Old/New Testament
જ્ઞાનનાં ગુણગાન
28 “ત્યાં ચાંદીની ખાણો છે.
ત્યાં સોનું ગાળી તેને શુદ્ધ બનાવવા માટે એક જગા છે.
2 લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,
અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે.
3 માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે,
ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે.
4 ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે.
તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે.
તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે.
5 ધરતીની ઉપર અનાજ ઊગે છે
પણ નીચે તો બધું અલગ જ છે
જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે.
6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,
અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7 શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી.
શિકારી પક્ષી પણ તે રસ્તો જાણતા નથી.
8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી.
મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
9 પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા
અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા.
10 તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી
અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે.
11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે
અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.
12 “પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે?
સમજશકિત ક્યાં મળી શકે?
13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે.
પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી.
14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’
મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’
15 તે સોનાથી ખરીદી શકાય નહિ.
આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી.
16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ
કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી.
કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી.
18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી.
જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.
19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી.
શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ.
20 “તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે?
આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?
21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે.
આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી.
22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે,
‘અમે અમારા કાનોએ
તેની અફવા સાંભળી છે.’
23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે,
એને એના રહેઠાણની ખબર છે.
24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે,
આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.
25 જ્યારે દેવ પવનનું વજન કરે છે
અને તે પાણીને માપથી નાખે છે.
26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો
અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ.
દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.
28 તેણે માણસને કહ્યું,
‘યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે.
દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.’”
અયૂબનો રોષ
29 વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું:
2 “હું ઇચ્છું છું, મારું જીવન થોડા મહિના પહેલા હતું તેવું હોત.
તે વખતે દેવ મારું ધ્યાન રાખતા હતા અને મારી સંભાળ લેતા હતા.
3 ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
દેવે મને જીવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો.
4 હું એ દિવસો માટે ઇચ્છું છું જ્યારે
હું સફળ હતો અને દેવ મારા નિકટના મિત્ર હતા.
5 તે વખતે સર્વસમર્થ દેવ મારી સાથે હતા
અને મારા સંતાનો મને વીંટળાયેલા રહેતા હતાં.
6 તે વખતે જીવન સારું હતું, હું મારા પગ દૂધની તરથી ધોતો
અને મારી પાસે પુષ્કળ પ્રમાણમાં સારામાં સારુ તેલ હતું.[a]
7 “એ દિવસોમાં હું જ્યારે નગરના દરવાજે જતો
ત્યારે આદરપાત્ર આગેવાનોની વચ્ચે જાહેર સભાના સ્થળમાં હું બેઠો હતો.
8 ત્યારે યુવાનો મને જોઇને માર્ગ મૂકતા હતાં
અને વૃદ્ધો ઊભા થઇને મને માન આપતા હતાં.
9 નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા
અને મોં પર તેઓના હાથ મૂકતાં.
10 નગરનાં ઉચ્ચ અધિકારીઓ ધીમા અવાજે બોલ્યા.
તેઓની જીભ તેઓના મોઢાના તાળવે ચોંટી ગઇ.
11 મેં જે કહ્યું તે લોકોએ સાંભળ્યુઁ અને પછી મારા વિશે સારી વાતો કરી.
મેં જે કર્યું તે લોકોએ જોયું અને પ્રસંશા કરી.
12 કારણકે જ્યારે ગરીબોએ મદદ માટે બોલાવ્યો,
મેં અનાથને મદદ કરી કે જેની સંભાળ લે તેવું કોઇન હતું.
13 જેઓ મરવા પડ્યા હતાં તેઓ મને આશીર્વાદ આપતા હતાં.
વિધવાઓના હૈયા હું ઠારતો હતો.
14 સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા.
પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા.
15 હું અંધજનોની આંખ સમાન હતો.
તેઓને જ્યાં ક્યાંય પણ જવાની ઇચ્છા હતી, મેં તેઓને રસ્તો બતાવ્યો.
અને હું લંગડા માટે પગ સમાન હતો.
તેઓ જ્યાં જવાં માંગતા હતા હું તેઓને ઊંચકીને લઇ ગયો.
16 ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો.
મેં લોકોને ન્યાયાલયમાં તેઓની દલીલો જીતવા મદદ કરી જેઓને હું જાણતો પણ ન હતો.
17 મેં દુષ્ટ લોકોને તેઓની શકિતનો દુરુપયોગ કરતા રોક્યા
અને નિર્દોષ લોકોને તેઓથી બચાવ્યા.[b]
18 “હું આખો વખત વિચાર કરતો કે
હું મારી આસપાસ મારા કુટુંબ સાથે લાંબુ જીવન જીવીશ.
19 મેં વિચાર્યુ, હું નીરોગી છોડ જેના મૂળિયા ને ખૂબ પાણી છે
અને જેની ડાળીઓ ઝાકળથી ભીની છે તેના જેવો તંદુરસ્ત અને મરદાન પુરુષ થઇશ.
20 મેં વિચાર્યું દરેક નવો દિવસ તેજસ્વી અને નવી
અને ઉત્તેજિત વસ્તુઓથી ભરેલો હશે.[c]
21 “લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતાં,
તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.
22 મારા બોલી રહ્યાં પછી એ કોઇ દલીલ કરતા ન હતા.
કારણકે મારી સલાહથી તેઓને સંતોષ થતો હતો.
23 જેમ પ્રતિકૂળ સમયમાં વરસાદની રાહ જોવાતી હોય તેવી રીતે લોકોએ
મારી સલાહ માટે આતુરતાપૂર્વક રાહ જોઇ.
મારા શબ્દો જાણે વસંત ઋતુનો વરસાદ હોય.
તેમ તેઓ તેનો આસ્વાદ માણી રહ્યાં હતા.
24 તેઓ વિશ્વાસ કરી શકતા નહિ.
ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો.
મારા સ્મિતે તેઓને સારું લગાડ્યું.
25 હું એમની વચ્ચે વડીલની જેમ બેસી અને તેઓની બધી બાબતોનો ઉકેલ લાવતો.
હું છાવણીમાં તેના લશ્કર સાથેના એક રાજા જેવો હતો,
અને જ્યારે તેઓ નિરાશ-હતાશ થતા
ત્યારે હું તેમને હિંમત અને આશ્વાસન આપતો હતો.
બાર્નાબાસ અને શાઉલનાં વિશિષ્ટ કાર્યો
13 અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા. 2 આ બધા માણસો પ્રભુની સેવા અને ઉપવાસ કરતા હતા. પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલ વિશિષ્ટ કાર્યો કરવા માટે મને આપો. મેં આ કામ કરવા માટે તેઓની પસંદગી કરેલ છે.”
3 તેથી મંડળીએ પ્રાર્થના અને ઉપવાસ કર્યા. તેઓએ તેઓના હાથ બાર્નાબાસ અને શાઉલ પર મૂક્યા અને તેઓને બહાર મોકલ્યા.
સૈપ્રસમાં બાર્નાબસ અને શાઉલ
4 પવિત્ર આત્મા દ્ધારા બાર્નાબાસ અને શાઉલને બહાર મોકલવામાં આવ્યા. તેઓ સલૂકિયાના શહેરમાં ગયા. ત્યાંથી પછી સલૂકિયાથી સૈપ્રસ ટાપુ તરફ વહાણ હંકારી ગયા. 5 જ્યારે બાર્નાબાસ અને શાઉલ સલામિસના શહેરમાં આવ્યા, તેઓએ યહૂદિઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યુ. (યોહાન માર્ક પણ તેઓની સાથે મદદમાં હતો.)
6 તેઓ આખો ટાપુ ઓળંગીને પાફસના શહેરમાં ગયા. ત્યાં તેઓ એક યહૂદિ માણસને મળ્યા જે જાદુના ખેલ કરતો હતો. તેનું નામ બર્યેશું હતું. તે એક જૂઠો પ્રબોધક હતો. 7 બર્યેશુ હંમેશા સર્ગિયુસ પાઉલની નજીક રહેતો, સર્ગિયુસ પાઉલ એક હાકેમ હતો. અને તે ખૂબ જ શાણો માણસ હતો. તેણે બાર્નાબાસ અને શાઉલને તેની પાસે આવવા કહ્યું. દેવનો સંદેશ સાંભળવાની તેની ઈચ્છા હતી. 8 પરંતુ અલિમાસ જાદુગર, બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો. (ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે.) અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો. 9 પણ શાઉલ તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. પાઉલે (શાઉલનું બીજું નામ) અલિમાસ (બર્યેશુ) તરફ જોયું. 10 અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે. 11 હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.”
પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે. 12 જ્યારે હાકેમે આ જોયું ત્યારે પ્રભુના બોધથી તે આશ્ચર્યચકિત થઈ ગયો.
પાઉલ અને બાર્નાબાસનું સૈપ્રસ છોડવું
13 પાઉલ અને તેની સાથે જે લોકો હતા તેઓ પાફસથી દૂર હોડી હંકારી ગયા. તેઓ પર્ગે નામના પમ્ફલિયા શહેરમાં આવ્યા. યોહાન માર્ક તેઓને છોડીને યરૂશાલેમમાં પાછો ફર્યો. 14 તેઓએ પર્ગેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પિસીદિયાના નજીકના શહેર અંત્યોખમાં આવ્યા.
અંત્યોખમાં તેઓ વિશ્રામવારે યહૂદિઓના સભાસ્થાનમાં જઈને બેઠા. 15 મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકનાં લખાણો વંચાયા. પછી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને સંદેશો મોકલ્યો, “ભાઈઓ, જો તમારી પાસે અહી લોકો માટે બોધરૂપી સંદેશ હોય તો, મહેરબાની કરીને બોલો!”
16 પાઉલ ઊભો થયો. તેણે તેનો હાથ ઊચો કર્યો અને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ અને બીજા લોકો તમે જે સાચા દેવની ભક્તિ કરો છો, કૃપા કરીને મને સાંભળો! 17 ઈસ્ત્રાએલના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા છે. તેઓ મિસર દેશમાં અજ્ઞાત રીતે રહેતા હતા, ત્યારે તે સમય દરમ્યાન દેવે તેના લોકોને સફળ થવામાં મદદ કરી. દેવ તેઓને તે દેશમાંથી વધારે સાર્મથ્યથી બહાર લાવ્યો. 18 અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું. 19 દેવે કનાનની ભૂમિનાં સાત રાષ્ટ્રોનો વિનાશ કર્યો. 20 આ બધું લગભગ 450 વર્ષમાં બન્યું.
“આ પછી, દેવે આપણા લોકોને શમુએલ પ્રબોધકના સમય સુધી ન્યાયાધીશો આપ્યા. 21 પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો. 22 પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’
23 “દેવે દાઉદના વંશમાંથી એકને ઈસ્રાએલનો તારનાર તરીકે ઊભો કર્યો. તે વંશજ ઈસુ છે. દેવે આ કરવાનું વચન આપ્યું. 24 ઈસુના આગમન પહેલા, યોહાને બધા યહૂદિ લોકોને બોધ આપ્યો. તેઓ પુસ્તાવો ઈચ્છે છે તે બતાવવા માટે યોહાને તે લોકોને બાપ્તિસ્મા લેવા કહ્યું. 25 જ્યારે યોહાન તેનું કાર્ય પુરું કરતો હતો, ત્યારે તેણે કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે ખ્રિસ્ત નથી. તે મોડેથી આવશે. હું તો તેના જોડા છોડવાને પણ યોગ્ય નથી.’
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International