D)
12 નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”[a] 13 નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”[b] 14 ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.
નિયમ અને વચન
15 ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી. 16 દેવે ઈબ્રાહિમ અને તેના વંશજને વચનો આપ્યા. દેવે ન હોતું કહ્યું કે, “તારા સંતાનોને.” (એનો અર્થ ઘણા લોકો થઈ શકે પરંતુ દેવે કહ્યું કે, “તારા સંતાનને.” આનો અર્થ માત્ર એક જ વ્યક્તિ; અને તે વ્યક્તિ ખ્રિસ્ત છે.) 17 હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો. 430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ.
18 દેવે જે વચનો આપ્યાં હતાં તે નિયમને અનુસરવાથી આપણે મેળવી શકીશું? ના! જો આપણે તે વારસો નિયમને અનુસરવાથી મેળવી શકીશું, તો પછી તે દેવના વચનનું પરિણામ નથી. પરંતુ પોતાના વચનથી દેવે મુક્ત રીતે ઈબ્રાહિમને આશીર્વાદિત કર્યો.
19 તો નિયમ શા માટે હતો? લોકો જે ખરાબ કૃત્યો છે તે બતાવવા નિયમ આપવામાં આવ્યો હતો, જ્યાં સુધી ઈબ્રાહિમના વિશિષ્ટ વંશજ આવ્યો ત્યાં સુધી નિયમ ચાલુ રહ્યો. દેવનું આ વચન આ વંશજ (ખ્રિસ્ત) માટેનું હતું. દૂતો થકી નિયમનું પ્રદાન થયું હતું. દૂતોએ લોકોને નિયમ આપવા મૂસાનો મધ્યસ્થ[c] તરીકે ઉપયોગ કર્યો હતો. 20 પરંતુ જ્યારે એક જ પક્ષ છે, અને દેવ પણ એક જ છે ત્યારે મધ્યસ્થની જરૂર પડતી નથી.
મૂસાના નિયમને હેતુ
21 શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. 22 પરંતુ આ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા જ લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.
23 આ વિશ્વાસ આવ્યો તે પહેલા, આપણે બધા નિયમના કેદી હતા. જ્યા સુધી દેવે આપણને વિશ્વાસનો આવી રહેલો માર્ગ ના બતાવ્યો, ત્યાં સુધી આપણે બધા મુક્ત ન હતા. 24 તેથી જ્યાં સુધી ખ્રિસ્ત ના આવ્યો, નિયમ આપણો બાળશિક્ષક હતો. ખ્રિસ્તના આવ્યા પછી, વિશ્વાસ દ્વારા આપણે દેવ સાથે ન્યાયી બની શકયા. 25 હવે વિશ્વાસનો માર્ગ આવ્યો છે. તેથી હવે આપણે નિમયની નીચે જીવતા નથી.
26-27 તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છો. તેથી તમે બધાએ ખ્રિસ્ત સાથે વસ્ત્રો પરિધાન કર્યા છે આ બતાવે છે કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા તમે બધાં દેવના બાળકો છો. 28 હવે યહૂદી અને બિનયહૂદિ વચ્ચે કોઈ તફાવત નથી. ગુલામ અને મુક્ત વ્યક્તિ વચ્ચે કોઈ નફાવત નથી. પુરુંષ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત નથી. ખ્રિસ્ત ઈસુમાં બધાં એક સમાન છો. 29 તમે ખ્રિસ્તનાં છો તેથી ઈબ્રાહિમનાં સંતાન છો. દેવે ઈબ્રાહિમને આપેલા વચન થકી તમે બધા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરો છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International