Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ન્યાયાધીશો 21

બિન્યામીનીઓ માંટે પત્નીઓ પ્રાપ્ત કરવી

21 ઈસ્રાએલીઓએ મિસ્પાહમાં પ્રતિજ્ઞા લીધી કે; “તેઓમાંથી કોઈ પણ પોતાની પુત્રી બિન્યામીની કુળસમૂહમાં પરણાવશે નહિ.”

હવે ઈસ્રાએલીઓ બેથેલમાં સાથે મળ્યા અને દેવ સમક્ષ, સાંજ સુધી મોટેથી રડ્યા, અને મોટા સાદે કહેવા લાગ્યા: “ઓ ઈસ્રાએલના દેવ યહોવા, આજે ઈસ્રાએલના પોતાના એક કુળસમૂહને ખોવાનું શાથી થયું?”

બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠ્યા અને ત્યાં એક વેદી બાંધી, દહનાર્પણ અને શાંત્યર્પણ તેના પર અર્પણ કર્યા. અને તેમણે એકબીજાની તપાસ કરી અને પૂછયું, “ઈસ્રાએલના બધા કુળસમૂહોમાંથી યહોવાની સમક્ષ કયું કુળસમૂહ હાજર નથી?” કારણ તેમણે મિસ્પાહમાં વચન આપ્યું હતું કે જે કોઈ પણ ઈસ્રાએલી યહોવાની સમક્ષ હાજર નહિ હોય તેનો વધ કરવામાં આવશે.

પોતાના ભાઈ બિન્યામીન કુળને ગુમાંવ્યાને લીધે સમગ્ર ઈસ્રાએલી પ્રજા ઊડું દુઃખ અનુભવતી હતી. તેઓ એક બીજાને કહેતા હતાં, સર્વનાશ થઈ ગયો, “આજે ઈસ્રાએલમાંથી એક કુળસમૂહ ભૂસાઈ ગયું. તેથી તેઓ વિચાર કરવા લાગ્યા કે, હવે જે બચ્ચા છે તેઓને માંટે પત્નીઓ મેળવવા આપણે શું કરીશું? કારણ કે યહોવાની સાક્ષીએ આપણે વચન આપ્યું છે કે, અમે અમાંરી પુત્રીઓ તેમને પણાવીશું નહિ.”

પછી તેઓએ કહ્યું, “ઈસ્રાએલના સર્વ કુળસમૂહોમાંથી કોણ મિસ્પાહમાં યહોવા સમક્ષ આવ્યું નહોતું?” પછી તેઓને જાણ થઈ યાબેશ ગિલયાદથી છાવણી પર અને મિસ્પાહની સભામાં કોઈ આવ્યું નહોતું. તેઓએ લોકોની ગણતરી કરી તો તેમને ખબર પડી કે યાબેશ-ગિલયાદથી કોઈ સભામાં ભાગ લેવા છાવણીમાં આવ્યું નહોતું. 10 આથી સભાએ પોતાના ઉત્તમ સૈનિકોમાંથી 12,000 ને યાબેશ-ગિલયાદના લોકોનો સ્ત્રીઓ અને બાળકોનો નાશ કરવા માંટે મોકલ્યા. 11 અને હુકમ કર્યો, “તમાંરે આમ કરવું જોઈએ; દરેક પુરુષ અને દરેક સ્ત્રી જેણે પણ પુરુષનો અનુભવ કર્યો હોય તે સૌને માંરી નાખો પરંતુ કુંવારી સ્ત્રીઓને માંરશો નહિ.” 12 તેઓને યાબેશ-ગિલયાદમાંથી 400 કુંવારી કન્યાઓ મળી, જેઓએ પુરુષ સાથે સંબંધ રાખ્યો નહોતો. અને તેઓને કનાનમાં શીલોહની છાવણીમાં લઈ આવ્યા.

13 ત્યાર પછી સભાના સમગ્ર લોકોએ બિન્યામીનના કુળસમૂહ જેઓ રિમ્મોનના કિલ્લા પર હતાં ત્યાં સંદેશવાહકને શાંતિ કરવા મોકલ્યો. 14 તેથી બિન્યામીનના કુળસમૂહ તે વખતે પાછા ફર્યા તેમને યાબેશ-ગિલયાદની જે સ્ત્રીઓને ઈસ્રાએલીઓએ માંરી નાખી હતી તે આપવામાં આવી, પણ તે સર્વ માંટે પત્નીઓ પૂરતા પ્રમાંણમાં નહોતી.

15 લોકો હજી બિન્યામીનીઓના કુળસમૂહ માંટે દુઃખી હતાં, કારણ કે યહોવાએ લગભગ ઈસ્રાએલીઓના આખા કુળસમહૂમાં ભંગાળ પાડયુ હતું. 16 ઈસ્રાએલના વડીલોએ ચર્ચા કરી. “બાકીના બિન્યામીનીઓને માંટે પત્ની મેળવવા આપણે શું કરીશું? બિન્યામીનીઓની બધી સ્ત્રીઓને તો માંરી નાખવામાં આવી છે. 17 તેઓ માંટે પત્નીઓ લાવવાનો કોઈક રસ્તો હોવો જોઈએ. ઈસ્રાએલી બિન્યામીનીઓનો વંશવેલો તો ચાલુ રાખવો જોઈએ. 18 ઈસ્રાએલની એક જાતિને ભૂંસાઈ જવા દેવાની નહોતી. પણ અમે અમાંરી પુત્રીઓ તેમને પરણાવી શકીએ તેમ નથી. કારણકે અમે પ્રતિજ્ઞા લીધી હતી: ‘જે કોઈ બિન્યામીનીઓને પુત્રી આપશે તેઓ શાપિત થશે.’ 19 તેઓએ કહ્યું, જુઓ, યહોવા માંટે બેથેલથી શખેમ જવાના મુખ્ય રસ્તાની પૂર્વ તરફ અને બેથેલની ઉપર તરફના નગરમાં અને દક્ષિણ લબોનાહમાં વાર્ષિક ધાર્મિક ઉત્સવ રાખવામાં આવ્યો.”

20 તેથી તેમણે બિન્યામીનીઓને કહ્યું, “જાઓ, જઈને દ્રાક્ષની વાડીઓમાં લાગ જોતા છુપાઈ રહેજો. 21 શીલોહની કન્યાઓ નૃત્ય કરવા માંટે બહાર આવે ત્યારે ત્યાં ધસી જઈને તેઓને પકડી લેજો અને તમાંરી પત્ની થવાને માંટે તમાંરી સાથે તમાંરી ઘેર લઈ જજો. 22 જો તેમના પિતા કે ભાઈ અમાંરી આગળ ફરિયાદ કરે તો અમે તેમને કહેશું, ‘મહેરબાની કરીને, તેમને આ સ્ત્રીઓ રાખવા દો. કારણકે, અમે યાબેશ ગિલયાદના યુદ્ધમાં તેઓ માંટે પૂરતા પ્રમાંણમાં સ્ત્રીઓ લીધી નથી; અને તમે તમાંરી પુત્રીઓ તેમને આપી નથી એટલે તમાંરે માંથે દોષ નહિ આવે.’”

23 બિન્યામીનીઓના કુળસમૂહે તે પ્રમાંણે કર્યુ: જ્યારે કન્યાઓ નૃત્ય કરતી હતી ત્યારે પ્રત્યેક વ્યક્તિએ એક કન્યા પસંદ કરી લીધી અને તેને તેઓના દેશમાં લઈ ગયા. તેમણે પોતાના નગરોનું પુનઃનિર્માંણ કર્યુ. અને તેમાં વસવાટ કર્યો. 24 પછી ઈસ્રાએલીઓ પણ શીલોહથી પોતપોતાના કુળસમૂહ અને કુટુંબ પ્રમાંણે પોતપોતાના વતનમાં પાછા ફર્યા.

25 એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો અને પ્રત્યેક વ્યક્તિ પોતાને મન ફાવે તે રીતે વર્તતો હતો.

પ્રેરિતોનાં કૃત્યો 25

પાઉલની કૈસરને મળવાની ઈચ્છા

25 ફેસ્તુસ હાકેમ બન્યો, અને ત્રણ દિવસ પછી તે કૈસરિયાથી યરૂશાલેમ ગયો. મુખ્ય યાજક અને મહત્વના યહૂદિ આગેવાનોએ ફેસ્તુસની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂક્યા. તેઓએ ફેસ્તુસને તેઓના માટે કંઈક કરવા કહ્યું. તે યહૂદિઓ ઇચ્છતા હતા કે ફેસ્તુસ પાઉલને પાછો યરૂશાલેમ મોકલે. તેઓ પાસે પાઉલને રસ્તામાં જ મારી નાખવાની યોજના હતી. પરંતુ ફેસ્તુસે જવાબ આપ્યો, “ના! પાઉલને કૈસરિયામાં રાખવામાં આવશે. હું જલદીથી મારી જાતે કૈસરિયા જઈશ. તમારા કેટલાએક આગેવાનોએ મારી સાથે જવું જોઈએ. જો તેણે ખરેખર કંઈક ખોટું કર્યું હોય તો તેઓ ત્યાં કૈસરિયામાં તે માણસ વિરૂદ્ધ તહોમત મૂકી શકે છે.”

ફેસ્તુસ યરૂશાલેમમાં આઠ કે દસ દિવસો રહ્યો. પછી તે કૈસરિયા પાછો ગયો. બીજે દિવસે ફેસ્તુસે સૈનિકોને તેની આગળ પાઉલને લાવવા માટે કહ્યું. ફેસ્તુસ ન્યાયાસન પર બેઠો હતો. પાઉલ ઓરડામાં આવ્યો હતો. જે યહૂદિઓ યરૂશાલેમથી આવ્યાં હતા તેઓ તેની આજુબાજુ ઊભા, ઘણા ગંભીર આક્ષેપો તેની વિરૂદ્ધ મૂક્યા. પણ તેઓ આમાંનું કશું પણ સાબિત કરી શક્યા નહિ. પાઉલે પોતાના બચાવ માટે જે કહ્યું તે આ છે. “મેં યહૂદિઓના નિયમ વિરૂદ્ધ, મંદિર વિરૂદ્ધ કે કૈસર વિરૂદ્ધ કશું ખોટું કર્યુ નથી.”

પરંતુ ફેસ્તસની ઈચ્છા યહૂદિઓને ખુશ કરવાની હતી. તેથી તેણે પાઉલને પૂછયું, “તારી ઈચ્છા યરૂશાલેમ જવાની છે? તું ઇચ્છે છેકે હું ત્યાં આ તહોમતો વિષે તારો ન્યાય કરું?”

10 પાઉલે કહ્યું, “હમણાં હું કૈસરના ન્યાયાસન આગળ ઊભો છું. જ્યાં મારો ન્યાય થવો જોઈએ તે જ જગ્યા આ છે. મેં યહૂદિઓનું કશું ખોટું કર્યુ નથી. તમે જાણો છો આ સાચું છે. 11 જો કાયદો કહેતો હોય કે મારે મરી જવું જોઈએ, તો હું મરવા માટે સંમત છું. હું મૃત્યુમાંથી બચવા માટે કહેતો નથી. પણ જો આ તહોમતો સાચા ના હોય તો પછી મને કોઈ વ્યક્તિ આ યહૂદિઓને હવાલે કરી શકે નહિ, ના! હું મારો કેસ કૈસર સાંભળે એમ ઈચ્છું છું!”

12 ફેસ્તુસે આ બાબત વિષે તેના સલાહકારો સાથે વાત કરી. પછી તેણે કહ્યું, “તેથી તુ કૈસર પાસે જા અને તેને મળ!”

હેરોદ અગ્રીપ આગળ પાઉલ

13 થોડા દિવસો પછી અગ્રીપા રાજા અને બરનિકા ફેસ્તુસની મુલાકાતે કૈસરિયા આવ્યા. 14 તેઓ ત્યાં ઘણા દિવસો રહ્યા. ફેસ્તુસે રાજાને પાઉલ સંબંધી કહ્યું, “ત્યાં એક માણસ છે જેને ફેલિકસે કારાવાસમાં પૂર્યો છે. 15 જ્યારે હું યરૂશાલેમ ગયો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદિઓના વડીલોએ ત્યાં તેની વિરૂદ્ધ તહોમતો મૂક્યા. આ યહૂદિઓ મને તેના મૃત્યુનો હૂકમ કરવા ઇચ્છતા હતા. 16 પરંતુ મેં જવાબ આપ્યો. ‘જ્યારે કોઈ માણસ પર કંઈક ખોટું કરવાના તહોમતો મૂકવામાં આવે તો રોમનો બીજા લોકોને તે માણસનો ન્યાય કરવા માટે આપતા ન હતા. પ્રથમ તે માણસને જે માણસોએ તેની સામે ફરિયાદ કરી હોય તેનો સામનો કરવાની તક આપવી જોઈએ. અને તેને તેઓએ તેની વિરૂદ્ધ કરેલી ફરિયાદોનો બચાવ તેની જાતે કરવાની પરવાનગી પણ આપવી જોઈએ.’

17 “તેથી આ યહૂદિઓ અહીં કૈસરિયા ન્યાય માટે આવ્યા. અને મેં સમય ગુમાવ્યો નહિ. બીજે દિવસે હું ન્યાયાસનની બેઠક પર બેઠો અને હુકમ કર્યો કે તે માણસને અંદર લાવવામાં આવે. 18 યહૂદિઓ ઊભા થયા અને તેની સામે તહોમત મૂક્યું. પણ યહૂદિઓએ કોઇ ખરાબ ગુનાઓ વિષે ફરિયાદ કરી નહિ. હું ધારતો હતો કે તેઓ કરશે. 19 તેઓએ જે વાતો કહી, તે તેઓના પોતાના ધર્મ અને ઈસુ નામના માણસ વિષે હતી. ઈસુ મૃત્યુ પામ્યો છે છતાં પાઉલે દાવો કર્યો કે તે હજુય જીવે છે. 20 હું આ બાબત વિષે વધું જાણતો ન હતો. તેથી મેં પ્રશ્રો પૂછયા નહિ. પણ મેં પાઉલને પૂછયું, ‘તારી ઈચ્છા યરૂશાલેમમાં જઈને આ બાબતમાં ન્યાય કરવાની છે?’ 21 પણ પાઉલે કૈસરિયામાં જ રાખવા માટે કહ્યું. તે પાદશાહ પાસેથી નિર્ણય ઇચ્છે છે. તેથી મેં હુકમ કર્યો કે જ્યાં સુધી હું તેને રોમમાં કૈસર પાસે ન મોકલી શકું ત્યાં સુધી તેને કેદમાં રાખવો.”

22 અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “આ માણસને સાંભળવો મને પણ ગમશે.”

ફેસ્તુસે કહ્યું, “આવતીકાલે તું એને સાંભળી શકીશ!”

23 બીજે દિવસે અગ્રીપા અને બરનિકા દેખાયા. તેઓ ઘણા મહત્વના લોકો હોય તે રીતે વસ્ત્રો પરિધાન કરીને દબદબાથી ર્વત્યા. અગ્રીપા અને બરનિકા લશ્કરના અધિકારીઓ અને કૈસરિયાના મહત્વના લોકો ન્યાયાલય ખંડમાં ગયા. ફેસ્તુસે પાઉલને અંદર લાવવા સૈનિકોને હુકમ કર્યો.

24 ફેસ્તુસે કહ્યું, “રાજા અગ્રીપા અને તમે બધા લોકો અહી અમારી સાથે ભેગા થયા છો, તમે આ માણસને જુઓ છો. યરૂશાલેમના તથા અહીંના આ બધા યહૂદિ લોકોએ મને તેના વિષે ફરિયાદ કરી છે. જ્યારે તેઓએ તેના વિષે ફરિયાદ કરી ત્યારે તેઓએ પોકાર કર્યો કે, તેને મારી નાખવો જોઈએ. 25 મેં જ્યારે તેનો ન્યાય કર્યો. મને કંઈ ખોટું જણાયું નહી, મને તેને મોતનો હુકમ કરવા કોઈ કારણ જણાયું નહિ. પણ તેણે તેની જાણ તેની જાતે કરવા કહ્યું કે તેનો ન્યાય કૈસર વડે થવો જોઈએ. તેથી મેં તેને રોમ મોકલવાનો નિર્ણય કર્યો. 26 પણ મારી પાસે તેની વિરૂદ્ધ કૈસરને લખવા માટે કોઇ ચોક્કસ બાબત ન હતી તેથી હું તમારા બધાની આગળ ખાસ કરીને રાજા અગ્રીપા પાસે લાવ્યો છું. કારણ કે તેણે કંઈ ખોટું કર્યુ નથી. હું આશા રાખું છું કે તું તેને પ્રશ્ર કર અને મને કૈસરને કંઈક લખવા દે. 27 હું વિચારું છું કે બંદીવાનને કૈસર પાસે તેની વિરૂદ્ધ કોઇ જાતના આરોપો દર્શાવ્યા વિના મોકલવો તે મૂર્ખતા છે. મને એ અયોગ્ય લાગે છે.”

યર્મિયા 35

નિષ્ઠાવાન રેખાબીઓ

35 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: “રેખાબીઓ પાસે જઇને તેમને વાત કર, તેમને મંદિરના એક ઓરડામાં લઇ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.”

આથી હું હબાસીન્યાના પુત્ર યર્મિયાના પુત્ર યાઅઝાન્યાને તથા તેના સર્વ ભાઇઓ અને પુત્રોને એટલે કે રેખાબીના સર્વ કુટુંબોના પ્રતિનિધિઓને મળવા ગયો. મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો. પછી મેં તેઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને તે પીવા માટે આમંત્રણ આપ્યું.

પરંતુ તેઓએ કહ્યું, “ના, અમે દ્રાક્ષારસ પીતા નથી. કારણ કે અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા પુત્રો કોઇ કાળે દ્રાક્ષારસ પીશો નહિ; વળી તેમણે અમને એમ પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવા નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમજ દ્રાક્ષાવાડીઓ રોપવી નહિ, તમારે એવી કોઇ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; તે પછી તમે આ ભૂમિમાં જ્યાં તમે વિદેશીઓ તરીકે રહો છો, લાંબા સમય સુધી જીવશો.’ અમે આ સર્વ અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે કહ્યા પ્રમાણે કર્યુ છે. ત્યારથી અમે, અમારી પત્નીઓએ, અમારા પુત્રો કે પુત્રીઓ અને અમે પોતે કદી દ્રાક્ષારસ પીતા નથી. અમે ઘરો બાંધ્યા નથી કે નથી રાખ્યા પોતાનાં ખેતરો કે નથી કરી અમે અનાજની વાવણી. 10 અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે, 11 પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઇ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ‘બાબિલવાસીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમારે યરૂશાલેમ ભાગી જવું.’ અને આમ અમે યરૂશાલેમમાં વસીએ છીએ.”

12 ત્યારબાદ યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: 13 ઇસ્રાએલના દેવ યહોવા કહે છે કે: “યહૂદિયા અને યરૂશાલેમમાં જઇને કહે કે, શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?” આ યહોવાના વચન છે. 14 “રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઇ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતા નથી કે આધીન પણ થતાં નથી. 15 મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ. 16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.”

17 અને તેથી હું કહું છું: “મેં જે જે આફતોની ધમકી આપી છે તે બધી હું યહૂદિયા અને યરૂશાલેમના વતનીઓ પર ઉતારીશ. કારણ, મેં તેમને કહ્યું ત્યારે તેમણે સાંભળ્યું નહિ, અને મેં તેમને હાંકલ કરી ત્યારે તેમણે મને જવાબ ન આપ્યો.” આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

18 પછી યર્મિયાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે કે, ‘તમે તમારા પિતૃઓ યોનાદાબની આજ્ઞા માની છે, તથા તેની સર્વ આજ્ઞાઓનું પાલન કર્યું છે, અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે;’ 19 માટે સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનારની ખોટ તને કદી પડશે નહિ.’”

ગીતશાસ્ત્ર 7-8

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International