M’Cheyne Bible Reading Plan
યોનાથાન દાઉદનો નજીકનો મિત્ર બન્યો
18 દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો. 2 તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ. 3 યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી. 4 અને યોનાથાને પોતાનો ઝભ્ભો કાઢીને દાઉદને આપી દીધો. ઉપરાંત, પોતાનું બખ્તર, તરવાર, ધનુષ્ય અને કમરપટો પણ મિત્રતાના પ્રતીક તરીકે આપ્યા. હવે રાજા શાઉલ દાઉદને યરૂશાલેમમાં જ રાખતો હતો અને તેને ઘેર જવા દેતો નહિ.
દાઉદની સફળતા નોંધતો શાઉલ
5 શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું. 6 દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી. 7 તેઓ ઉત્સવનાં ઉલ્લાસમાં એવું ગીત ગાતી હતી કે,
“શાઉલે હજારોને સંહાર્યા છે
પણ દાઉદે તો લાખોને.”
8 શાઉલને આ ગમ્યું નહિ, તેને ગુસ્સો ચડયો, તે બોલ્યો, “દાઉદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જયારે મને માંત્ર હજારોનું જ! હવે તો એને રાજા થવું જ બાકી છે.” 9 તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.
દાઉદથી ડરતો શાઉલ
10 અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો. 11 શાઉલે અચાનક દાઉદને ભીંત સાથે જડી દેવાના ઇરાદાથી બે વખત તેની તરફ ભાલો ફેંકયો. પરંતુ દાઉદે બે વાર બાજુ પર ખસી જઈને ઘા ચુકાવ્યો.
12 શાઉલ ત્યારથી દાઉદથી ડરવા લાગ્યો, કારણ, યહોવા શાઉલ પાસેથી જતા રહ્યા હતા અને દાઉદની સાથે હતા. 13 તેથી શાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના સૈન્યમાં સહસ્ત્રાધિપતિ તરીકે નીમ્યો. પછી તે લોકોને યુદ્ધમાં દોરી જતો હતો અને પાછા લાવતો હતો. 14 દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથે હતા. 15 દાઉદની સફળતા જોઈને શાઉલ તેનાથી વધારે ડરવા લાગ્યો, 16 પરંતુ ઇસ્રાએલના અને યહૂદાના બધા લોકો તેના ઉપર પ્રેમ રાખતા હતા, કારણ તે યુદ્ધમાં ટૂકડીઓને દોરવતો હતો.
પોતાની પુત્રીના લગ્ન કરવા ઇચ્છતો શાઉલ
17 પછી એક દિવસ શાઉલે દાઉદને કહ્યું, “આ માંરી મોટી પુત્રી મેરાબ છે એને હું તારી સાથે પરણાવું. જો તું યુદ્ધમાં બહાદુરી અને વફાદારીપૂર્વક માંરી સેવા બજાવતો હોય અને યહોવાની લડાઈઓ લડીને પોતાને સાચા સૈનિક તરીકે સાબિત કરી શકતો હોય,” શાઉલના મનમાં એમ કે, આ રીતે એ પલિસ્તીઓને હાથે માંર્યો જશે અને માંરે તેને માંરવો પડશે નહિ.
18 દાઉદે જવાબ આપ્યો, “હું એવો તે કોણ છું ને માંરા પરિવારનું ઇસ્રાએલમાં એવું તે કયું સ્થાન છે કે હું રાજાનો જમાંઈ થાઉં?”
19 પણ જયારે દાઉદ સાથે શાઉલની પુત્રી મેરાબનો પરણાવવાનો સમય આવ્યો ત્યારે શાઉલે મહોલાથના આદ્રીએલ સાથે તેને પરણાવી દીધી.
20 ત્યાર બાદ શાઉલની બીજી પુત્રી મીખાલ દાઉદનાં પ્રેમમાં પડી અને શાઉલને જયારે એની જાણ થઈ ત્યારે તે બહુ રાજી થયો. 21 તેણે વિચાર્યું, “હું મીખાલને દાઉદ સાથે પરણાવીશ. તે દાઉદને ફસાવશે અને પછી તે પલિસ્તીઓને હાથે મૃત્યુ પામશે.” આથી શાઉલે બીજી વાર દાઉદને કહ્યું, “તારે માંરા જમાંઈ થવાનું છે.”
22 શાઉલે પોતાના દરબારીઓને કહ્યું, “તમે ખાનગી રીતે દાઉદને એમ કહો કે, ‘રાજા તારા ઉપર ઘણા પ્રસન્ન છે અને રાજાના બધા અમલદારો પણ તારા પર પ્રેમભાવ રાખે છે. રાજાના જમાંઈ થવા માંટે તારા માંટે આ ખરો સમય છે.’”
23 શાઉલના માંણસોએ દાઉદના કાને આ વાત નાખી, ત્યારે દાઉદે કહ્યું, “શું તમે રાજાના જમાંઈ થવાનું એટલું સહેલું માંનો છો કે, માંરા જેવો એક ગરીબ અને સામાંન્ય માંણસ પણ રાજાનો જમાંઈ થઈ શકે?”
24 શાઉલના અમલદારોએ જયારે દાઉદના શબ્દો તેમને કહ્યાં ત્યારે શાઉલે જણાવ્યું, 25 “તેણે તેમને કહ્યું કે, દાઉદને કહો કે, ‘રાજાને તારી પાસેથી દહેજમાં ફકત સો પલિસ્તીઓની ઇન્દ્રીયની ચામડી જ જોઈએ છે તેને તેના દુશ્મનો ઉપર વેર વાળવું છે.’” શાઉલના મનમાં એવું હતું કે, આ રીતે દાઉદ પલિસ્તીને હાથે માંર્યો જશે.
26 દાઉદના અમલદારોએ શાઉલનાં શબ્દો તેને કહ્યાં. દાઉદે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. અને તરત કામ ઉપાડ્યું. 27 દાઉદે અને તેના માંણસોએ જઈને બ સો પલિસ્તીઓને માંરી નાખ્યા; દાઉદે તેમની ઇન્દ્રિયની ચામડી લાવીને રાજાને આપી; જેથી પોતે રાજાનો જમાંઈ થઈ શકે. આથી શાઉલે પોતાની પુત્રી મીખાલ દાઉદને પરણાવી.
28 શાઉલે જોયું કે, યહોવા દાઉદની સાથે છે, વળી તેની પુત્રી મીખાલ પણ તેના પ્રેમમાં પડી છે, 29 આથી તે દાઉદથી વધુને વધુ ડરવા લાગ્યો અને તેનો જીવનભર દુશ્મન બની ગયો.
30 જયારે પલિસ્તીઓનું સૈન્ય હુમલો કરતું, ત્યારે દરેક વખતે શાઉલના બીજા અમલદારો કરતા દાઉદને વધારે સફળતા મળતી અને આથી દાઉદનું નામ સમગ્ર દેશમાં ખૂબ જ ખ્યાતિ પામ્યું.
પાઉલ ઉપસંહારમાં આભાર-વિધિ કરે છે
16 હું તમને જણાવવા ઈચ્છું છું કે ખ્રિસ્તમાં ખ્રિસ્તની મંડળીની તે ખાસ સેવિકા છે. 2 પ્રભુના નામે દેવના લોકોને શોભે તે રીતે તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ તમારી પાસે મદદની માગણી કરે ત્યારે તેને સહાય કરજો.
3 પ્રિસ્કા અને અકુલાસને મારી સલામ કહેજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં તેઓ મારી કાર્ય કરે છે. 4 મારો જીવ બચાવવા તેમણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું. હું એમનો આભારી છું, અને બધી જ બિનયહૂદિ મંડળીઓ એમની આભારી છે.
5 અને વળી એમના ઘરમાં જે મંડળી છે તેને પણ મારી સલામ કહેશો.
મારા પ્રિય મિત્ર અપૈનિતસને મારા સ્નેહસ્મરણ પાઠવશો. આસિયા માઈનોરના પશ્ચિમ વિસ્તારમાં ખ્રિસ્તનો શિષ્ય થનાર તે પહેલો માણસ હતો.
6 મરિયમની ખબર પૂછશો, તમારા માટે એણે ઘણું સખત કામ કર્યુ છે.
7 આન્દ્રનિકસ અને જુનિયાસને સલામ કહેજો. તેઓ મારા સંબંધી છે, અને તેઓ મારી સાથે કેદમાં હતા. તેઓ તો દેવના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ કાર્યકરોમાંના છે. મારી અગાઉ તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસી હતા.
8 પ્રભુમાં મારા પ્રિય મિત્ર અંપ્લિયાતસને મારી સલામ પાઠવશો. 9 ઉર્બાનુસને મારી સલામ કહેજો. ખ્રિસ્તની સેવામાં જોડયેલા તે મારા સહકાર્યકર છે.
અને મારા પ્રિય મિત્ર સ્તાખુસની ખબર પૂછશો. 10 અપેલ્લેસને મારી સલામ કહેશો. તેની પરીક્ષા કરવામાં આવી હતી અને સાબિત થયું હતું કે તે ખ્રિસ્તને ખરેખર પ્રેમ કરે છે.
અરિસ્તોબુલસના કુટુંબના સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 11 મારા સંબંધી હેરોદિયોનને સલામ કહેજો.
નાર્કીસસ કુટુંબના જેઓ પ્રભુના છે તે સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 12 ત્રુંફૈના અને ત્રુંફોસાની મારા વતી ખબર પૂછશો. પ્રભુ માટે આ સ્ત્રીઓ ઘણી સખત મહેનત કરી રહી છે.
પેર્સિસને મારી સ્નેહભીની યાદ પાઠવશો. એણે પણ પ્રભુ માટે ઘણો સખત પરિશ્રમ કર્યો છે.
13 રૂફસને સલામ કહેજો. પ્રભુની સેવામાં તે વિશિષ્ટ વ્યક્તિ છે. એની માને મારી સલામ પાઠવશો. એ તો મારી મા પણ થાય છે.
14 ખ્રિસ્તના શરણે આવેલા સૌ ભાઈઓ સાથે અસુંકિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હાર્માસ છે તેઓને મારી સલામ કહેજો.
15 ફિલોલોગસ અને જુલિયા, નેર્યુસ તથા એની બહેન, અને ઓલિમ્પાસને મારી સલામ પાઠવશો. અને એમની સાથે જે સંતો છે તે સૌને મારી સલામ કહેજો.
16 તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો.
ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે.
17 ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો. 18 એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે. 19 તમે લોકો દેવની આજ્ઞા પાળો છો, એમ બધા વિશ્વાસીઓએ સાંભળ્યું છે. તેથી એ વિષે તમારે લીધે મને ઘણો આનંદ થાય છે. પરંતુ જે બધી વસ્તુઓ સારી છે તે તમે જાણો અને સમજો એમ હું ઈચ્છું છું. અને જે બાબતો ભૂંડી છે તે વિષે તમે બિલકુલ ન જાણો એમ પણ હું ઈચ્છું છું.
20 શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે.
પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે.
21 મારી સાથેના કાર્યકર તિમોથી તમને સલામ પાઠવે છે. વળી મારા સંબંધીઓ લૂક્યિસ, યાસોન, સોસિપાત્રસ પણ તમારી ખબર પૂછે છે.
22 હું તેર્તિયુસ છું, અને પાઉલ જે બોલે છે તે બધું હું લખી રહ્યો છું. પ્રભુના નામે મારી તમને સલામ કહું છું.
23 ગાયસ એનું ઘર મને તથા અહીંની આખી ખ્રિસ્તની મંડળીને વાપરવા દે છે. તે પણ તમને સલામ પાઠવે છે. એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમારી ખબર પૂછે છે. એરાસ્તસ અહીંનો નગર-ખજાનચી છે. [24 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન.][a]
25 દેવનો મહિમા થાઓ. એક માત્ર દેવ જ તમારા વિશ્વાસને દ્રઢ કરી શકે છે. જે સુવાર્તાનો ઉપદેશ હું તમને ધર્મમાં તમારો વિશ્વાસ મજબૂત કરવા આપું છું, એ સંદેશનો સદુપયોગ દેવ હવે કરી શકશે. સુવાર્તા એટલે કે લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહેવા સુપાત્ર થાય, એવો માર્ગ હવે દેવે સૌ માટે ખૂલ્લો કરી દીધો છે. એ સુવાર્તા ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે હું લોકોને કહું છું. સુવાર્તા એક ગુપ્ત સત્ય છે કે જે હવે દેવે જાહેર કર્યુ છે. ઘણા વર્ષોથી એ રહસ્યમય સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું. 26 પરંતુ એ ગુપ્ત સત્ય હવે આપણી આગળ પ્રગટ કરી દેવામાં આવ્યું છે. અને હવે બધા જ દેશોના લોકોને એ સત્યથી માહિતગાર કરવામાં આવ્યા છે. પ્રબોધકોએ લખેલાં વચનો દ્વારા એ સત્ય જાહેર કરવામાં આવ્યું છે. દેવની આજ્ઞા આવી જ છે. અને તે ગુપ્ત સત્ય સૌ લોકોને હવે જણાવ્યું છે, જેથી કરીને તેઓ દેવ પર વિશ્વાસ કરે અને એની આજ્ઞાઓ પાળે. દેવ તો અવિનાશી છે. 27 તે એકલા જ્ઞાની દેવને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ પર્યંત મહિમા હો. આમીન.
યર્મિયાનો યહોવામાં વિશ્વાસ અને પશ્ચાતાપ
3 હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના
દંડાનો માર અનુભવ્યો છે.
2 હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર
દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.
3 ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને
આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.
4 તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે.
તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.
5 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી
તેણે મને કેવો રૂંધી નાખ્યો છે!
6 મરી ગયેલા માણસની જેમ.
તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.
7 હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે.
અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.
8 જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું,
ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.
9 તેણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે
અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.
10 તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે,
સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.
11 મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે.
તેણે મારા ટૂકડે-ટૂકડા કરીને મને ત્યાં પડ્યો રહેવા દીધો છે.
12 તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે
અને તેને મારી સામે તાક્યું છે.
13 તેણે પોતાના જ ભાથાનાં બાણોથી.
મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે.
14 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું;
અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.
15 તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે.
તેણે મને કટુઝેરથી ભરી દીધો છે.
16 વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે,
તેણે મને રાખમાં રગદોળી દીધો છે.
17 મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે,
સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું.
18 હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે
અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે.
19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,
અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;
અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
21 એ હું મનમાં લાવું છું
અને તેથી જ હું આશા રાખું છું.
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ
તેની દયાનો પણ અંત આવ્યો નથી.
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,
માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.
તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”
25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે.
તેમના માટે યહોવા સારો છે.
26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે
તેની રાહ જોવી તે સારું છે.
27 હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની
ઝૂંસરી ઉપાડે એમાંજ એનું કલ્યાણ છે.
28 જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે,
તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ.
29 ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે,
ત્યાં હજી પણ કદાચ આશા હશે.
30 જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે;
અને બધા અપમાન વેઠી લો.
31 યહોવા આપણને કદી
પણ નકારશે નહિ.
32 કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે;
છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે.
33 તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી,
અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી.
34 જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા
કચડી નાંખવામાં આવે છે ત્યારે,
35 જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે,
“પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે.”
36 જ્યારે પણ ન્યાય થતો નથી,
યહોવાને તે મંજૂર નથી.
37 યહોવાની આજ્ઞા વિના
કોનું ધાર્યું થાય છે?
38 પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ
અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે.
39 પાપની સજા સામે કોઇ માણસે
શા માટે ફરિયાદ કરવી જોઇએ?
40 આપણી રીતભાત તપાસીએ અને
કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.
41 આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી.
સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.
42 અમે બળવો કરીને અપરાધ કર્યો છે;
અને તમે અમને માફ કર્યા નથી.
43 રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે
અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે.
44 તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો;
જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ.
45 તમે અમને પ્રજાઓની વચમાં.
કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા
સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
47 અમે ભયભીત થયા છીએ,
જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે.
અમે એકલા છીએ
અને ભાંગી પડ્યા છીએ.
48 મારા લોકોનો વિનાશ જોઇને મારી
આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.
49 યહોવા આકાશમાંથી
દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી.
50 નિરંતર મારી
આંખમાંથી આંસુઓ વહે છે.
51 મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા
જોઇને મારી આંખો સૂજી ગઇ છે.
52 તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે
અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે.
53 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે
અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.
54 મારા માથા પર પાણી ફરી વળ્યાં
અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”
55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી.
મેં તમારા નામનો પોકાર કર્યો.
56 હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ
સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.
57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા,
અને કહ્યું પણ ખરુ કે, “ડરીશ નહિ.”
58 હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે
અને મારું જીવન બચાવ્યું છે.
59 હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે.
તમે મારો ન્યાય કરો.
60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ,
અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે.
61 હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા
તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.
62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે.
તમે તેમના કાવાદાવા જાણો છો.
63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય,
હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.
64 હે યહોવા, તમે તેમના હાથની
કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.
65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો
અને તેમના પર શાપ વરસાવજો.
66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા!
તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
9 યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
“હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International