Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ન્યાયાધીશો 1

યહૂદાના લોકોએ કનાનીઓથી યુદ્ધ કર્યુ

યહોશુઆના અવસાન પછી ઈસ્રાએલીઓ યહોવા પાસે તેની ઇચ્છાજાણવા ગયા, તેઓએ યહોવાને પૂછયું, “અમાંરામાંથી કયું કુળસમૂહ કનાનીઓ ઉપર પ્રથમ યુદ્ધ કરે?”

યહોવાએ કહ્યું, “સૌથી પહેલા યહૂદા કુળસમૂહ હુમલો કરે. હું તેઓને તે પ્રદેશ પર વિજય અપાવીશ.”

યહૂદાના લોકોએ પોતાના ભાઈઓ શિમયોનના કુળસમૂહના લોકોને કહ્યું, “તમે અમાંરા ભાગના પ્રદેશમાં અમાંરી સાથે આવો અને આપણે કનાનીઓ ઉપર આક્રમણ કરીએ. ત્યારબાદ અમે પણ તમાંરા ભાગના પ્રદેશમાં આવીશું.” તેથી શિમયોનના લોકો યહૂદાના લોકો સાથે ગયા.

પછી તેઓએ આક્રમણ કર્યુ, અને યહોવાએ કનાનીઓ અને પરિઝઝીઓને હરાવવામાં તેઓને મદદ કરી. તેઓએ બેઝેકમાં 10,000ના સૈન્યનો સંહાર કર્યો. બેઝેકમાં રાજા અદોનીબેઝેકનો ભેટો થતાઁ તેની સામે લડયા અને કનાનીઓ તથા પરિઝઝીઓને હરાવ્યા.

અદોનીબેઝેક ભાગી છૂટયો, પણ તે લોકોએ તેનો પીછો કરી તેને કેદ કર્યો. અને તેઓએ તેના અંગૂઠા અને તેની મોટી આંગળીઓ કાપી નાખી. અદોનીબેઝેકે કહ્યું, “મેં આ જ રીતે 70 રાજાઓના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હતાં, ને તે બધા રાજાઓ માંરા ભાણામાંથી મેજ નીચે પડેલા ટુકડાઓ વીણી ખાતા હતા. તેવા જ હાલ દેવે માંરા કર્યા.” તેઓ તેને યરૂશાલેમ લઈ ગયા અને ત્યાં જ તેનું અવસાન થયું.

યહૂદાના લોકોએ યરૂશાલેમ ઉપર આક્રમણ કરીને તેને કબજે કર્યુ. તે લોકોએ ત્યાંના વતનીઓનો પોતાની તરવારો દ્વારા સંહાર કર્યો અને નગરને આગ ચાંપી. તે પછી યહૂદાના લોકો પર્વતીય પ્રદેશ, દક્ષિણી નેગેબ અને પશ્ચિમી પર્વતીય ટેકરીઓ તરફ ગયા. તે વિસ્તારમાં રહેતા કનાનીઓ સાથે તેઓ લડયાં.

10 પછી તે લોકોએ હેબ્રોનના કનાનીઓ ઉપર હુમલો કર્યો. (એ શહેરનું નામ પહેલાં “કિર્યાથ-આર્બા” હતું.) ત્યાં તેમણે શેશાય, અહીમાંન અને તાલ્માંય કુટુંબ સમૂહોને હરાવ્યા.

કાલેબ અને તેની પુત્રી

11 ત્યારબાદ તેઓએ દબીરના વતનીઓ ઉપર હુમલો કર્યો. (પહેલાં દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.) 12 કાલેબે વચન આપતાં કહ્યું, “જે કોઈ કિયાર્થ-સેફેર ઉપર હુમલો કરીને તેને કબજે કરશે તેને હું માંરી પુત્રી આખ્સાહ પરણાવીશ.”

13 કાલેબના નાના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે તે નગરનો કબજો મેળવ્યો, એટલે કાલેબે પોતાની પુત્રી આખ્સાહ સાથે તેના લગ્ન કર્યા.

14 જ્યારે તેઓ પરણીને પોતાને નવા ઘરે જવા નીકળ્યા ત્યારે આખ્સાહને ઓથ્નીએલ તેના પિતા પાસે એક ખેતર માંગવા સમજાવી, એટલે તે ગધેડા પરથી ઊતરી તેના પિતા પાસે ગઈ એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”

15 એટલે તેણે કહ્યું, “પિતાજી, તમે મને આશીર્વાદ આપો, તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો છે, તો મને જ્યાં પાણીનાં કુદરતી ઝરણા હોય એવી જમીન આપો,” તેથી કાલેબે તેને પ્રદેશના ઉપરનાં અને નીચેનાં પાણીના ઝરણાંઓ આપ્યાં.

16 કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.

17 ત્યારબાદ યહૂદાના લોકો અને શિમયોનના કુળસમૂહના લોકો તેના ભાઈઓ સાથે જઈને સફાથમાં વસતા કનાનીઓ જેઓ યહૂદામાં રહેતાં હતાં તેમની ઉપર હુમલો કર્યો અને શહેરનો નાશ કર્યો, આથી એ શહેરનું નામ હોર્માંહ પડયું.

18 યહૂદાના લોકોએ ગાઝા, આશ્કલોન, એક્રોન અને તેની આસપાસનો પ્રદેશ કબજે કર્યો.

19 અને યહોવા, યહૂદાના લોકોની સાથે હતાં તેઓએ પર્વતીય પ્રદેશ કબજે કરી લીધો. પરંતુ તેઓ પાસે લોખંડના રથ નહિ હોવાથી નીચાણના દેશની પ્રજાને તેઓ કાઢી શક્યા નહિ.

20 મૂસાના વચન મુજબ હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું! અને તેણે અનાકના ત્રણ પુત્રોને ત્યાંથી હાંકી કાઢયા.

21 પરંતુ બિન્યામીનના કુળસમૂહના લોકો યરૂશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢવામાં નિષ્ફળ ગયા, તેથી આજે પણ[a] યબૂસીઓ બિન્યામીનનાં વંશજો સાથે યરૂશાલેમમાં વસે છે.

યૂસફના લોકોનો બેથેલ પર કબજો

22 યોસેફના કુળસમૂહના લોકોએ બેથેલ ઉપર હુમલો કર્યો ત્યારે યહોવા તેમની સાથે હતાં. 23 તેઓએ બેથેલમાં પહેલાં જાસૂસો મોકલ્યા. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું. 24 જાસૂસોએ એક માંણસને નગરમાંથી બહાર નીકળતા જોયો એટલે તેને પકડયો અને પૂછયું, “તું જો અમને નગરમાં પ્રવેશવાનો રસ્તો બતાવીશ તો અમે તારા પર કૃપા રાખીશું.”

25 તેથી તેણે નગરમાં પ્રવેશ કરવા માંટેનો રસ્તો બતાવ્યો. અને તેમણે નગરના બધા વતનીઓનો પોતાની તરવારથી સંહાર કર્યો, પરંતુ પેલા માંણસને તેના પરિવાર સાથે જીવતો જવા દીધો. 26 તે માંણસ પાછળથી હિત્તીઓના પ્રદેશમાં ચાલ્યો ગયો અને ત્યાં તેણે એક નગર વસાવ્યું અને તેનું નામ લૂઝ રાખ્યું. આજે પણ તે શહેર એ જ નામે ઓળખાય છે.

અન્ય કુળસમૂહો કનાનીઓથી લડયાં

27 મનાશ્શાના કુળસમૂહના લોકોએ બેથશેઆન, તાઅનાખ, દોર, યિબ્લઆમ, મગિદોના એ શહેરો અને તેમની આજુબાજુના ગામડાંઓમાં વસતા લોકોને હાંકી કાઢયા નહિ; એ પ્રદેશમાં કનાનીઓનો પગદંડો ચાલુ રાખ્યો. 28 પાછળથી જ્યારે ઈસ્રાએલીઓ બળવાન થયા ત્યારે તેમણે કનાનીઓ પાસે ગુલામોની જેમ કામ કરાવ્યું પણ તેઓને હાંકી કાઢયા નહિ.

29 એફ્રાઈમના કુળસમૂહના લોકોએ ગેઝેરમાં વસતા કનાનીઓને હાંકી કાઢયા નહી, આથી કનાનીઓએ તેમની સાથે ગેઝેરમાં રહેવાનું શરૂ કર્યુ.

30 ઝબુલોનના કુળસમૂહના લોકોએ કિટ્રોન, નાહલોલના વતનીઓને હાંકી ન કાઢયા. કનાનીઓ તેઓની ભેગાજ રહ્યાં અને તેમના ગુલામો તરીકે મજૂરી કરવા લાગ્યા.

31 આશેરના કુળસમૂહના લોકોએ આક્કો, સિદોન, અહલાબ, આખ્ઝીબ, હેલ્બાહ, અફીક અને રહોબના વતનીઓને હાંકી ન કાઢયા. 32 આશેરના વંશજો ત્યાંના કનાનીઓ ભેગા જ રહેવા લાગ્યા; કારણ, તેમણે તે લોકોને હાંકી કાઢયા નહોતા.

33 નફતાલી કુળસમૂહના લોકોએ બેથશેમેશ અને બેથઅનાથના વતનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેઓ તે શહેરોના કનાની વતનીઓ ભેગા જ રહેવા લાગ્યા. આ કનાનીઓએ તેમના માંટે ગુલામો તરીકે કામ કર્યુ.

34 અમોરીઓએ દાનના કુળસમૂહના લોકોને પહાડી પ્રદેશમાં વસવા માંટે દબાણ કર્યુ અને તે લોકોને નીચે ખીણપ્રદેશમાં આવવા દીધા નહિ. 35 અમોરીઓ આયાલોનમાં આવેલા હેરેસના પર્વતમાં, અને શાઆલ્બીમમાં રહેવા ઈચ્છતા હતા, જ્યારે યૂસફનું કુળસમૂહ વધારે મજબૂત બની ગયું, ત્યારે તેઓએ અમોરીઓને ગુલામ બનાવી દીધા. 36 અદોમીઓની સરહદ આક્રાબ્બીમના ઘાટથી શરુ થઈ સેલામાંથી પસાર થઈને આગળ જતી હતી.

પ્રેરિતોનાં કૃત્યો 5

અનાન્યા તથા સફિરા

અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી. પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.

પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો? તેં ખેતર વેચ્યું તે પહેલાં તે તારું હતું અને તે વેચ્યા પછી પણ તેં તારી ઈચ્છાનુસાર તે પૈસાનો કોઇ રીતે ઉપયોગ કર્યો હોત. તેં શા માટે આ ખરાબ કરવાનું વિચાર્યુ છે? તું દેવ સમક્ષ જૂઠું બોલ્યો છે, માણસો સમક્ષ નહિ!”

5-6 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.

ત્રણેક કલાફ પછી તેની પત્ની અંદર આવી. સફિરા તેના પતિનું જે કંઈ થયું એ અંગે કશું જાણતી નહોતી. પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”

સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”

પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.” 10 તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી. 11 બધા જ વિશ્વાસીઓ અને બીજા બધા લોકો જેમણે આ વિષે સાંભળ્યું તે બધા ભયભીત થઈ ગયા.

દેવ તરફથી સાબિતી

12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો. 13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા. 14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા. 15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે. તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે. 16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.

યહૂદિઓનો પ્રેરિતોને અટકાવવાનો પ્રયત્ન

17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ. 18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા. 19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું, 20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.” 21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો.

પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા. 22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી. 23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!” 24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”

25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!” 26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.

27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો. 28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”

29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ. 30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે. 31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે. 32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”

33 યહૂદિ આગેવાનોએ આ શબ્દો સાંભળ્યા. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પ્રેરિતોને મારી નાંખવા માટે યોજના કરવા માંડી. 34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું. 35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો. 36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ. 37 તે પછી, ગાલીલમાંથી યહૂદા નામનો માણસ આવ્યો. વસતિ ગણતરીનો સમય હતો ત્યારે તે બન્યું. તે શિષ્યોના એક સમૂહને દોરતો હતો. પરંતુ તે પણ માર્યો ગયો. અને તેના બધા શિષ્યો વિખેરાઈને નાસી ગયા. 38 અને તેથી હવે, હું તમને કહું છું, આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે. 39 પણ જો આ યોજના દેવ નિર્મિત હશે, તો તમે કોઇ તેઓને અટકાવી શકવાના નથી. ઊલટું તમે દેવની સાથે લડનારા મનાશો!”

ગમાલ્યેલે જે કહ્યું તે સાથે યહૂદિ આગેવાનો સંમત થયા. 40 તેઓએ પ્રેરિતોને ફરીથી અંદર બોલાવ્યા. પ્રેરિતોને માર્યા અને ઈસુ વિષે ફરીથી લોકોને નહિ કહેવા તેઓને કહ્યું. પછી તેઓએ પ્રેરિતોને મુક્ત કર્યા. 41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં. પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા. 42 પ્રેરિતોએ લોકોને બોધ આપવાનું બંધ કર્યુ નહિ. પ્રેરિતોએ લોકોને ઈસુ એ જ ખ્રિસ્ત છે એ સુવાર્તા કહેવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રતિદિન મંદિરમાં પરસાળમાં અને લોકોને ઘરે આમ કહેતા.

યર્મિયા 14

મહાદુકાળ અને જૂઠા પ્રબોધકો

14 યહોવા શા માટે વરસાદને રોકી રાખતા હતાં તે સમજાવતો આ વચન, યહોવા તરફથી યર્મિયા પાસે આવ્યું:

“યહૂદિયા શોકમાં છે,
    તેનાં નગરો મરવા પડ્યા છે,
તેનાં માણસો દુ:ખના માર્યા ભૂમિ પર ઢળી પડ્યા છે.
    યરૂશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.
ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા
    માટે ટાંકા પાસે મોકલે છે,
    પણ તેમાં પાણી હોતું નથી.
તેઓ ખાલી ઘડા લઇને પાછા ફરે છે;
    ચાકરો સંતાપથી અને હતાશ થઇનેં દુ:ખને કારણે
    પોતાનાં માથાં ઢાંકે છે.
વરસાદ વિના ધરતી સુકાઇ ગઇ છે.
    અને તેમાં તિરાડો પડી છે.
ખેડૂતો હેબતાઇ ગયા છે.
    તેઓ પોતાનાં ચેહરા છુપાવે છે.
ઘાસની અછતને કારણે હરણી
    પણ પોતાનાં તાજાં જન્મેલા બચ્ચાંનો ત્યાગ કરે છે.
જંગલી ગધેડાં ઉજ્જડ ટેકરા પર ઊભાં ઊભાં શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે.
    તેમની આંખે જાંખ વળે છે
અને અંધારા આવે છે. કારણ કે,
    તેઓને ખાવા માટે ઘાસ નથી.”

લોકો કહે છે, “અમારા પાપો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે,
    તેમ છતાં, હે યહોવા,
    તારા નામ ખાતર કઇંક કર;
અમે અનેકવાર તારો ત્યાગ કર્યો છે,
    અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે.
હે યહોવા, ઇસ્રાએલની એક માત્ર આશા,
    સંકટ સમયના તારણહાર,
તું અમારા દેશમાં પારકા જેવો કેમ છે?
    એક રાત માટે મુકામ કરતા વટેમાર્ગુ જેવો કેમ થઇ ગયો છે?
તમે પણ શું મૂંઝવણમાં છો?
    અમારો બચાવ કરવા શું તમે નિ:સહાય છો?
હે યહોવા, તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારું નામ ધારણ કરીએ છીએ;
    અમે તમારા લોક છીએ. હે યહોવા, હવે અમારો ત્યાગ કરશો નહિ!”

10 યહોવા આ લોકો વિષે કહે છે, “એ લોકોને ભટકવામાં એટલો આનંદ આવે છે કે, તેઓ પોતાના પગને કાબૂમાં રાખી શકતાં નથી; આથી હું એમના પર પ્રસન્ન નથી. હું હમણા તેમના અપરાધો, ને તેમનાં પાપોની સજા કરનાર છું.”

11 ત્યારબાદ યહોવાએ મને કહ્યું, “મને આ લોકોને મદદ કરવાનું કહેવા માટે થઇને મારી પ્રાર્થના કરીશ નહિ. 12 એ લોકો ઉપવાસ કરશે તોયે, હું એમની પ્રાર્થના સાંભળનાર નથી. તેઓ મને દહનાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે તોયે, હું પ્રસન્ન થનાર નથી. હું તેમનો યુદ્ધ દુકાળ, અને રોગચાળાથી અંત લાવીશ.”

13 પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.’”

14 ત્યારે યહોવાએ કહ્યું, “પ્રબોધકો મારે નામે જૂઠાણું ચલાવે છે. મેં એમને મોકલ્યા નથી, મેં એમને કોઇ આજ્ઞા આપી નથી. તે પ્રબોધકો તમને ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાનાં ભ્રામક દિવ્યસ્વપ્નો સંભળાવે છે. 15 તેથી યહોવા કહે છે, મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે ભવિષ્ય ભાખે છે અને કહે છે કે, ‘આ દેશમાં યુદ્ધ થાય કે દુકાળ પડે એમ નથી.’ તેમના સંબંધમાં મારાં વચન આ પ્રમાણે છે: એ પ્રબોધકો તરવાર અને દુકાળનો ભોગ બનશે. 16 જે લોકોને પ્રબોધકો ભવિષ્યવાણી સંભળાવે છે, તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ સહિત તરવાર અને દુકાળના ભોગ બની તેઓ યરૂશાલેમના રસ્તાઓ પર ફેંકાઇ જશે. કોઇ તેમને દફનાવનાર પણ નહિ હોય. હું તેમને દુષ્ટતાના ફળ ચખાડીશ.”

17 યહોવાએ મને કહ્યું,

“તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું;
‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો,
    કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.
18 જો હું ખેતરોમાં જાઉં છું,
    તો યુદ્ધમાં તરવારથી માર્યા ગયેલાઓનાં મૃતદેહો ત્યાં પડ્યા છે;
જો હું શહેરમાં જાઉં છું,
    તો ત્યાં લોકોને દુકાળથી પીડાતાં જોઉં છું.
પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે.
    શું કરવું તે તેમને સૂઝતું નથી!’”

19 લોકો કહે છે, “હે યહોવા, શું તમે યહૂદિયાને
    સંપૂર્ણ પણે તજી દીધું છે?
શું તમે યરૂશાલેમને ધિક્કારો છો?
    શું શિક્ષા પછી પણ ત્યાં શાંતિ નહિ સ્થપાય?
તે અમને સાજાપણું આપશે તથા અમારા ઘા પર
    પાટા બાંધશે એવું અમે માનતા હતા.
પરંતુ શાંતિ સ્થપાઇ નહિ અને સર્વત્ર ફકત સંકટ
    અને ત્રાસ જ જોવા મળે છે.
20 હે યહોવા, અમે અમારી દુષ્ટતા
    અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ;
    અમે પોતે પણ તારી વિરુદ્ધ પાપો આચર્યા છે.
21 તારા નામની ખાતર અમારો ત્યાગ ના કરીશ,
    તારા ગૌરવ પ્રતાપી સિંહાસન યરૂશાલેમને બેઆબરૂ ના કરીશ.
અમારી સાથેના તારા કરારનું સ્મરણ કર,
    તેનો ભંગ કરીશ નહિ.
22 બીજી પ્રજાઓમાંના જૂઠા દેવોમાંથી કયો વિદેશી દેવ વરસાદ લાવી શકે?
    અથવા આકાશ પોતાની જાતે ઝાપટાં વરસાવી શકે,
હે યહોવા, અમારા દેવ, માત્ર તમે જ તેમ કરી શકો છો.
    તેથી મદદ માટે અમે તમારી જ આશા રાખીશું.”

માથ્થી 28

ઈસુ મરણમાંથી સજીવન થયાના સમાચાર

(માર્ક 16:1-8; લૂ. 24:1-12; યોહ. 20:1-10)

28 વિશ્રામવાર[a] પૂર્ણ થયા પછી અઠવાડિયાના પ્રથમ દિવસની વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબર તરફ નજર કરવા આવી.

તે સમયે ત્યાં ભયંકર ધરતીકંપ થયો અને પ્રભુનો એક દૂત આકાશમાંથી ઉતર્યો અને કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર ગબડાવી તેના ઉપર બેઠો. તેનો ચહેરો વીજળી જેવો ચમકતો હતો. અને તેનાં કપડાં બરફ જેવાં ઉજળાં હતાં. જે સિપાઈઓ કબરનો પહેરો ભરી રહ્યાં હતા તે ભયના માર્યા કાંપવા લાગ્યા અને જાણે મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

પછી દૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ, હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુની તમે શોધમાં નીકળ્યા છો. પણ ઈસુ અહીં નથી, તેણે કહ્યું હતું તે પ્રમાણે તે ઊઠયો છે, આવો, તેનું શરીર જ્યાં પડ્યું હતું તે જગ્યા જુઓ. અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો. મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો.’” પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.”

સ્ત્રીઓ તરત જ કબર પાસેથી પાછી વળી. તેઓનાં હૃદય ભય અને આનંદની લાગણી અનુભવતાં હતાં. તેના શિષ્યોને જે કાંઈ બન્યું તેનો સંદેશો આપવા દોડી ગઈ. તેઓ દોડતી જતી હતી, એવામાં તેઓએ ઈસુને ઉભેલો જોયો. ઈસુએ તેઓને કુશળતા પાઠવી. તેઓએ ઈસુના પગ પકડી તેનું ભજન કર્યુ. 10 પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.”

યહૂદિ આગેવાનોને ઘટનાની જાણ

11 સ્ત્રીઓ શિષ્યોને માહિતી આપવા જતી હતી ત્યારે કબરની ચોકી કરનારા સૈનિકોએ શહેરમાં મુખ્ય યાજકો પાસે જઈને જે કાંઈ બન્યું હતું તે બધું જે તેમને કહ્યું. 12 યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવી. અને સૈનિકોને મોટી લાંચ આપી. 13 તેઓએ સૈનિકોને કહ્યું, “લોકોને જઈને કહો કે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો રાત્રે આવી ઈસુના શબને ચોરીને જતા રહ્યાં. 14 તમારી આ વાત હાકેમ જાણશે તો અમે તેને સમજાવીશું, અને તમને કશુંજ નહિ થવા દઈએ.” 15 સૈનિકોએ પૈસા લઈ લીધા અને તેઓને સમજાવ્યા પ્રમાણે વાત વહેતી મૂકી. આ વાત યહૂદિઓમાં ફેલાઈ ગઈ અને આજે પણ એ વાત યહૂદિઓમાં ચાલતી આવે છે.

ઈસુની પોતાના શિષ્યો સાથે વાતચીત

(માર્ક 16:14-18; લૂ. 24:36-49; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)

16 પછી અગિયાર શિષ્યો ગાલીલ પહોંચ્યા અને ઈસુએ કહ્યું હતું ત્યાં પહાડ પર પહોંચી ગયા. 17 તેઓએ જ્યારે ઈસુને જોયો ત્યારે તેનું ભજન કર્યુ. પણ તે ખરેખર ઈસુ હતો કે કેમ? તે બાબતની કેટલાકને શંકા થઈ. 18 ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું, “આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. 19 તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો. 20 મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International