M’Cheyne Bible Reading Plan
એક ઉપપત્નીની વાત
19 એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો.
ત્યારે એફ્રાઈમની ટેકરીઓ પર અંદરના ભાગમાં એક લેવી રહેતો હતો, તેણે બેથલેહેમની એક યહૂદી કન્યાને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી. 2 તે સ્ત્રી ગુસ્સે થઈને પોતાના બાપને ઘેર બેથલેહેમ પાછી ગઈ. તે સ્ત્રી ત્યાં લગભગ ચારેક મહિના માંટે રહી. 3 તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માંટે એક નોકરને અને બે ગધેડાંને લઈને તેની પાછળ ગયો. જ્યારે તે તેને ઘેર પહોંચ્યો ત્યારે તે તેને પોતાના પિતાના ઘેર લઈ ગઈ; જ્યારે તેના પિતાએ તેને જોયો તેને મળીને તેને ખૂબ આનંદ થયો. 4 અને તે સ્ત્રીના પિતાએ તેના જમાંઈને થોડા સમય તેને ત્યાં રહેવા માંટે સમજાવ્યો. તે ત્યાં ત્રણ દિવસ રહ્યો અને તેઓએ ખાધુ, પીધું અને ત્રણ રાત ત્યાં ગાળી.
5 ચોથે દિવસે વહેલી સવારે લેવી ઘરે પાછો જવા તૈયાર થયો. પણ તેના સસરાએ તેને કહ્યું, “પહેલા કાંઈ ખાઈ લો, પછી તમે જઈ શકો છો.” 6 તેથી તે બે જણે ભેગા બેસીને ખાધું પીધું; સસરાએ જમાંઈને કહ્યું, “માંની જાઓ, રાત અહીં જ ગાળો, અને મોજ કરો.” 7 છતાં તે માંણસે ના પાડી, પણ તેના સસરાએ તેને વિનંતી કર્યા જ કરી, આખરે તે ત્યાં રોકાવા તૈયાર થયો.
8 બીજા દિવસે તે વહેલા ઊઠયો અને તેના સસરાએ કહ્યું, “પહેલાં કાઈ ખાઈ લો, અને પછી થોડા સમય પછી જાઓ.” તેથી તેઓ ખાવા બેઠા મોડી બપોર સુધી તે રહ્યો.
9 પછી લેવી પોતાની પત્ની અને નોકર સાથે જવા માંટે ઊઠયો. પણ તેના સસરાએ કહ્યું, “જુઓ હવે તો સાંજ થઈ ગઈ છે, અહી રાત રહી જાઓ, અને મોજ કરો પછી આવતી કાલે વહેલા ઘેર જજો.”
10 પરંતુ આ વખતે એ માંણસે સાંભળ્યું નહિ, તે રાત રોકાવા કબૂલ થયો નહિ અને જવા માંટે તૈયાર થયો, તેણે પોતાનાં બે લાદેલાં ગધેડાં અને પત્ની સાથે યબૂસ અર્થાત યરૂશાલમની નજીક પહોંચ્યા સુધી મુસાફરી કરી. 11 જ્યારે તેઓ યબૂસ પહોંચ્યા ત્યારે દિવસ પૂરો થવા આવ્યો હતો, તેથી નોકરે ઘણીને કહ્યું, “ચાલો આપણે આ યબૂસીઓના શહેરમાં જઈએ અને રાત ત્યાં ગાળીએ.”
12 પણ તેના ધણીએ જવાબ આપ્યો, “ના, આ વિદેશી નગરમાં આપણે જવું નથી, ત્યાં કોઈ ઈસ્રાએલી નથી, આપણે ગિબયાહ જઈએ.” 13 “ચાલો, આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ. ગિબયાહ કે રામાંમાં રાતવાસો કરીએ.”
14 તેથી તેઓએ ચાલવાનું ચાલુ રાખ્યું અને સાંજ પડતાં બિન્યામીનકુળસમૂહના પ્રદેશમાં આવેલા ગિબયાહ નજીક આવી પહોંચ્યા. 15 રાતવાસો કરવા તેઓ ગિબયાહ ગયા. અને નગરના ચોકમાં બેઠા. કોઈએ તેઓને પોતાના ઘરે આમંત્રણ આપ્યું નહિ.
16 એવામાં જ્યારે સાંજ પડી, એક વૃદ્ધ માંણસ તે માંર્ગે પસાર થયો, તે તેના ખેતરથી કામ કરીને ઘેર પાછો ફરતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો વતની હતો. અને ગિબયાહ આવ્યો હતો અને ત્યાં રહેતો હતો. તે નગરના લોકો બિન્યામીનકુળસમૂહના હતાં. 17 તેણે નજર કરતાં નગરના ચોકમાં પડાવ નાખેલા મુસાફરને જોયો અને પૂછયું, “તમે કયાંથી આવો છો? ક્યાં જાઓ છો?”
18 તેણે જવાબ આપ્યો, “યહૂદામાં આવેલા બેથલેહેમથી હું આવું છું, એફ્રાઈમના પહાડી પ્રદેશનો હું વતની છું. હું બેથલેહેમ ગયો હતો અને અત્યારે હું ઘેર પાછો જાઉં છું, પણ કોઈએ અમને રાત ગાળવા માંટે પોતાને ઘેર બોલાવ્યા નથી; 19 અમાંરી પાસે અમાંરા ગધેડાં માંટે અનાજ અને ઘાસ છે અને માંરા માંટે માંરી સ્ત્રી અને નોકર માંટે પૂરતો ખોરાક તથા દ્રાક્ષારસ છે. અમને કોઈ ચીજની જરૂર નથી.”
20 પેલા ઘરડા માંણસે કહ્યું, “કશી ચિંતા ન કરશો. હું બધું સંભાળી લઈશ. અહીં ચોકમાં રાત ગાળવાની ના હોય, કેમકે અહી કોઈ સુરક્ષા નથી.” 21 એમ કહીને તે તેમને પોતને ઘેર લઈ ગયો અને તેણે તેઓનાં ગધેડાને ચારો નીર્યો, તેઓએ, તેઓના પગ ધોયા, ખાધું અને પીધું.
22 જ્યારે આ લોકો ખાતાપીતાં અને આનંદ કરતા હતાં એવામાં નગરના દુષ્ટ માંણસો ઘરને ઘેરી વળ્યા અને બારણાં ખટખટાવ્યા. તેઓએ ઘરના ઘરડા માંણસને બૂમો પાડીને કહેવા લાગ્યા, “તારે ઘરે જે માંણસ આવ્યો છે તેને બહાર મોકલ, જેથી અમે તેની આબરૂ લઈએ.”
23 તેથી ઘરડો માંણસ બહાર આવ્યો. તેણે વિનંતી કરીને કહ્યું, “માંરા ભાઈઓ, આવું પાપ આચરશો નહિ, એ માંરો મહેમાંન છે, આવું મૂર્ખ અને નામોશી ભર્યુ કૃત્ય ન કરશો. 24 માંરે એક કુંવારી પુત્રી છે તથા તે માંણસને તેની ઉપપત્ની છે, હું તેઓને બહાર મોકલીશ. તમે તેઓની આબરૂ લો. અને તમાંરે તેમની સાથે જે કરવું હોય તે કરો. પણ આ માંણસ ઉપર તમે આવું ગુનાહિત કૃત્ય કરશો નહિ.”
25 છતાં તેઓએ તેનું કહેવું સાંભળ્યું નહિ, તેથી તેણે તેની ઉપપત્નીને તેઓ પાસે બહાર જવા ફરજ પાડી, તેઓએ આખી રાત તેના ઉપર બધાએ વારા ફરતી અત્યાચાર કર્યોને તેના ઉપર બળાત્કાર કર્યો. અને જ્યારે સવાર થઈ ત્યારે તેને જવા દીધી. 26 પરોઢ થયું ત્યારે તે સ્ત્રી તેના ધણીના ઘરના દરવાજા આગળ ગઈ અને સવાર સુધી તે ત્યાં પડી રહી.
27 સવારમાં તેના ધણી લેવીએ ફરી પ્રવાસે જવા માંટે તેણે બારણું ઉધાડયું, તો તેણે પોતાની ઉપપત્નીને ઘરના બારણાં આગળ પડેલી જોઈ. તેના હાથ બારણાના ઉંબરા પર પડેલા હતાં. 28 તેણે તેને કહ્યું, “ઊઠ, ચાલ, આપણે હવે જઈએ.” પણ કોઈ જવાબ ન મળ્યો, તે મૃત્યુ પામી હતી.
29 આથી તેણે તેને ઉપાડીને ગધેડા ઉપર મૂકી અને તે ઘેર જવા નીકળ્યો. ઘરે પહોંચ્યા પછી તેણે એક છરો લીધો અને તેના શરીરના કાપીને બાર ટુકડા કર્યા પછી તે ટુકડાઓ તેણે આખા ઈસ્રાએલમાં મોકલી આપ્યા. 30 પછી એવું બન્યું કે જેમણે જેમણે એ જોયું તેમણે કહ્યું, “ઈસ્રાએલે મિસર છોડયું ત્યારથી આજ સુધી આવો ભયંકર ગુન્હો કદી નજરે ચડયો નથી. માંટે આનો વિચાર કરો, ચર્ચા કરો અને મને નિર્ણય જણાવો.”
23 પાઉલે યહૂદિઓની ન્યાયસભાની સભા તરફ જોઈને કહ્યું, “ભાઈઓ, હું મારું જીવન દેવ સમક્ષ શુદ્ધ અંત:કરણથી જીવ્યો છું, હંમેશા મને જે સાચું લાગ્યું હતું તે જ મેં કર્યુ છે.” 2 અનાન્યા પ્રમુખ યાજક ત્યાં હતો. અનાન્યાએ પાઉલને સાંભળ્યો અને જે માણસો પાઉલની નજીક ઊભા હતા તેઓને તેના મોં પર મારવા કહ્યું. 3 પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”
4 પાઉલની નજીક ઊભેલા તે માણસોએ તેને કહ્યું, “તું દેવના પ્રમુખ યાજકને આવું કહી શકે નહિ. તું એનું અપમાન કરે છે.”
5 પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો. તે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, કે ‘તમારે તમારા લોકોના અધિકારી વિષે ખરાબ બોલવું જોઈએ નહિ.’(A)”
6 સભામાંના કેટલાએક માણસો સદૂકિઓ અને બીજા કેટલાએક ફરોશીઓ હતા. તેથી પાઉલને વિચાર આવ્યો. તેણે તેઓના તરફ બૂમ પાડી, “મારા ભાઈઓ, હું ફરોશી છું અને મારા પિતા પણ ફરોશી હતા. હું અહીં કસોટી પર છું કારણ કે મને આશા છે કે લોકો મૃત્યુમાંથી ઉઠશે!” જ્યારે પાઉલે આમ કહ્યું, ત્યાં ફરોશીઓ અને સદૂકિઓની વચ્ચે એક મોટી તકરાર થઈ. સમૂહમાં ભાગલા પડ્યા હતા.
7-8 (સદૂકિઓ માનતા હતા કે મૃત્યુ પછી લોકો ફરીથી જીવતા થઈ શકે નહિ. સદૂકિઓ શીખવે છે કે દૂત અથવા આત્મા પણ નથી. પરંતુ ફરોશીઓ આ બધી વસ્તુઓમાં માને છે.) 9 આ બધા યહૂદિઓએ વધારે મોટા સાદે બૂમો પાડવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓ અને કેટલાએક જે ફરોશીઓ હતા તેઓ ઊભા થયા અને દલીલો કરી, “અમને આ માણસમાં કંઈ ખોટું જોવા મળ્યું નથી! દમસ્કના રસ્તા પર કદાચ દૂતે કે આત્માએ તેને કંઈ કહ્યું હોય!”
10 દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.
11 બીજી રાત્રે પ્રભુ ઈસુ આવ્યો અને પાઉલની બાજુમાં ઊભો રહ્યો. તેણે કહ્યું, “હિંમત રાખ! તેં યરૂશાલેમમાં લોકોને મારા વિષે કહ્યું છે. તારે રોમમાં પણ ત્યાંના લોકોને મારા વિષે કહેવા માટે જવાનું છે!”
પાઉલને મારી નાખવાનું કાવતરું
12 બીજી સવારે કેટલાએક યહૂદિઓએ એક યોજના ઘડી. તેઓની ઈચ્છા પાઉલને મારી નાખવાની હતી. યહૂદિઓએ તેમની જાતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાશે કે પીશે નહિ. 13 ત્યાં લગભગ 40 ઉપરાંત યહૂદિઓ હતા જેઓએ આ કાવતરું કર્યું હતું. 14 આ યહૂદિઓ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોની પાસે ગયા અને વાત કરી. યહૂદિઓએ કહ્યું, “અમે અમારી જાતે ગંભીર પ્રતિજ્ઞા કરી છે. અમે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમે પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે ખાશું કે પીશું નહિ! 15 તેથી અમે તમારી પાસે જે કરાવવા ઈચ્છીએ છીએ તે આ છે. તમારા તરફથી સરદારને તથા બધા યહૂદિ આગેવાનો તરફથી સંદેશો મોકલો. સરદારને કહો કે તમારી ઈચ્છા પ્રમાણે પાઉલને તમારી આગળ રજૂ કરે. સરદારને કહો કે તમારી ઈચ્છા પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. જ્યારે તે અહીં રસ્તા પર હશે, ત્યારે અમે પાઉલને મારી નાખવાની રાહ જોઈશું.”
16 પણ પાઉલના ભાણિયાએ આ યોજના વિષે સાંભળ્યું. તે લશ્કરના બંગલામાં ગયો અને પાઉલને તે યોજના વિષે કહ્યું. 17 પછી પાઉલે એક લશ્કરના અમલદારને બોલાવ્યો અને તેને કહ્યું, “આ યુવાન માણસને સરદારની પાસે લઈ જા. તેની પાસે તેને માટે સંદેશો છે.” 18 તેથી તે લશ્કરનો અમલદાર પાઉલના ભાણિયાને સરદાર પાસે લાવ્યો. તે અમલદારે કહ્યું, “તે કેદી પાઉલે આ યુવાન માણસને તારી પાસે લાવવા માટે મને કહ્યું. તેની ઈચ્છા તને કંઈક કહેવાની છે.”
19 તે સરદાર તે યુવાન માણસને એક જગ્યાએ દોરી ગયો જ્યાં તેઓ એકલા હોય. તે સરદારે પૂછયું, “તું મને શું કહેવા ઇચ્છે છે?”
20 તે યુવાન માણસે કહ્યું, “યહૂદિઓએ નક્કી કર્યુ છ્ કે આવતીકાલે ન્યાયસભામાં પાઉલને લઈ આવવા માટે તને કહેવું. યહૂદિઓ ઈચ્છે છે કે તું વિચારે કે તેઓની યોજના પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. 21 પરંતુ તેઓનામાં વિશ્વાસ કરવો નહિ! ત્યાં લગભગ 40 યહૂદિઓ જે છુપાયેલા છે અને પાઉલને મારી નાખવાની રાહ જોઈ રહ્ય છે. તેઓ બધાએ પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી તેઓ પાઉલને મારી નહિ નાખે ત્યાં સુધી ખાવું કે પીવું નહિ! હવે તેઓ તું હા કહે તેની જ રાહ જુએ છે.”
22 તે સરદારે તે યુવાન માણસને દૂર મોકલ્યો. તે સરદારે તેવે કહ્યું, “કોઈને કહીશ નહિ કે તેં મને તેઓની યોજના વિષે કહ્યું છે.”
પાઉલને કૈસરિયા મોકલાય છે
23 પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 200 સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો. 24 પાઉલની સવારી માટે કેટલાએક ઘોડા તૈયાર રાખો. હાકેમ ફેલિકસ પાસે તેને સહીસલામત લઈ જવામાં આવે.” 25 સરદારે એક પત્ર લખ્યો. પત્રમાં આ મુજબ લખાણ છે.
26 નેકનામદાર ફેલિકસ
હાકેમને કલોદિયસ લુસિયાની
સલામ.
27 તે યહૂદિઓએ આ માણસને (પાઉલ) પકડ્યો હતો અને તેઓએ તેને મારી નાખવાની યોજના કરી હતી. પરંતુ મેં સાંભળ્યું છે કે તે એક રોમન નાગરિક છે, તેથી હું મારા સૈનિકો સાથે ગયો અને તેને છોડાવ્યો. 28 હું કારણ જાણવા ઇચ્છું છું કે તેઓ શા માટે તેની સામે આક્ષેપો કરે છે. તેથી હું તેને ન્યાયસભામાં લઈ ગયો. 29 મેં જે જાણયું તે આ છે; યહૂદિઓએ કહ્યું, પાઉલે એવું કંઈક કર્યુ છે જે ખોટું હતું. પણ આ આક્ષેપો તેના પોતાના યહૂદિ નિયમો વિષે છે. તેમાનો એક પણ લાયક નથી. અને આ વસ્તુઓમાંની કેટલીક તો જેલ અને મૃત્યુદંડને યોગ્ય છે. 30 મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કેટલાએક યહૂદિઓએ પાઉલને મારી નાખવાની યોજના ઘડી રહ્યા હતા. તેથી હું તેને તમારી પાસે મોકલું છું. મેં તે ફરિયાદીઓને પણ તેમને તેની સામે જે વિરોધ હોય તે કહેવા કહ્યું છે.
31 તે સૈનિકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ કર્યું. તે સૈનિકો પાઉલને લઈ ગયા અને તે જ રાત્રે અંતિપાત્રિસના શહેરમાં તેઓ તેને લઈ ગયા. 32 બીજે દિવસે ઘોડેસવારો પાઉલ સાથે કૈસરિયા પહોંચ્યા. પણ બીજા સૈનિકો અને બરછીવાળા માણસો યરૂશાલેમમાં લશ્કરના મકાનની પાછળ પાછા ગયા. 33 ઘોડેસવાર સૈનિકો કૈસરિયામાં પ્રવેશ્યા અને હાકેમને પત્ર આપ્યો. પછીથી તેઓએ તેને પાઉલને સોંપ્યો.
34 તે હાકેમે પત્ર વાંચ્યો. પછી તેણે પાઉલને પૂછયું, “તું કયા દેશનો છે?” હાકેમે જાણ્યું કે પાઉલ કિલીકિયાનો હતો. 35 ત્યારે તેણે કહ્યું, “ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ.” પછી તેણે તેને હેરોદના દરબારમાં પહેરા હેઠળ રાજમહેલમાં રાખવાનો હુકમ કર્યો.
શાંતિ અને સમૃદ્ધિ માટે દેવનું વચન
33 યર્મિયા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યાં જ તેને બીજી વાર યહોવાની વાણી સંભળાઇ. 2 આ પ્રમાણે યહોવા કહે છે જે જગતનો ઉત્પન કરનાર છે, જે યહોવાએ તેને સ્થાપિત થાય તે માટે બનાવ્યું છે, યહોવા તેનુ નામ છે. 3 “તું મને હાંક માર અને હું તને જવાબ આપીશ. આ સ્થળે જે બનવાનું છે તે વિષે કેટલાક ગાઢ રહસ્યો હું તને જણાવીશ. 4 આથી જ ઇસ્રાએલના દેવ યહોવા આ નગરના ઘરો અને યહૂદિયાના રાજાઓના ઘરો માટે કહે છે, જેને બાબિલના હુમલાઓથી રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં.
5 “તેઓ બાબિલની વિરુદ્ધ લડાઇ કરશે, પણ પછી તેઓ એ લોકોના મૃત દેહથી પોતાના ઘરોને ભરી દેશે. જેઓને મે ગુસ્સાથી મારી નાખ્યા છે. આવું બનશે કારણકે, તેમણે આચરેલા દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે.
6 “છતાં એવો સમય આવશે ત્યારે હું તેના ઘા રૂઝાવીશ અને આરોગ્ય બક્ષીસ. હું તેના વતનીઓને સાજા કરી પૂર્ણ શાંતિને સલામતીનો અનુભવ કરાવીશ. 7 હું યહૂદિયા અને ઇસ્રાએલને ફરીથી બાંધીશ અને તેઓનું ભાગ્ય ફેરવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપીશ. 8 તેમણે મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યા છે તે હું ધોઇ નાખીશ, તથા તેઓને ક્ષમા આપીશ. 9 પછી આ યરૂશાલેમ માટે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઇ પડશે. હું એને જે બધી સંપત્તિ બક્ષવાનો છું તેની વાત જ્યારે એ પ્રજાઓ જાણશે, ત્યારે મેં એને બક્ષેલી સંપત્તિ અને સુખશાંતિથી ભયભીત થઇને કંપી ઉઠશે.”
10 યહોવા કહે છે તે આ પ્રમાણે છે: “આ દેશમાં, જે, તું કહે છે કે નાશ પામ્યું છે, માણસો અને પ્રાણીઓ વગરના યહૂદિયાના શહેરોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી જે હવે નિર્જન છે, ત્યાં ફરી એક વખત અવાજો સંભળાશે. 11 વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે, ‘સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર’ લોકો આ પ્રમાણે કહેશે. કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ.” આ યહોવાના વચન છે.
12 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આ જગ્યામાં એનાં માનવ કે પશુની વસ્તી વગરનાં ખંડેર ગામોં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતા ભરવાડોનું આશ્રયસ્થાન થશે. 13 પહાડી દેશમાં, શફેલાહના ગામોમાં અને નેગેબ અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમની નજીકના સ્થળોએ ફરીવાર ઘેટાં ગણતા ઘેટાંપાળકોના હાથ નીચેથી ઘેટાં પસાર થશે.”
સારી શાખા
14 યહોવા કહે છે કે, “એવો દિવસ આવશે કે ઇસ્રાએલ તથા યહૂદિયાના હકમાં સર્વ સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ. 15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે. 16 તે સમયે યહૂદિયા તથા યરૂશાલેમના લોકો સમૃદ્ધ થશે અને તેઓ સુરક્ષામાં જીવશે. ‘યહોવા આપણું ન્યાયીપણું’ એ તેઓનું નામ હશે.”
17 કારણ કે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલની ગાદીએ બેસવા માટે દાઉદના કુટુંબમાં કદી વારસની ખોટ નહિ પડે, 18 અને ત્યાં અર્પણ એવા બલિદાન, પ્રાણીઓના બલિદાન વગેરે માટે હવે લેવી વંશી યાજકનો અભાવ નહિ હોય.”
19 ત્યારબાદ યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: 20 મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી. 21 એ જ પ્રમાણે મેં મારા સેવક દાઉદ સાથે કરાર કર્યો છે કે, રાજ્યશાસન પર હંમેશા તેનો વંશજ રાજ કરશે. વળી લેવી કુળના યાજકો સાથે મેં કરાર કર્યો છે કે, તેઓ હંમેશા મારી સેવા કરશે અને આ કરારોનો પણ ભંગ થઇ શકે નહિ. 22 આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના અને મારી સેવા કરનાર લેવીવંશી યાજકના કુળસમૂહોની વૃદ્ધિ કરીશ.”
23 યહોવાએ યર્મિયા સાથે ફરીથી વાત કરી અને કહ્યું, 24 “લોકો શું કહે છે તે તેં સાંભળ્યું છે? ‘યહોવાએ યહૂદિયા તથા ઇસ્રાએલને પસંદ કર્યાર્ અને પછી ફરી તેઓનો ત્યાગ કર્યો! તેઓ હાંસી કરે છે અને કહે છે કે, દેવની પ્રજા તરીકે ઇસ્રાએલની ગણના કરી શકાય તેમ નથી.’”
25 પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે; 26 એટલી ખાતરી છે કે યાકૂબના વંશજો અને મારા સેવક દાઉદ સાથેનો કરાર એ પણ એટલો જ ચોક્કસ છે. હું જરુર ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર રાજ કરવા માટે દાઉદના કોઇ વંશજને પસંદ કરીશ. હું તેઓ પર દયા દર્શાવીશ અને તેઓના ભાગ્યને બદલી નાખીશ.”
પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.
1 હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
2 “મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.
3 પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
તમે મારું ગૌરવ છો;
શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.
4 હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.
5 પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
તેઓથી હું જરાય ડરીશ નહિ.
7 હે યહોવા, ઉઠો;
મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.
8 યહોવાની પાસે તારણ છે,
લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.
નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
3 તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
અને યહોવા પર ભરોસો રાખો.
6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International