Old/New Testament
41 “અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે?
શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે?
2 શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે?
તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?
3 શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે?
શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
4 શું તે તારી સાથે એવો કરાર કરશે કે
તે આજીવન તારો ગુલામ રહેવા સંમત થશે?
5 શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે?
શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે?
6 શું તારી પાસેથી લિબ્યાથ[a] ખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે?
તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે?
7 શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય?
શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય?
8 “તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે.
તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.
9 શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે?
ભૂલી જા! એમાં કોઇ આશા નથી.
તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ.
10 તેને છંછેડીને ગુસ્સે કરે
એવો હિંમતવાળો કોઇ નથી.
“તો મારી સામે કોણ ઊભો રહી શકે?
11 તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે?
આખા આકાશ તળે એવો કોઇ નથી.
12 “હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય
તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ.
13 તેની ચામડીને કોઇ ભોંકી શકે તેમ નથી.
તેની ચામડી એક બખ્તર જેવી છે.
14 તેનું મોઢું કોણ ઉધાડી શકે?
કારણકે તેના દાંત લોકોને બીવડાવે છે.
15 મહાકાય સમુદ્ર પ્રાણીની પીઠ પર
ઢાલ સંપૂર્ણપણે બંધ છે.
16 તે ઢાલો એક બીજાની એટલી નજીક છે
કે તેમની વચ્ચે હવા પણ જઇ શકતી નથી.
17 તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેઁલાં હોય છે
કે તેમને કશાથી ઉખેડી શકાય નહિ.
18 તે છીંકે છે ત્યારે તે વીજળી નાં ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે.
તેની આંખો સવારના સૂરજની જેમ ચમકે છે.
19 તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે
અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે.
20 ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ
મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે.
21 મહાકાય સમુદ્ર પ્રાણીના ઉચ્છવાસથી કોલસા પણ સળગી ઊઠે છે.
તેના મુખમાંથી ભડકા નીકળે છે.
22 તેની ગરદનમાં બળ છે, લોકો ગભરાઇ
અને તેનાથી દૂર ભાગી જાય છે.
23 તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી.
તે લોઢા જેવું કઠણ છે.
24 તેનું હૃદય ખડક જેવું મજબૂત અને ઘંટીના પથ્થર જેવું સખત છે.
તેને કોઇ ડર નથી.
25 તે મહાકાય સમુદ્ર પ્રાણી જ્યારે ઊભું થાય છે ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે.
તે જ્યારે તેની પૂંછડી હલાવે છે ત્યારે તેઓ ભાગી જાય છે.
26 મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે.
તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી.
27 તેની આગળ લોખંડ ઘાસ જેવું
અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.
28 તે તેના પર બાણના મારથી પણ ગભરાતો નથી.
પથ્થરની શિલા પણ તેને વાગીને ખરસલા ની જેમ પાછી ફરે છે.
29 જ્યારે લાકડાની ડાંગો મહાકાય સમુદ્ર પ્રાણીને વાગે છે ત્યારે તેને તો તે સળીનો ટૂકડો હોય તેમ લાગે છે,
અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.
30 તેના પેટની ચામડી પરનાં ભીંગડાઁ ઠીકરાં જેવાં કઠણ અને ધારદાર હોય છે.
તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.
31 મહાકાય સમુદ્ર પ્રાણીને ઊકળતા પાણીના ઘડાની જેમ હલાવે છે.
ઊકળતા તેલની જેમ તે પરપોટો ઊડાવે છે.
32 જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે.
અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે.
33 પૃથ્વી પર બીજું કોઇપણ પ્રાણી
તેનાં જેવું નિર્ભય સૃજાયેલુ નથી.
34 તે સૌથી ગવિર્ષ્ઠ પ્રાણીની પણ ઉપેક્ષા કરે છે.
તે સર્વ ગવિર્ષ્ઠ પ્રાણીઓનો રાજા છે.
અને મેં યહોવાએ તેનું સર્જન કર્યુ છે.”
અયૂબનો જવાબ
42 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:
2 “હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે.
તને કોઇ અટકાવી શકે તેમ નથી.
3 યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’
મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી,
મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.
4 “તેં કહ્યું હતું કે, ‘સવાલ પૂછવાનો વારો મારો છે
ને જવાબ આપવાનો વારો તારો છે.’
5 આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું
પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.
6 અને યહોવા, મને શરમ આવે છે.
હું ખૂબ દિલગીર છું.
જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ,
હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”
યહોવા અયૂબને એની સંપતિ પાછી આપે છેં
7 યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ. 8 તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.”
9 અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.
10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું. 11 અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી.
12 યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી. 13 તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. 14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું. 15 સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.
16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ. 17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો.
22 લોકો પાઉલ અને સિલાસની વિરૂદ્ધ થયા પછી તે આગેવાનોએ પાઉલ અને સિલાસના વસ્ત્રો ફાડી નાખ્યાં અને પાઉલ અને સિલાસને ફટકા મારવાની આજ્ઞા કરી. 23 તે માણસોએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી આગેવાનોએ પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા. તે આગેવાનોએ દરોગાને કહ્યું, “સખ્ત જાપ્તા નીચે તેઓની ચોકી કરજે.” 24 દરોગાએ આ ખાસ હુકમ પાળ્યો, તેથી તેણે પાઉલ અને સિલાસને જેલમાં ખૂબ દૂર અંદરની બાજુએ પૂર્યા. તેણે તેઓના પગ બે લાકડાના મોટા ટૂકડાઓ વચ્ચે બાંધી દીધા.
25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં. 26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા. 27 સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો. 28 પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”
29 સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો. 30 પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”
31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.” 32 તેથી પાઉલ અને સિલાસે પ્રભુનું વચન દરોગા અને તેના ઘરના બધા લોકોને કહ્યું. 33 તે રાતનો મોડો સમય હતો. પરંતુ સંત્રીએ પાઉલ અને સિલાસને લઈ જઈને તેઓના ઘા ધોયા. પછી સંત્રી અને તેના બધા લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. 34 આ પછી સંત્રીએ પાઉલ અને સિલાસને ઘેર લઈ ગયો અને તેઓને માટે જમવાનું તૈયાર કરાવ્યું. તે અને તેના ઘરના બધા જ લોકોએ ખૂબ આનંદ કર્યો. કારણ કે તેઓ હવે દેવમાં વિશ્વાસ કરતા હતા.
35 બીજી સવારે આગેવાનોએ કેટલાક સૈનિકોને સંત્રીને કહેવા મોકલ્યા, “આ માણસોને મુક્ત કરો અને જવા દો!”
36 સંત્રીએ પાઉલને કહ્યું, “આગેવાનોએ તમને મુક્ત કરીને છોડી મૂકવા આ સૈનિકો મોકલ્યા છે. તમે હવે અહીથી જઈ શકો છો. શાંતિથી જાઓ.”
37 પરંતું પાઉલે સૈનિકોને કહ્યું, “તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે. પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા. અમે રોમન નાગરિકો છીએ. તેથી અમને હક્ક છે. હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે. ના! આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ!”
38 સૈનિકોએ પાઉલે જે કહ્યું તે આગેવાનોને કહ્યું, જ્યારે આગેવાનોએ સાંભળ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ડરી ગયા હતા. 39 તેથી તેઓએ આવીને પાઉલ અને સિલાસને કહ્યું કે તેઓ દિલગીર છે. તેઓ પાઉલ અને સિલાસને કારાવાસની બહાર લઈ ગયા અને તેમને શહેર છોડી જવા કહ્યું. 40 પરંતુ જ્યારે પાઉલ અને સિલાસ કારાવાસમાંથી બહાર આવ્યા. તેઓ લૂદિયાને ઘેર ગયા. તેઓએ ત્યાં કેટલાક વિશ્વાસીઓને જોયા અને તેઓને દિલાસો આપ્યો પછી પાઉલ અને સિલાસ વિદાય થયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International