Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 25-27

બિલ્દાદ શૂહીનો ઉત્તર

25 પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું,

“દેવ કર્તા-હર્તા છે.
    તે લોકોને તેનાથી ડરે એવા.
    અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે.
તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે?
    તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી.[a]
    દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે.
દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ
    અને ન્યાયી માણસ કોણ છે?
દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી.
    અને પ્રકાશિત નથી.
મનુષ્ય એવો પવિત્ર નથી.
    મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”

અયૂબનો જવાબ

26 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

“હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે.
    બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!
હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી!
    તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!
તમે કોની મદદથી બોલો છો?
    તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”

“પૃથ્વી તળે તથા પાણીમાં
    તે મરેલાઓના આત્મા ભયથી ધૂજે છે.
દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે,
    અને વિનાશને કોઇ ઢાંકણ નથી.
દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે
    અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે
    અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.
દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે.
    તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
10 દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે,
    ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.
11 જ્યારે દેવ તેઓને ડરાવે છે,
    આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે.
12 દેવની શકિત સમુદ્રને શાંત કરે છે.
    પોતાના ડહાપણથી તેણે રહાબનો[b] નાશ કર્યો છે.
13 એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે,
    એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.
14 આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે.
    આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ.
કોઇ ખરેખર જાણી શકતું નથી કે
    દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”

27 અયૂબે તેનું ષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું.

“દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે,
    સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે,
તેમના નામના સમ ખાઇને કહું છું;
    જ્યાં સુધી હું જીવું છું
    અને દેવનો શ્વાસ મારાઁ નસકોરાઁમાં છે,
જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે,
    મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ;
    હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.
હું મારી નિર્દોષતાને વળગી રહીશ;
    હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ.
લોકો મારી વિરુદ્ધ થઇ ગયા છે.
    હું ઇચ્છુ છું મારા દુશ્મનોને સજા થાય જેવી રીતે દુષ્ટ માણસોને સજા થવી જોઇએ.
જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી.
    દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.
તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે.
    પરંતુ દેવ તેને સાંભળશે નહિ.
10 તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી.
    તે સર્વશકિતમાનથી આનંદ માનશે.

11 “ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ.
    સર્વસમર્થ દેવની યોજનાઓ હું છુપાવીશ નહિ.
12 તમે તમારી પોતાની આંખોથી દેવની શકિત જોઇ છે ને?
    છતાં મારી સાથે તમે શામાટે વ્યર્થ વાતો કરો છો?

13 “દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ,
    તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે.
    અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુના ભોગ બનશે.
    અને તેની વિધવા શોક કરશે નહિ.
16 જો દુષ્ટ લોકો ધૂળની જેમ પુષ્કળ સંપત્તિ એકઠી કરે,
    તો પણ ઢગલાબંધ કપડાં ઢગલાબંધ માટીની જેમ ધરાવે છે.
17 પરંતુ અંતમાં તેઓને બદલે ભલા લોકો તેમના વસ્ત્રો પહેરશે,
    અને નિર્દોષ લોકો તેની ચાંદી તેઓમાં વહેંચી લેશે.
18 તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા
    અને ચોકીદારના છાપરા જેવા છે.
19 દ્રવ્યવાન જ્યારે સૂવા જાય છે ત્યારે એ કદાચ ધનવાન હોય,
    પણ જ્યારે તે આંખ ખોલે છે ત્યારે બાકી કાંઇ હોતું નથી.
20 તે ગભરાયેલો હશે.
    તે એક જળપ્રલય જેવું લાગશે,
    જાણેકે એક વંટોળિયો આવ્યો હતો અને બધું ઉપાડી ને લઇ ગયો.
21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઇ જાય છે, એટલે તે લોપ થાય છે;
    વંટોળિયો તેને તેની જગાએથી બહાર ખેચી જાય છે.
22 દુષ્ટ વ્યકિત કદાચ વંટોળિયાના જોરથી બચવાનો પ્રયત્ન કરે
    પણ તોફાન તેના પર દયા વગર તૂટી પડશે.
23 માણસો તેની સામે તાળી પાડશે કારણકે તે દુષ્ટ વ્યકિત ભાગી ગયો છે.
    જેવો તે તેના ઘરમાંથી ભાગે છે તેઓ તેના તરફ સીટી વગાડશે.

પ્રેરિતોનાં કૃત્યો 12

હેરોદ અગ્રિપાએ મંડળીનું કરેલું નુકસાન

12 એ સમય દરમ્યાન રાજા હેરોદે[a] મંડળીના કેટલાક લોકોની સતાવણી શરું કરી. હેરોદે યાકૂબને તલવારથી મારી નાખવાનો હુકમ કર્યો. યાકૂબ યોહાનનો ભાઈ હતો. હેરોદે જોયું કે યહૂદિઓને આ ગમે છે તેથી તેણે પિતરને પણ પકડવાનો નિર્ણય કર્યો. (પાસ્ખા પર્વના યહૂદિઓના બેખમીર રોટલીના પવિત્ર સમય દરમ્યાન આ બન્યું.) હેરોદે પિતરને પકડીને બંદીખાનામાં મૂક્યો. 16 સૈનિકોનો સમૂહ પિતરનું રક્ષણ કરતો. પાસ્ખાપર્વના ઉત્સવ પછી રાહ જોવાની હેરોદની ઈચ્છા હતી. પછી તેણે પિતરને લોકોની આગળ લાવવાની યોજના કરી. તેથી પિતરને જેલમાં રાખવામાં આવ્યો. પરંતુ મંડળીમાં પિતર માટે આગ્રહથી દેવની પ્રાર્થના થતી હતી.

પિતરનો જેલમાંથી છૂટકારો

પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી. એકાએક, ત્યાં, પ્રભુનો દૂત આવીને ઊભો. ઓરડામાં પ્રકશ પથરાયો. દૂતે પિતરને કૂંખે સ્પર્શ કર્યો અને તેને જગાડ્યો. તે દૂતે કહ્યું, “ઉતાવળ કર, ઊભો થા!” સાંકળો પિતરના હાથમાંથી નીચે પડી. તે દૂતે પિતરને કહ્યું, “કપડાં પહેર અને તારા જોડા પહેર.” અને તેથી પિતરે તે જ પ્રમાણે કર્યુ. પછી તે દૂતે કહ્યું, “તારું અંગરખું પહેર અને મારી પાછળ આવ.”

તેથી દૂત બહાર આવ્યો અને પિતર તેને અનુસર્યો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, તેણે વિચાર્યુ કે તે એક દર્શન જોઈ રહ્યો છે. 10 પિતર અને દૂતે પહેલી અને બીજી ચોકી વટાવી. પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા. તે દરવાજાથી તેઓ છૂટા પડ્યા. દરવાજો તેને માટે જાતે જ ઊધડી ગયો, પિતર અને દૂત દરવાજામાંથી ગયા અને એક મહોલ્લામાં ચાલ્યા. પછી દૂત તરત જતો રહ્યો.

11 પછી શું બન્યું હતું તેનું ભાન પિતરને થયું. તેણે વિચાર્યુ, “હવે મને ખબર પડી કે પ્રભુએ ખરેખર તેના દૂતને મારી પાસે મોકલ્યો હતો. તેણે મને હેરોદથી બચાવ્યો. યહૂદિ લોકોએ વિચાર્યુ કે મારી સાથે ખરાબ થવાનું હતું પરંતુ પ્રભુએ મને આ બધી બાબતોમાંથી બચાવ્યો છે.”

12 જ્યારે પિતરને આ સમજાયું ત્યારે, તે મરિયમને ઘરે ગયો. તે યોહાનની મા હતી. (યોહાનનું બીજું નામ માર્ક હતું.) ઘણા માણસો ત્યાં ભેગા થયા હતા. તેઓ બધા પ્રાર્થના કરતા હતા. 13 પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો. એક રોદા નામની જુવાન દાસી ખબર કાઢવા આવી. 14 રોદાએ પિતરનો અવાજ ઓળખ્યો. અને તે ખૂબ આનંદ પામી હતી. તે દરવાજો ઉઘાડવાનું પણ ભૂલી ગઇ. તે અંદર દોડી ગઇ અને સમૂહને કહ્યું, “પિતર બારણાં આગળ ઊભો છે!” 15 વિશ્વાસીઓએ રોદાને કહ્યું, “તું તો ઘેલી છે!” પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે, તે સાચું હતું. તેથી તેઓએ કહ્યું, “તે પિતરનો દૂત હોવો જોઈએ.”

16 પણ પિતરે બારણું ખખડાવવાનું ચાલુ રાખ્યું. જ્યારે વિશ્વાસીઓએ બારણું ઉઘાડ્યું, તેઓએ પિતરને જોયો. તેઓ નવાઇ પામ્યા. 17 પિતરે તેના હાથના ઇશારાથી તેઓને શાંત રહેવા કહ્યું. તેણે તેઓને સમજાવ્યું કે પ્રભુ તેને કેવી રીતે બંદીખાનામાંથી બહાર લાવ્યો. તેણે કહ્યું, “જે કંઈ બન્યું છે તે યાકૂબને તથા બીજા ભાઈઓને કહો.” પછી પિતર બીજી કોઇ જગ્યાએ જવા માટે ચાલ્યો ગયો.

18 બીજા દિવસે સૈનિકો બહું મુંઝવણમાં હતા. અને પિતરને આ શું થયું હશે તેનું તેઓને અચરજ થયું હતું. 19 હેરોદે પિતરની શોધ દરક સ્થળે કરાવી પણ તેને શોધી શક્યા નહિ. તેથી હેરોદે ચોકીદારોને પ્રશ્રો પૂછયા અને તેણે ચોકીદારોને મારી નાખવાનો હુકમ કર્યો.

હેરોદ અગ્રિપાનું અવસાન

પાછળથી હેરોદે યહૂદિયા છોડ્યું. તે કૈસરિયા શહેરમાં ગયો અને થોડો સમય ત્યાં રહ્યો. 20 હેરોદ તૂરના તથા સિદોન શહેરોના લોકો પર ઘણો જ ગુસ્સે હતો. તે બધા લોકો સમૂહમાં હેરોદ પાસે આવ્યા. તેઓ તેઓના પક્ષમાં બ્લાસ્તસને લેવા શક્તિમાન હતા. બ્લાસ્તસ રાજાનો ખાનગી સેવક હતો. લોકોએ હેરોદને શાંતિ માટે પૂછયું, કારણ કે તેઓના દેશને ખોરાકના પૂરવઠા માટે હેરોદના પ્રદેશ પર આધાર રાખવો પડતો હતો.

21 હેરોદે તેઓની સાથે મળવા માટે એક દિવસ નક્કી કર્યો. તે દિવસે હેરોદ સુંદર રાજપોશાક પહેરીને તે તેની રાજગાદી પર બેઠો અને લોકો સમક્ષ ભાષણ કર્યુ. 22 લોકોએ પોકાર કર્યો, “આ વાણી દેવની છે, એક માણસની નથી!” 23 હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.

24 દેવની વાત પ્રસરતી હતી અને વધારે ને વધારે લોકોને પ્રભાવિત કરતી હતી. વિશ્વાસીઓનો સમૂહ મોટો ને મોટો થતો જતો હતો.

25 યરૂશાલેમમાં બાર્નાબાસ અને શાઉલે તેઓનું કામ પૂર્ણ કર્યુ. તેઓ અંત્યોખ પાછા ફર્યા. યોહાન માર્ક તેઓની સાથે હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International