Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 26-28

દાઉદનું ગીત.

હે યહોવા, મારો ન્યાય કરો, હું સદા પ્રામાણિકપણે વત્ર્યો છું.
મારો યહોવા પરનો વિશ્વાસ કદાપિ ડગ્યો નથી.
    મારી વિરુદ્ધના લોકોની સામે મને સર્વ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરો.
હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો;
    મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો.
કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું.
    અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું.
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી.
    હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને
    દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.

હું મારી નિર્દોષતા સાબિત કરવા મારા હાથ ધોઇશ;
    હે યહોવા, એ પ્રમાણે જ હું વેદીની પ્રદક્ષિણા કરીશ.
હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું
    અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.
હે યહોવા, મને પ્રિય છે તમારુ મંદિર,
    અને તે જગા જ્યાં તમારુ ગૌરવ છે.

પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ.
    માણસોની સાથે મને મારી નાખશો નહિ.
10 તેઓ હમેશા ધૃણાજનક કૃત્યો કરે છે,
    અને તેમના જમણા હાથ લાંચરુસ્વતથી ભરેલાં છે.
11 હે યહોવા, હું તેઓના જેવો નથી,
    હું પ્રામાણિકપણાના માર્ગે ચાલું છું, મારા પર દયા કરી મારો બચાવ કરો.
12 યહોવાએ મને પડી જવા દીધો નથી,
    માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ.

દાઉદનું ગીત.

યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
    શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
    શા માટે મારે કોઇનાથી ડરવું?
જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
    ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
    તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
    પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
    “મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
    જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
    અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

સંકટના સમયે તેઓ ખરેખર
    મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
    અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
    હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
    હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

હે યહોવા, મારી વિનંતી સાંભળો.
    મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
    હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
હે યહોવા, હું તમારી પાસે આવું છું.
    તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
    તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
    અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
    પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
    હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
    મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
    કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
    તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
    અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
    તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
    હા, તું યહોવાની રાહ જોજે,
    તેઓ તને સહાય કરશે.

દાઉદનું ગીત.

હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
    હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
    કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
    મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
    તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
    અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
    તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
    દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
    તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
    જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
    અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
    અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
યહોવાની સ્તુતિ થાઓ,
    કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
    મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
    તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
    યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.

હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
    અને તમારા વારસાને આશીર્વાદ આપો.
    વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.

પ્રેરિતોનાં કૃત્યો 22

પાઉલનું લોકોને ઉદ્દબોધન

22 પાઉલે કહ્યું, “મારા ભાઈઓ અને મારા પિતાઓ, મને ધ્યાનથી સાંભળો! હું તમારી આગળ મારો બચાવ કરું છું.”

યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલ હિબ્રું ભાષા બોલે છે, તેથી તેઓ વધારે શાંત થયા. પાઉલે કહ્યું,

“હું એક યહૂદિ છું. મારો જન્મ કિલીકિયા પ્રદેશના તાર્સસમાં થયો હતો. હું આ શહેરમાં ઊછરેલો. હું ગમાલ્યેલના[a] શિષ્ય હતો. તેણે કાળજીપૂર્વક મને આપણા પૂર્વજોના નિયમો વિષે બધું જ શીખવ્યું. તમે બધા અહીં આજે જે કરો છો તેમ હું દેવની સેવા કરવા વિષે ઘણો ગંભીર હતો. જે લોકો ઈસુના માર્ગને અનુસરતા હતા. તેઓને મેં સતાવ્યા હતા. મારા કારણે તેઓમાંના કેટલાકની હત્યા પણ થઈ હતી. મેં પુરુંષો અને સ્ત્રીઓને પકડ્યા અને મેં તેઓને કારાવાસમાં નાખ્યા હતા.

“પ્રમુખ યાજક વડીલ યહૂદિ આગેવાનોની આખી સમિતિ તમને કહી શકશે કે આ સાચું છે! એક વખતે આ આગેવાનોએ મને કેટલાક પત્રો આપ્યા. આ પત્રો દમસ્ક શહેરના યહૂદિ ભાઈઓ માટે હતા. હું ત્યાં ઈસુના શિષ્યોને પકડવા અને તેમને શિક્ષા કરવા માટે યરૂશાલેમમાં પાછા લાવવા જતો હતો.

પાઉલ તેની ચર્ચાઓ વિષે કહે છે

“પરંતુ દમસ્કના મારા માર્ગમાં મારી સાથે કંઈક બન્યું. તે લગભગ બપોર હતી જ્યારે હું દમસ્કની નજીક આવી પહોંચ્યો. અચાનક એક તેજસ્વી પ્રકાશ આકાશમાંથી મારી આજુબાજુ પ્રકાશ્યો. હું જમીન પર પડ્યો. મને કંઈક કહેતી વાણી મેં સાંભળી. ‘શાઉલ, શાઉલ તું શા માટે મારી સતાવણી કરે છે?’

“મેં પૂછયું, ‘પ્રભુ! તું કોણ છે!’ તે વૅંણીએ કહ્યું, ‘હું નાઝરેથનો ઈસુ છું. તું જેને સતાવે છે તે હું એક છું.’ મારી સાથે જે માણસો હતા તેઓ મારી સાથે જેણે વાત કરી છે તેની વાણી સમજી શક્યા ન હતા. પરંતુ માણસોએ પ્રકાશ જોયો.

10 “મેં કહ્યું, ‘પ્રભુ, મારે શું કરવું જોઈએ?’ પ્રભુએ જવાબ આપ્યો, ‘ઊભો થા અને દમસ્કમાં જા અને મેં તારે કરવાના કામની યોજના કરી છે તે વિષે તને ત્યાં કહેવામાં આવશે.’ 11 હું જોઈ શક્યો નહિ કારણ કે તેજસ્વી પ્રકાશે મને આંધળો બનાવ્યો હતો. તેથી જે માણસો મારી સાથે હતા. તેઓ મને દમસ્કમાં દોરી ગયા.

12 “દમસ્કમાં અનાન્યા[b] નામનો માણસ મારી પાસે આવ્યો. અનાન્યા ધર્મિષ્ઠ માણસ હતો. તે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરતો હતો. ત્યાં રહેતા બધા જ યહૂદિઓ તેને માન આપતા. 13 અનાન્યા મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરીથી જો!’ તરત જ હું તેને જોવા સાર્મથ્યવાન થયો હતો.

14 “અનાન્યાએ મને કહ્યું, ‘અમારા પૂર્વજોના દેવે ઘણા વખત પહેલા તને પસંદ કર્યો છે. દેવે તેની યોજના જાણવા માટે તને પસંદ કર્યો છે. તેણે તને એક ન્યાયી જોવા તથા તેની પાસેથી બોધ સાંભળવા પસંદ કર્યો છે. 15 બધા લોકો સમક્ષ તું તેનો સાક્ષી થશે. તેં જોયેલી અને સાંભળેલી વાતો વિષે લોકોને કહે. 16 હવે વધારે સમય રાહ જોઈશ નહિ. ઊભો થા, અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લઈને તારા પાપ ધોઇ નાખ.’

17 “પછી, હું યરૂશાલેમ પાછો ફર્યો. હું મંદિરની પરસાળમાં પ્રાર્થના કરતો હતો. અને મેં એક દશ્ય જોયું. 18 મેં ઈસુને જોયો અને ઈસુએ મને કહ્યું, ‘ઉતાવળ કર, યરૂશાલેમ હમણા જ છોડી જા. અહીમના લોકો મારા વિશેનું સત્ય સ્વીકારશે નહિ.’

19 “મેં કહ્યું, ‘પણ પ્રભુ લોકો જાણે છે કે હું તે હતો જેણે વિશ્વાસીઓને કારાવાસમાં નાખીને તેઓને માર્યા હતા. હું દરેક સભાસ્થાનમાં તારા પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને શોધવા અને તે લોકોને પકડવા ગયો છું. 20 લોકો એ પણ જાણે છે કે જ્યારે તારા સાક્ષી સ્તેફનને મારી નાખ્યો હતો ત્યારે હું ત્યાં હતો. હું ત્યાં ઊભો રહીને સંમત થયો હતો કે તેઓએ સ્તેફનને મારી નાખવો જોઈએ. જે લોકો તેને મારી નાખતા હતા તેમનાં વસ્ત્રો પણ હું સાચવતો હતો.’

21 “પણ ઈસુએ મને કહ્યું, ‘હવે ચાલ્યો જા. હું તને ઘણે દૂર બિનયહૂદિ લોકો પાસે મોકલીશ.’”

22 જ્યારે પાઉલે બિનયહૂદિ લોકો પાસે જવાની છેલ્લી વાત કરી ત્યારે લોકોએ ધ્યાનથી સાંભળવાનું બંધ કર્યુ. તેઓ બધાએ બૂમો પાડી, “તેને મારી નાખો! તેને પૃથ્વી પરથી દૂર કરો! આવા માણસને જીવતો રહેવા દેવો ના જોઈએ!” 23 તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા. તેઓએ હવામાં ધૂળ ફેંકી. 24 પછી સરદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા કહ્યું. તેણે પાઉલને મારવા માટે સૈનિકોને કહ્યું. તે પાઉલ પાસે કહેવડાવવા ઈચ્છતો હતો કે લોકો શા માટે આમ તેની વિરૂદ્ધ બૂમો પાડતા હતા. 25 તેથી સૈનિકો પાઉલને બાંધીને મારવાની તૈયારી કરતા હતા. પણ પાઉલે લશ્કરી સૂબેદારને કહ્યું, “શું તમને જે દોષિત સાબિત થયેલ નથી તે રોમન નાગરિકને મારવાનો અધીકાર છે?”

26 જ્યારે સૂબેદાર આ સાંભળ્યું, તે સરદાર પાસે ગયો. તે સરદારે કહ્યું, “તું શું કરે છે તે તું જાણે છે? આ માણસ રોમન નાગરિક છે!”

27 સરદાર પાઉલ પાસે આવ્યો અને પૂછયું, “શું તું રોમન નાગરિક છે?”

પાઉલે જવાબ આપ્યો, “હા.”

28 સરદારે કહ્યું, “મેં રોમન નાગરિક થવા માટે ઘણા પૈસા આપ્યા છે.”

પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”

29 ત્યારે જેઓ તેને પ્રશ્રો કરવાની તૈયારીમાં હતા. તેઓ તરત પાઉલને મૂકીને જતા રહ્યા. તે સરદારને ભય હતો કારણ કે તેણે પાઉલને સખત બાંધ્યો હતો અને પાઉલ એક રોમન નાગરિક હતો.

યહૂદિ આગેવાનો સમક્ષ પાઉલનું વક્તવ્ય

30 બીજે દિવસે યહૂદિઓ પાઉલની વિરૂદ્ધ શા માટે બોલતા હતા. તેનું કારણ જાણવા માટે સરદારે નક્કી કર્યુ. તેથી તેણે મુખ્ય યાજકોને અને યહૂદિઓની ન્યાયસભાને હાજર થવા હુકમ કર્યો. તે સરદારે પાઉલની સાંકળો છોડી. પછી તે પાઉલને બહાર લાવ્યો અને તેઓની સભા આગળ પાઉલને ઊભો રાખ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International