Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 36-37

36 વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું,

“જરા લાંબો સમય મને નિભાવી લે,
    દેવના પક્ષમાં હું થોડા વધુ શબ્દો છે કહેવા ઇચ્છું છું.
હું મારું જ્ઞાન એકેએક સાથે વહેચીશ, દેવે મારું સર્જન કર્યુ
    અને તે ન્યાયી છે તે હું સાબિત કરીશ.
હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે
    કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું.

“દેવ મહા બળવાન છે, પણ એ કોઇનો તિરસ્કાર કરતા નથી.
    દેવ ખૂબ બુદ્ધિમાન છે, પણ ખૂબ વિદ્વાન પણ છે.
એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી;
    પણ ગરીબોનો ન્યાય કરે છે.
જે સચ્ચાઇથી રહે છે, તે લોકો પર દેવ નજર રાખે છે.
    તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે અને તેઓ સદાય ઉચ્ચ સ્થાન પર રહે છે.
તેથી જો લોકોને સજા થઇ છે,
    જો તેઓ સાંકળ અને દોરડાથી બંધાયેલા છે, તો તેઓએ કાંઇક ખોટું કર્યું છે.
અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું.
    દેવ તેને કહેશે કે તેઓએ પાપ કર્યા હતા.
    દેવ તેઓને કહેશે તેઓ ઉદ્ધત હતા.
10 દેવ તેઓને પાપ કરવાનું મૂકી દેવાનો આદેશ આપશે
    અને તેઓના શિક્ષણ તરફ કાન ઉઘાડે છે.

11 “તેઓ જો એનું માને અને એની સેવા કરે તો તેઓ તેમનું બાકીનું જીવન સમૃદ્ધિમાં ગાળશે.
    તેઓના વર્ષો સુખથી ભરેલા હશે.
12 પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે
    અને મૃત્યુલોકમાં પહોંચી જાય.

13 “લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે.
    દેવ તેઓને શિક્ષા કરે છે ત્યારે પણ તેઓ તેમને મદદ માટે પ્રાર્થના કરતા નથી.
14 તેઓ હજુ જુવાન હશે મરી જશે.
    અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે.
15 પણ દુષ્ટલોકોને તેઓના દુ:ખ દ્વારા નરમ બનાવે છે.
    દેવ તે દુ:ખ દ્વારા લોકોને જગાડી અને તેને સાંભળતા કરે છે.

16 “તેણે તને દુ:ખમાંથી દૂર કર્યો છે, તેણે તને નિરાંતનું જીવન આપ્યું છે.
    તેણે તને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.
17 પરંતુ હવે અયૂબ, તું દોષિત ઠરાયો.
    તેથી તને એક દુષ્ટ વ્યકિતની જેમ સજા થઇ.
18 હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ,
    લાંચ તમારું મન બદલાવે નહિ.
19 સંકટમાં તારી અઢળક સમૃદ્ધિ તને શા કામની?
    તારી શકિત તારા શા કામની?
20 રાતે આવવાની ઇચ્છા કરતો નહિ.
    લોકો રાત્રિમા અલોપ થઇ જવાનો પ્રયત્ન કરે છે.
    તેઓ વિચારે છે કે તેઓ પોતાને દેવથી સંતાડી શકશે.
21 અયૂબ, તેઁ ખૂબજ પીડા ભોગવી છે.
    પણ અનિષ્ટ પસંદ કરતો નહિ કંઇ પણ ખોટું નહિ કરવાની સાવચેતી રાખજે.

22 “દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે.
    એના જેવો ગુરુ છે કોણ?
23 એમણે શું કરવું એ કોઇ એમને કહી શકે ખરું?
    તમે ખોટું કર્યુ છે ‘એમ એમને કોણ કહી શકે?’
24 તેમણે પ્રતાપી કાર્યો કરેલા છે.
    તેમણે કરેલાં મહાન કાર્યો માટે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ.
    લોકોએ દેવની સ્તુતિ વર્ણવતા ઘણા ગીતો લખ્યા છે.
25 દેવે જે કાઇં કર્યુ છે તે બધાએ જોયું છે,
    દૂર દેશાવરમાં પણ લોકો તે જોઇ શકે છે.
26 દેવ એટલાં મહાન છે કે આપણે તેમને સમજી શકતા નથી.
    કેટલા સમયથી દેવ છે તે કોઇ સમજી શકે એમ નથી.

27 “દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ
    અને તેનું ઝાકળ અને વરસાદમાં રૂપાંતર કરે છે.
28 જે વાદળોમાંથી પૃથ્વી પર વરસે છે
    અને અનેક લોકો પર પડે છે.
29 દેવ કેવી રીતે વાદળો પાથરે છે,
    અને તેમાં થતી ગર્જનાઓને કોઇ સમજી શકે છે ખરું?
30 જુઓ, દેવ પૃથ્વી પર વિજળી ફેલાવે છે
    અને મહાસાગરના ઊંડામાં ઊંડા ભાગને ઢાંકી દે છે.
31 દેવ પોતાના અદ્ભૂત અંકુશ વડે, તે લોકો પર શાસન કરે છે
    અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.
32 તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે
    અને જ્યાં તેને પાડવી હોય ત્યાં પડવાની આજ્ઞા કરે છે.
33 ગર્જના ચેતવણી આપે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.
    તે દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.

37 “વીજળી અને ગર્જના મને બીવડાવે છે.
    મારું હૃદય મારી છાતીમાં ધડકારા કરે છે.
દેવની ગર્જના તથા તેના મુખમાંથી
    નીકળતી વાચા ધ્યાન થી સાંભળ.
આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે,
    એ ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરે છે.
વીજળીનો ચમકારો થાય ત્યાર પછી દેવની ગર્જનાના અવાજ સાંભળી શકાય છે,
    દેવ તેના મહત્વથી ગર્જના કરે છે.
જ્યારે વીજળી ચમકે છે, દેવનો અવાજ ગજેર્ છે.
તેમની ગર્જનાનો અવાજ ભવ્ય હોય છે.
    જે મહાન કૃત્યો કરે છે જે આપણે સમજી શકતા નથી.
દેવે બરફને કહ્યું,
    ‘પૃથ્વી પર પડો’
દેવે વરસાદને કહ્યું,
    ‘પૃથ્વી પર મૂશળધાર વરસો.’
અને આ રીતે એ માણસોને કામે જતાં અટકાવે છે,
    જેને લીધે તેઓ સમજશે કે તે શું કરી શકે છે.
ત્યારે પશુઓ તેમની ગુફામાં ભરાઇ જાય છે
    અને એમાં પડ્યાં રહે છે.
દક્ષિણ દિશામાંથી વંટોળિયો આવે છે,
    ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ઊતરી આવે છે.
10 દેવના શ્વાસથી હિમ બને છે,
    અને સમુદ્રો થીજી જાય છે.
11 તે ધાડા વાદળોને પાણીથી ભરી દે છે
    અને તેમાં વીજળીઓ ચમકાવે છે.
12 દેવ વાદળોને આખી પૃથ્વી પર વિખેરાઇ જવાનો આદેશ આપે છે.
    વાદળો દેવની આજ્ઞા પ્રમાણે કરે છે.
13 દેવ પૂર લાવી લોકોને શિક્ષા કરવા અથવા તો
    પાણી લાવી પોતાનો પ્રેમ દર્શાવવા વાદળો બનાવે છે.

14 “હે અયૂબ, સાંભળ, જરા થોભ,
    અને દેવના અદ્ભૂત કાર્યોનો વિચાર કર!
15 દેવ વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે
    અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણે છે?
16 તે કેવી રીતે હવામાં વાદળાંને અદ્ધર સમતુલીત રાખે છે તે તું જાણે છે?
    વાદળો દેવના અદભૂત સર્જનોનું એક દ્રષ્ટાંત છે અને દેવ તેઓ વિષે સર્વ જાણે છે.
17 પણ અયૂબ, તું આ બાબતો જાણતો નથી.
    તું એટલુંજ જાણે છે કે તને જ્યારે પરસેવો થાય ત્યારે તારા કપડાં તારી ચામડી ને ચોંટી જાય છે.
અને જ્યારે દક્ષિણ દિશામાંથી હુફાળો પવન વાય છે
    ત્યારે બધું શાંત અને સૂમસામ થઇ જાય છે.
18 શું તમે પથરાયેલા આકાશને ચકચકીત કરેલા પીતળની
    જેમ ચમકીલુ બનાવામાં દેવને મદદ કરી શકશો?

19 “અયૂબને કહેવા દો કે અમારે દેવને શું કહેવું!
    અમારા માં અંધકાર છે!
    અમે એની સાથે દલીલો કરી શકતા નથી.
20 હું દેવને કહીશ નહિ કે મારી ઇચ્છા તેની સાથે બોલવાની હતી.
    એતો પોતેજ પોતાનો વિનાશ માગવા જેવું થશે.
21 હવે પવને આકાશને ચોખ્ખું કર્યુ છે
    અને ત્યાં એટલું બધુ અજવાળું છે કે અમે સૂર્ય સામે જોઇ શકતા નથી.
22 તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા
    દેવના ભવ્ય પ્રતાપ સામે પણ આપણે જોઇ શકતા નથી.
23 સર્વસમર્થ દેવ મહાન છે! આપણે તેને સમજી શકતા નથી.
    દેવ ખૂબજ શકિતશાળી છે પણ તે આપણી સાથે ન્યાયી છે.
    આપણને નુકસાન પહોચાડવું દેવને ગમતું નથી.
24 એ કારણથી લોકો દેવનો આદર કરે છે.
    પણ જે અભિમાની છે અને પોતાની જાતને વિદ્વાન માને છે,
    દેવ તે લોકોને માન આપતા નથી.”

પ્રેરિતોનાં કૃત્યો 15:22-41

બિનયહૂદિ વિશ્વાસીઓ પર પત્ર

22 પ્રેરિતો, વડીલો અને સમગ્ર મંડળીના સભ્યોની ઈચ્છા પાઉલ અને બાર્નાબાસ સાથે કેટલાક લોકોને અંત્યોખ મોકલવાની હતી. તે સમૂહે તેઓના પોતાના કેટલાક માણસો પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ યહૂદા (બર્સબા કહેવાય છે) અને સિલાસને પસંદ કર્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું. 23 તે સમૂહે આ માણસો સાથે પત્ર મોકલ્યો. પત્રમાં કહ્યું છે:

યરૂશાલેમમાં વસતા પ્રેરિતો, વડીલો અને તમારા ભાઈઓ

તરફથી અંત્યોખ, સિરિયા અને કિલીકિયાની મંડળીના બિનયહૂદિઓમાંથી ખ્રિસ્તના શિષ્યો થયેલા ભાઈઓને કુશળતા:

વહાલા ભાઈઓ,

24 અમે સાંભળ્યું છે કે અમારા સમૂહમાંથી કેટલાક માણસો તમારી પાસે આવ્યા છે. તેઓએ જે વાતો કહી તેનાથી તમે હેરાન થયા છો અને વ્યગ્ર થયા છો. પણ અમે તેઓને આમ કહેવાનું કહ્યું નથી! 25 અમે બધા કેટલાક માણસોને પસંદ કરીને તમારી પાસે મોકલવા માટે સંમત થયા છીએ, તેઓ અમારા પ્રિય મિત્રો પાઉલ અને બાર્નાબાસ સાથે રહેશે. 26 પાઉલ અને બાર્નાબાસે તેઓના જીવનો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં સમર્પિત કર્યા છે. 27 તેથી અમે યહૂદા અને સિલાસને તેઓની સાથે મોકલ્યા છે. તેઓ તમને એ જ વાતો મૌખિક રીતે રહેશે. 28 પવિત્ર આત્માને તથા અમને પણ તે સારું લાગ્યું છે કે જરુંરિયાત કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ. તમારે આ બાબતો કરવાની જરુંર છે:

29 એટલે કે, મૂર્તિઓને ધરાવવામાં આવેલ ખોરાકને ખાઓ નહિ. આ ખોરાકને અશુદ્ધ બનાવે છે.

લોહીને ચાખો નહિ. ગૂંગળાવીને મારી નાંખેલા પશુઓને ખાશો નહિ.

કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ.

જો આ બધી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમારું ભલું થશે.

હવે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.

30 તેથી પાઉલ, બાર્નાબાસ, યહૂદા અને સિલાસે યરૂશાલેમ છોડયું. તેઓ અંત્યોખ પહોંચ્યા. અંત્યોખમાં તેઓએ વિશ્વાસીઓને સમૂહ ભેગો કર્યો અને તેઓને પત્ર આપ્યો. 31 જ્યારે વિશ્વાસીઓએ પત્ર વાંચ્યો, તેઓને આનંદ થયો. તે પત્રથી તેઓને દિલાસો મળ્યો. 32 યહૂદા અને સિલાસ પણ પ્રબોધકો હતા. તેઓએ ભાઈઓને મદદ કરવા ઘણી વાતો કહી અને તેઓને વધારે મજબૂત બનાવ્યા. 33 થોડો સમય ત્યાં યહૂદા અને સિલાસ રહ્યા અને પછી તેઓ છોડીને ગયા. તેઓએ ભાઈઓ પાસેથી શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યહૂદા અને સિલાસ યરૂશાલેમમાં જેઓએ તેમને મોકલ્યા હતા તે ભાઈઓ પાસે પાછા ગયા. [34 પણ સિલાસે ત્યાં જ રહેવાનું નક્કી કર્યુ.][a]

35 પરંતુ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. તેઓ બીજા ઘણાની સાથે બોધ કરતા રહ્યા અને લોકોને પ્રભુના વચનનું શિક્ષણ આપતા રહ્યાં.

પાઉલ અને બાર્નાબાસનું છૂટા પડવું

36 થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”

37 યોહાન માર્ક ને તેઓની સાથે લેવાની ઈચ્છા બાર્નાબાસની હતી. 38 પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી. 39 પાઉલ અને બાર્નાબાસને આ બાબતમાં તીવ્ર મતભેદ થયા. તેઓ જુદા પડ્યા અને જુદા જુદા રસ્તે ગયા. બાર્નાબાસે સૈપ્રત તરફ વહાણ હંકાર્યુ અને માર્કને તેની સાથે લીધો.

40 પાઉલે તેની સાથે જવા સિલાસની પસંદગી કરી. અંત્યોખના ભાઈઓએ પાઉલને દેવની કૃપાને સોંપ્યા પછી તેને બહાર મોકલ્યો. 41 પાઉલ અને સિલાસ સિરિયા તથા કિલીકિયાના શહેરમાં થઈને મંડળીઓને વધારે મજબૂત બનાવવામાં સહાયરૂપ થતાં ગયાં.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International