Old/New Testament
નિર્દેશક માટે. વાજીંત્ર સાથે ગાવા માટે દાઉદનું માસ્કીલ. જ્યારે ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું કે, “દાઉદ અમારી વચ્ચે સંતાઇ રહ્યો છે.” ત્યારનું ગીત.
1 હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો;
અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો;
મારા મોઢાંની વાતો કાને ઘરો.
3 વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે,
મારો જીવ લેવા ઇચ્છે છે. “દેવ છે” એ હકીકતની તેમને દરકાર નથી.
4 યહોવા દેવ, મને સહાય કરનાર છો,
મારા જીવનનો એજ આધાર છે.
5 યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે,
હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.
6 હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું;
હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
7 દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે;
મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે.
નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.
1 હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
2 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
3 દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
4 મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
5 મારું શરીર ભયથી ધ્રુજે છે,
હું ભયથી ઘેરાઇ ગયો છું.
6 મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
7 હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
8 વિનાશકારી પવનનાં તોફાનથી
હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
9 હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.
12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.
15 એકાએક તેમના પર મોત આવો,
તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.
16 હું તો દેવને પોકાર કરીશ,
તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.
22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
અને તે તમને નિભાવી રાખશે,
તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.
23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.
નિર્દેશક માટે. રાગ: “દૂરના ઓકમાં કબૂતર.” દાઉદનું મિખ્તામ, ગાથમાં પલિસ્તીઓએ તેને પકડ્યો તે વખતે લખાયેલું છે.
1 હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે
તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
2 મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે.
ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
3 જ્યારે મને બીક લાગશે ત્યારે
હું તમારો ભરોસો કરીશ.
4 હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું.
દેવ પર આધાર રાખું છું,
તેથી મને જરાપણ બીક નથી.
માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
5 મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે.
અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
6 તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે,
તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
7 યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો.
તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો.
8 તમે મારી બધી વેદના જોઇ છે.
તમે મારા આંસુઓથી જ્ઞાત છો.
તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે.
અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.
9 હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
10 હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ,
હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
11 મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી,
પછી માણસ મને શું કરનાર છે?
12 હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ,
હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
13 કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે,
તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે,
જેથી હું જીવનનાં અજવાળામાં
દેવની સામે જીવી શકું.
3 તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે? 2 હા, યહૂદિઓને અનેક વિશિષ્ટ લાભો છે. સૌથી અગત્યની વાત એ છે કે બીજા લોકોને બદલે દેવે યહૂદિઓમાં વિશ્વાસ મૂક્યો અને તેઓને ઉપદેશ આપ્યો. 3 જો કે એ સાચું છે કે કેટલાએક યહૂદિઓ દેવને વિશ્વાસુ ન રહ્યા. પરંતુ શું એ કારણે દેવે જે વચન આપ્યા છે તે એ પૂર્ણ નહિ કરે? 4 ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:
“તારા વચનો સત્ય સાબિત થશે,
અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” (A)
5 જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.) 6 ના! જો દેવ આપણને શિક્ષા ન કરે તો, પછી તે દુનિયાનો ન્યાય કરી શકશે નહિ.
7 કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?” 8 કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ.
સઘળાએ પાપ કર્યુ છે
9 તો શું આપણે યહૂદિઓ બીજા લોકો કરતાં વધારે સારા છીએ? ના! અમે તો માત્ર હમણા જ આક્ષેપ કર્યો કે બધા જ લોકો યહૂદિઓ-બિનયહૂદિયો સૌ પાપની સત્તા હેઠળ છે. 10 શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:
“પાપ કર્યુ ના હોય એવી કોઈ વ્યક્તિ નથી, એક પણ નથી! શાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે કોઈ ન્યાયી નથી.
11 એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય.
12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે,
અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે.
કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!” (B)
13 “લોકોનું મોં ખુલ્લી કબરો જેવું છે;
તેઓની જીભો જૂઠ્ઠું બોલી રહી છે.” (C)
“ઝેર ઓકતા સર્પોની જેમ તેઓ કડવી વાણી બોલતા ફરે છે;” (D)
14 “તેઓનું મોં કડવાશ અને શ્રાપથી ભરેલું છે.” (E)
15 “બીજા લોકોને ઈજા કરવા અને મારી નાખવા લોકો હંમેશા તત્પર હોય છે;
16 તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં વિનાશ નોતરે છે અને દુ:ખો ફેલાવે છે.
17 લોકોને શાંતિનો માર્ગ સૂઝતો જ નથી.” (F)
18 “તેઓને દેવ પ્રત્યે આદર કે ડર નથી.” (G)
19 જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે. 20 શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે.
કઈ રીતે દેવ લોકોને ઉદ્ધાર યોગ્ય બનાવે છે
21 નિયમશાસ્ત્ર વિના લોકોને સાચા બનાવવા માટે હવે દેવ પાસે એક નવો માર્ગ છે. અને એ નવો માર્ગ દેવે આપણને બતાવ્યો છે. જૂના કરારે અને પ્રબોધકોએ આપણને આ નવા માર્ગ વિષે અગાઉ કહેલું જ છે. 22 ઈસુ ખ્રિસ્તમાં જે લોકો વિશ્વાસ રાખશે તેમના ઉદ્ધાર માટે દેવ તેમને ન્યાયી બનાવશે. જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસુ છે, એવા સૌ લોકોનો ઉદ્ધાર દેવ કરશે. 23 સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે. 24 દેવની કૃપાથી લોકોને દેવ સાથે ન્યાયી બનાવાય છે. અને તે વિનામૂલ્ય ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જે આપણને પાપમાંથી મુક્ત કરે છે તેના દ્વારા આ પરિપૂર્ણ થાય છે. 25 દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા. 26 અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે.
27 તો પછી પોતાના માટે વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. નિયમશાસ્ત્ર જે કામની અપેક્ષા રાખે છે તેને અનુસરવાથી નહિ પણ વિશ્વાસના માર્ગે કે જેમાં વડાઈનો સમાવેશ થયેલ નથી. 28 તો એવું કેમ હશે? કારણ કે આપણે માનીએ છીએ કે નિયમ મુજબ મનુષ્યો જે કઈ કરે છે તેને લીધે નહિ, પરંતુ દેવમાં વિશ્વાસ દ્વારા જ દેવ આપણને ઉદ્ધારને યોગ્ય બનાવે છે. લોકો નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ વિશ્વાસથી ન્યાયી ઠરે છે. 29 માત્ર યહૂદિઓનો જ દેવ નથી, બિન-યહૂદિઓનો પણ તે દેવ છે. 30 દેવ માત્ર એક જ છે અને તે યહૂદિઓને તેમજ બિનયહૂદિઓને એમના વિશ્વાસના આધારે ન્યાયી ઠરાવશે. 31 તેથી આપણે વિશ્વાસના માર્ગને અનુસરવાથી, નિયમશાસ્ત્રથી દૂર રહીને કાર્ય કરતા નથી. ના! તેને બદલે અમે તો નિયમશાસ્ત્રને તેનું યોગ્ય સ્થાન આપીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International