Old/New Testament
અલીહૂનું ઉદ્બોદન
32 પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિર્દોષ હતો. 2 પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિર્દોષ અને દેવને દોષિત માનતો હતો. 3 વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો. 4 તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા; 5 પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો. 6 બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:
“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો;
માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.
7 મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ,
વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’
8 પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે.
ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.
9 માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી,
અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી.
10 “માટે હું કહું છું કે, ‘મને સાંભળો;
હું પણ મારો મત દર્શાવીશ.’
11 જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ.
જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.
12 તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ.
અયૂબને સામો જવાબ આપ્યો નહિ.
13 તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ.
દેવે નહિ લોકોએ અયૂબની દલીલોનો જવાબ આપવો જેઇએ.
14 એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી,
અને હું તમારી જેમ સામે જવાબ આપીશ નહિ.
15 “અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે,
તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી,
એમની પાસે હવે શબ્દો રહ્યા નથી.
16 અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો.
પણ તેઓ ચૂપ રહ્યા.
તેઓએ તમારી સાથે દલીલ કરવાનું બંધ કર્યુ છે.
17 ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ,
હું જે વિચારું છું તે કહીશ.
18 મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે
મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે.
19 હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય.
હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે.
20 મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ,
મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ.
21 હું કોઇનો પક્ષ નહિ લઉં,
હું કોઇની પ્રશંસા નહિ કરું.
22 મને પ્રશંસા કરતાઁ નથી આવડતું,
જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે!
33 “અને હવે, અયૂબ, હું જે કહું
તે કૃપા કરીને ધ્યાનથી સાંભળ,
2 જો, હવે મેં મારું મોં ખોલ્યું છે,
મારી જીભ બોલવાની તૈયારીમાં છે.
3 મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ,
મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે.
4 દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે,
સર્વસમર્થ દેવનો શ્વાસ મને જીવન આપે છે.
5 જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ;
તારી દલીલો વિચારી લે અને મારી સાથે દલીલ કર.
6 દેવની નજરમાં તો હું તારા જેવો જ છું
હું પણ માટીમાંથી જ પેદા થયો છું.
7 તારે મારાથી ડરવા જેવું કાંઇ નથી.
હું તારી સાથે કઠોર નહિ થાઉં.
8 “મારી સુનાવણીમાં તમે કહ્યું છે,
‘તમારા એ શબ્દો મેં સાંભળ્યા હતા.’
9 હું નિર્મળ છું,
‘મે ખોટું કાંઇ કર્યુ નથી.
10 દેવ મારી વિરુદ્ધ થવા બહાનું શોધી કાઢે છે,
દેવ મારી સાથે એક શત્રુ જેવો વર્તાવ કરે છે.
11 તે મારું એકેએક પગલું
ધ્યાનથી જુએ છે.’
12 “જો, હું તને કહું છું કે એમાં તું સાચો નથી.
દેવ માણસથી બહુ મહાન છે.
13 તું શા માટે એમની સાથે દલીલ કરે છે
કે એ તારા એક પણ સવાલનો જવાબ આપતા નથી?
14 દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે,
પણ માણસ સમજતો નથી.
15 જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે, પથારી પર ઝોકાં ખાતાં હોય,
અને સ્વપ્નમાં, અથવા રાતના સંદર્શનમાં પડ્યાં હોય;
16 દેવ લોકોના કાન ખોલી નાખે છે,
અને એમને ચેતવણી આપીને ભયભીત કરે છે.
17 અને એમ એ માણસને પાપ કરતાં અટકાવે છે,
અભિમાનથી બચાવે છે,
18 દેવ, લોકોને ચેતવણી આપે છે જેથી તે તેઓને કબરમાં જતાં બચાવી શકે.
માણસને વિનાશમાંથી બચાવવા માટે દેવ આમ કરે છે.
19 “તદુપરાંત, દેવ માણસને પથારીવશ કરીને સતત
તેના હાડકાઓમાં પીડા મારફતે તે તેઓને સમજાવે છે.
20 પછી તે માણસ ખાઇ શકતો નથી.
તે માણસને એટલી બધી પીડા થાય છે
કે તેને સ્વાદિષ્ટ ભોજનનો પણ અણગમો થાય છે.
21 એનું શરીર સુકાઇ જાય છે
અને ચામડી નીચેથી હાડકાં દેખાઇ આવે છે.
22 તે વ્યકિત કબરની પાસે છે.
અને તેનુ જીવન મૃત્યુની નજીક છે.
23 દેવને હજારો દેવદૂતો છે.
કદાચ તે દેવદૂતોમાંથી એક
તે વ્યકિત પર બરોબર નજર રાખે.
24 અને તેના પર દયાળુ થઇને દેવને કહે છે કે,
‘એને કબરમાં ધકેલો નહિ,
તેના પાપનો ચુકાદો કરવા મેં એક રસ્તો શોધી કાઢયો છે.’
25 તો એનો દેહ ફરીથી પાંગરે છે,
એ ફરીથી જ્યારે તે યુવાન હતો તેવો બની જાય છે.
26 તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે.
અને તે વ્યકિત એનું મુખ જોઇને આનંદમાં આવી જઇ બૂમો પાડશે અને દેવની ઉપાસના કરશે.
અને ફરીથી તે સારું જીવન જીવવા લાગશે.
27 તે માણસ પોતાના મિત્રની આગળ કબૂલ કરશે, ‘મેં પાપ કર્યુ હતું.
મેં સારા ને ખરાબમાં બદલાવ્યુ હતું.
પરંતુ દેવે હું જે સજાને પાત્ર હતો તે મને આપી નહિ.
28 તેમણે મને મોતના મુખમાંથી બચાવ્યો છે.
હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.’
29 “દેવ તો માણસની સાથે એકવાર, બેવાર, વારંવાર આમ વતેર્ છે.
30 “તે મનુષ્યને ચેતવવા અને તેના આત્માને કબરમાંથી બચાવવા જેથી
તે માણસ જીવનનો આનંદ માણી શકે.
31 “હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ!
તું મૌન રહે અને મને બોલવા દે.
32 પણ અયૂબ, તારે જો મારી સાથે સંમત થવું ન હોય,
તો બોલવાનું ચાલુ રાખ, તારી દલીલ મને કહે કારણકે
હું તને નિર્દોષ જાહેર કરવા માગું છુ
33 પણ જો તારે કાઇ કહેવાનું જ ન હોય,
મારું સાંભળો, છાના રહો અને હું તમને ડહાપણના જ્ઞાનના પાઠ શીખવીશ.”
ઈકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ
14 ઈકોનિયા શહેરમાં પાઉલ અને બાર્નાબાસ ગયા તેઓ યહૂદિઓના સભાસ્થાનમાં પ્રવેશ્યા. (તેઓએ બધાં શહેરોમાં જે કંઈ કર્યુ તે આ છે.) તેઓ ત્યાં લોકો સાથે બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ એટલું સારું બોલ્યા કે ઘણા યહૂદિઓ અને ગ્રીકોએ, તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ કર્યો. 2 પરંતુ કેટલાક યહૂદિઓએ વિશ્વાસ કર્યો નહી. આ યહૂદિઓએ બિનયહૂદિ લોકોને ઉશ્કેર્યા અને ભાઈઓના વિષે મનમાં ખરાબ વસ્તુઓ વિચારતા કર્યા.
3 તેથી પાઉલ અને બાર્નાબાસ લાંબા સમય સુધી ઇકોનિયામાં રહ્યા અને તેઓ પ્રભુ વિષે આશ્ચર્યથી હિંમત રાખીને બોલ્યા. પાઉલ અને બાર્નાબાસ દેવની કૃપા વિષે બોધ આપતા હતા. પ્રભુએ પૂરવાર કર્યુ, કે તેઓ જે કહેતા હતા તે સાચું હતું. પ્રેરિતોને (પાઉલ તથા બાર્નાબાસ) ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરવામાં તે મદદ કરતા. 4 પરંતુ શહેરના કેટલાક લોકો યહૂદિઓ સાથે સંમત થયા. શહેરના બીજા લોકો પાઉલ અને બાર્નાબાસમાં વિશ્વાસ કરતા. તેથી શહેરના ભાગલા પડ્યા હતા.
5 કેટલાક બિનયહૂદિ લોકો, કેટલાક યહૂદિઓ, અને તેઓના યહૂદિ અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને ઇજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આ લોકોની ઈચ્છા તેઓને પથ્થરોથી મારી નાખવાની હતી. 6 જ્યારે પાઉલ અને બાર્નાબાસે આ સંબંધી જાણયું. ત્યારે તેઓએ તે શહેર છોડયું, તેઓ લુસ્ત્રા અને દર્બેમાં લુકોનિયાના શહેરોમાં અને તેની આજુબાજુના શહેરોના વિસ્તારમાં ગયા. 7 તેઓએ ત્યાં પણ સુવાર્તા પ્રગટ કરી.
લુસ્ત્રામાં પાઉલ અને બાર્નાબાસ
8 લુસ્ત્રામાં એક માણસ હતો જેના પગમાં કંઈક ખોડ હતી. તે જન્મથી જ અપંગ હતો; તે કદી ચાલ્યો નહોતો. 9 આ માણસ બેઠો હતો અને પાઉલને ધ્યાનથી સાંભળતો હતો, પાઉલે તેના તરફ જોયું કે તે માણસને વિશ્વાસ હતો કે દેવ તેને સાજો કરી શકે તેમ છે. 10 તેથી પાઉલે મોટા અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” તે માણસ કૂદીને ઊભો થયો અને આજુ બાજુ ચાલવા માંડ્યો.
11 પાઉલે જે કર્યુ તે જ્યારે લોકોએ જોયું ત્યારે તેઓએ તેઓની પોતાની લુકોનિયાની ભાષામાં પોકાર કર્યો. તેઓએ કહ્યું, “દેવો, માણસોનું રૂપ લઈને આવ્યા છે. તેઓ આપણી પાસે નીચે ઉતર્યા છે!” 12 લોકોએ બાર્નાબાસને “ઝિયૂસ”[a] કહ્યો. તેઓએ પાઉલને “હર્મેસ”[b] કહ્યો, કારણ કે તે જ મુખ્ય બોલનાર હતો. 13 ઝિયૂસનું મંદિર શહેરમાં નજીકમાં હતું. આ મંદિરના યાજકે કેટલાક બળદો અને ફૂલો શહેરના દરવાજા પાસે આણ્યાં. તે યાજક અને લોકો પાઉલ અને બાર્નાબાસને ભક્તિપૂર્વક ભેટ અર્પણ કરવા ઇચ્છતા હતા.
14 પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં.[c] પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું: 15 “સજ્જનો, તમે આ બધું શા માટે કરો છો? અમે દેવો નથી! અમારે પણ તમારા જેવી લાગણીઓ છે. અમે તમને સુવાર્તા કહેવા આવ્યા છે. અમે તમને આ નિરર્થક વસ્તુઓ તરફથી પાછા ફરવાનું કહીએ છીએ. ઉત્પન્ન કરનાર જીવતા દેવ તરફ ફરો. તેણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેઓના માં રહેલી પ્રત્યેક વસ્તુઓનું સર્જન કર્યુ છે.
16 “ભૂતકાળમાં દેવે પ્રત્યેક રાષ્ટ્રોને તેઓની ઈચ્છા પ્રમાણે કરવા દીધું હતું. 17 પરંતુ દેવે જે કર્યુ તે ખરું છે. દેવ પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી. તે તમારા માટે સારું કામ કરે છે. તે તમને આકાશમાંથી વરસાદ આપે છે. તે તમને યોગ્ય સમયે સારી ફસલ આપે છે. તે તમને પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે અને તે તમારા હ્રદયને આનંદથી ભરે છે.”
18 પાઉલ અને બાર્નાબાસે તે લોકોને આ વાતો કરી પરંતુ હજુ સુધી પાઉલ અને બાર્નાબાસ લોકોને લગભગ તેઓની ભક્તિ અને બલિદાન કરતાં ભાગ્યે જ અટકાવી શક્યા.
19 પછી કેટલાક યહૂદિઓ અંત્યોખ અને ઈકોનિયામાંથી આવ્યા. તેઓએ લોકોને પાઉલની વિરૂદ્ધ સતાવણી કરવા સમજાવ્યા. અને તેથી લોકોએ પાઉલ પર પથ્થરો ફેંક્યા અને તેને શહેરની બહાર ઘસડી ગયા. લોકોએ ધાર્યું કે તેઓએ પાઉલને મારી નાખ્યો છે. 20 ઈસુના શિષ્યો પાઉલની આજુબાજુ ભેગા થયા અને તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજે દિવસે, તે અને બાર્નાબાસ આ શહેર છોડીને દર્બેના શહેરમાં ગયા.
અંત્યોખ સિરિયામાં પાછા ફરવું
21 પાઉલ અને બાર્નાબાસે દર્બેના શહેરમાં પણ સુવાર્તા પ્રગટ કરી. ઘણા લોકો ઈસુના શિષ્યો બન્યા. પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા, ઈકોનિયા અને અંત્યોખ શહેરોમાં પાછા પર્યા. 22 તે શહેરોમાં પાઉલ અને બાર્નાબાસે ઈસુના શિષ્યોને વધારે બળવાન બનાવ્યા. તેઓએ તેઓને વિશ્વાસમાં રહેવામાં મદદ કરી. પાઉલ અને બાર્નાબાસે કહ્યું, “દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માટે ઘણાં સંકટોનો સામનો કરવો પડે છે.” 23 પાઉલ અને બાર્નાબાસે પ્રત્યેક મંડળી માટે વડીલોને પસંદ કર્યા. તેઓએ ઉપવાસ કર્યા અને આ વડીલો માટે પ્રાર્થના કરી. આ વડીલો એ માણસો હતા, જેઓને પ્રભુ ઈસુમાં વિશ્વાસ હતો. તેથી પાઉલ અને બાર્નાબાસે તેઓને પ્રભુની સંભાળ હેઠળ રાખ્યા.
24 પાઉલ અને બાર્નાબાસ પિસીદિયા થઈને આવ્યા. પછી તેઓ પમ્ફુલિયા દેશમાં આવ્યા. 25 તેઓએ પર્ગે શહેરમાં દેવની વાતનો બોધ આપ્યો, અને પછી તેઓ અત્તાલિયા શહેરમાં આવ્યા, 26 અને ત્યાંથી પાઉલ અને બાર્નાબાસ સિરિયાના અંત્યોખ તરફ હોડી હંકારી ગયા. આ એ જ શહેર છે, જ્યાં વિશ્વાસીઓએ તેઓને દેવની કૃપામાં રાખ્યા. અને આ કામ કરવા માટે તેઓને મોકલ્યા જે કાર્ય તેણે હવે પૂર્ણ કર્યુ છે.
27 જ્યારે પાઉલ અને બાર્નાબાસ આવ્યા, તેઓએ મંડળીને ભેગી કરી. પાઉલ અને બાર્નાબાસે દેવે તેમની સાથે કરેલી પ્રત્યેક બાબતો વિષે જણાવ્યું. તેઓએ કહ્યું, “દેવે દરવાજો ઉઘાડ્યો છે, તેથી બીજા રાષ્ટ્રોના લોક (બિનયહૂદિઓ) પણ વિશ્વાસ ધરાવે છે!” 28 પાઉલ અને બાર્નાબાસ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની સાથે લાંબો સમય ત્યાં રહ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International