M’Cheyne Bible Reading Plan
એફ્રાઈમ કુળને ભાગમાં મળેલ પ્રદેશ
16 યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી. 2 અને તેની સરહદ બેથેલથી, અટારોથમાં આર્કીઓની સરહદ સુધીની હતી; 3 અને પશ્ચિમ તરફ તે યાફલેટીઓની સીમાંથી છેક નીચલા બેથ-હોરોન અને ગેઝેર સુધી અને તે ભૂમધ્ય સમુદ્ર તરફ ચાલી.
4 મનાશ્શા અને એફ્રાઈમના લોકોને મનાશ્શા અને એફ્રાઈમ યૂસફના પુત્રો હતાં આ ભૂમિ મળી હતી.
5 એફ્રાઈમનાં કુટુંબીજનોને મળેલી ભૂમિ આ હતી; તેમની પૂર્વ દિશાની સરહદ આટારોથ-આદારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી. 6 ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી. 7 પછી યાનોઆહ નીચે ઊતરીને આટારોથ અને નાઅરાહ જતી હતી. ત્યાંથી યરીખો જઈ યર્દન આગળ પૂરી થતી હતી. 8 સરહદ કાનાહ નદીથી પશ્ચિમ તપ્પુઆહ ગઈ. અને સમુદ્ર પર પુરી થઈ. આ બધી ભૂમિ છે જે એફ્રાઈમ લોકોને આપવામાં આવી હતી. તે કુળસમૂહમાં દરેક કુટુંબને આ ભૂમિનો ભાગ મળ્યો. 9 એફ્રાઈમના ઘણા સરહદી નગરો મનાશ્શાની સરહદમાં હતાં, પણ એફ્રાઈમના લોકોને આ નગરો અને તેમની આજુબાજુના ખેતરો મળ્યા હતાં. 10 પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.
17 મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા. 2 મનાશ્શાનાં બાકીના કુળસમૂહના કુટુંબોને પણ પ્રદેશ ફાળવવામાં આવ્યા હતા: અબીએઝેર, હેલેક, આસ્રીએલ, શેખેમ, હેફેર અને શમીદા એ યૂસફના દીકરા મનાશ્શાના દીકરા હતા. તેઓ કુટુંબના વડા હતા.
3 મનાશ્શાના દીકરા માંખીરના દીકરા ગિલયાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદને દીકરો ન હતો. ફક્ત દીકરીઓ જ હતી, તેમનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ, અને તિર્સાહ હતાં. 4 તેઓ યાજક એલઆજાર, નૂનના દીકરા યહોશુઆને આગેવાનો પાસે આવ્યા અને તેણે કહ્યું, “યહોવાએ મૂસાને હુકમ કર્યો હતો કે આપણા પુરુષ સબંધીઓની જેમ અમને પણ પ્રદેશ આપવો.” તેથી યહોશુઆ દેવને અનુસર્યો અને તેમના કાકાઓના ભાગની જેમ તેમને થોડી ભૂમિ આપી.
5 આમ મનાશ્શાના કુળસમુહને ભાગે યર્દન નદીને સામે કાંઠે આવેલાં ગિલયાદ અને બાશાનની ભૂમિ ઉપરાંત ભૂમિના દશ ભાગ મળ્યા. 6 જ્યારે, મનાશ્શાની દીકરીઓને પણ પુરુષ વંશજોની સાથે ભૂમિ મળી હતી. ગિલયાદની ભૂમિ મનાશ્શાના બાકીના કુટુંબોને આપવામાં આવી હતી.
7 મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ શખેમની પૂર્વે મિખ્મથાથ સુધી જતી હતી. પછી તે દક્ષિણમાં એન-તાપ્પૂઆહ લોકો સુધી જતી હતી. 8 તાપ્પૂઆહનો પ્રદેશ મનાશ્શાની માંલિકીનો હતો. પણ તાપ્પૂઆહ પોતે મનાશ્શાની સરહદ ઉપર આવેલું હતું અને તેના માંલિક એફ્રાઈમના વંશજો હતા. 9 ત્યારબાદ સરહદ કાનાહની ખીણ દક્ષિણ સુધી પહોંચી ગઈ. ખીણની દક્ષિણે આવેલા આ શહેરો મનાશ્શાના પ્રદેશમાં આવેલાં શહેરો વચ્ચે હોવા છતાં એફ્રાઈમના હતા. પરંતુ એફ્રાઈમની સરહદ ખીણની ઉત્તરે હતી અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થતી હતી. 10 દક્ષિણ તરફની ભૂમિ એફ્રાઈમની હતી અને ઉત્તર તરફની ભૂમિ મનાશ્શાની હતી. અને ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ચિમી સરહદ હતી, સરહદ ઉત્તરમાં આશેરની ભૂમિને અને પૂર્વમાં ઈસ્સાખારના પ્રદેશને અડતી હતી.
11 મનાશ્શાના લોકોને ઈસ્સાખાર અને આશેરનાં ક્ષેત્રોમાં પણ શહેરો હતાં. આ શહેરોનો પણ તેમાં સમાંવેશ થતો હતો: બેથ-શેઆન અને તેના નજીકના શહેરો, યિબ્લઆમ અને તની નજીકના શહેરો, દોર અને તેનાં નજીકના શહેરો, એનદોર અને તાઅનાખ, મગિદોના નગરો અને તેમના નજીકના શહેરો. તેઓ મનાશ્શાના કુળ દ્વારા શાષિત હતાં. તેઓ નફોટાના ત્રણ શહેરોમાં પણ રહ્યાં. 12 મનાશ્શાના લોકો આ શહેરોની માંલિકી મેળવી શક્યા નહિ, તેથી કનાનીઓ ત્યાં રહ્યાં. 13 જ્યારે ઇસ્રાએલીઓ બળવાન થયા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી ન કાઢયા પણ તેમને ચાકરો બનાવ્યા.
14 યૂસફના બે પુત્રોએ યહોશુઆ પાસે જઈને કહ્યું, “જ્યારે યહોવાએ અમને મોટી વસ્તી આપીને આશીર્વાદિત કર્યા છે પછી તેં અમને ભૂમિનો એક જ ભાગ કેમ આપ્યો છે?”
15 યહોશુઆએ જવાબ આપ્યો, “જો એફ્રાઈમનો પર્વતીય પ્રદેશ તમે બધા મોટી સંખ્યામાં હો, ને તે પૂરતો ના હોય, તો તમે જો શક્તિમાંન હો તો પરિઝઝીઓ અને રફાઈઓ રહે છે તે જંગલોને કાપી નાખીને જગ્યા કરો.”
16 યૂસફના લોકોએ કહ્યું, “ડુંગરાળ દેશ અમાંરા માંટે પૂરતો નથી, પણ કનાનીઓ જે સપાટ પ્રદેશમાં રહે છે, તેમની પાસે લોખંડના રથો છે. કનાનીઓ બેથશેઆન અને તેના નજીકના શહેરો અને યિઝ્એલ ખીણના ક્ષેત્રમાં રહેતાં.”
17 યહોશુઆએ યૂસફના લોકો મનાશ્શા અને એફ્રાઈમના કુટુંબના લોકોને કહ્યું, “તમે બધા મોટી સંખ્યાંમાં છો અને બહુ શક્તિશાળી છો, તેથી તમને એક કરતા વધુ જમીનનો ભાગ મળવો જોઈએ.” 18 પણ તમને ડુંગરાળ પ્રદેશ મળશે, એ જંગલથી છવાયેલો છે, પણ તમે એને કાપીને જગ્યા લેજો. એના એક છેડેથી બીજા છેડા સુધી એ પ્રદેશ તમાંરો થશે. કનાનીઓ પાસે લોખંડના રથો છે, તેઓ બહુ શક્તિશાળી છે છતાંપણ મને ખાતરી છે કે તમે તેઓને ખીણમાંથી બહાર કાઢી શકશો.
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
8 યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. 2 અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.
3 “અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે.
પાપ અને સજા
4 “તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે.
“‘કોઇ પડી જાય છે
તો પાછો ઊભો થાય છે.
કોઇ રસ્તો ભૂલે છે
તો પાછો ભૂલ સમજાતા સાચે રસ્તે પાછો ફરે છે.
5 તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો
તો પાછા કેમ નથી ફરતા?
તમે તમારી ભ્રામક મૂર્તિઓને વળગી રહો છો
અને પાછા આવવાની ના પાડો છો.
6 મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે,
પણ કોઇ સાચું બોલતું નથી,
કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી,
કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?”
જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે,
તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે.
7 આકાશમાં ઊડતો બગલો
પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે,
તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ જાણે છે,
પ્રતિવર્ષ તેઓ સર્વ યહોવાએ તેમના માટે
નિર્ધારિત કરેલા સમયે પાછા ફરે છે;
પરંતુ મારા લોકોને યહોવાના નિયમનું ભાન નથી.
8 “‘તમે એવું શી રીતે કહી શકો કે, “અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે.”
શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!
9 “શાણા માણસો” લજ્જિત થશે, તેઓ ડરી જશે
અને તેમના કામો ઉઘાડા પડી જશે.
નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા.
તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે?
10 હું તેમની પર દુકાળ, તરવાર
અને બીમારી મોકલી દઇશ.
હું તેમની પર ત્યાં સુધી હુમલો કરીશ જ્યા સુધી તે મરી નહિ જાય,
ત્યારે તેઓ આ ભૂમિ પર સદાને માટે નહી રહે.
જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.
11 તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય
એમ ઉપચાર કરે છે.
તેઓ કહે છે કે, “બરાબર છે, બધું બરાબર છે.”
પણ લગારે બરાબર નથી.
12 મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે?
ના, તેઓને સહેજે શરમ લાગતી નથી;
વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી!
તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે.
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.’”
આ યહોવાના વચન છે.
13 યહોવા કહે છે કે, “‘હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ;
વળી દ્રાક્ષાવેલા પર કઇં દ્રાક્ષો થશે નહિ,
ને અંજીરીને અંજીર લાગશે નહિ,
ને પાંદડા ચીમળાશે;
મેં તેઓને જે કઇં આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.’”
આ યહોવાના વચન છે.
14 પછી યહોવાના લોકો કહેશે, “‘અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ?
આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ
અને ત્યાં મૃત્યુ પામીએ,
કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે
અને આપણા સર્વ પાપોને
કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે.
15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી,
પરંતુ કઇં શાંતિ થઇ નહિ,
આપણે કુશળ સમયની રાહ જોઇ હતી,
પરંતુ તેના બદલે ભય આવી પડ્યો.
16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે.
દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે;
ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે,
તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે,
એ લોકો આખો પ્રદેશ
અને એમનું સર્વસ્વ,
શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.’”
17 યહોવા કહે છે, “સાવધાન! હવે હું તમારા પર સર્પો
અને નાગો મોકલું છું,
એવા કે જેને કોઇ મંત્રથી વશ ન કરી શકે,
તે તમને કરડશે.”
18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.
19 સાંભળ! દુર સુધી દેશમાં
મારા લોકોની ચીસ સંભળાય છે,
તેઓ કહે છે, “યહોવા હવે સિયોનમાં નથી?
સિયોનના રાજાઓનો રાજા એમાં વસતો નથી?”
યહોવાએ પ્રત્યુત્તર આપ્યો,
“તમારી કોતરેલી મૂર્તિઓની પૂજા કરીને
અને તમારા વિદેશી દેવો દ્વારા શા
માટે મને ક્રોધિત કર્યો છે?”
20 લોકો કહે છે,
“કાપણી પૂરી થઇ છે,
ઉનાળો વિતી ગયો છે,
પણ આપણું તારણ ન થયું.”
21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે,
હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.
22 શું હવે ગિલયાદમાં દવા નથી?
ત્યાં કોઇ વૈદ્ય નથી?
તો પછી મારા લોકોના ઘા રુઝાતા કેમ નથી?
ભોજન માટે નિમંત્રણ આપેલ લોકો વિષે વાર્તા
(લૂ. 14:15-24)
22 ઈસુએ લોકોને સમજાવવા માટે બીજી દૃષ્ટાંત વાર્તાઓ કહીં: 2 “આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય. 3 રાજાએ કેટલાક માણસોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભોજન તૈયાર થયું એટલે રાજાએ જમવા માટે લોકોને બોલાવવા તેના નોકરોને મોકલ્યા પણ લોકોએ રાજાના સમારંભમાં આવવાની ના પાડી.
4 “પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા, રાજાએ નોકરોને કહ્યું, ‘જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે. મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે. બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો.’
5 “નોકરો ગયા અને લોકોને ભોજન માટે આવવાનું કહ્યું, પણ લોકોએ નોકરોને સાંભળવાની ના પાડી દીઘી, તેઓ પોતાના બીજા કામે ચાલ્યા ગયા. એક પોતાના ખેતરમાં કામ કરવા ચાલ્યો ગયો. જ્યારે બીજો પોતાના ધંધા પર ચાલ્યો ગચો. 6 થોડા બીજાઓએ નોકરોને પકડ્યા, તેમને માર્યા અને મારી નાંખ્યા. 7 રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું. તેઓએ પેલા લોકોને મારી નાખ્યા. અને તેમના શહેરને બાળી નાખ્યું.
8 “પછી, રાજાએ તેના નોકરોને કહ્યું, ‘લગ્નો ભોજનસમારંભ તૈયાર છે, મેં જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેઓ ભોજનસમારંભમાં આવવા માટે યોગ્ય ન હતા. 9 તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો.’ 10 તેથી નોકરો શેરીઓમાં ગયા. તેઓને જે લોકો મળ્યા તે દરેક સારા નરસા માણસોને લગ્નના ભોજન સમારંભમાં બોલાવી લાવ્યા. આખો ભોજનખંડ માણસોથી ભરાઈ ગયો.
11 “પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં. 12 રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ. 13 એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’
14 “કેમકે આમંત્રિતો ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે.”
ઈસુને પકડવાની કેટલાંક યહૂદિ આગેવાનોની ચાલ
(માર્ક 12:13-17; લૂ. 20:20-26)
15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ. 16 તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે. 17 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”
18 ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો? 19 તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો. 20 પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?”
21 પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”
એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”
22 ઈસુની વાત સાંભળી બધા અચરત પામ્યા, અને ઈસુને છોડી ત્યાંથી ચાલ્યા ગયા.
ઈસુને પકડવાની કેટલાંક સદૂકીઓની ચાલ
(માર્ક 12:18-27; લૂ. 20:27-40)
23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું. 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. 25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો. 26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું. 27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?”
29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી. 30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય. 31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે? 32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(A) પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.”
33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા.
સહુથી મોટી આજ્ઞા કઈ છે?
(માર્ક 12:28-34; લૂ. 10:25-28)
34 ફરોશીઓએ જાણ્યું કે ઈસુએ પોતાના ઉત્તરથી સદૂકીઓને બોલતા બંધ કરી દીઘા તેથી તેઓ એકત્ર થયા. 35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો. 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?”
37 ઈસુએ ઉત્તર આપ્યો, “‘પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’(B) 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’(C) 40 આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના લખાણોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે. આ બે આજ્ઞાઓને પાળશો તો તમે બીજી સર્વ આજ્ઞાઓ પાળશો.”
ઈસુનો ફરોશીઓને પ્રશ્ર
(માર્ક 12:35-37; લૂ. 20:41-44)
41 જ્યારે બધા ફરોશીઓ ભેગા થયા હતા ત્યારે, ઈસુએ તેઓને પ્રશ્ન પૂછયો. 42 ઈસુએ કહ્યું, “મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?”
તેઓએ ઉત્તર આપ્યો, “તે દાઉદનો દીકરો છે.”
43 ઈસુએ તેઓને ફરીથી પ્રશ્ન કર્યો, “તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદ તેને ‘પ્રભુ’ કેમ કહે છે.
44 ‘પ્રભુએ (દેવે) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે:
જ્યાં સુધી તારા શત્રુંઓ તારા નિયંત્રણ હેઠળ છે;
ત્યાં સુધી તું મારી જમણી બાજુ બેસ.’(D)
45 દાઉદે તેને ખ્રિસ્ત પ્રભુ કહ્યો તો એ તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?”
46 ઉત્તરમાં કોઈ કશું જ બોલી શક્યા નહિ. તે સમય પછી તેઓએ બીજા પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International