Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
રૂથ 2

બોઆઝ સાથે રૂથ

બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો.

એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.”

નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”

આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, આ ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું.

તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.”

લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”

પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”

તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે. આજે સવારે એણે મને પૂછયું કે; હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”

બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે. એ લોકો કયા ખેતરમાં લણે છે તે જોજે અને તેઓને અનુસરજે. અને મેં માંરા જુવાન માંણસોને તને હેરાન ન કરવા જણાવ્યું છે. અને જ્યારે તને તરસ લાગે ત્યારે જઇને માંરા યુવાનોના પાણીનાં કુંજામાંથી પાણી પીજે.”

10 આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?”

11 બોઆઝે જવાબ આપ્યો, મે સાંભળ્યું છે કે, “તારા પતિના ગુજરી ગયા પછી તે તારા વતન મોઆબને અને માંબાપને છોડ્યા,અને તારી સાસુ સાથે આ દેશમાં આવી છે અને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું રહેવા આવી છે. 12 યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.”

13 રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.”

14 બપોરે જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવ, સરકામાં બોળીને થોડો રોટલો ખાઈ લે.”

આથી તે લણનારાઓ ભેગી બેઠી અને બોઆઝે તેને પોંક આપ્યા. તેણે ધરાઈને ખાધું ને તેમાંથી થોડો પોંક વધ્યો.

15 ત્યારબાદ ફરીથી તે કામ કરવા ગઈ ત્યારે બોઆઝે જુવાનોને કહ્યું કે, “તેને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો. તેને અટકાવતા નહિ. 16 પૂળામાંથી પણ થોડાં કણસલાં ખેંચી કાઢી બહાર રહેવા દેજો, જેથી એ વીણી લઈ શકે. એને ઠપકો ન આપશો.”

નાઓમીએ બોઆઝ વિષે સાંભળ્યું

17 આ રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કામ કર્યું, પછી વીણેલાં કણસલાં મસળીને તેણે દાણા કાઢયા તો આશરે એક એફાહ બરાબર 50 રતલ જવ થયા. 18 તે લઈને તે ગામમાં ગઈ, અને પોતે જે ભેગું કર્યુ હતું તે સાસુને બતાવ્યું. પછી ખાતાં જે વધ્યું હતું તે કાઢીને સાસુને આપ્યું.

19 તેની સાસુએ તેને પૂછયું, “આ બધા દાણા તેં ક્યાંથી ભેગા કર્યા? અને તેં ક્યાં કામ કર્યું? તારું ધ્યાન રાખનાર માંણસને આશીર્વાદ આપજે.”

તેણીએ કહ્યું કે, “આજે મેં બોઆઝ નામના એક માંણસના ખેતરમાં કામ કર્યું.”

20 નાઓમીએ કહ્યું, “બોઆઝ આપણો સંબંધી છે. એ આપણા રક્ષણ કરનારાઓમાંથી એક છે તે આપણો નજીકનો સગો છે. દેવના આશીર્વાદ એના પર રહે કારણકે એમણે જીવીત અને મૃત પામેલા પર પણ હંમેશા દયા દાખવી છે.”

21 એટલે રૂથે કહ્યું, “તેમણે મને લણણી પૂરી થાય ત્યાં સુધી તેના માંણસોની પાછળ પાછળ જવા કહ્યું છે.”

22 નાઓમીએ કહ્યું, “માંરી દીકરી, એ તો બહુ સારું, તું બીજા ખેતરમાં જાય અને તને કોઈ હેરાન કરે તેના કરતાં એના માંણસો સાથે રહેવું એ વધું સારું છે.” 23 આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું.

પ્રેરિતોનાં કૃત્યો 27

પાઉલની રોમની યાત્રા

27 તે નિર્ણય કરવામાં આવ્યો કે આપણે ઇટાલી તરફ વહાણ હંકારવું. જુલિયસ નામનો લશ્કરી સૂબેદાર પાઉલ અને બીજા કેટલાએક બંદીવાનોની ચોકી કરતો હતો. જુલિયસ પાદશાહના સૈન્યમાં સેવા કરતો હતો. અમે વહાણમાં બેઠા અને વિદાય થયા. વહાણ અદ્રમુત્તિયાના શહેરમાંથી આવ્યું હતું. અરિસ્તાર્ખસ અમારી સાથે હતો. તે મકદોનિયાના થેસ્સલોનિકા શહેરનો માણસ હતો.

બીજે દિવસે અમે સદોન શહેરમાં આવ્યા. જુલિયસ પાઉલ તરફ ઘણો સારો હતો. તેણે પાઉલને તેના મિત્રોની મુલાકાત લેવા જવાની છૂટ આપી. આ મિત્રો પાઉલની જરૂરિયાતોના કાળજી રાખતા. અમે સિદોન છોડ્યું અને સૈપ્રસ ટાપુ નજીક વહાણ હંકારી ગયા કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો. અમે કિલીકિયા અને પમ્ફુલિયા પાસેનો સમુદ્ધ ઓળંગ્યો. પછી અમે લૂકિયાના મૂરા શહેરમાં આવ્યા. મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું. આ વહાણ ઈટાલી જતું હતું. તેથી તેણે અમને તેમાં બેસાડ્યા.

અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ. અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું. કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ. તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા. અમે કિનારે કિનારે હંકારી ગયા. પણ હંકારવું ઘણું કઠણ હતું. પછી અમે (સલામત બંદર) (સેફ હાબેર્સ) નામે ઓળખાતી જગ્યાએ આવ્યા. ત્યાં નજીકમાં લસૈયા શહેર છે.

પણ અમે ઘણો સમય બગાડ્યો છે. હવે હંકારવું એ ઘણું ભયાનક હતું, કારણ કે યહૂદિઓના ઉપવાસનો દિવસ પછી લગભગ તેમ થયું હતું. તેથી પાઉલે તેમને ચેતવણી આપી. 10 “ભાઈઓ, હું જોઈ શકું છું કે આ સફરમાં ઘણી આફતો આવશે. વહાણ અને વહાણની અંદરની વસ્તુઓનો વિનાશ થશે. આપણા જીવો પણ જોખમમાં હશે!” 11 પરંતુ કપ્તાન અને વહાણના માલિકે પાઉલે જે કંઈ કહ્યું તે માન્યું નહિ અને લશ્કરના સૂબેદારે જે કપ્તાને અને વહાણના માલિકે કહ્યું તે માન્યું. 12 અને તે બંદર શિયાળામાં વહાણોને રહેવા માટે સારી જગ્યા ન હતી. તેથી ઘણા માણસોએ નિર્ણય કર્યો કે વહાણે ત્યાંથી વિદાય થવું જોઈએ. તે માણસોને આશા હતી કે આપણે ફ્નિકસ જઈ શકીએ. વહાણ ત્યાં શિયાળામાં રહી શકે. (ફેનિકસ ક્રીત ટાપુ પર આવેલું શહેર હતું. અને તેને એક બંદર છે જેનું મુખ અગ્નિકોણ તથા ઇશાન ખૂણા તરફ છે.)

તોફાન

13 પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. વહાણ પરના માણસોએ વિચાર્યુ: “આપણે જોઈએ છે તે આ પવન છે. હવે તે આપણી પાસે છે!” તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા. 14 પણ થોડા સમય પછી ઉત્તરપૂર્વીય (નોર્થ ઈસ્ટ-યુરાકુલોન) નામનો તોફાની પવન ટાપુ ઓળંગીને ધસી આવ્યો. 15 વહાણ પવનમાં સપડાયું. અને દૂર ઘસડાઈ ગયુ. વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું. તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું.

16 અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા. પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા. પણ તે કરવું ઘણું અધરું હતું. 17 માણસોના બચાવ હોડીને અંદર લાવ્યા બાદ તેઓએ વહાણને સાથે રાખવા વહાણની આજુબાજુ દોરડાં બાંધ્યા. તે માણસોને બીક હતી કે વહાણ સૂર્તિસના રેતીના કિનારા સાથે અથડાશે. તેથી તેઓએ સઢસામાન નીચે ઉતર્યા અને પવનથી વહાણને તણાવા દીધું.

18 બીજે દિવસે અમારા તરફ એટલા જોરથી પવન ફૂંકાતો હતો કે માણસોએ વહાણમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દીધી. 19 એક દિવસ પછી તેઓએ વહાણનાં સાધનો પોતાના હાથે જ બહાર ફેંકી દીધા. 20 ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ. તોફાન ઘણું ખરાબ હતું. અમે જીવતા રહેવાની બધી આશા ગુમાવી હતી. અમે વિચાર્યુ અમે મરી જઈશું.

21 તે માણસોએ ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહિ. પછી એક દિવસ પાઉલ તેઓની આગળ ઊભો રહ્યો અને બોલ્યો, “માણસો, મેં તમને ક્રીત નહિ છોડવાનું કહ્યું હતું. તમે મને ધ્યાનથી સાંભળ્યો હોત તો પછી તમને આ બધું નુકસાન અને ખોટ થાત નહિ. 22 પણ હવે હું તમને ખુશી થવા કહું છું. તમારામાંનો કોઈ મૃત્યુ પામશે નહિ. પણ વહાણનો નાશ થશે. 23 ગઇ રાત્રે દેવ તરફથી એક દેવદૂત મારી પાસે આવ્યો. હું જેની ભક્તિ કરું છું તે દેવ આ છે. હું તેનો છું. 24 દેવના દૂતે કહ્યું, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે કૈસરની સામે ઊભા રહેવાનું જ છે. અને દેવે આ વચન આપ્યું છે. તે તારી સાથે વહાણમાં હંકારતા હશે તે બધા લોકોની જીંદગી તારે ખાતર બચાવશે અને તારે ખાતર તે પેલા લોકોનું જીવન પણ બચાવશે જે તારી સાથે વહાણ હંકારે છે.’ 25 તેથી માનવબંધુઓ પ્રસન્ન થાઓ! મને દેવમાં વિશ્વાસ છે. તેના દૂતે કહ્યું તે મુજબ જ બધું બનશે. 26 પણ આપણે એક બેટ પર અથડાવું પડશે.”

27 ચૌદમી રાત આવી ત્યારે અમે આંદ્રિયા સમુદ્રમાં આમ તેમ તરતા હતા. ખલાસીઓને લાગ્યું આપણે જમીનના નજીક છીએ. 28 તેઓએ દોરડાને છેડે વજન લટકાવીને પાણીની અંદર ફેંક્યા. તેઓએ જોયું દરિયાની ઊડાઈ 120 ફૂટ હતી. તેઓ થોડા આગળ ગયા અને ફરીથી દોરડા નાખ્યા તો ત્યાં 90 ફૂટ ઊડાઈ હતી. 29 ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા. 30 કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી. તેઓએ (જીવનરક્ષા) મછવો પાણીમાં ઉતાર્યો. ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા. કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા. 31 પણ પાઉલે લશ્કરના સૂબેદાર અને બીજા સૈનિકોને કહ્યું, “જો આ લોકો વહાણમાં નહિ રહે તો પછી તેઓને બચાવાશે નહિ!” 32 તેથી સૈનિકોએ દોરડાં કાપી નાખ્યા અને જીવનરક્ષા મછવાને પાણીમાં છોડી દીધું.

33 જ્યારે અમે દિવસ ઉગવાની રાહ જોતા હતા ત્યારે પાઉલે બધા લોકોને કંઈક ખાવા માટે સમજાવવાની શરૂઆત કરી. તેણે કહ્યું, “ગયા બે અઠવાડિયાથી તમે ભૂખ્યા રહીને રાહ જોઈ છે. તમે 14 દિવસ સુધી ખાધું નથી. 34 હું તમને હવે વિનંતી કરું છું કે, તમે કંઈક ખાઓ. પછી તેણે આ કહ્યું. તમારે જીવતા રહેવા માટે આ તમારા માટે જરુંરી છે. તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી,” 35 પાઉલે કેટલીક રોટલી લીધી તેઓના બધાની સમક્ષ દેવની સ્તુતિ કરી. તેણે એક ટુકડો તોડ્યો અને ખાવાની શરૂઆત કરી. 36 બધા લોકોને વધારે સારું લાગ્યું. તેઓ બધાએ પણ ખાવાનું શરૂ કર્યુ. 37 (ત્યાં વહાણમાં 276 લોકો હતા.) 38 અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ.

વહાણનો વિનાશ

39 જ્યારે દિવસનો પ્રકાશ આવ્યો ત્યારે ખલાસીઓએ જમીન જોઈ. પણ તેઓએ તે જમીન ક્યાંની હતી તે ખબર ન હતી. તેઓએ (રેતીના) કાંઠાવાળી ખાડી જોઈ. ખલાસીઓની ઈચ્છા, જો તેઓ કરી શકે તો વહાણને કિનારા સુધી હંકારવાની હતી. 40 તેથી તેઓએ સુકાનને પકડી રાખવા દોરડાં અને લંગરો સમુદ્રમાં નાખ્યા. પછી તેઓએ તે સાથે દોરડાં પણ ઢીલા કરી દીધાં. સામેનો સઢ પવન તરફ ચઢાવી દીધો અને કિનારા તરફ હંકાર્યુ. 41 પણ વહાણ ત્યાં રેતીના કિનારા સાથે અથડાયું. વહાણનો આગળનો ભાગ ત્યાં ચોટી ગયો. તે વહાણ હાલી શક્યું નહિ. પછી મોટા મોજાંઓએ વહાણના પાછળના ભાગના ટૂકડા કરવાનું શરું કર્યુ.

42 સૈનિકોએ કેદીઓને મારી નાખવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ પણ કેદી તરીને દૂર ભાગી શકે નહિ. 43 પરંતુ લશ્કરી સૂબેદાર પાઉલને જીવતો રાખવા ઈચ્છતો હતો. તેથી તેણે સૈનિકોને કેદીઓને મારી નાખવાની પરવાનગી આપી નહિ. જુલિયસે જે લોકો તરવા માટે પાણીમાં કૂદકો મારી જમીન સુધી તરી જઈ શકે તેમ હોય તેને પ્રથમ તેમ કરવા કહ્યું. 44 બીજા લોકોએ વહાણના પાટિયાં કે ટુકડાઓનો ઉપયોગ કર્યો અને આ રીતે બધા લોકો જમીન પર ઉતર્યા. તે લોકોમાંથી કોઇનું મૃત્યુ થયું નહિ.

યર્મિયા 37

યર્મિયાને કારાવાસ

37 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના નવા રાજા તરીકે યહોયાકીમ રાજાના પુત્ર કોન્યાની નિમણૂંક કરી નહિ, પણ તેને બદલે તેણે યોશિયાના પુત્ર સિદકિયાની પસંદગી કરી. યહોવાએ યર્મિયા દ્વારા જે વચનો કહેવડાવ્યા હતાં તે રાજા સિદકિયાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.

તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યાજક સફાન્યાને યર્મિયા પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવા આપણા દેવ પાસે પ્રાર્થના કર.”

એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી, હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો; દરમ્યાન ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી, અને યરૂશાલેમને ઘેરો ઘાલીને પડેલા બાબિલવાસીઓએ, એની જાણ થતા જ ઘેરો ઉઠાવી લીધો.

પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: “ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે કે, ‘યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે. અને બાબિલવાસીઓ ફરી હુમલો કરશે. ઓ આ યરૂશાલેમ શહેર ને કબજે કરી એને બાળી મૂકશે.’ આ હું યહોવા બોલું છું. ‘તમે પોતાની જાતને છેતરશો નહિ, એમ ન માનશો કે બાબિલવાસીઓ તમારા દેશમાંથી કાયમ માટે પાછા જશે. 10 જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઇને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજીત કરશે, અને આ નગરને બાળી નાખશે.’”

11 અને ત્યારે, ફારુનનું સૈન્ય ત્યાં પહોચવાના કારણે બાબિલના સૈન્યે યરૂશાલેમને છોડી દીધુ. 12 યર્મિયા યરૂશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. 13 પરંતુ બિન્યામીનના દરવાજામાંથી યર્મિયા પસાર થતો હતો, ત્યારે હનાન્યાના પુત્ર શેલેમ્યાના પુત્ર ઇરિયા સંત્રીએ તેની ધરપકડ કરી અને કહ્યું કે, “તે બાબિલના પક્ષમાં જતો રહે છે અને તે રાજદ્રોહી છે.”

14 યર્મિયાએ કહ્યું, “ખોટી વાત છે, બાબિલવાસીઓ સાથે ભળી જવા માટે હું નથી જતો. આમ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.” પરંતુ ઇરિયાએ તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો, અમલદારો યર્મિયા પર ક્રોધે ભરાયા. 15 તેમણે તેને ચાબુક મરાવી તેને મંત્રી યહોનાથાનના ઘરમાં કેદ પૂરી દીધો. 16 તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યર્મિયાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.

17 સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછયું કે, “આજના દિવસોમાં શું યહોવા તરફથી તને કોઇ સંદેશો મળ્યો છે?”

યર્મિયાએ કહ્યું, “હા, સંદેશો મળ્યો છે. બાબિલના રાજાથી તું હાર પામશે.” 18 ત્યારબાદ યર્મિયાએ રાજા સિદકિયાને પૂછયું, “મેં તમારું કે તમારા અમલદારોનું કે આ લોકોનું શું બગાડ્યું છે કે તમે મને કેદ કર્યો છે. 19 જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’ 20 તેથી, મારા ધણી મારા રાજા, મહેરબાની કરીને મને સાંભળો, મારી નમ્ર વિનંતિ ધ્યાનમાં લો. મને પાછો મંત્રી યહોનાથાનને ઘેર ન મોકલશો, નહિ તો હું ત્યાં મરી જઇશ.”

21 જ્યારે રાજા સિદકિયાએ આજ્ઞા કરી કે, યર્મિયાને કેદમાં ન મોકલવામાં આવે, પરંતુ તેને રાજમહેલની જેલમાં રાખવામાં આવે અને નગરમાં રોટલી ખલાસ થઇ જાય ત્યાં સુધી તેને રોજ તાજી બનાવેલી રોટલી આપવામાં આવે. આમ થવાથી યર્મિયા રાજમહેલની જેલમાં રહ્યો.

ગીતશાસ્ત્ર 10

હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
    સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
    તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
    અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
    લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
    દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
    અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
    દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
“હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
    સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
    તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
    કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
    માટે તેઓ છુપાઇ જાય છે.
જેમ સિંહ ગુફામાં છુપાઇને
    ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
    તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
    અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
    દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
    સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”

12 હે યહોવા, ઊઠો! હે દેવ,
    તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
    અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
    શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
    તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
    તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
    તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.

15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
    તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
    દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
    વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
    તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
    અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
    પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International