Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 22-24

અલીફાઝનો ત્રીજો સંવાદ

22 ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,

“શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે?
    ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો?
તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું?
    તારું વર્તન ગમે તેટલું નિર્દોષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો?
અયૂબ, દેવ તને શા માટે સજા આપે છે, અને તારો વાંક કાઢે છે?
    તું તેની ઉપાસના કરે છે એટલા માટે?
તારા અનિષ્ટો ઘણા ભયંકર છે,
    તારાં પાપ પાર વિનાનાં છે.
કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય
    અને તે તને પાછા આપશે તેની સુરક્ષાનો પૂરાવો આપવાનો આગ્રહ કર્યો હોય.
કદાચ એમ હોય કે તેઁ ઉછીના પૈસાના દેણા માટેના વચન તરીકે ગરીબ માણસના કપડાં લીધા હોય.
    તેઁ આ કદાચ કારણ વગર કર્યું છે.
કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય,
    તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય.
અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો.
    અને લોકો તમને માન આપે છે.
કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે.
    તમે કદાચ અનાથોને છેતર્યા છે.
10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે,
    અને અણધારી આફત તને ડરાવી મૂકે છે.
11 એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી,
    અને પુરના પાણી તને ઢાંકી દે છે.

12 “શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી?
    તારાઓની ઊંચાઇ જો, તેઓ કેટલાં ઊંચા છે.
13 અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે?
    કાળા વાદળોની[a] આરપાર જોઇને તે આપણા વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકવાનો છે?
14 જેવો તે આકાશની ધાર પર ચાલે છે,
    ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે કાંઇ જોઇ શકતો નથી.’

15 “અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે
    જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા.
16 તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે
    તે પહેલાંજ નાશ પામી ગયા હતા.
17 કારણકે તેઓ દેવને કહેતા હતાં કે, ‘તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ;
    સર્વસમર્થ દેવ તમે અમને શું કરી શકવાનાં છો?’
18 તેમ છતઁા પણ દેવે જ એમનાં ઘર ખજાનાથી ભર્યા હતા ના!
    હું દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી.
19 ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે.
    અને નિર્દોષો દુષ્ટો પર હસશે.
20 તેઓ કહે છે, ‘જુઓ, બાકી રહેલા અમારા દરેક શત્રુઓનો નાશ થઇ ગયો છે.
    અને અગ્નિ તેઓની સંપતિને ભરખી જાય છે.’

21 “અયૂબ, હવે તું તારી જાત દેવને સમર્પિત કરી દે,
    અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે.
22 કૃપા કરીને એના મોઢેથી એનો બોધ સાંભળ અને સ્વીકાર કર.
    એની વાણી તારા હૃદયમાં ધારણ કર!
23 જો તું સર્વસમર્થ દેવ પાસે પાછો વળે તો તારો પુનરોદ્ધાર થશે.
    પાપને તારા ઘરથી દૂર રાખજે.
24 જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ
    અને કંચનને કથીર સમાન માનીશ,
25 ભલે સર્વસમર્થ દેવ તારું સોનું
    અને ચાંદીનો સંગ્રહ બને.
26 તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે.
    અને તું દેવ સામે નજર મેળવીશ.
27 તું જે કઇં અરજ કરીશ તે એ સાંભળશે,
    અને પછી તું તારી માનતાઓ પૂરી કરી શકીશ.
28 તારી સર્વ યોજનાઓ સફળ થશે.
    તારા માર્ગમાં આકાશનું તેજ ઝળહળશે.
29 દેવ અભિમાનીને પાડે છે
    અને નમ્રને બચાવે છે.
30 તે જેઓ નિર્દોષ નથી તેઓને પણ ઉગારે છે,
    તારા હાથ ચોખ્ખા હશે તો તને પણ ઉગારશે.”

અયૂબનો જવાબ

23 ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,

“આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે.
    કારણકે હું હજી પણ પીડા સહન કરું છું.
હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ.
    હું તેના સ્થાને આવી શકત!
હું મારી દલીલો દેવને સમજાવીશ.
    મારી નિર્દોષતા બતાવવા મારું મોઢું દલીલોથી ભરેલું હશે.
મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે.
    મારે દેવના જવાબો સમજવા છે.
શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે?
    ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે.
હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે.
    પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે.

“પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી.
    હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.
જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી.
    જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.
10 પણ દેવ તો જાણે છે કે હું ક્યા માર્ગે જાઉં છું.
    એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું.
11 હું દેવના માર્ગોમાં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું.
    હું આમતેમ ભટકી ગયો નથી.
12 તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું.
    હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.

13 “પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી.
    દેવ તેને જે કરવું હોય તેજ કરે છે.
14 તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે.
    અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે.
15 એજ કારણે હું તેમની હાજરીમાં જું છું.
    જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું.
16 દેવે મારું મન નબળું પાડી દીધું છે.
    એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે.
17 મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે.
    પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.

24 “સર્વસમર્થ દેવ, લોકોનું કયારે બૂરું થવાનું છે તે કેમ જાણે છે?
    પરંતુ તેના અનુયાયીઓ તે એવું કાંઇક ક્યારે કરવાના છે તેનું ભવિષ્ય ભાખી શકતા નથી.

“કારણકે દુષ્ટો પારકાની જમીન પચાવી પાડવાં સંપતિની આંકણી કરનારાઓને બદલી નાખે છે,
    તેઓ ઘેટાંબકરાં ચોરી જાય છે અને ચરાવે છે.
તેઓ અનાથોની માલિકીના ગધેડાઓને ચોરી જાય છે
    અને વિધવાની માલિકીના બળદોને જ્યાં સુધી તે તેનું દેવું તેઓને ચૂકવે નહિ ત્યાં સુધી લઇ લે છે.
તેઓ ઘર વગરના એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ગરીબોનો પીછો કરે છે.
    અને બધા ગરીબ લોકોને આ દુષ્ટ લોકોથી છુપાવાની ફરજ પાડવામાં આવે છે.

“જંગલી ગધેડાની જેમ, ગરીબોએ કામ અને ખોરાકની શોધમાં ભટકવું પડે છે.
    તેઓ ખોરાકની શોધમાં બહાર જવા માટે વહેલી સવારે ઉઠે છે.
તેઓના સંતાનો માટે ખોરાક મેળવવા,
    તેઓ મોડી સાંજ સુધી કામ કરે છે.
ગરીબ લોકોએ ખેતરમાં સૂકું ઘાસ અને પરાળ કાપતા મોડી રાત સુધી કામ કરવું જોઇએ.
    તેઓએ દ્રાક્ષની વાડીમાં દ્રાક્ષ ભેગી કરીને ધનવાન લોકો માટે કામ કરવું જોઇએ.
તેઓ અન્ય લોકોના ખેતરોમાં કામ કરે છે
    અને દુષ્ટ લોકોનું વધ્યું ઘટયું ખાવાનું ખાય છે.
તેઓ આખી રાત વસ્રો વિના ઉઘાડા સૂઇ જાય છે.
    ઠંડીમાં ઓઢવા માટે એમની પાસે કાઇં હોતું નથી.
બાપ વગરના ગરીબ સંતાનો વેચાવા માટે માતાના ખોળામાંથી ઊપાડી લેવામાં આવે છે.
    ઉછીના લીધેલા નાણાંની જામીનગીરી તરીકે બાળકોને રાખવામાં આવે છે.
10 તેઓને વસ્ત્ર વિના ઉડા ફરવું પડે છે, તેઓ જથ્થાબંધ અનાજ
    દુષ્ટ લોકો માટે ઊંચકે છે છતાં પણ તેઓ ભૂખ્યાં રહે છે.
11 તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે.
    તેમ છતાં તેઓ તે તેલનો કે દ્રાક્ષાસવનો ઉપયોગ કરી શકતાં નથી, તેઓ તો તરસ્યા જ રહે છે.
12 નગરોમાં મરતાં લોકોના દુ:ખદાયક અવાજો તમે સાંભળી શકો છો.
    ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તે છતાં દેવ તેઓનું સાંભળતા નથી.

13 “એવા લોકો પણ છે જે પ્રકાશ સામે બળવો કરે છે,
    તેઓ જાણતા નથી દેવની શું જરૂરિયાત છે?
    અને તેઓ દેવને જે રીતે જોઇએ છે તેમ રહેતા નથી.
14 અજવાળું થતાં ખૂની માણસ ગરીબો અને દરિદ્રી લોકોના ખૂન કરવાં નીકળી પડે છે
    અને રાત પડે તે ચોરી કરવાં ફર્યા કરે છે.
15 જે વ્યકિત વ્યભિચાર કરે છે, તે સાંજે પરોઢ થવાની રાહ જુએ છે.
    ‘તને લાગે છે તેને કોઇ જોઇ શકે તેમ નથી’ તે છતાં પણ તે તેનું મોઢું ઢાંકે છે.
16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ખાતર પાડે છે;
    પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં પૂરાઇને રહે છે અને અજવાળાથી દૂર રહે છે.
17 અંધારી રાત એ તેઓની સવાર છે;
    અંધકારના ભય સાથે તેઓ ફકત મિત્રતાજ રાખે છે.

18 “દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે.
    એની જમીનને દેવનો શાપ લાગે છે.
    તેથી તેઓ દ્રાક્ષનીવાડીમાંથી દ્રાક્ષો એકઠી કરશે નહિ.
19 અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે
    તેમ મૃત્યુ પાપીઓનો નાશ કરે છે.
20 તેની માતા તેને ભૂલી જશે.
    કીડો મગ્નથી તેનું ભક્ષણ કરી જશે,
તેને કોઇ સંભારશે નહિ,
    દુરાચારી માણસ કોહવાયેલાં વૃક્ષની જેમ તૂટી પડે છે.
21 સ્રીઓ કે જેને સંતાન થઇ શકે નહિ, દુષ્ટ લોકો તેઓને દુ:ખ પહોચાડે છે.
    તેઓ લાચાર વિધવાઓને સહાય કરતા નથી.
22 દુષ્ટ લોકો તેઓનું બળ શકિતશાળી માણસોના નાશ કરવામાં વાપરે છે.
    દુષ્ટ લોકો કદાચ સત્તા મેળવે પણ તેઓ પોતાના જીવનનો કોઇ વિશ્વાસ કરી શકતા નથી.
23 હા, દેવ તેઓને સુરક્ષાની ભાવનામાં આરામથી રહેવા દે છે.
    પરંતુ તેઓના માર્ગો ઉપર દેવની નજર છે.
24 ઘડીક માટે દુષ્ટ માણસ ઊંચો આવે છે પણ પછી તે મળતો નથી.
    બીજા દરેકની જેમજ તે ધાન્યની જેમ કપાઇ જશે.

25 “કોણ કહી શકશે આ સાચું નથી?
    કોણ પૂરવાર કરી શકશે
    કે મારા શબ્દો ખોટા છે?”

પ્રેરિતોનાં કૃત્યો 11

પિતરનું યરૂશાલેમમાં પુનરાગમન

11 યહૂદિયાના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદિઓએ પણ દેવની વાતોનો સ્વીકાર કર્યો છે. પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી. તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”

પિતરે તેઓને આખી વાત સમજાવી. પિતરે કહ્યું, “હું યાફાના શહેરમાં હતો. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, એક દર્શન મારી સામે આવ્યું. મેં દર્શનમાં આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું, તે એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર નીચે ઉતરતી હતી. તે નીચે આવીને મારી નજીક અટકી ગઈ. મેં તેની અંદર જોયું. મેં પાળેલાં અને જંગલી બંને પ્રકરના પ્રાણીઓ જોયાં. મેં પેટે સરકતાં પ્રાણીઓ અને હવામાં ઊડતાં પક્ષીઓ જોયા. મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે, ‘ઊભો થા. પિતર, આમાંથી કોઇ પ્રાણીને મારી નાખ અને તે ખા!’

“પણ મેં કહ્યું, ‘હું કદાપિ તે નહિ કરું, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ હોય એવું કંઈ ખાધું નથી.’

“પરંતુ આકાશમાંના અવાજે ફરીથી કહ્યું, ‘દેવે આ વસ્તુઓ સ્વચ્છ બનાવી છે. તેને નાપાક કહીશ નહિ!’

10 “આ ત્રણ વખત બન્યું. પછી તે આખી વસ્તુ આકાશમાં પાછી લઈ લેવામાં આવી. 11 પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા. ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા. 12 આત્માએ મને કોઇ પણ જાતની શંકા રાખ્યા વિના તેમની સાથે જવા કહ્યું. આ છ ભાઈઓ જે અહીં હતા તેઓ મારી સાથે આવ્યા. અમે કર્નેલિયસના ઘરે ગયા. 13 કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું. જેને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે કર્નેલિયસને કહ્યું, ‘સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ. 14 તે તને જે વાતો કહેશે તેના વડે તું અને તારા ઘરનાં બંને તારણ પામશો.’

15 “મેં બોલવાનો આરંભ કર્યા બાદ તરત જ પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. જે રીતે શરૂઆતમાં તે (પવિત્ર આત્મા) અમારા પર ઉતર્યો હતો. 16 પછી મેં પ્રભુની વાણીનું સ્મરણ કર્યુ. પ્રભુએ કહ્યું, ‘યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યુ. પણ તું પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા પામશે!’ 17 દેવે આ લોકોને તે જ ભેટ આપી જે તેણે અમને કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખતા હતા, તેમને આપી હતી. તો પછી હું કોણ કે દેવના કામને અટકાવું? ના!”

18 જ્યારે યહૂદિ વિશ્વાસીઓએ આ વાતો સાંભળી, તેઓએ દલીલો કરવાનું બંધ કર્યુ. તેઓએ દેવને મહિમા આપતાં કહ્યું, “તેથી દેવ બિનયહૂદિઓને પસ્તાવો કરવાનું મન આપ્યું છે અને આપણા જેવું જીવન પામવા માટે સંપત્તિ આપે છે.”

અંત્યોખમાં સુવાર્તા

19 સ્તેફનના મૃત્યુ પછી થયેલી સતાવણીને લીધે વિશ્વાસીઓ વિખરાઈ ગયા હતા. કેટલાક વિશ્વાસીઓ તે દૂર દૂરના સ્થળે ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ ગયા હતા. વિશ્વાસીઓએ સુવાર્તા આ જગ્યાઓએ કહી, પણ તેઓએ તે ફક્ત યહૂદિઓને જ કહી. 20 આ વિશ્વાસીઓમાંના કેટલાક સૈપ્રસ અને કુરેનીના માણસો હતા. જ્યારે આ માણસો અંત્યોખમાં આવ્યા. તેઓએ આ ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી. 21 પ્રભુ વિશ્વાસીઓને મદદ કરતો હતો અને એક મોટો લોકોનો સમૂહ પ્રભુમાં માનવા લાગ્યો અને તેને અનુસરવા લાગ્યો.

22 યરૂશાલેમમાં મંડળીએ આ નવા વિશ્વાસીઓ વિષે સાંભળ્યું. તેથી યરૂશાલેમના વિશ્વાસીઓએ બાર્નાબાસને અંત્યોખમાં મોકલ્યો. 23-24 બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.

25 પછી બાર્નાબાસ તાર્સસના શહેરમાં ગયો. તે શાઉલની શોધમાં હતો. 26 જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.

27 લગભગ તે સમય દરમ્યાન કેટલાક પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોખ ગયા. 28 આમાંના એક પ્રબોધકનું નામ આગાબાસ હતું. અંત્યોખમાં આગાબાસ ઊભો થયો અને બોલ્યો. પવિત્ર આત્માની સહાયથી તેણે કહ્યું, “આખા વિશ્વ માટે ઘણો ખરાબ સમય આવી રહ્યો છે. ત્યાં લોકોને ખાવા માટે ખોરાક મળશે નહિ.” (આ સમયે જ્યારે કલોદિયસ બાદશાહ હતો ત્યારે દુકાળ પડ્યો હતો.) 29 વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી. 30 તેઓએ પૈસા ભેગા કર્યા અને તે બાર્નાબાસને અને શાઉલને આપ્યા. પછી બાર્નાબાસ અને શાઉલે તે (નાણાં) યહૂદિયાના વડીલો પર મોકલ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International