M’Cheyne Bible Reading Plan
મીખાહની મૂર્તિઓ
17 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહ નામે એક માંણસ રહેતો હતો. 2 એક દિવસ તેણે તેની માંતાને કહ્યું, “જ્યારે તારા અગિયારસો ચાંદીના સિક્કા[a] ચોરાઈ ગયા ત્યારે તેં ચોરને શાપ દીધો હતો, તે મેં સાંભળ્યો હતો, એ સિક્કા માંરી પાસે જ છે, મેં જ તે ચોર્યા હતાં.”
તેની માંતાએ કહ્યું, “યહોવા તારું ભલું કરો, બેટા.”
3 એટલે તેણે અગિયારસો ચાંદીના સિક્કા તેની માંને પાછા આપ્યા, માં બોલી, “માંરા પુત્રના હિત માંટે મેં આ ચાંદીના સિક્કા લાકડાની કોતરેલી અને ધાતુથી મઢેલી પ્રતિમાં બનાવવા માંટે યહોવાને સમર્પી દીધા હતાં, હવે તને પાછા સોંપું છું. પણ છોકરાએ તે પાછા આપ્યા.”
4 પછી મીખાહે ચાંદીના સિક્કા તેની માંતાને પાછા આપ્યા તેણી 200 શેકેલ[b] લઈને ઝવેરી પાસે ગઈ. તેણે તેમાંથી ધાતુની મૂર્તિ બનાવી અને તે મીખાહે તેના ઘરમાં રાખી. 5 મીખાહના ઘરમાં મંદિર હતું, ત્યાં તેણે એક એફ્રોદની મૂર્તિ મૂકી અને તેના કુળદેવતાની મૂર્તિઓ બનાવડાવી અને તે મૂર્તિના યાજક તરીકે તેણે તેના પુત્રોમાંથી એક પુત્રને યાજક તરીકે નીમ્યો. 6 કારણ કે તે સમયે ઈસ્રાએલમાં કોઈ રાજા ન હતો, અને પ્રત્યેક માંણસ પોતાની ઇચ્છાપ્રમાંણે પોતાની નજરમાં જે સારું લાગે તે કરતો હતો.
7 પૂર્વે એકવાર, યહૂદા કુળસમૂહમાંથી એક યુવાન માંણસ જે લેવી હતો. તે બેથલહેમમાં એક વિદેશીની જેમ રહેતો હતો. 8 વસવાટ માંટે બીજી કોઈ સારી જગ્યાની શોધમાં તે બેથલેહેમ છોડીને ફરતા ફરતા એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર આવી ચડયો. 9 મીખાહે તેને કહ્યું, “તું કયાંથી આવ્યો?”
તેણે જવાબ આપ્યો, “હું યહૂદામાં આવેલા બેથલેહેમના લેવી કુળનો યાજક છું અને વસવાટ માંટેની જગ્યાની શોધમાં છું.”
10 મીખાહે તેને કહ્યું, “તું માંરી સાથે રહે, કુળના વડા થવાની જવાબદારી લે અને અમાંરો યાજક બન, હું તને દર વરસે દસ ચાંદીના સિક્કા આપીશ, હું તને સરખું ખાવાનું અને સારા કપડાં પણ આપીશ તેથી લેવી તેની સાથે ગયો.”
11 લેવી તેની સાથે રહેવા કબૂલ થયો અને તેના એક પુત્ર જેવો જ બની ગયો. 12 મીખાહે તેની યાજકપદે નિમણુંક કરી અને તે તેનો યાજક બન્યો અને તેના ઘરમાં રહેવા લાગ્યો. 13 મીખાહને થયું, “હવે મને ખાતરી થઈ કે, યહોવા માંરું કલ્યાણ કરશે, કારણ કે એક યાજક માંરો લેવીવંશી છે.”
પાઉલનું યરૂશાલેમમાં ગમન
21 અમે બધાએ વડીલોની વિદાય લીધી અને પછી વહાણ હંકારી ગયા. અમે કોસ ટાપુ ગયા. બીજે દિવસે અમે રોદસ ટાપુ પર ગયા. રોદસથી અમે પાતરા ગયા. 2 પાતરામાં અમને એક વહાણ મળ્યું તે ફિનીકિયા પ્રદેશમાં જતું હતું. અમે વહાણમાં બેઠા અને હંકારી ગયા.
3 અમે સૈપ્રસ ટાપુ નજીક હંકાર્યુ. અમે તેને ઉત્તર (ટાપુ) તરફ જોયો, પણ અમે અટક્યા નહિ. અમે સિરિયાના દેશ તરફ હંકારી ગયા. અમે તૂર શહેર પાસે અટક્યા. કારણ કે ત્યાં માલવાહક વહાણ ખાલી કરવાનું હતું. 4 અમે તૂરના ઈસુના કેટલાએક શિષ્યોને જોયા, અને અમે તેઓની સાથે સાત દિવસ રહ્યા. તેઓએ પાઉલને યરૂશાલેમ નહિ જવા ચેતવણી આપી કારણ કે પવિત્ર આત્માએ તેઓને તેમ કહ્યું હતું. 5 પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો. ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી. 6 પછી અમે શુભેચ્છા પાઠવી અને વહાણમાં બેઠા ત્યારબાદ શિષ્યો ઘરે ગયા.
7 અમે તૂરથી પ્રવાસ ચાલુ રાખ્યો અને તોલિમાઈના શહેરમાં ગયા. અમે ત્યાં ભાઈઓને શુભેચ્છા પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા. 8 બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો. 9 તેને ચાર પુત્રીઓ હતી જે પરિણિત ન હતી. આ પુત્રીઓને પ્રબોધ કરવાનું સાર્મથ્ય હતું.
10 અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો. 11 તે અમારી પાસે આવ્યો અને પાઉલનો કમરબંધ ઉછીનો લીધો. પછી આગાબાસે તેના પોતાના હાથ અને પગ બાંધવા માટે તે કમરબંધનો ઉપયોગ કર્યો. આગાબાસે કહ્યું, “પવિત્ર આત્મા મને કહે છે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાં યહૂદિઓ આવી રીતે બાંધીને બિનયહૂદિઓના હાથમાં સોંપશે.’”
12 અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે. તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી. 13 પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”
14 અમે તેને યરૂશાલેમથી દૂર રહેવા માટે સમજાવી શક્યા નહિ. તેથી અમે તેને વિનંતી કરવાનું બંધ કર્યુ અને કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાઓ.”
15 આ દિવસો પછી, અમે સરસામાન લઈને યરૂશાલેમ જવા નીકળ્યા. 16 કૈસરિયાથી કેટલાએક ઈસુના શિષ્યો અમારી સાથે આવ્યા. આ શિષ્યો અમને મનાસોન જે જૂનો શિષ્યો સૈપ્રસનો હતો, તેને ઘરે લઈ ગયા. મનાસોન એ ઈસુના શિષ્યોમાં પ્રથમ શિષ્ય હતો. તેઓ અમને તેને ઘેર લઈ ગયો તેથી અમે તેની સાથે રહી શક્યા.
પાઉલની યાકૂબની મુલાકાત
17 યરૂશાલેમમાં વિશ્વાસીઓ અમને જોઈને ઘણા પ્રસન્ન થયા. 18 બીજે દિવસે, પાઉલ અમારી સાથે યાકૂબની મુલાકાતે આવ્યો. બધાજ વડીલો પણ ત્યાં હતા. 19 પાઉલે તે બધાને અભિનંદન પાઠવ્યા. પછીથી તેણે તેઓને દેવે બિનયહૂદિ લોકોમાં તેમની પાસે કેવી રીતે સેવા કરાવી તે વિગતે કહ્યું. તેણે તેઓને દેવે તેઓના મારફત જે બધું કરાવ્યું હતું તે બિનયહૂદિઓમાં પણ કહ્યું.
20 જ્યારે આગેવાનોએ આ વાતો સાંભળી, તેઓએ દેવની સ્તુતિ કરી. પછી તેઓએ પાઉલને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે હજારો યહૂદિઓ વિશ્વાસીઓ બન્યા છે. પણ તેઓ વિચારે છે કે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવું તે ઘણું અગત્યનું છે. 21 આ યહૂદિઓએ તારા બોધ વિષે સાંભળ્યું છે. યહૂદિઓ જે બિનયહૂદિઓના દેશમાં રહે છે તેમને મૂસાના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે. તેઓએ સાંભળ્યું છે કે તું તે યહૂદિઓને તેમનાં બાળકોને સુન્નત નહિ કરાવવા અને યહૂદિઓના રિવાજોનું પાલન ન કરવા કહે છે.
22 “અમારે શું કરવું? અહીંના યહૂદિ વિશ્વાસીઓ જાણશે કે તું આવ્યો છે. 23 તેથી તારે શું કરવું તે અમે કહીશું અમારા ચાર માણસોએ દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે. 24 આ માણસોને તારી સાથે લે અને તેઓના શુદ્ધિકરણ સમારંભમાં ભાગીદાર બન. તેમનો ખર્ચ આપ. પછી તેઓ તેમનાં માથા મૂંડાવે, આમ કર અને તે પ્રત્યેક વ્યક્તિને સાબિત કરાવશે કે તેઓએ તારા વિષે સાંભળેલી વાતો સાચી નથી. તેઓ જોશે કે તું તારા જીવનમાં મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરે છે.
25 “અમે બિનયહૂદિ વિશ્વાસીઓને પત્ર મોકલી દીધેલ છે. પત્રમાં કહ્યું છે:
‘મૂર્તિઓને અર્પણ કરેલ ભોજન ખાવું નહિ. લોહીને ચાખવું નહિ.
ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાવા નહિ.
વ્યભિચારનું પાપ કરો નહિ.’”
પાઉલની ધરપકડ
26 પછી પાઉલે તે ચાર માણસોને સાથે લીધા. બીજે દિવસે પાઉલે શુદ્ધિકરણ સમારંભના દિવસો ક્યારે પૂર્ણ થશે તેની જાહેરાત કરી. છેલ્લે દિવસે તેઓમાંના દરેકને માટે અર્પણ ચઢાવવામાં આવશે.
27 લગભગ તે સાત દિવસ પૂરા થયા. પણ કેટલાક આસિયાના યહૂદિઓએ પાઉલને મંદિરમાં જોયો. તેઓએ બધા લોકોને ઉશ્કેર્યા અને તેઓએ પાઉલને હાથ નાખીને પકડી લીધો. 28 તેઓએ બૂમો પાડી, “અરે! ઈસ્રાએલી માણસો, અમને મદદ કરો! આ એ માણસ છે જે મૂસાના નિયમશાસ્ત્રની વિરૂદ્ધ, આપણા લોકોની વિરૂદ્ધ અને આ જગ્યાની વિરૂદ્ધ શીખવે છે. આ માણસ દરેક જગ્યાએ બધા જ લોકોને આ વાતો શીખવે છે. અને હવે તેણે કેટલાએક ગ્રીક માણસોને મંદિરની પરસાળમાં દાખલ કર્યા છે! તેણે આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યુ છે.” 29 (યહૂદિઓએ આમ કહ્યું, કારણ કે તેઓએ યરૂશાલેમમાં ત્રોફિમસને પાઉલ સાથે જોયો. ત્રોફિમસ એફેસસનો ગ્રીક માણસ હતો. યહૂદિઓએ વિચાર્યુ કે પાઉલે તેને મંદિરના પવિત્ર ભાગમાં લાવ્યો છે.)
30 યરૂશાલેમના બધા જ લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ બધા દોડ્યા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને મંદિરના પવિત્ર સ્થળની બહાર કાઢ્યો. મંદિરના દરવાજા તરત જ બંધ કરવામાં આવ્યા. 31 લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે. 32 તરત જ જ્યાં લોકો હતા ત્યાં સૂબેદાર ગયો. તે કેટલાએક લશ્કરી અમલદારો અને સૈનિકોને સાથે લાવ્યો. લોકોએ સૂબેદાર અને સૈનિકોને જોયા. તેથી તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.
33 સૂબેદારે પાઉલની પાસે જઈને તેની ધરપકડ કરી. સૂબેદારે તેના સૈનિકોને પાઉલને બે સાંકળો વડે બાંધવા કહ્યું. પછી સૂબેદારે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શું ખરાબ કર્યુ છે?” 34 કેટલાએક લોકો એક વાત કહેતા હતા તો બીજા લોકો બીજી વાતો કહેતા હતા. આ બધા ગુંચવાડા અને ગડબડને કારણે સૂબેદાર સત્ય નક્કી કરી શક્યો નહિ. સૂબેદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા માટે કહ્યું. 35-36 બધા જ લોકો તેઓને અનુસરતા હતા. જ્યારે સૈનિકો પગથિયાં પાસે આવ્યા, તેઓ પાઉલને રક્ષણ આપવા લઈ જવાના હતા. તેઓને પાઉલનું રક્ષણ કરવા માટે કહ્યું કારણ કે લોકો તેને ઇજા પહોંચાડવાની તૈયારીમાં હતા. લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો!”
37 સૈનિકો પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવાની તૈયારીમાં હતા. પરંતુ પાઉલે સૂબેદારને પૂછયું, “તમને કંઈ કહેવાનો મને અધિકાર છે?”
સૂબેદારે કહ્યું, “ઓહ! તું ગ્રીક બોલે છે? 38 તો પછી હું તને જે માણસ ધારતો હતો તે તું નથી. હું વિચારતો હતો કે તું મિસરનો માણસ છે જેણે ઘણા સમય પહેલા નહિ, હમણાં જ સરકારની વિરૂદ્ધમાં કેટલીક મુશ્કેલીઓ શરું કરી હતી. તે મિસરી માણસે 4,000 ખૂનીઓને દોરીને બહાર અરણ્યમાં લઈ ગયો.”
39 પાઉલે કહ્યું, “ના, હું તાસર્સનો એક યહૂદિ માણસ છું. તાર્સસ કિલીકિયાના પ્રદેશમાં છે. હું તે અગત્યના શહેરનો નાગરિક છું. મહેરબાની કરીને મને લોકોને કહેવા દો.”
40 સૂબેદારે પાઉલને લોકો સમક્ષ બોલવાની રજા આપી. તેથી પાઉલ પગથિયા પર ઊભો રહ્યો. તેણે તેના હાથો વડે નિશાની કરી. તેથી લોકો શાંત થઈ જાય. લોકો શાંત થઈ ગયા એટલે પાઉલે તેઓને ઉદ્દબોધન કર્યુ. તેણે હિબ્રું ભાષાનો ઉપયોગ કર્યો.
શિક્ષા પછી પુન:સ્થાપનનું વચન
30 યહોવા પાસેથી યર્મિયાને બીજો સંદેશો મળ્યો. 2 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે. “મેં તને જે જે કહ્યું છે તે બધું એક પોથીમાં નોંધી લે. 3 કારણ કે ધ્યાનથી સાંભળ, તે દિવસ આવી રહ્યો છે કે, જ્યારે હું મારા લોકોના ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોની સમૃદ્ધિને ફરીથી સ્થાપીશ, તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી, એમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનો કબ્જો મેળવશે અને ફરીથી ત્યાં વસવાનું શરૂ કરશે.”
4 ઇસ્રાએલ અને યહૂદિયાના લોકોને યહોવા કહે છે: 5 આ યહોવાના વચન છે:
“મેં ભયની એક ચીસ સાંભળી છે,
નહિ કે શાંતિની.
6 “તમારી જાતને પૂછો,
વિચાર કરો કે કોઇ પુરુષ બાળકને જન્મ આપી શકે?
તો પછી હું કેમ દરેક માણસને
પ્રસૂતિએ આવેલી સ્ત્રીની જેમ કમરે હાથ દેતો જોઉં છું?
બધાના ચહેરા કેમ બદલાઇ ગયા છે,
ધોળા પૂણી જેવા થઇ ગયા છે?
7 “અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે!
એના જેવો દિવસ કદી ઊગ્યો નથી,
યાકૂબના વંશજો માટે દુ:ખના દહાડા આવે છે.
પણ તેઓ સાજાસમા પાર ઊતરશે.”
8 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે હું તેમની ડોક ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ, અને તેમના બંધન તોડી નાખીશ. વિદેશીઓ ફરી કદી એમને ગુલામ નહિ બનાવે, 9 તેઓ પોતાના દેવ યહોવાની અને દાઉદની જેના એક વંશજને હું તેમનો રાજા બનાવનાર છું. તેની સેવા કરશે. એમ યહોવા કહે છે.
10 “અને તમે, યાકૂબના વંશજો,
મારા સેવકો ગભરાશો નહિ.
રે ઇસ્રાએલીઓ, તમારે ભય રાખવાની જરૂર નથી.
હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો
તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ,
અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો,
કોઇ તમને ડરાવશે નહિ,
11 કારણ કે હું તમારી સાથે છું અને હું તમારો બચાવ કરીશ,”
એમ યહોવા જણાવે છે.
“તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા હતા
તે લોકોનો પણ જો
હું સંપૂર્ણ રીતે વિનાશ કરું
તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ,
હું તમને તેવી જ રીતે અનુશાશિત કરીશ
અને તમે સાચે જ સજાથી ભાગી નહિ શકો.”
12 યહોવા પોતાની પ્રજાને કહે છે,
“હે મારી પ્રજા, તારો ઘા રૂઝાય એવો નથી,
તારો ઘા જીવલેણ છે;
13 તમારુ અહીંયા કોઇ નથી જે તમારા બાબતે ન્યાય કરી શકે,
તમારા ઘા ની કોઇ દવા નથી.
તેથી તમે સ્વસ્થ નહિ થઇ શકો.
14 તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે.
હવે તેઓ તારી સંભાળ રાખતા નથી.
કારણ કે મેં તને કોઇ શત્રુની જેમ ઘાયલ કર્યો છે.
હા, નિર્દય માણસની જેમ
મેં તને ઇજા પહોંચાડી છે.
કારણ કે તારાં પાપ ઘણા વધી ગયા છે
અને તે તારો ઘણો મોટો અપરાધ છે.
15 તારા ઘા વિષે રોક્કળ કરવાથી શું?
તે ઘા રૂજાય એવો નથી,
તારા અપરાધો ખૂબ જ નિંદાત્મક છે જેને લીધે તારા દુ:ખનો અંત આવશે નહિ!
તારા પાપો ઘણા મોટા છે માટે તને વધુ શિક્ષા કરવાની મને ફરજ પડી.
16 પણ હવે એ દિવસ આવી રહ્યો છે,
તે દિવસે તને કોળિયો કરી
જનારાઓ જ કોળિયો થઇ જશે.
તારા બધા શત્રુઓને કેદ કરવામાં આવશે,
તારા પર જુલમ ગુજારનારાઓ જ જુલમનો ભોગ બનશે,
તને લૂંટનારાઓ જ લૂંટાઇ જશે.
17 હાં હું તને તારી તંદુરસ્તી પાછી આપીશ
અને તારા ઘાને રૂજાવીશ, કારણ કે તારા શત્રુઓ કહેતા કે,
‘સિયોન તો ખંડેર બની ગયું છે,
કોઇને તેની પડી નથી.’”
આ હું યહોવા બોલું છું.
18 યહોવા કહે છે,
“જ્યારે યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે
અને તેમની ભૂમિ તેમને પાછી અપાશે
અને પ્રત્યેક કુટુંબ પર કરૂણા દર્શાવાશે;
યરૂશાલેમને પોતાના ખંઢેર પર ફરી બાંધવામાં આવશે
અને કિલ્લાને તેના યોગ્ય સ્થાને ઊભો કરવામાં આવશે.
19 બધા નગરો આનંદ તથા આભારસ્તુતિના
અવાજોથી ગૂંજી ઊઠશે.
હું મારા લોકોની વૃદ્ધિ કરીશ
અને તેઓને મહાન તથા મહિમાવંત પ્રજા બનાવીશ.
20 તેમનો સમાજ પાછો પહેલાના જેવો થશે;
તે મારી નજર સમક્ષ વ્યવસ્થિત થશે,
અને એમના બધા અન્યાયીઓને હું સજા કરીશ.
21 તેઓને ફરીથી પોતાનો રાજા મળશે,
જે પરદેશી નહિ હોય,
હું તેને મારી પાસે બોલાવીશ,
અને તે મારી પાસે આવશે.
કારણ કે વગર આમંત્રણે
મારી પાસે આવવાની કોની હિંમત છે?
22 તમે મારા લોક થશો
અને હું તમારો દેવ થઇશ.”
23 “જુઓ યહોવાનો ક્રોધ,
દુષ્ટોના માથાને અથડાઇને,
ઝંજાવાતથી ઘુમરાતા વંટોળની
માફક ગર્જના કરતો ધસી રહ્યો છે.
24 યહોવાની યોજના પ્રમાણે ભયંકર વિનાશ પ્રવર્તશે નહિ,
ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી,
હું જે તમને કહી રહ્યો છું
તે ભવિષ્યમાં તમને સમજાશે.”
નવું ઇસ્રાએલ
31 યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે ઇસ્રાએલના સર્વ કુળસમૂહો મને દેવ માનશે અને મારી પ્રજા થશે.”
2 અને યહોવા કહે છે,
“જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે,
તેઓને અરણ્યમાં કૃપા મળી.”
3 ઇસ્રાએલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી,
ત્યારે મેં તેને દૂરથી દર્શન દીધાં હતાં.
હે ઇસ્રાએલી પ્રજા, “હું અનંત પ્રેમથી તને ચાહું છું,
એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું.
4 હું તને ફરીથી પર ઉઠાવીશ
અને તું પાછી ઊભી થશે.
ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ
અને આનંદથી નાચવા લાગીશ.
5 તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે,
ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.
6 એવો દિવસ જરૂર આવી રહ્યો છે.
જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે,
‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ,
આપણા દેવ યહોવાને દર્શને જઇએ.’”
7 યહોવા કહે છે,
“યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ,
મહાન કોમ માટે જયજયકાર કરો.
તેથી મુકતકંઠે સ્તુતિગાન કરીને કહો,
‘દેવ યહોવા તારા લોકોને
ઇસ્રાએલના અવશેષને બચાવ.’
8 હું તેઓને ઉત્તરમાંથી લાવીશ,
ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ.
હું તેઓનાં અંધજનોને અને લંગડાઓને,
ગર્ભવતી તથા નાનાં બાળકોવાળી
સ્ત્રીઓને રઝળતા નહિ મૂકું.
તેઓ એક મોટા સમુદાયની
જેમ અહીં પાછા ફરશે.
9 હું તેમને પાછા લાવીશ ત્યારે તેઓ
રડતાં રડતાં અરજ કરતાં કરતાં આવશે.
હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે
થઇને વહેતાં ઝરણાં આગળ લઇ જઇશ,
કારણ કે હું ઇસ્રાએલનો પિતા છું
અને એફ્રાઇમ મારો જયેષ્ઠ પુત્ર છે.
10 “હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો,
અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો.
‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા
તે પોતે જ તેમને એકત્ર કરશે
અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’
11 કારણ કે યહોવાએ યાકૂબને બચાવ્યો છે,
ને તેનાં કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.
12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે,
અને યહોવાએ આપેલા ધાન્ય,
દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી
સમૃદ્ધિથી ખુશખુશાલ થશે.
તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે
અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
13 ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે;
કારણ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ,
હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હષિર્ત કરીશ,
કારણ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
14 હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ.
અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઇ જશે.”
15 યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું,
“રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે,
રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે.
તેને સાંત્વન આપી શકાય તેમ નથી.
કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.”
16 પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો,
આંસુ લૂછી નાખો,
તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય,
તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે.
17 તારા ભવિષ્ય માટે આશા છે;
તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે,”
એમ યહોવા કહે છે.
18 “મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે,
‘તમે મને સખત સજા કરી છે;
પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે
તેમ મને પણ સજાની જરૂર હતી,
મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો,
કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો.
19 મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે,
ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી;
હું લજ્જિત અને અપમાનિત થયો છું,
કારણ કે, જ્યારે હું જુવાન હતો
ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.’”
20 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, તું ખરેખર મારો લાડકો દીકરો છે!
તું મને વહાલો છે!
હું તને ગમે તેટલી વાર ધમકાવું તોય પાછો તને યાદ કરું છું,
અને મારું હૃદય તને ઝંખે છે.
હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ.
21 “જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇસ્રાએલનો માર્ગ સૂચવતાં નિશાન કર.
અને માર્ગદર્શક સ્તંભો બનાવ.
તું જે રસ્તે ગઇ હતી
તે બરાબર ધ્યાનમાં રાખ.
કારણ કે હે ઇસ્રાએલની કુમારી,
તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.
22 હે જક્કી ભટકી ગયેલી દીકરી,
તું ક્યાં સુધી અવઢવમાં રહીશ?
“કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે.
કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.”
23 આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’
24 “અને યહૂદિયા તથા તેના બધા ગામોમાં ખેડૂતો અને ભરવાડો ભેગા રહેશે. 25 હાં, હું થાકેલા જીવને વિશ્રામ આપીશ અને જેઓ નબળા થઇ ગયા છે તેમને મજબૂત બનાવીશ.”
26 ત્યારબાદ યર્મિયા જાગ્યો, તેણે કહ્યું, “આ ઊંઘ મને મીઠી લાગી.”
27 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ. 28 ભૂતકાળમાં જેમ હું તેમને ઉખેડી નાખવા, તોડી પાડવા, ઉથલાવી પાડવા, નાશ કરવા, અને હાનિ કરવા માટે નજર રાખતો હતો તેમ હવે તેમના પર કાળજી રાખીને તેઓને સંસ્થાપિત કરીશ.” આ યહોવાના વચન છે.
29 “તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે,
‘પિતૃઓના પાપની કિમત
તેઓનાં બાળકો ચૂકવે છે.’
30 કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.”
નવો કરાર
31 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હું ઇસ્રાએલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. 32 મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.
33 “પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે. 34 તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે.
યહોવા ઇસ્રાએલને કદી નહી છોડે
35 “જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય
અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે,
જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે,
જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.”
તે કહે છે:
36 “જો મેં કુદરતમાં સ્થાપેલી વ્યવસ્થા લોપ પામે તો જ ઇસ્રાએલનો વંશ
પણ મારી પ્રજા તરીકે લોપ પામી શકે છે.
37 “જો ઉપરનું આકાશ માપી શકાય
અને નીચેની ધરતીના તળીયાનો તાગ માપી શકાય,
તો જ હું ઇસ્રાએલની સમગ્ર પ્રજાનો તેમણે જે કઇં કર્યું છે
તે માટે તિરસ્કાર કરી શકું.”
આ યહોવાના વચન છે.
નવું યરૂશાલેમ
38 યહોવા કહે છે, “સમય આવી રહ્યો છે કે જ્યારે યરૂશાલેમ મારા નગર તરીકે હનામએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે. 39 તે સરહદ પસાર કરીને આગળ જશે. તે ઠેઠ ગોરેબની ટેકરી સુધી જશે અને ત્યાથી દક્ષિણ તરફ વળીને ગોઆહ જશે. 40 કિદ્રોનથી ઠેઠ ઘોડાના દરવાજા સુધી, સમગ્ર ખીણ અને દરેકે દરેક ખેતરને આ શહેરમાં સામેલ કરવામાં આવશે. જે યહોવા માટે પવિત્ર છે. અને આને ફરીથી કયારેય ઉખેડવામાં કે નાશ કરવામાં નહિ આવે.”
ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાના સમાચાર
(માથ. 28:1-8; લૂ. 24:1-12; યોહ. 20:1-10)
16 વિશ્રામવારના વીતી ગયા પછીના બીજા દિવસે, મરિયમ મગ્દલાની, શલોમી, તથા યાકૂબની મા મરિયમે કટલાક સુગંધીદાર દ્રવ્યો તેને ચોળવા સારું વેચાતાં લીધા. 2 તે અઠવાડિયાના પ્રથમ દિવસે, વહેલી સવારમાં તે સ્ત્રીઓ કબર તરફ જતી હતી. સૂર્યોદય પહેલા તે ઘણા વહેલા હતા. 3 તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું, “ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો. આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે?”
4 પછી તે સ્ત્રીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો. તે પથ્થર ઘણો મોટો હતો. પરંતુ તે પ્રવેશદ્ધાર પાસેથી દૂર ખસેડાઇ ગયો હતો. 5 સ્ત્રીઓ કબરમાં ગઈ. તેઓએ ત્યાં એક યુવાન માણસને સફેદ ઝભ્ભો પહેરેલો જોયો. તે માણસ કબરની જમણી બાજુએ બેઠેલો હતો. તે સ્ત્રીઓ ડરતી હતી.
6 પરંતુ તે માણસે કહ્યું, “ડરશો નહિ, તમે નાઝરેથના ઈસુને શોધો છો. જેને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. તે મૂએલામાંથી ઊઠ્યો છે! તે અહીં નથી; જુઓ, અહીં તે જગ્યા છે, તેઓએ તેને મૂક્યો હતો જ્યારે તે મરણ પામ્યો હતો. 7 હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.’”
8 તે સ્ત્રીઓ ઘણી ડરી ગઈ હતી અને મુંઝાઇ ગઈ હતી. તેઓ કબર છોડીને દૂર દોડી ગઈ. તે સ્ત્રીઓએ જે કઈ બન્યું હતું તે વિષે કોઈને પણ કઈજ કહ્યું નહિ કારણ કે તેઓ ગભરાતી હતી.[a]
કેટલાક શિષ્યો ઈસુને જુએ છે
(માથ. 28:9-10; યોહ. 20:11-18; લૂ. 24:13-35)
9 ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસે મૂએલામાંથી ઊઠ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મગ્દાલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા હતા. 10 મરિયમે ઈસુને જોયા પછી તેના શિષ્યોને જઇને તેણે કહ્યું, તેના શિષ્યો ઘણા દુ:ખી હતા. અને રૂદન કરતા હતા. 11 પણ મરિયમે તેઓને કહ્યું કે ઈસુ જીવતો છે. મરિયમે કહ્યું કે તેણે ઈસુને જોયો છે. પણ શિષ્યો તેનું માનતા નહોતા.
12 પાછળથી ઈસુએ પોતાના દર્શન આપ્યા. જ્યારે શિષ્યો પોતાના ખેતરમાં ચાલતા જતા હતા ત્યારે થોડા સમય પછી ઈસુએ પોતાની જાતે તે લોકોને દર્શન આપ્યા. પરંતુ ઈસુ મરણ પામતા પહેલા જેવો દેખાતો નહોતો.
13 આ શિષ્યો બીજા શિષ્યો પાસે પાછા ગયા અને જે બન્યું હતુ તે તેમને કહ્યું. ફરીથી શિષ્યોએ એમાનું કોઈનું પણ માન્યું નહિ.
ઈસુ પ્રેરિતો સાથે વાત કરે છે
(માથ. 28:16-20; લૂ. 24:36-49; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)
14 પાછળથી ઈસુએ પોતાની જાતે અગિયાર શિષ્યો જ્યારે તેઓ ખાતા હતા, ત્યારે દર્શન દીધા. ઈસુએ શિષ્યોને ઠપકો આપ્યો, કારણ કે તેઓને ઓછો વિશ્વાસ હતો. તેઓ કઠણ હૃદયના હતા. અને જે લોકોએ ઈસુને મૂએલામાંથી સજીવન થયેલો જોયો તેઓનું માનવા તેઓ તૈયાર નહોતા.
15 ઈસુએ શિષ્યોને કહ્યું, “દુનિયામાં દરેક જગ્યાએ જાઓ, પ્રત્યેક વ્યક્તિને સુવાર્તા કહો. 16 જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે. 17 અને જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સાબિતી તરીકે આવા પ્રકારના ચમત્કારો કરવા સમર્થ થશે. તેઓ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કદી શીખ્યા નથી તેવી ભાષાઓમાં બોલશે. 18 ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેમના હાથમાં પકડશે. ઇજા વગર વિષપાન કરશે. તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજા થશે.”
સ્વર્ગારોહણ
(લૂ. 24:50-53; પ્રે.કૃ. 1:9-11)
19 પ્રભુ ઈસુએ શિષ્યોને આ વાતો કહ્યા પછી, તેને આકાશમાં લઈ લેવાયો. ત્યાં ઈસુ દેવની જમણી બાજુએ બેઠો. 20 તેના શિષ્યો જગતમાં દરેક જગ્યાએ ગયા અને લોકોને સુવાર્તા પ્રગટ કરી. અને પ્રભુએ તેઓને મદદ કરી. પ્રભુએ સિદ્ધ કર્યુ કે તેણે લોકોને આપેલ સુવાર્તા સાચી હતી. તેણે શિષ્યોને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપીને આ સાબિત કર્યુ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International