M’Cheyne Bible Reading Plan
શાઉલનો રાજા તરીકે અભિષેક
10 પછી શમુએલે તેલની શીશી લઈને શાઉલના માંથા ઉપર રેડી અને તેને ચુંબન કર્યું. શમુએલે કહ્યું, “યહોવાએ તને ઇસ્રાએલી પ્રજાના રાજા તરીકે અભિષિકત કર્યો છે. તું યહોવાના લોકો પર શાસન કરીશ. 2 આજે તું માંરી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સાહ ખાતે આવેલ ‘રાહેલ’ની કબર નજીક બે માંણસો મળશે. તેઓ તને કહેશે કે, ‘જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે ગધેડાંની બદલે તારા પિતા તારી ચિંતા કરતા હશે. તેઓ વિચાર કરતા હશે કે, માંરા પુત્રને શોધવા હું શું કરું?’”
3 શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે. 4 ત્યાં તેઓ તને પ્રણામ કરીને તને બે રોટલા આપશે. તારે એ બે રાટેલા તેમની પાસેથી સ્વીકારી લેવા. 5 ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ’ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે, 6 એ વખતે યહોવાનો આત્માં ઘણા બળ સાથે તારામાં સંચારિત થશે. ત્યારબાદ તું બીજી વ્યકિતમાં બદલાઇ જઇશ. આ પ્રબોધકો સાથે તું પ્રબોધ કરીશ. 7 જ્યારે આ બધી ઘટનાઓ બને ત્યારે તને જે સૂઝે તે તારે કરવું. કારણ, તને દેવનો સાથ હશે.
8 “તું માંરા પહેલાં ગિલ્ગાલ ચાલ્યો જજે. પછી હું તને ત્યાં મળવા આવીશ. ત્યાં હું તને દહનાર્પણો તથા શાંત્યર્પણો અર્પણ કરીશ. પણ તારે સાત દિવસ સુધી માંરી રાહ જોવી; પછી હું આવીશ અને તને કહીશ કે તારે શું કરવું.”
શાઉલ પ્રબોધક જેવો બન્યો
9 અને પછી શમુએલ પાસેથી જવા માંટે શાઉલે જેવી પીઠ ફેરવી કે તરત જ દેવે તેને સમૂળગો ફેરવી નાખ્યો; અને તે જ દિવસે એ બધી ઘટનાઓ બની. 10 જયારે શાઉલ અને તેનો ચાકર પેલી ટેકરી પર પહોંચ્યા ત્યારે પ્રબોધકોનો સંઘ તેને મળવા સામે આવ્યો અને દેવના આત્માંનો તેનામાં સંચાર થયો; આથી તે પણ પ્રબોધકના જેવા ભાવાવેશમાં આવી ગયો. 11 અને જે લોકો તેને પહેલેથી ઓળખતા હતા તેઓ એ તેને પ્રબોધકની સાથે પ્રબોધ કરતા જોયો. તેઓ એક બીજાને પૂછવા લાગ્યા, “કીશના પુત્રને શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકો માંથી એક છે?”
12 ત્યારે ત્યાં રહેનાર એક માંણસે ઉત્તર આપ્યો, “તેઓના બાપ કોણ છે?” ત્યારબાદ આ કહેવત પ્રખ્યાત થઇ: “શું શાઉલ પણ પ્રબોધકોમાંથી એક છે?”
શાઉલ ઘરે ગયો
13 જયારે શાઉલે પ્રબોધ કરવાનું બંધ કર્યું, તે ઉપાસનાનાં ઉચ્ચસ્થાને ગયો.
14 શાઉલના કાકાએ તેને અને પેલા ચાકરને પૂછયું, “તમે કયાં ગયા હતા?”
એટલે તેણે કહ્યું કે, “ગધેડાની શોધ કરવા; અને તે ન મળ્યાં એટલે અમે શમુએલને મળવા ગયા હતા.”
15 શાઉલના કાકાએ પૂછયું, “મને કહો, તેણે તમને શું કહ્યું?”
16 શાઉલે જવાબ આપ્યો, “તેણે અમને કહ્યું કે, ગધેડા મળ્યાં છે.” પણ તેના કાકાને રાજ્ય વિષે શમુએલે જે કહ્યું હતું તે વિષે તેણે કઇજ કહ્યું નહિ.
શાઉલની રાજા તરીકે શમુએલની જાહેરાત
17 શમુએલે ઇસ્રાએલીઓને યહોવાને મળવા માંટે મિસ્પાહમાં ભેગા કર્યા, અને કહ્યું, 18 “ઇસ્રાએલીઓના દેવ યહોવા કહે છે, ‘હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો. તમને તમાંરી મિસરીઓ નીચેની ગુલામીમાંથી અને તમાંરા ઉપર ત્રાસ ગુજારનાર સૌ રાજયોથી છોડાવી લાવ્યો હતો.’ 19 પરંતુ આજે તમે બધાં દુ:ખોથી તથા આફતોથી ઉગારનાર તમાંરા દેવને નકાર્યા છે, પંરતુ તમે કહ્યું, ‘અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા નક્કી કરી આપો,’ તો તમે બધાં આવો અને તમાંરા કુળસમૂહો અને કુટુંબવાર અહી ઉભા રહો.”
20 પછી શમુએલે પ્રત્યેક કુળસમૂહને આગળ આવવા કહ્યું અને યહોવાએ બિન્યામીનના કુળસમૂહને તારવી કાઢયો. 21 ત્યારબાદ બિન્યામીનના કુળસમૂહને પસંદ કરવામાં આવ્યું અને કુટુંબવાર આગળ આવ્યા; ત્યારે માંટીના કુટુંબને પસંદ કરવાનાં આવ્યું અને છેવટે કીશના પુત્ર શાઉલને પસંદ કરવામાં આવ્યો.
તેમણે તેની શોધ કરી પણ તે મળ્યો નહિ. 22 તેમણે યહોવાને પૂછયું, “એ માંણસ અહીં આવ્યો છે?”
ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે, “તે પેલા સામાંનમાં સંતાયેલો છે.”
23 ત્યારબાદ લોકો દોડીને તેને ત્યાંથી બહાર લઈ આવ્યા; અને તેને લોકોની વચ્ચે ઊભો રાખ્યો. શાઉલ તે બધા કરતાં એક વેંત ઊંચો હતો.
24 શમુએલે લોકોને કહ્યું, “યહોવાએ પસંદ કરેલા માંણસને તમે જોયો છે? સમગ્ર પ્રજામાં એના જેવો કોઇ નથી.”
પછી લોકોએ પોકાર્યું, “રાજા ઘણું જીવો.”
25 પછી શમુએલે લોકોને રાજાના કાયદાઓ વિષે કહ્યું અને તેને પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ મૂક્યું. પછી તેને લોકોને ઘેર મોકલી દીધા.
26 શાઉલ પણ પાછો પોતાને ઘેર ગિબયાહમાં ગયો; તેની સાથે કેટલાક યોદ્ધાઓ ગયા. જેમના હૃદયમાં દેવે શાઉલ પ્રત્યે વફાદારી જગાડી હતી. 27 પરંતુ કેટલાક મુશ્કેલી કરનારાઓએ કહ્યું, “આ માંણસ આપણો બચાવ શી રીતે કરવાનો છે?” અને તેમણે તેને તિરસ્કૃત કર્યો. અને તેને કશી ભેટ ધરી નહિ છતાં પણ શાઉલ શાંત રહ્યો.
આત્મામાં જીવન
8 તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી. 2 મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. 3 આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો. 4 આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.
5 ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે. 6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. 7 આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી. 8 જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી.
9 પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી. 10 પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. 11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.
12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ. 13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.
ભવિષ્યમાં આપણને મહિમા મળશે
18 હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી. 19 દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે. 20 દેવે જે દરેક વસ્તુ સર્જી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી 21 કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે.
22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે. 23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે. 25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
26 વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે. 27 અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે.
28 આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. 29 દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે. 30 પોતાના દીકરા જેવા થવા લોકોને દેવે નિમંત્રણ આપ્યું. અને એ લોકોને પોતાની સાથે ન્યાયી બનાવ્યા અને પોતાની સાથે રહેવાની યોગ્યતા આપી. જેઓને ન્યાયી ઠરાવ્યા તેઓને મહિમાવંત પણ કર્યા.
ખ્રિસ્ત ઈસુ પર દેવનો પ્રેમ
31 તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ. 32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે? 33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. 34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે. 35 શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! 36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:
“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ.
લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” (A)
37 દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે. 38-39 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.
પલિસ્તીઓ માટે યહોવાનો સંદેશ
47 જ્યારે ફારૂન અને મિસરનું સૈન્ય ગાઝા પર ચઢી આવ્યું તે પહેલા, યહોવાએ પ્રબોધક યર્મિયા દ્વારા પલિસ્તીઓ માટે આ સંદેશો મોકલ્યો.
2 આ યહોવાના વચન છે,
“ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે
અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે.
તે તેઓનાં નગરો તથા
તેમાનાં સર્વસ્વનો નાશ કરશે.
શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે
અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.
3 ઘોડાઓના દાબડાનો અવાજ
અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને
કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે
કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.
4 કારણ કે, એ દિવસ આવી પહોંચ્યો છે,
જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થવાનો છે,
જ્યારે તૂર અને સિદોનની સાથે થનારા કોઇ રહેશે નહિ.
યહોવા બધા પલિસ્તીઓનો-કાફતોરના ટાપુમાંથી આવી વસેલા સૌનો સંહાર કરનાર છે.
5 ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે,
અને ખંડેર બની જશે.
અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો!
6 “હે યહોવાની તરવાર,
તું ક્યારે શાંત થઇશ?
ફરી તું મ્યાનમાં પાછી જા
અને આરામ કર અને શાંત રહે!
7 પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી
એ આરામ શી રીતે કરે?
કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની
તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
દાઉદનું ગીત.
1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે,
આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે,
અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
3 યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4 ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે,
તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી,
તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી,
અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
5 તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે,
અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
6 તેઓ પેઢીના લોકો છે
તેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો!
હે પ્રાચીન પ્રવેશદ્વારો,
ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
8 તે ગૌરવવાન રાજા કોણ છે?
એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે,
તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.
9 હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો.
અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો.
હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ;
અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે?
યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International