M’Cheyne Bible Reading Plan
શીલોહમાં એલ્કાનાહ અને તેના કુળની પ્રાર્થના
1 એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.
2 તેને હાન્ના અને પનિન્ના નામની બે પત્નીઓ હતી. પનિન્નાને સંતાનો હતા; જયારે હાન્ના નિ:સંતાન હતી.
3 પ્રતિવર્ષ એલ્કાનાહ અને તેનું કુટુંબ સાથે સર્વસમર્થ દેવની ઉપાસના કરવા અને અર્પણો અર્પણ કરવા માંટે શીલોહ જતા હતા. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ યહોવાના યાજકો તરીકે સેવા આપતા હતા. 4 જયારે જયારે એલ્કાનાહ પોતાના અર્પણો અર્પણ કરતો ત્યારે તે પોતાની પત્ની પનિન્નાને અને તેનાં બધાં બાળકોને ખોરાકનો ભાગ આપતો. 5 એલ્કાનાહ હાન્નાને હમેશા ખોરાકનો એક સરખો ભાગ આપતો, હાન્નાને યહોવાએ નિ:સંતાન રાખી હતી છતા એલ્કાનાહ આમ કરતો. એલ્કાનાહ એટલા માંટે આમ કરતો કેમકે હાન્નાજ એ પત્ની હતી જેની પર તે વધારે પ્રેમ કરતો હતો.
પનિન્નાના મહેણાંથી હેરાન હાન્ના
6 પનિન્ના હમેશા હાન્નાને ચિંતિત કરતી અને તેને ખરાબ લાગે તેમ કરતી હતી. પનિન્નાએ આમ કર્યું કારણકે હાન્ના સંતાન મેળવી શકતી ન હતી. 7 પ્રતિવર્ષ આમ બનતું; જયારે તેઓ યહોવાના મંદિરે શીલોહ જતા ત્યારે પનિન્ના તેને મહેણાં માંરતી અને તેની મશ્કરી કરતી, તેથી હાન્ના રડી પડતી અને ખાતી પણ નહિ. 8 તેનો પતિ હઁમેશા તેણીને પૂછતો, “હાન્ના, તું શા માંટે રડે છે? અને તું ખાતી કેમ નથી? તું શા માંટે આટલી ઉદાસ છે? હું દસ પુત્રો કરતાં સારો છું તેમ તારે વિચારવું.”
હાન્નાની પ્રાર્થના
9 એક વખત મંદિરમાં તેમણે પ્રસાદ ગ્રહણ કર્યા પછી હાન્ના પવિત્રમંડપમાં ગઈ યહોવાની સામે ઊભી રહી. તે વખતે યાજક એલી યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો. 10 હાન્ના બહુ દુ:ખી હતી. તેણીએ યહોવાને પ્રાર્થના કરી ત્યારે તેણી બહુ રડી. 11 તેણે એવી માંનતા રાખી કે, “ઓ સર્વસમર્થ યહોવા, તું જો તારી આ દાસી પર કૃપાદૃષ્ટિ કરે, માંરી પ્રાર્થના સાંભળે, ભૂલી ન જાય અને મને એક પુત્ર આપે, તો હું તે પુત્ર દેવને સમર્પણ કરીશ, જે જીવનપર્યંત દેવનો થઈને રહેશે અને તેના વાળ કદી કપાવીશ નહિ.”
12 આમ લાંબા સમય સુધી હાન્નાએ યહોવા સમક્ષ પ્રાર્થના કરી એલીએ જોયું કે માંત્ર તેના હોઠ હાલતા હતા. 13 તે મનમાં પ્રાર્થના કરતી હતી; તેના હોઠ હાલતા હતા પરંતુ તેનો અવાજ સંભળાતો નહોતો, 14 આથી એલીએ માંન્યું કે, “તે પીધેલી છે. તમે બહું જ પી લીધુ છે! તેણે તેણીને કહ્યું દ્રાક્ષારસ છોડ અને ધીરજ ધર.”
15 હાન્નાએ કહ્યું, “ના માંરા ધણી, મેં દ્રાક્ષારસ કે કોઈ કેફી પીણું પીધું નથી. પણ હું ઊંડી ઉપાધિમાં છું, હું સર્વસમર્થ દેવને પ્રાર્થના કરી રહી છું અને તેમને માંરા દુ:ખો અને ઇચ્છાઓ વિષે કહી રહી છું. 16 મને એવી પતિત ના માંનશો. પણ આ બધો વખત હું માંરી વ્યથા અને દુ:ખોની બહાર થઇ દેવને પ્રાર્થના કરતી હતી.”
17 એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”[a]
18 હાન્નાએ કહ્યું, “તમાંરો આભાર, માંરા ઉપર દયા રાખતા રહેજો.” અને પછી તે ચાલી ગઈ. તેણે થોડું ખાધું, હવે તે ઉદાસ રહેતી નહોતી.
19 બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા.
શમુએલનો જન્મ
એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ. 20 આજ સમયે તેના પછીના વર્ષે હાન્ના ગર્ભવતી બની અને તેણે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ શમુએલ પાડયું. કારણ, તે કહેતી, “મેં યહોવા પાસે તેને માંગ્યો હતો.”
21 એક વર્ષ બાદ એલ્કાનાહ અને તેનું સમગ્ર કુટુંબ પ્રતિ વર્ષની જેમ યહોવા દેવને પ્રાર્થના અને યજ્ઞ કરવા અને તેણે દેવને આપેલું વચન પૂરુ કરવા શીલોહ ગયાં. 22 પણ હાન્ના ગઈ નહિ, તેણે તેના પતિને કહ્યું, “પુત્ર ખાતો થાય પછી હું એને યહોવા સમક્ષ લઈ જઈશ, અને યહોવાને અર્પણ કરીશ પછી કાયમ માંટે તે ત્યાં જ રહેશે.”
23 એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.
શમુએલ દેવને સમર્પણ
24 પછી ધાવણ છોડાવ્યા બાદ તે તેને શીલોહ યહોવાના મંદિરમાં લઈ ગઈ, તેણે ત્રણ વર્ષનો એક બળદ, એક એફાહ લોટ અને થોડો દ્રાક્ષારસ પણ સાથે લીધો.
25 તેમણે બળદને વધેર્યો, પછી બાળકને એલી આગળ રજૂ કર્યો. 26 હાન્નાએ કહ્યું, “માંરા મુરબ્બી, હું સમ ખઇને કહું છું કે હું સાચું બોલી રહી છું. હું એજ સ્રી છું જે તમાંરી પાસે ઊભી હતી અને યહોવાને પ્રાર્થના કરતી હતી. 27 મેં આ બાળક મેળવવા માંટે પ્રાર્થના કરી અને યહોવાએ માંરી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. 28 હવે હું આ પુત્રને યહોવાને સમર્પિત કરું છું. તે જ્યાઁ સુધી જીવશે ત્યાં સુધી યહોવાની સેવામાં રહેશે.” પછી તેણે યહોવાની ઉપાસના કરી.
1 બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું.
દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો.
2 તેના લોકોને આ સુવાર્તા આપવાનું વચન દેવે તેના પ્રબોધકો મારફતે આપ્યું હતું. પવિત્ર શાસ્ત્રમાં આ વચન લખેલું છે. 3-4 આ સુવાર્તા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે દેવનો દીકરો છે, જો કે એક વ્યક્તિ તરીકે તેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો હતો. પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો.
5 દેવે ખ્રિસ્ત દ્વારા, તેના પ્રેરિત બનવાનું આ ખાસ મહત્વનું કામ મને સોંપ્યું છે. બધા દેશોના લોકો દેવમાં વિશ્વાસ રાખીને તેની આજ્ઞા પાળે એવું માર્ગદર્શન આપવાનું કામ દેવે મને આપ્યું છે. ખ્રિસ્ત માટે આ કાર્ય હું કરી રહ્યો છું. 6 હે રોમવાસીઓ, તમે પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડાયેલાં છો.
7 તમે તે લોકો છો જેઓને દેવ ચાહે છે અને પોતાના પવિત્ર લોકો થવા માટે તમને બોલાવ્યા છે. એવા તમ સર્વ લોકોને હું આ પત્ર લખું છું.
આપણા પિતા દેવથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા અને શાંતિ થાઓ.
આભારસ્તુતિની પ્રાર્થના
8 ઈસુ ખ્રિસ્ત દ્વારા હું દેવનો તમારા સર્વને માટે આભાર માનું છું. તમે રોમવાસીઓ પણ દેવમાં અસીમ વિશ્વાસ ધરાવો છો એવું કહેતા ઘણા લોકોને મેં સાંભળ્યા છે. તેથી દેવનો આભાર માનું છું. 9-10 જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે તમને યાદ કરું છું. દેવ જાણે છે કે આ વાત સાચી છે. દેવના દીકરા વિષેની સુવાર્તા લોકોમાં ફેલાવીને મારા આત્મા સાથે દેવની સેવા કરું છું. તમો સર્વ રોમવાસીઓ વચ્ચે પ્રભુ મને આવવા દે એવી મારી પ્રાર્થના છે. દેવની ઈચ્છા હશે તો એમ થશે. 11 તમ સૌને મળવાનું મને ઘણું મન થાય છે. હું તમને કોઈ આત્મિક દાન આપીને વધારે સાર્મથ્યવાન બનાવવા ઈચ્છું છું. 12 હું એમ કહેવા માગું છું કે આપણને જેમાં વિશ્વાસ છે તેના વડે આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ. તમારો વિશ્વાસ મને મદદ કરશે, અને મારો વિશ્વાસ તમને.
13 ભાઈઓ અને બહેનો, તમારા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થવા માટે તમારી પાસે આવવા અનેકવાર મેં તૈયારીઓ કરી હતી. પરંતુ મને આવવા દીધો નથી, એની નોંધ લેવા વિનંતી. જેમ બીજા બિન-યહૂદિ લોકોને મેં જે રીતે મદદ કરી છે. તે રીતે તમને પણ મદદ કરવાની મારી ઈચ્છા છે.
14 ગ્રીક લોકો તથા બિન-ગ્રીક લોકો, શાણા તેમ જ મૂર્ખ લોકો કે જે સૌની સેવા મારે કરવી જોઈએ. 15 તેથી જ રોમના લોકોને દેવની આ સુવાર્તા પહોંચાડવા હું અત્યંત આતુર છું.
16 આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને. 17 દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.”(A)
સઘળા પાપી છે
18 સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે. 19 દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે.
20 દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.
21 આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો. 22 લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા. 23 અવિનાશી દેવના મહિમાને બદલે, પૃથ્વી પરના માનવો જેવી મૂર્તિઓ બનાવીને લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. પશુ, પક્ષી અને નાગો જેવી વસ્તુઓ દ્વારા લોકો દેવના મહિમાનો વેપાર કરવા લાગ્યા.
24 માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ. 25 દેવ વિષેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યુ તે દેવની સેવા-ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ સર્જીત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા ખરેખર તો લોકોએ ઉત્પન્નકર્તાની સર્વકાળ સ્તુતિ કરવી. આમીન.
26 લોકોએ એવાં પાપી કાર્યો કર્યા તેથી, દેવે તેમને તરછોડી દીધા અને તેઓની ઈચ્છા મુજબ તેઓને શરમજનક મનોવિકારમાં રાખ્યા. પુરુંષો સાથે સ્વાભાવિક રીતે લગ્ન સબંધ માણવાનું સ્ત્રીઓએ બંધ કર્યુ. તેને બદલે અન્ય સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અસ્વાભાવિક વ્યવહાર કરવા લાગી. 27 એ જ પ્રમાણે, સ્ત્રીઓ સાથે સ્વાભાવિક લગ્ન સંબંધ ભોગવવાને બદલે પુરુંષો પણ એકબીજા સાથેની સજાતીય ઈચ્છાથી બળવા લાગ્યા. આમ પુરુંષો એકબીજા સાથે શરમજનક વ્યવહાર કરવા લાગ્યા. તેથી આવા અયોગ્ય વ્યવહારને કારણે તેઓને પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવવું પડ્યું.
28 દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું એ જ મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે ન કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે. 29 સ્વાર્થ, ધિક્કાર, અનિષ્ટ એમ દરેક પ્રકારનાં પાપ વડે એ લોકોનું જીવન ભરપૂર જણાય છે. એકબીજા માટે ખરાબમાં ખરાબ વિચારો ધરાવતા આ લોકોમાં ઈર્ષ્યા, ખૂન, ઝઘડા, જૂઠ્ઠાણું (છેતરપીંડી) વગેરે અનેક અનિષ્ટ પાપોએ પ્રવેશ કર્યો છે. 30 તેઓ એકબીજા વિષે નિંદા કર્યો કરે છે. તેઓ આ રીતે દેવને પણ ધિક્કારે છે. તેઓ ઉદ્ધત અને મિથ્યાભિમાની છે અને પોતાના વિષે બડાશો માર્યા કરે છે. અનિષ્ટ કરવાના નવા નવા માર્ગો તેઓ શોધી કાઢે છે. તેઓ પોતાના મા-બાપની આજ્ઞા પણ પાળતા નથી. 31 તેઓ મૂર્ખ છે, તેમનાં વચન પાળતા નથી, અને તેઓ બીજા લોકો પ્રત્યે દયા, મમતા, ભલાઈ દર્શાવતા નથી. 32 તેઓ સારી રીતે જાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે. તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે. એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે.
યરૂશાલેમનું પતન
39 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમાં વર્ષના દશમાં મહિનામાં નબૂખાદનેસ્સારે પોતાની આખી સૈના સાથે યરૂશાલેમ પર ચઢાઇ કરીને તેને ઘેરો ઘાલ્યો. 2 સિદકિયાના શાસનના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ નગરની બધી દીવાલોને તોડી નાખીને ભંગાણ પાડ્યું. 3 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યાં અને વિજય પ્રાપ્ત કરીને નગરનાં વચલા દરવાજામાં બેઠાં, સામ્ગારનબૂ, સાર્સખીમ, રાબ-સારીસ અને રાજાનો મુખ્ય મદદનીશ નેર્ગલ-શારએસેર તથા અન્ય ત્યાં હાજર હતાં.
4 સિદકિયા રાજાને તથા તેના સૈન્યને તેની ખબર પડી કે નગર જીતી લેવાયું છે, ત્યારે તેઓ રાજાના બગીચાના રસ્તા પરથી ભાગી ગયા. તેઓએ બે દીવાલો વચ્ચેના દરવાજામાંથી નગર છોડ્યું અને યરદન નદી તરફ આગળ વધ્યાં. 5 પરંતુ બાબિલવાસીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહ ખાતે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઇ ગયા અને તેના પર કામ ચલાવવામાં આવ્યું. 6 પછી બાબિલના રાજાએ સિદકિયાની નજર સામે તેના પુત્રોનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા. 7 ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો.
8 બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી. 9 બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યાં હતાં તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને બાબિલમાં દેશવટો દીધો. 10 તેણે વસ્તીમાંના ગરીબ લોકોને યહૂદિયામાં રહેવા દીધા, જેમની પાસે કશું જ નહોતું, તેમને દ્રાક્ષનીવાડીઓ અને ખેતરો આપ્યાં.
11 હવે નબૂખાદનેસ્સાર રાજાએ નબૂઝારઅદાનને હુકમ કર્યો કે તે યર્મિયાને શોધી કાઢે. 12 તેણે કહ્યું, “તેને સહેજ પણ ઇજા થવી જોઇએ નહિ, તેની સંભાળ રાખજે, અને તેને જે જોઇએ તે બધું પૂરું પાડજે.”
13 તેથી નબૂઝારઅદાનને મુખ્ય દરબારી નબૂશાઝબાનને વડા અધિકારી નેર્ગાલ-શારએસેરને અને બાબિલના રાજાના બધા મુખ્ય અમલદારોને મોકલ્યા. 14 યર્મિયાને કેદખાનામાંથી કાઢી લાવવા માટે તેઓએ સૈનિકોને મોકલ્યા, યર્મિયાને ચોકીમાંથી બહાર કાઢયો, તે તેને ઘેર લઇ જવા સારું શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો; આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો.
અબેદ મેલેખને યહોવાનો સંદેશ
15 યર્મિયા કેદખાનામાં જ હતો અને બાબિલનું સૈન્ય યરૂશાલેમ પર ચઢી આવ્યું તે પહેલાં યહોવાનો આ સંદેશો તેની પાસે આવ્યો હતો: 16 “તુ જઇને કૂશના એબેદ-મેલેખને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: મેં કહ્યા પ્રમાણે આ શહેર પર આફત ઉતારનાર છું, હું એનું ભલું કરનાર નથી. જે વખતે આ બનશે ત્યારે તું એ જોવા હાજર હોઇશ: 17 પણ તે દિવસે હું તને ઉગારી લઇશ, તું જેમનાથી ડરે છે તે માણસોના હાથમાં તને નહિ સોંપી દઉં. 18 કારણ કે હું તને ચોક્કસ બચાવી લઇશ, તું મરણ નહિ પામે. હું તારું જીવન બચાવીશ કારણ કે, તેં મારા પર વિશ્વાસ રાખ્યો હતો,’” આ યહોવાના વચન છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International