M’Cheyne Bible Reading Plan
યર્દન નદીને પેલે પાર આશ્ચર્યકૃત્યો
3 બીજે દિવસે વહેલી પરોઢે યહોશુઆ તથા બધા ઇસ્રાએલી લોકો શિટ્ટિમ શહેરમાંથી બહાર આવ્યા અને સાંજે તેઓએ નદી ઓળંગતા પહેલા યર્દન નદીના કિનારા પર મુકામ કર્યો. 2 ત્રણ દિવસ પછી અધિકારીઓએ છાવણીમાં ફરીને લોકોને આજ્ઞા કરીને કહ્યું કે, 3 “જ્યારે તમે લેવી યાજકોને તમાંરા દેવ યહોવાના પવિત્ર કરાર કોશને ઉપાડીને લઈ જતાં જુઓ, ત્યારે બધાંએ છાવણી છોડી તેમને અનુસરવું. 4 જેથી તમને કયા રસ્તે જવું તેની ખબર પડે, કારણ, તમે આ રસ્તે પેહલાં કદી આવ્યા નથી. પરંતુ તમે પવિત્ર કરાર કોશની નજીક જશો નહિ. તમાંરી અને કરારકોશની વચ્ચે 2,000 હાથનું અંતર રાખશો.”
5 યહોશુઆએ લોકોને કહ્યું કે, “તમાંરી જાતની શુદ્ધિ કરો, કેમ કે આવતી કાલે યહોવા તમાંરી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”
6 બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.
7 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ. 8 કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.’”
9 પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો. 10 આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો. 11 જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે. 12 હવે ઇસ્રાએલના બાર કુળસમૂહોમાંથી દરેકમાંથી એક એક આગેવાન ચૂંટી કાઢો. 13 આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”
14 તેથી લોકો તેમના તંબુઓમાંથી બહાર નીકળ્યા અને યર્દન નદીને ઓળંગી અને યાજકોએ કરાર કોશ લીધો અને તેમની આગળ ચાલ્યા. 15 આ ઋતું પાકની કાપણીની હતી. યર્દન નદી બંને કાઠે ભરપૂર વહેતી હતી. યાજકોએ યર્દન નદીને કિનારે પહોંચીને તેના પાણીમાં પગ મૂકતાં જ ઉપરવાસથી આવતું પાણી થંભી ગયું. 16 પાણી બંધની જેમ પાછળ એકઠું થયું, છેક ઉદ્દગમ સ્થાન આદામ, સારેથાન પાસેનાં શહરે તરફ અને ખારા સમુદ્ર તરફ વહેતાં રોકી દેવાયા હતાં. પછી લોકોએ યરીખો નજીક યર્દન નદી ઓળંગી. 17 બધા ઇસ્રાએલી લોકો સૂકી જમીન પર ચાલ્યા અને નદી પાર કરી અને યહોવાના કરારકોશને લઈ જતાં યાજકો, નદીની મધ્યમાં રોકાયા. એમ આખી પ્રજા યર્દન ઊતરી ગઈ.
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.
1 જો યહોવા ઘર ન બાંધે તો;
બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
2 જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
પ્રત્યેકને આરામ આપે છે.
3 બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
4 યુવાવસ્થામાંના પુત્રો તો;
બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
યહોવાનો પ્રજાઓ પર વિજય
63 અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે?
કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ
થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે?
એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું.
તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન
અને સમર્થ એવો હું યહોવા છું.”
2 “કૂંડીમાં દ્રાક્ષ ગુંદનારા વસ્ત્રની જેમ
તારાં વસ્ત્રો લાલ કેમ છે?”
3 “મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે.
મને મદદ કરવા માટે ત્યાં કોઇ ન હતું.
મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગૂંદી નાખ્યા,
રોષે ભરાઇને મેં તેમને રોળી નાખ્યા અને તેમના લોહીની પિચકારી
મારાં વસ્ત્રો ઉપર ઊડી અને મારાં વસ્ત્રો બધાં ખરડાઇ ગયા.
4 કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો
મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે.
5 મેં આજુબાજુ નજર નાખી પણ કોઇ મારી મદદે આવ્યું નહિ.
મારી સાથે આવનાર કોઇ નથી એ જોઇને હું અચંબામાં પડી ગયો.
6 તેમ છતાં મારા બાહુએ મને વિજય અપાવ્યો,
મારા ક્રોધમાં મેં વિદેશી પ્રજાઓને કચડી નાખી અને તે સર્વ લથડિયાં ખાઇને જમીન પર પડી ગઇ.”
યહોવા પોતાના લોકો પર દયાળુ રહ્યાં
7 યહોવાના ઉપકારો હું સંભારીશ
અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે
તે માટે હું તેના ગુણગાન ગાઇશ.
પોતાની અપાર કરુણા
અને દયાથી પ્રેરાઇને
તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.
8 તેણે કહ્યું, “ખરેખર તેઓ મારી પ્રજા છે,
મારા સંતાન છે;
તેઓ મને દગો નહિ દે.”
9 અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા.
તેઓને બચાવવા માટે
તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો,
તે જાતે આવ્યા હતા.
તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય
તેઓને ઉપાડ્યા કર્યા.
10 આમ છતાં તેઓએ દગો કરીને
તેમની વિરુદ્ધ બળવો કરી તેમના પવિત્ર આત્માને દુભાવ્યો.
એ પછી તે તેમના દુશ્મન બન્યા
અને જાતે તેમની સામે યુદ્ધે ચડ્યા.
11 પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના
દિવસો યાદ કર્યા અને કહેવા લાગ્યા,
પોતાના લોકોના આગેવાનને સમુદ્રમાંથી
પાર ઉતારનાર યહોવા ક્યાં છે?
તેમનામાં પોતાના આત્માનો
સંચાર કરનાર એ ક્યાં છે?
12 પોતાના સંપૂર્ણ સાર્મથ્યથી મૂસાની સાથે રહેનાર ક્યાં છે?
પોતાના લોકોને માટે જળના બે ભાગ કરી
તેમને સમુદ્રમાંથી દોરી લાવી અમર કીર્તિ પ્રાપ્ત કરનાર ક્યાં છે?
13 જેણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય
તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા
કે અમે ઠોકર ખાધી નહિ, તે ક્યાં છે?
14 ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ
તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા;
તે મુજબ તે પોતાને માટે મહિમાવંત નામ કરવા
માટે તમારા લોકોને દોર્યા.
15 હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર,
તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર.
ક્યાં છે તારી શકિત?
ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા?
ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા?
એને તું અટકવતો લાગે છે!
16 હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો!
જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ (યાકૂબ)
અમારો અસ્વીકાર કરે તોયે,
હે યહોવા, તું અમારો પિતા છે,
પ્રાચીન સમયથી તું “અમારો ઉદ્ધારક” એ નામથી ઓળખાતો આવ્યો છે.
17 હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા
અને અમને તમારા માર્ગોથી વાળ્યાં છે?
પાછા આવો, તમારા સેવકોને ખાતર,
જે કુળો તમારા જ છે.
18 થોડા સમય માટે, તમારા પવિત્ર લોકો તમારા પવિત્ર ધામને ધરાવતા હતાં,
પણ હવે અમારા શત્રુઓએ તમારા મંદિરને રોળી નાખ્યું છે.
19 અમારા પર તું રાજ્ય
ન કરતો હોય તે રીતે,
અમે તારી પ્રજા ન હોઇએ તે રીતે,
અમે ઘણો સમય વિતાવ્યો!
ઈસુ અને યોહાન બાપ્તિસ્ત
(લૂ. 7:18-35)
11 ઈસુ તેના બાર શિષ્યોને સૂચનાઓ આપ્યા પછી ત્યાંથી નીકળ્યો અને ત્યાંથી ગાલીલ નામના નગરમાં ઉપદેશ અને બોધ આપવા ગયો.
2 યોહાન બાપ્તિસ્ત જેલમાં હતો. ઈસુ જે કંઈ કરતો હતો તે વિષે તેણે સાંભળ્યું એટલે યોહાને તેના શિષ્યોમાંના કેટલાએકને ઈસુ પાસે મોકલ્યાં. 3 યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”
4 ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો. 5 આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે. 6 જે વ્યક્તિ મારો સ્વીકાર કરવા શક્તિમાન છે તેને ધન્ય છે.”
7 યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના! 8 તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. 9 તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે. 10 યોહાન વિષે લખ્યું છે તે આ છે:
‘ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ (A)
11 “હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે. 12 યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે. 13 બધાજ પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી જે કાંઈ બનવાનું છે તે સંદેશ આપ્યો છે. 14 અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે. 15 તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો!
16 “આજની પેઢીના વિષે શું કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે.
17 ‘અમે તમારા માટે સંગીત વગાડ્યું,
પરંતુ તમે નૃત્ય કયું નહિ;
અમે તમારા માટે દર્દ ભર્યા ગીતો ગાયાં
પરંતુ તમે રડ્યા નહિ.’
18 યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’ 19 માણસનો દીકરો જે આવ્યો છે તે બીજાઓની જેમ ખાય છે. પીએ છે, ‘એના તરફ તો જુઓ! તે કેટલું બધું ખાય છે અને કેટલું બધું પીવે છે, ઉપરાંત કર ઉઘરાવનાર અને પાપીઓનો મિત્ર છે.’ પરંતુ તેનું શાણપણ પોતાના કાર્યોના પરિણામથી ન્યાયી પુરવાર થાય છે.”
અવિશ્વાસીઓને ઈસુની ચેતવણી
(લૂ. 10:13-15)
20 ઈસુએ જ્યાં જ્યાં તેનાં મોટા ભાગનાં પરાક્રમી કાર્યો કર્યા હતાં, તે નગરોની ટીકા કરી કારણ કે લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા નહિ. અને પાપકર્મો કરવાનું છોડ્યું નહિ. 21 ઈસુએ કહ્યું, “ઓ ખોરાઝીન[a] તને હાય! હાય! ઓ બેથસૈદા તને હાય! હાય! જો આ પરાક્રમો મેં દુષ્ટ એવા તૂર અને સિદોન[b] ના નગરોમાં કર્યા હોત તો ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો હોત અને તેમના પર ટાટ તથા રાખ[c] નાખીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપોને માટે દુ:ખી હતાં. 22 પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તૂર અને સિદોનને આકાશ જેટલી ઊંચી પદવીએ પહોંચાડાશે.
23 “ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે? ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત. 24 હું કહું કે, ન્યાયના દિવસે સદોમની હાલત તારાં કરતા સારી હશે.”
ઈસુ તેના લોકોને વિસામો આપે છે
(લૂ. 10:21-22)
25 પછી ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. તારો આભારી છું કારણ તેં જ્ઞાનીઓથી આ સત્યોને ગુપ્ત રાખીને જે લોકો નાના બાળકો જેવા છે તેમની આગળ પ્રગટ કર્યુ છે. 26 હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું.
27 “મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.
28 “તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. 29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો. 30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International