M’Cheyne Bible Reading Plan
પ્રબોધિકા દબોરાહ સ્ત્રી ન્યાયધીશ
4 એહૂદના મૃત્યુ પછી ઈસ્રાએલી પ્રજાએ ફરી એક વાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. 2 તેથી યહોવાની ઇચ્છાપ્રમાંણે ઈસ્રાએલીઓને હાસોરમાં રાજ કરનાર કનાની રાજા યાબીનના હાથે પરાજીત કરાયા હતાં. તેના સૈન્યના સેનાપતિનું નામ સીસરો હતું જે હરોશેથ હગોઈમમાં રહેતો હતો. 3 યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.
4 એ વખતે લાપીદોથની પત્ની દબોરાહ ઈસ્રાએલીઓની ન્યાયાધીશ હતી. તે પ્રબોધિકા હતી, 5 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રામાં અને બેથેલની વચ્ચે એક મોટું તાડનું ઝાડ હતું. તેની નીચે તે બેસતી હતી. અને ઈસ્રાએલીઓ ત્યાં તેમના ન્યાય વિષે નિર્ણય કરવા માંટે આવતા હતાં. 6 એક દિવસ દબોરાહએ નફતાલી પ્રાંતના કેદેશમાં રહેતા અબીનોઆમના પુત્ર બારાકને તેડાવ્યો અને તેને કહ્યું કે, “ઈસ્રાએલના દેવ યહોવાએ તને આ હુકમ કર્યો છે, ‘નફતાલી અને ઝબુલોનના કુળસમૂહોમાંથી 10,000 સૈનિકોને લઈને તાબોર પર્વત ઉપર જા. 7 હું યાબીનના સેનાપતિ સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ, તેથી તું એને ત્યાં હરાવી શકે.’”
8 બારાકે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવતી હોય તો હું જાઉં, પણ તું જો માંરી સાથે ન આવતી હોય તો હું ન જાઉં.”
9 તેણે જવાબ આપ્યો, “હું તારી સાથે જરૂર આવીશ; પણ સીસરાને જીતવાનું શ્રેય તને મળશે નહિ, કારણ યહોવા સીસરાને એક સ્ત્રીના હાથમાં સોંપી દેનાર છે.”
ત્યારબાદ દબોરાહ ઊભી થઈ અને બારક સાથે કેદેશ ગઈ. 10 બારાક નફતાલી અને ઝબુલોનના કુળસમૂહો પાસે ગયો અને લોકોને બોલાવ્યા અને લગભગ 10,000 માંણસોને સૈન્ય માંટે લઈને તે ગયો દબોરાહ પણ તેની સાથે ગઈ.
11 કેની જાતિના હેબેર જે બીજા કેની લોકોથી અલગ પડી ગયો હતો અને તેણે પોતાનો તંબુ કેદેશ નજીક એલોન-સાઅનાન્નીમની પાસે નાખ્યો હતો. કેનીઓ-મૂસાના સાળા હોબાબના વંશજો હતા.
12 સીસરાને સમાંચાર મળ્યાં કે અબીનોઆમના પુત્ર બારાક તેના સૈન્ય સાથે તાબોર પર્વત ઉપર ગયા છે. 13 એટલે સીસરાએ પોતાના બધા 900 લોખંડના રથોને તેમજ પોતાના બધા સૈનિકોને હરોશેથ-હગોઈમથી કીશોન નદી આગળ ભેગા કર્યા.
14 ત્યારે બારાકને દબોરાહએ કહ્યું, “જલદી ઉભો થા! યહોવાએ આજે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. અત્યારે પણ યહોવા તારા માંટે લડે છે.” આથી બારાક 10,000નું સૈન્ય લઈને દુશ્મનો પર હુમલો કરવા તાબોર પર્વતના ઢોળાવો પરથી નીચે ધસી આવ્યો. 15 યહોવાએ બારાકને સીસરા પર હુમલો કરવા મદદ કરી અને તેના બધા રથ સૈનિકોને બારાકનું લશ્કર જોઈને બેબાકળાં બનાવી દીધાં. સીસરા પોતે રથમાંથી કૂદીને ભાગી ગયો. 16 બારાકે તેના સૈન્ય સાથે હરોશેથ-હગોઈમ સુધી સીસરાના રથોનો અને લશ્કરનો પીછો પકડયો. સીસરાનું સમગ્ર સૈન્ય હણાઈ ગયું એકેય માંણસ જીવતો રહેવા પામ્યો નહિ.
17 સીસરા ભાગી ગયો અને દોડતો કેની હેબેરની પત્ની યાએલના તંબુએ પહોંચી ગયો. કારણ હાસોરના રાજા યાબીન અને કેની હેબેરના પરિવાર વચ્ચે સારા પારિવારીક સંબંધો હતાં. 18 સીસરાને મળવા માંટે યાએલ સામે આવીને ઊભી રહી અને બોલી, “આવો, નામદાર, અંદર આવો, ડરશો નહિ.” આથી તે તંબુમાં ગયો અને તેણીએ તેને ધાબળા વડે ઢાંકી દીધો.
19 સીસરાએ યાએલને કહ્યં, “મને તરસ લાગી છે, મને પીવા માંટે થોડું પાણી આપ.” તેથી તેણીએ તેને દૂધની ભરેલી મશક આપી અને ફરી તેને ઢાંકી દીધો.
20 પછી સીસરાએ યાએલને કહ્યું, “તંબુના બારણામાં ઊભી રહે, અને કોઈ માંરી તપાસ કરવા આવે અને પૂછે કે અંદર કોઈ છે, તો કહેજે, ‘ના.’”
21 પણ તે ખૂબ થાકેલો હતો અને જલદીથી ઘસઘસાટ સૂઈ ગયો ત્યારે હેબરની પત્ની યાએલે એક હથોડો અને તંબુનો ખીલ્લો લઈને સીસરાના માંથામાં ઠોકી દીધો તેથી સીસરો આમ મૃત્યુ પામ્યો.
22 જ્યારે સીસરાને શોધતો શોધતો બારાક ત્યાં આવ્યો ત્યારે યાએલે આવીને તેને કહ્યું, “આવો, તમે જે માંણસને શોધો છો તે હું બતાવું.” તે તેની સાથે તંબુમાં ગયો અને ત્યાં તંબુનો ખીલ્લો જોયો જે સીસરાના માંથામાં હતો અને તે મૃત પડયો હતો.
23 તેથી તે દિવસે દેવે કનાનના રાજા યાબીનને ઈસ્રાએલીઓ માંટે હરાવ્યો. 24 ત્યારબાદ ઈસ્રાએલીઓ કનાનના રાજા યાબીન સામેના હુમલાઓમાં વધુને વધુ બળવાન થતા ગયા અને આખરે તેમણે તેનો નાશ કર્યો.
8 1-3 શાઉલ સંમત હતો કે સ્તેફનની હત્યા કરવી એ સારી બાબત હતી.
વિશ્વાસીઓ માટે સંકટો
કેટલાક ધાર્મિક માણસોએ સ્તેફનને દફનાવ્યો. તેઓએ તેના માટે ઘણું રૂદન કર્યુ. તે જ દિવસે યરૂશાલેમમાં યહૂદિઓએ વિશ્વાસીઓના સમૂહની સતાવણી શરૂ કરી. યહૂદિઓએ તેઓને ખૂબ સંતાપ આપ્યો. શાઉલ પણ આ સમૂહનો વિનાશ કરવા પ્રયત્ન કરતો હતો. શાઉલ તેઓનાં ઘરોમાં ઘૂસી જતો. તે સ્ત્રી પુરુંષોને બહાર ઘસડી લાવીને બંદીખાનામાં નાખતો. બધાજ વિશ્વાસીઓએ યરૂશાલેમ છોડ્યું. માત્ર પ્રેરિતો જ રહ્યા. વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનમાં જુદા જુદા સ્થળોએ ગયા. 4 વિશ્વાસીઓ સર્વત્ર વિખરાઈ ગયા. જે જે જગ્યાએ વિશ્વાસીઓ ગયા ત્યાં તેઓએ લોકોને સુવાર્તા પ્રગટ કરી.
ફિલિપનો સમારીઆમાં બોધ
5 ફિલિપ સમારીઆના શહેરમાં ગયો ત્યાં તેણે ઈસુ વિષે બોધ આપ્યો. 6 ત્યાંના લોકોએ ફિલિપને સાંભળ્યો અને તેઓ બધાએ ફિલિપે જે કંઈ કહ્યું તે કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળ્યું. 7 આ લોકોમાંના ઘણાંને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા. પણ ફિલિપે અશુદ્ધ આત્માઓને તેઓમાંથી બહાર કાઢ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેઓએ ઘણો મોટો અવાજ કર્યો. ત્યાં ઘણા લકવાગ્રસ્ત અને અપંગ માણસો પણ હતા. ફિલિપે આ લોકોને પણ સાજા કર્યા. 8 તે શહેરના લોકો આના કારણે ઘણા આનંદ વિભોર થયા.
9 પણ તે શહેરમાં એક સિમોન નામનો માણસ હતો. ફિલિપના આવતા પહેલા સિમોન ત્યાં જાદુના ખેલ કરતો હતો. તે સમારીઆના બધા લોકોને તેની યુકિતોથી અચરજ પમાડતો હતો. તે તેની જાતને મહાન માણસ કહેવડાવવાનો દંભ કરતો. 10 બધા જ લોકો ઓછા મહત્વના કે વધારે મહત્વના-સિમોન જે કહેતો તે માનતા. લોકો કહેતા, “આ માણસ પાસે દેવની સત્તા છે. ‘જે મહાન સત્તા’ કહેવાય છે!” 11 સિમોન તેના જાદુઇ ખેલોથી લોકોને આશ્ચર્યચકિત કરતો રહ્યો. 12 પણ ફિલિપે લોકોને દેવના રાજ્ય અને ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા કહી, પુરુંષો અને સ્ત્રીઓએ ફિલિપમાં વિશ્વાસ મૂક્યો. તેઓએ બાપ્તિસ્મા લીધું. 13 સિમોને પોતે પણ વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો. સિમોન ફિલિપની સાથે રહ્યો. ફિલિપે જે અદભૂત ચમત્કારો અને સાર્મથ્યવાન કાર્યો કર્યા તે જોઈ તે ઘણો નવાઈ પામ્યો.
14 પ્રેરિતો હજુ યરૂશાલેમમાં હતા. તેઓએ સાંભળ્યું કે સમારીઆના લોકોએ દેવની વાત સ્વીકારી છે તેથી પ્રેરિતોએ પિતર અને યોહાનને સમારીઆના લોકો પાસે મોકલ્યા. 15 જ્યારે પિતર અને યોહાન આવી પહોંચ્યા ત્યારે, તેઓએ સમારીઆના વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે તે માટે પ્રાર્થના કરી. 16 આ બધા લોકોને ઈસુના નામે બાપ્તિસ્મા આપ્યું. પરંતુ હજુ સુધી તેઓમાંના કોઈમાં પવિત્ર આત્મા ઉતર્યો ન હતો. તેથી પિતર અને યોહાને પ્રાર્થના કરી. 17 તે બે પ્રેરિતોએ તે લોકો પર હાથ મૂક્યા. પછી તે લોકો પવિત્ર આત્મા પામ્યા.
18 સિમોને જોયું કે જ્યારે પ્રેરિતોએ તેઓના પર તેઓના હાથ મૂક્યા ત્યારે જ તેઓને પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે. તેથી સિમોને પ્રેરિતોને પૈસા આપવાની દરખાસ્ત કરી. 19 સિમોને કહ્યું, “તમારા જેવો અધિકાર મને પણ આપો જેથી જ્યારે હું કોઇ માણસના માથે હાથ મૂકું તો તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”
20 પિતરે સિમોનને કહ્યું, “તું અને તારા પૈસા બંને બરબાદ થઈ જશે! કારણ કે તેં વિચાર્યુ કે દેવનું દાન પૈસાથી મળે છે. 21 તું આ કામમાં અમારી સાથે ભાગ લઈ શકીશ નહિ. તારું હ્રદય દેવ સમક્ષ ન્યાયી નથી. 22 તું પસ્તાવો કર! તેં આ જે કંઈ ખરાબ કર્યુ છે ત્યાંથી તું પાછો વળ. પ્રભુને પ્રાર્થના કર. કદાચ તારા અંત:કરણના આ વિચારને તે માફ કરશે. 23 હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.”
24 સિમોને જવાબ આપ્યો, “તમે બંને પ્રભુને મારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે તમે જે કહ્યું છે તે હવે મારી સાથે બનશે નહિ!”
25 પછી તે બે પ્રેરિતોએ ઈસુની જે વાતો જોઈ હતી તે કહી. પ્રેરિતોએ લોકોને પ્રભુનો તે સંદેશ કહ્યો. પછી તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. રસ્તામાં જતાં જતાં સમરૂનીઓમાંનાં ઘણાં ગામોમાં લોકોને સુવાર્તા પ્રગટ કરી.
ઈથિઓપિયાના એક માણસને ફિલિપનો બોધ
26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
27 તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો. 28 હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.” 30 તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
31 તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું. 32 શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:
“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો.
તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ.
તે કંઈ જ બોલ્યો નહિ.
33 તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા.
પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો;
તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” (A)
34 તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?” 35 ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી.
36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.” 37 ફિલિપે જવાબ આપ્યો, જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.” 38 પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો. 40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
હૃદય પર લખેલ પાપ
17 યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી
તથા હીરાકણીથી લખેલું છે;
તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે
અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;
2 કારણ કે તેઓના પુત્રો ઊંચા
પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે
તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો
અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.
3 અરે, ખેતરમાંના મારા પર્વત,
તમારાં સર્વ પાપોની કિંમત રૂપે
હું તમારી સર્વ સંપત્તિ
તમારા શત્રુઓને આપી દઇશ.
4 મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો.
દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે,
જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં
હું તમને મોકલી આપીશ.
તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે
અને તે સદાકાળ સળગતો રહેશે.”
લોકોમાં શ્રદ્ધા અને દેવમાં શ્રદ્ધા
5 આ યહોવાના વચન છે,
“એને શાપિત જાણજો જે મારાથી
વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે,
જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!
6 તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે.
જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે
એવી ખારી જમીનમાં ઊભો છે
અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.
7 પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે
અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે.
8 તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે,
જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે;
તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી;
એનાં પાંદડા લીલાછમ રહે છે.
દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી,
તે ફળ આપતું જ રહે છે.
9 “માણસના મન જેવું કઇં કપટી નથી;
તે એવું તો કુટિલ છે કે
તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.
10 માત્ર યહોવા તે જાણે છે,
યહોવા સર્વ હૃદયોની તપાસ કરે છે.
અને તેના અભ્યંતરની પરીક્ષા કરે છે.
જેથી પ્રત્યેકના આચરણ પ્રમાણે એટલે
તેણે કેવું જીવન વીતાવ્યું છે
તેના આધારે તેને તે યોગ્ય બદલો આપે છે.
11 અન્યાયને માર્ગે ધન એકઠું કરનાર માણસ તો કોયલ જેણે
પોતે જન્મ આપ્યો નથી તેવા ઇડાને સેવી રહી છે તેના જેવો છે.
અડધી ઉંમર થતાં એ ધન એને છોડી જશે;
આખરે તે મૂરખ ઠરશે.”
12 પરંતુ આપણું મંદિર,
આપણો આશ્રય તો અનાદિ કાળથી
ઉચ્ચસ્થાને મૂકેલું મહિમાવંત સિંહાસન છે.
13 હે યહોવા, તું ઇસ્રાએલની આશા છે,
જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે,
ધૂળમાં લખેલા નામની જેમ તે ભૂંસાઇ જશે,
કારણ કે તેમણે તમારો, જીવનના પાણીના ઝરાનો ત્યાગ કર્યો છે.
યર્મિયાની ત્રીજી ફરિયાદ
14 હે યહોવા, તમે જો મને સાજો કરો,
તો હું સાચે જ સાજો થઇ જઇશ.
મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું.
15 લોકો મારી મશ્કરી કરીને મને પૂછયા કરે છે,
“યહોવાના વચનો ક્યાં ગયા?
જોઇએ તો ખરા કેવાં સાચાં પડે છે!”
16 યહોવા, મેં તમને એમનું ભૂંડું કરવાં
આગ્રહ કર્યો નથી,
મેં આ આફતની આંધીનો દિવસ માગ્યો નથી,
એ તમે જાણો છો;
મારે મોઢેથી શું નીકળ્યું
હતું એની તને ખબર છે.
17 મને ભયભીત ન કરશો.
તમે તો સંકટ સમયના મારા આશ્રય છે.
18 મારા જુલમગારો પર તમે મૂંઝવણો
તથા મુશ્કેલીઓ લાવો,
પરંતુ મને શાંતિ આપો,
હા, તેઓ પર તમે બમણો વિનાશ લાવો.
સાબ્બાથ દિવસને પવિત્ર ગણવો
19 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.
20 “અને કહે: ‘આ દરવાજામાંથી પસાર થનાર હે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરૂશાલેમના વાસીઓ! તમે યહોવાની વાણી સાંભળો. 21 આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ. 22 વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો. 23 તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.’”
24 યહોવા કહે છે, “‘હવે જો તમે મને આધીન થશો અને વિશ્રામવારને દિવસે કોઇ કામ નહિ કરો તેને અલગ કરાયેલો-વિશિષ્ટ અને પવિત્ર દિવસ માની તેની પવિત્રતા જાળવો.
25 “‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે. 26 યહૂદિયાના નગરોમાંથી, યરૂશાલેમની આસપાસના ગામોમાંથી, બિન્યામીનના, નીચાણના તેમજ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનાર્પણ, બલિઓ, ખાદ્યાર્પણ અને ધૂપ તથા ઉપકારાર્થાર્પણ લઇને મંદિરે આવશે.
27 “‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.’”
ઈસુ માણસના સુકાયેલા હાથને સાજો કરે છે
(માથ. 12:9-14; લૂ. 6:6-11)
3 બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો. 2 કેટલાક યહૂદિઓ ઈસુને કઈક ખોટું કરતાં જોવા ઈચ્છતા હતા, જેથી તેઓ તેના પર તહોમત મૂકી શકે. તેથી તે લોકો તેમની નજીકથી ચોકી કરતા હતા. ઈસુ વિશ્રામવારના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ તે તેઓ જોતા હતા. 3 ઈસુએ તે સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં ઊભો થા જેથી બધા લોકો તને જોઈ શકે.”
4 પછી ઈસુએ લોકોને પૂછયું, “વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?” લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ.
5 ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, “મને તારો હાથ જોવા દે.” તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો. 6 પછી ફરોશીઓ વિદાય થયા અને ઈસુને શી રીતે મારી નાખવો તે વિષે હેરોદીઓ સાથે યોજનાઓ કરી.
ઘણા લોકોનું ઈસુની પાછળ જવું
7 ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા. 8 યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા.
9 ઈસુએ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું. ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ. 10 ઈસુએ ઘણા લોકોને સાજાં કર્યા. તેથી બધા જ માંદા લોકો તેનો સ્પર્શ કરવા તેના તરફ ધકેલાતા હતા. 11 કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને બૂમો પાડવા લાગ્યા. “તું દેવનો દીકરો છે!” 12 પરંતુ ઈસુએ તે આત્માઓને કડકાઇથી આજ્ઞા કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ.
ઈસુની તેના બાર પ્રેરિતોની પસંદગી
(માથ. 10:1-4; લૂ. 6:12-16)
13 પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા. 14 ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી. 15 અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે. 16 ઈસુએ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે.
સિમોન (ઈસુએ તેનું નામ પિતર આપ્યું).
17 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે “ગર્જનાના પુત્રો” નામ આપ્યા);
18 આંદ્રિયા,
ફિલિપ,
બર્થોલ્મી,
માથ્થી,
થોમા,
અલ્ફીનો દીકરો યાકૂબ,
થદી તથા સિમોન કનાની તથા
19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.
કેટલાકનો ઈસુમાં શેતાન હોવાનો આક્ષેપ
(માથ. 12:22-32; લૂ. 11:14-23; 12:10)
20 પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ. 21 ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
22 યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, “તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.”
23 તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, “શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ. 24 જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી. 25 અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી. 26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
27 “જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
28 “હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે. 29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.”
30 ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.
ઈસુના શિષ્યો એજ તેનો સાચો પરિવાર
(માથ. 12:46-50; લૂ. 8:19-21)
31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. 32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે.”
33 ઈસુએ પૂછયું “મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને ભાઈઓ છે! 35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International