M’Cheyne Bible Reading Plan
આમ્મોનના રાજા નાહાશ
11 આમ્મોનના રાજા નાહાશ યાબેશ ગિલયાદ ઉપર ચડાઈ કરવા આવ્યો અને તેની સૈનાથી શહેર પર ઘેરો ઘાલ્યો. યાબેશના લોકોએ નાહાશને કહ્યું, “અમાંરી સાથે સંધિ કરો અને અમે તમાંરા સેવકો બનશું.”
2 એટલે નાહાશે કહ્યું, “હું એક જ શરતે તમાંરી સાથે સંધિ કરું; હું તમાંરી બધાની જમણી આંખ કોતરી કાઢું અને સમગ્ર ઇસ્રાએલીની નામોશી કરું.”
3 પછી યાબેશના આગેવાનોએ કહ્યું, “તમે અમને ઇસ્રાએલના બધા લોકોને સંદેશવાહકો મોકલવાને માંટે એક અઠવાડિયું આપો. જો કોઈ અમાંરી મદદ કરવા ન આવે, તો અમે તમાંરે તાબે થઈશું.”
યાબેશ અને ગિબયાહ બચાવતો શાઉલ
4 પછી કાસદોએ શાઉલના ગિબયાહમાં આવીને લોકોને આ સમાંચાર કહ્યા; ત્યારે બધા લોકો મોટે સાદે આક્રંદ કરવા લાગ્યા. 5 એ જ વખતે શાઉલ ખેતરમાંથી બળદો લઈને ગામમાં આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?”
તેમણે તેને યાબેશના માંણસોએ કહેલી વાત કહી સંભળાવી. 6 શાઉલે એ વાત સાંભળી, ત્યારે શાઉલમાં દેવનો આત્માં મહાશકિત સહિત આવ્યો, અને તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. 7 તેણે બળદની એક જોડ લઈને તેમને કાપી કાપીને ટૂકડા કરી નાખ્યા. અને એ ટૂકડા સાથે સમગ્ર ઇસ્રાએલમાં કાસદો મોકલી તેણે એવો સંદેશો કહેવડાવ્યો કે, “જે કોઈ શાઉલ તથા શમુએલની પાછળ નહિ આવે તેના બળદના આ હાલ થશે.”
એટલે લોકોને યહોવાનો ભય લાગ્યો, ને એક મતે તેઓ સૌ નીકળી પડયા. 8 પછી શાઉલે બેઝેકમાં માંણસો ભેગા કર્યા; ઇસ્રાએલમાંથી લગભગ 3,00,000 માંણસો હતા અને યહુદામાંથી 30,000 માંણસો હતા.
9 અને જે કાસદો આવ્યા હતા તેમને તેઓએ કહ્યું કે, તમે યાબેશ-ગિલયાદના માંણસોને કહો, “આવતી કાલે સૂરજ માંથે આવે ત્યાં સુધીમાં તમાંરો છૂટકારો થયો હશે.”
આ સંદેશો સાંભળીને યાબેશના લોકોના આનંદનો પાર ન રહ્યો તેમણે નાહાશને કહ્યું, 10 “આવતી કાલે અમે તમાંરે તાબે થઈશું અને તમને જે યોગ્ય લાગે તે કરજો.”
11 બીજે દિવસે સવારે શાઉલે લશ્કરને ત્રણ ટુકડીમાં વહેંચી નાખ્યું. અને પરોઢ થતાં તેઓ દુશ્મનની છાવણીમાં ધસી ગયા અને બપોર થતાં સુધી આમ્મોનીઓની હત્યા કરી. જે લોકો બચી ગયા તેઓ એવા તો વેરવિખેર થઈ ગયા કે, બે જણ પણ ભેગા ન રહ્યા.
12 પછી લોકોએ શમુએલને કહ્યું, “કોણ હતાં એ માંણસો જેણે પુછયું કે, શાઉલ આપણા પર રાજા તરીકે રાજ કરશે? એ લોકોને અમાંરી પાસે લાવો અને અમે તેમનો સંહાર કરીએ.”
13 પરંતુ શાઉલે કહ્યું, “આજે કોઈનો પ્રાણ લેવાનો નથી. કારણ, આજે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો છે.”
14 પછી શમુએલે લોકોને કહ્યું, “ચાલો, આપણે ગિલ્ગાલ જઈને ત્યાં શાઉલને ફરી વાર રાજા જાહેર કરીએ.”
15 આથી તેઓ બધા ગિલ્ગાલ ગયા, અને ત્યાં યહોવા સમક્ષ શાઉલને પોતાના રાજા જાહેર કર્યો. તેઓએ યહોવાને શાંત્યર્પણો અર્પણ કર્યા; શાઉલે તથા ઇસ્રાએલના સર્વ પ્રજાજનોએ મોટો ઉત્સવ કર્યો.
દેવ અને યહૂદિ લોકો
9 હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી. 2 યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. 3 તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું. 4 કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું. 5 તેઓ આપણા પિતાઓના વંશજો છે. અને તેઓ ખ્રિસ્તના દુન્યવી કુટુંબીજનો છે. ખ્રિસ્ત સર્વોપરી દેવ છે. તેની સ્તુતિ નિત્ય કરો! આમીન.
6 હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે. 7 અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”(A) 8 આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે. 9 ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”(B)
10 માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક. 11-12 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”(C) એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય. 13 શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”(D)
14 તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી. 15 દેવે મૂસાને કહ્યું હતું, “જે વ્યક્તિ પર મારે કૃપા કરવી હશે, તેના પર હું કૃપા કરીશ. જે વ્યક્તિ પર દયા બતાવવી હશે તેના પર હું દયા દર્શાવીશ.”(E) 16 તેથી જે વ્યક્તિ પર દયા કરવાનો દેવ નિર્ણય કરશે તેને દયા માટે દેવ પસંદ કરશે. લોકો શું ઈચ્છે છે અથવા તેઓ કેવા કેવા પ્રયત્ન કરે છે, તેના પર દેવની પસંદગીનો આધાર નથી. 17 શાસ્ત્રમાં દેવ ફારૂનને કહે છે: “તું મારું આ કામ કરે એટલા માટે મેં તને રાજા બનાવ્યો. તારા દ્વારા મારું સાર્મથ્ય પ્રગટ કરવાની મારી ઈચ્છા હતી. આખી દુનિયામાં મારું નામ પ્રગટ થાય એમ હું ઈચ્છતો હતો.”(F) 18 આમ જે લોકોની તરફ દયા બતાવવી હોય એમની તરફ દેવ દયા દર્શાવે છે. અને જે લોકોને હઠીલા બનાવવા હોય તેમને દેવ હઠીલા બનાવે છે.
19 તો તમારામાંથી કોઈ મને પૂછશે: “જો આપણાં કાર્યો પર દેવનો અંકૂશ જ હોય, તો પછી આપણાં પાપ માટે દેવ શાથી આપણી પર આરોપ મૂકે છે?” 20 દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?” 21 જે કુંભાર માટીની બરણી બનાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ ગમે તે બનાવી શકે છે. જુદા જુદા રૂપ રંગની વસ્તુઓ બનાવવા તે એક જ માટીનો ઉપયોગ કરે છે. તે એક વસ્તુ વિશિષ્ટ હેતુથી કોઈ ખાસ ઉપયોગ માટે બનાવી શકે, અને બીજી વસ્તુ રોજબરોજના ઉપયોગ માટે બનાવી શકે.
22 દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા. 23 એવા લોકો માટે પણ દેવે ધીરજથી રાહ જોઈ, જેથી કરીને દેવ પોતાનો સમૃદ્ધ મહિમા દર્શાવી શકે. જેઓ તેની કૃપા પ્રાપ્ત કરવાના હતા. તેથી આપણે જેઓ તેની કૃપાનાં પાત્રો છીએ અને જેમને તેણે તેનો મહિમા મેળવવા તૈયાર કર્યા છે તેમનામાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. 24 એ લોકો તે આપણે જ છીએ. આપણે એવા માનવો છીએ કે જેમને દેવે તેડયા છે. યહૂદિઓ તેમજ બિનયહૂદિઓમાંથી દેવે આપણને પસંદ કર્યા છે. 25 હોશિયાના અધ્યાયમાં શાસ્ત્ર કહે છે તેમ:
“જે લોકો મારા નથી
તેઓને હું મારાં લોકો કહીશ.
અને જે લોકો ઉપર મેં પ્રેમ નથી કર્યો
તેઓ પર હું પ્રેમ કરીશ.” (G)
26 અને,
“એ જ ઠેકાણે દેવે કહ્યુ કે,
‘તમે મારી પ્રજા નથી’
તે જ ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે.” (H)
27 અને ઈસ્રાએલ વિષે યશાયા પોકારીને કહે છે કે:
“સમુદ્રની રેતીના કણ જેટલા ઈસ્રાએલના અનેક લોકો છે.
પરંતુ એમાંના થોડાક જ લોકો તારણ પામશે.
28 હા, પૃથ્વી પરના લોકોના ન્યાય તોળવાનું કાર્ય દેવ જલદી પૂર્ણ કરશે.” (I)
29 યશાયાએ કહ્યું છે તેમ:
“દેવ સર્વસમર્થ છે. આપણા માટે દેવે એના કેટલાએક માણસોને બચાવી લીધા,
એવું જો દેવે ન કર્યુ હોત તો,
સદોમ અને ગમોરા[a] શહેરોના લોકો જેવી
આપણી દશા થાત.” (J)
30 તો આ બધાનો અર્થ શું થાય? એનો અર્થ આ છે કે: બિનયહૂદિ લોકો દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરતા ન હતા છતાં તેઓને દેવ સાથે ન્યાયી બનાવાયા અને તેઓ પોતાના વિશ્વાસને લીધે ન્યાયી ઠર્યા. 31 અને જ્યારે દેવ માટે ન્યાયી ઠરવા ઈસ્રાએલના લોકોએ નિયમશાસ્ત્રને અનુસરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ સફળ ન થયા. 32 સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા. 33 એ પથ્થર વિષે શાસ્ત્ર કહે છે.
“જુઓ, સિયોન માં મેં એક પથ્થર મૂક્યો છે કે જે લોકોને પાડી નાખશે.
એ પથ્થર ઠોકર ખવડાવીને લોકોને પાપમાં પાડશે.
પરંતુ જે કોઈ વ્યક્તિ એ પથ્થરમાં વિશ્વાસ રાખશે તે નિરાશ થશે નહિ.” (K)
મોઆબના લોકોનું ભાવિ
48 ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે,
“નબોનું આવી બન્યું!
તે ભોંય ભેંગુ થઇ ગયું છે,
કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે,
તે જીતાઇ ગયું છે.
તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે!
હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું!
2 મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી,
હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે.
તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’
માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે;
શત્રુઓની તરવાર તારો પીછો કરશે.
3 સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે;
‘હિંસા, વિનાશ.’
4 મોઆબ નષ્ટ થઇ ગયું છે,
સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે.
5 કારણ કે તેઓ રડતાં રડતાં
લૂહીથના ઢોળાવો પર ચઢે છે.
અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં
હોરોનાયિમના ઢોળાવો ઉતરે છે.
6 નાસો, તમારો જીવ લઇને નાસો!
વગડાનાં જંગલી ગધેડા જેવા થાઓ.
7 “હા, તમે પોતાની સંપત્તિ
અને આવડત પર નિર્ભર રહ્યાં છો,
તમે પણ નાશ પામશો, તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે,
તેના યાજકો અને અમલદારો તેની સાથે જશે.
8 દરેક નગર પર વિનાશ ઊતરશે,
એક પણ શહેર બચવા પામશે નહિ.”
આ હું યહોવા બોલું છું.
9 “મોઆબ માટે મીઠું અલગ
રાખો કારણકે તે ચોક્કસ પડશે.
તેના નગરો વસ્તી વિનાના
ઉજ્જડ ખંડેર થઇ જવાના છે.
10 જે યહોવાનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ!
જે માણસ તરવારથી રકતપાત કરતા નથી તેને ધિક્કાર હો!”
11 યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી,
ને તેને હેરાન કરવામાં આવ્યું નથી,
તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી,
મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે
કે જેને એક પાત્રમાંથી બીજા
પાત્રમાં રેડવામાં આવ્યો નથી.
તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે,
ને તેની સુગંધ બદલાઇ નથી.”
12 યહોવાએ કહ્યું છે કે,
“આ લોકો મોઆબ શહેરને ખાલી કરી
નાખશે જેમ લોકો દ્રાક્ષારસની બરણી ખાલી કરે છે.
જેમ લોકો માટીના ઘડાના ટૂકડે ટૂકડા કરી નાખે છે
તેમ તેના નગરોનો નાશ કરવામાં આવશે.”
13 ત્યારે મોઆબનો કમોશદેવ વિષેનો મ ભાંગી જશે, જેમ ઇસ્રાએલનો બેથેલના દેવ વિષે મ ભાંગી ગયો હતો જેના પર તેણે વિશ્વાસ રાખ્યો હતો.
14 “હે મોઆબના લોકો, આ રાજાઓના રાજા
એવા સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
‘તમારી હિંમ્મત કઇ રીતે થઇ આવુ કહેવાની.
કે અમે બહાદુર છીએ, કેળવાયેલા યોદ્ધાઓ છીએ?’
15 મોઆબ અને તેના નગરોનો નાશ થયો છે,
તેના ચુનંદા જુવાનો રહેંસાઇ ગયા છે.”
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
16 “હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે,
એનું પતન વાયુવેગે આવી રહ્યું છે.
17 હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો.
જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા
ધૂળધાણી થઇ ગયા છે!
18 “હે દીબોનના લોકો,
તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરો
અને ભોંય પર ધૂળમાં બેસો.
કારણ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે.
અને તેણે તમારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
19 “હે અરોએરના લોકો,
રસ્તે ઊભા રહીને ચોકી કરો,
ભાગી જતા લોકોને પૂછો.
શું થયું છે?
20 “તેઓ તને જવાબ આપશે,
મોઆબ ખંડેર થઇ ગયું છે;
રૂદન અને શોક કરો.
આનોર્નના કિનારાઓ પરથી જાહેર કરો કે,
મોઆબ ખેદાન મેદાન થઇ ગયું છે!
21 મોઆબના ઉચ્ચ મેદાન પરના નગરો તે હોલોન,
યાહસાહ, મેફાઆથને સજા કરવામાં આવશે,
22 દીબોન, નબો, બેથ દિબ્લાથાઇમ છે.
23 ક્રિયા-થાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,
24 કરીઓથ, બોસ્રાહ, અને મોઆબના
સર્વ નગરો જે નજીકમાં છે
તે તથા જે દૂર આવેલા છે,
આ બધાને સજા થઇ છે.
25 મોઆબનું બળ તોડી નાખવામાં આવ્યું છે,
અને તેની સત્તા ભાંગી નાખવામાં આવી છે.”
આ યહોવાના વચન છે.
26 “મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે.
એ એની ઊલટીમાં આળોટશે
અને લોકોની હાંસીનું પાત્ર થશે,
સર્વ કોઇ તેનો તિરસ્કાર કરશે.
27 “શું તેં ઇસ્રાએલની હાંસી કરી નહોતી?
શું તેં તેઓને ચોરોની ટોળી માની નહોતી?
હા, જ્યારે પણ તે તેમના વિષે વાત કરી છે,
ત્યારે તેં તુચ્છકારથી તારુંડોકુ હલાવ્યુ છે.
28 હે મોઆબના લોકો, તમારા નગરોમાંથી ભાગી જાઓ
અને ઊંડી સાંકડી ખીણોમાં
પોતાના માળા બાંધીને રહેતા
કબૂતરોની માફક તમે ગુફાઓમાં રહો.
29 “મોઆબ અતિ ગવિર્ષ્ઠ છે.
અમે તેના અભિમાન,
ઉદ્ધતાઇ અને તુમાખી વિષે સાંભળ્યું છે.”
30 યહોવા કહે છે, “મને પોતાને એની ઉદ્ધતાઇની ખબર છે.
તેની ડંફાસો બધી ખોટી છે,
અને તેનાં કાર્યો બધા પોકળ છે.
31 અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું.
સમગ્ર મોઆબ માટે હું પોકે પોકે રડું છું
અને કીરહેરેસના માણસો માટે હું શોક કરું છું.
32 દ્રાક્ષાવાડીઓથી ભરપૂર સિબ્માહના લોકો,
હું યાઝેરના કરતાં પણ તમારા માટે વધુ વિલાપ કરું છું.
કારણ કે વિનાશે તમારી ફેલાયેલી ડાળીઓને કાપી નાખી છે
અને તમારી દ્રાક્ષાઓ તથા ઉનાળાનાં ફળોની ફસલને લઇ લીધી છે.
તેણે તમને ઉજ્જડ કરી મૂક્યા છે!
33 મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી
અને આનંદ અદ્રશ્ય થઇ ગયાં છે,
દ્રાક્ષારસના કોલુમાંથી દ્રાક્ષારસ વહેતો નથી.
દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં હવે કોઇ આનંદના પોકારો કરતું નથી.”
34 “તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે. 35 યહોવા કહે છે: મોઆબ જૂઠા દેવોની પૂજા કરતું હતું અને મૂર્તિઓ આગળ ધૂપ બાળતું હતું. તે સર્વ મેં બંધ કરાવી દીધું છે.” આ યહોવાના વચન છે.
36 “આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે મારા હૃદયમાં શોક છે. કારણ કે તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે. 37 હા, હરેક માણસનું માથું મૂડાયું છે અને બધા માણસની દાઢી બોડવામાં આવી છે. તેઓના હાથ કાપાઓથી ભરેલા છે. અને તેઓ સૌએ શણના વસ્રો પહેર્યા છે. 38 મોઆબને ઘેરઘેર અને ચોરેચૌટે પસ્તાવા સિવાય કશું નથી, કારણ, મેં મોઆબને જૂની અને નકામી બાટલીની જેમ તેના ચૂરેચૂરા કર્યા છે.” આ યહોવાના વચન છે.
39 “મોઆબ ભાંગી ગયું! રડો! મોઆબ શરમજનક રીતે પીછેહઠ કરે છે! મોઆબના બધા પડોશીઓ એની હાંસી ઉડાવે છે!” આ યહોવાના વચન છે.
40 કારણ કે આ યહોવા કહે છે, “જો, તેના શત્રુઓ એક ગરૂડની જેમ મોઆબ પર ચકરાવો લે છે,
અને તેની પર આક્રમણ કરે છે.
41 તેનાં નગરોનો નાશ થશે,
તેના મજબૂત કિલ્લાઓને કબજે કરવામાં આવશે.
પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીઓની જેમ
તેના શૂરવીર યોદ્ધાઓ ભયથી ધ્રૂજશે.
42 પછી મોઆબનું નામોનિશાન મિટાઇ જશે.
તેની પ્રજા નાશ પામશે, કારણ કે, તેમણે મારો યહોવાનો વિરોધ કર્યો છે.”
43 યહોવા કહે છે કે,
“અરે મોઆબ, તારા માર્ગમાં ભય, ફાંદો અને ખાડા તારી રાહ જોઇ રહ્યા છે.
44 જે કોઇ માણસ ભયનો માર્યો ભાગી જશે તે ખાડામાં પડશે,
જે ખાડામાંથી ઊભો થઇને બહાર આવશે તે પકડાઇ જશે,
મોઆબને સજા કરવાનો સમય આવશે
ત્યારે તેણે આ બધાંનો સામનો કરવો પડશે.”
આ યહોવાના વચન છે.
45 “નાસી ગયેલા અસહાય નિર્વાસિતો
હેશ્બોનની છાયા તળે વિસામો લે છે,
પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે.
સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે,
અને એ તોફાનીઓની ભૂમિને,
મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.
46 હે મોઆબ, આ તે તમારી કેવી દશા!
હે મોઆબના લોકો!
હે કમોશદેવના ભકતો, તમારું આવી બન્યું! કારણ,
તમારાં પુત્રો અને પુત્રીઓને કેદ પકડીને દેશવટે લઇ જવામાં આવ્યા છે.”
47 પરંતુ યહોવા કહે છે, “ભવિષ્યમાં હું મોઆબનું ભાગ્ય પલટી નાખીશ, હું મોઆબને સંસ્થાપિત કરીશ.”
અહીં મોઆબ અંગેનો ચુકાદો પૂરો થાય છે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
11 હે યહોવા, મારા પાપ તો ઘણાં છે,
તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.
12 યહોવાથી ડરે એવા માણસો કયાં છે?
શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે;
તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
14 જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે.
તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે,
કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.
16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો.
હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
17 મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે.
હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
18 મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો,
અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ;
તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો.
મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
21 મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો.
કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
22 હે યહોવા, હવે તમે ઇસ્રાએલને
સર્વ સંકટોમાંથી છોડાવો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International