M’Cheyne Bible Reading Plan
યહોઆહાઝનું શાસન
13 જ્યારે યહૂદાના રાજા યોઆશ રાજયકાળના ત્રેવીસમા વર્ષમાં હતો ત્યાંરે યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇસ્રાએલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું.
2 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપકર્મો કર્યા હતા તે ચાલુ રાખ્યાં, તેણે તે છોડ્યા નહિ. 3 તેથી યહોવા ઇસ્રાએલીઓ પર ગુસ્સે થયા. અને તેણે તેમને વર્ષો સુધી અરામના રાજા હઝાએલને અને તેના પુત્ર બેન-હદાદને ગુલામ તરીકે સોંપી દીધાં.
ઇસ્રાએલીઓ પર દયાળુ દેવ
4 પરંતુ યહોઆહાઝે યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી અને યહોવાએ તેની પ્રાર્થના સાંભળી, કારણ અરામના રાજાએ ઇસ્રાએલના લોકોને કેવો ત્રાસ આપ્યો હતો, તે તેણે જોયું હતું.
5 યહોવાએ ઇસ્રાએલને એક છોડાવનાર આપ્યો અને તેણે ઇસ્રાએલીઓને અરામના પંજામાંથી મુકત કર્યા અને તેઓ ફરી પોતાનાં ઘરમાં પહેલાંની જેમ સુખશાંતિમાં રહેવા લાગ્યા.
6 છતાં યરોબઆમે તેમની પાસે જે પાપકર્મો કરાવ્યાં હતાં તે તેમણે છોડયાં નહિ. સમરૂનમાં અશેરા દેવીની એક પ્રતિમા પણ હતી.
7 યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો.
8 યહોઆહાઝના શાસનના બીજાં બનાવો અને તેણે કરેલાં કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 9 પછી યહોઆહાઝ મરી ગયો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, પછી તેનો પુત્ર યોઆશ ગાદી પર બેઠો.
યોઆશનું ઇસ્રાએલ પર શાસન
10 જ્યારે યહૂદાના રાજા યોઆશના શાસનના સાડત્રીસ વર્ષમાં હતો, ત્યારે યહોઆહાઝનો પુત્ર યોઆશ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે સોળ વર્ષ રાજ કર્યું, 11 તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું અને નબાટના પુત્ર યરોબઆમે જે પાપ કર્મો કર્યા હતાં તે કરવાનું તેણે ચાલું રાખ્યું, તેણે તે વસ્તુઓ છોડી નહિ. 12 રાજાનું શાસન, તેમાં બનેલા અને તેણે કરેલાં મહાન કાર્યો તેણે યહૂદાના અમાસ્યા સામે લડેલી લડાઇ સહિત, બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલું છે. 13 અને, યોઆશ મરી ગયો અને તેને સમરૂનમાં ઇસ્રાએલના બધા રાજાઓ ભેગો દફનાવવામાં આવ્યો પછી, તેની જગ્યાએ, યરોબઆમ રાજા બન્યો.
એલિશાની મુલાકાતે યહોઆશ
14 જયારે એલિશા ભયંકર માંદગીમાં પથારીવશ થઈ ગયો ત્યારે ઇસ્રાએલનો રાજા યોઆશ તેની પાસે જઈને રડવા લાગ્યો અને બોલ્યો, “હે મારા પિતા! મારા પિતા! તમે તો ઇસ્રાએલના રથ અને ઘોડેસવાર છો!”
15 એલિશાએ કહ્યું, “ધનુષબાણ લઈ આવ.”
અને તેણે ધનુષબાણ મંગાવ્યાં. 16 પછી એલિશાએ રાજાને કહ્યું, “ધનુષ્ય પર બાણ ચડાવ.” અને તેણે ચડાવ્યું, એલિશાએ પોતાના હાથ તેના હાથ પર મૂકયા અને કહ્યું, 17 “પૂર્વ તરફની બારી ઉઘાડી નાખ.” અને યોઆશે તેમ કર્યુ, પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે છોડયું,
એટલે એલિશા બોલ્યો, “એ અરામ પરના યહોવાના વિજયનું બાણ હતું. તું અરામને એફક પાસે પૂરેપૂરી હાર આપીશ!”
18 “હવે બીજા બાણ ઉપાડી લે.” એલિશાએ કહ્યું, રાજાએ બાણ ઉપાડી લીધાં એટલે એલિશાએ કહ્યું, “જમીન પર પછાડ.”
રાજાએ ત્રણ વાર પછાડયાં અને પછી તે અટકી ગયો. 19 તેથી દેવના માણસ એલિશા તેના પર ગુસ્સે થયા અને રાજાને કહ્યું, “તારે જમીનમાં પાંચ કે છ બાણ મારવા જોઈતા હતાં. જો એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેં તેઓને પરાજય આપ્યો હોત, હવે તું અરામને ફકત ત્રણ જ વાર હરાવી શકીશ.”
એલિશાની સમાધિ પાસે અદ્ભૂત
20 ત્યારબાદ એલિશાનું મૃત્યુ થયું અને તેને દફનાવવામાં આવ્યો.
વરસોવરસ મોઆબી દરોડાખોરોની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી. 21 એક વખત થોડાં લોકો (ઇસ્રાએલીઓ) એક માણસને દફનાવતા હતા. જેવા ઇસ્રાએલીઓએ મોઆબી સૈનિકોને જોયા, લોકો મૃતદેહને એલિશાની કબરની અંદર ફેંકી દઈને ભાગી ગયા. જેવો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડ્યો કે મૃત માણસ જીવતો થઈ ગયો અને ઊઠીને ઊભો થઈ ગયો.
ઇસ્રાએલી શહેરો ફરી જીતતો યહોઆશ
22 યહોઆહાઝના સમગ્ર રાજયશાસન દરમ્યાન અરામના રાજા હઝાએલે ઇસ્રાએલીઓ પર ત્રાસ ગુજાર્યો હતો. 23 પણ યહોવાએ કૃપા કરીને તેમની દયા ખાધી. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને કારણે તેની તેમના પ્રત્યે કૃપાદૃષ્ટિ હતી અને તેમનો નાશ કરવાની તેની ઇચ્છા નહોતી, તેમ અત્યાર સુધી તેણે તેમને પોતાની નજરથી દૂર પણ કર્યા નથી.
24 અરામનો રાજા હઝાએલ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર બેનહદાદ તેની ગાદીએ આવ્યો. 25 ત્યાર પછી યોઆશે તેમને ત્રણ વખત પરાજય આપ્યો, અને જે શહેરો હઝાએલના પિતા બેનહદાદે તેના પિતા યહોઆહાઝ પાસેથી લઇ લીધાં હતાં તે પાછાં કબજે કર્યાં.
છેલ્લા દિવસો
3 આ યાદ રાખજે! છેલ્લા દિવસોમાં ધણી બધી મુશ્કેલીઓ આવશે. 2 એવો સમય આવશે કે જ્યારે લોકો પોતાની જાતને જ તથા પૈસાને પ્રેમ કરશે. તેઓ બડાશખોર અને અભિમાની બનશે. લોકો બીજાની નિંદા-કૂથલી કરતા થઈ જશે. લોકો પોતાના મા-બાપની આજ્ઞા નહિ પાળે. લોકોમાં આભારની ભાવના મરી પરવારશે. દેવને જેવા લોકો ગમે છે તેવા તેઓ નહિ હોય. 3 લોકોને એકબીજા માટે પ્રેમ નહિ હોય. તેઓ બીજા લોકોને માફ કરી શકશે નહિ. અને તેઓ ખરાબ વાતો કરશે. લોકો પોતાની જાત પરનો કાબૂ ગુમાવશે. તેઓ ક્રોધી અને હલકી વૃત્તિવાળા અને જે વસ્તુઓ સારી હશે તેને ધિક્કારશે. 4 આવનારા છેલ્લા દિવસોમાં લોકો પોતાના મિત્રોના વિશ્વાસઘાતી બની જશે. તેઓ જરા પણ વિચાર કર્યા વગર મૂર્ખતાભર્યા કામો કરશે. લોકો દેવ પર પ્રીતિ રાખવાને બદલે વિલાસ પર પ્રીતિ રાખનારા થશે. 5 એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.
6 તેઓમાંના કેટલાએક લોકો તો પારકાના ઘરમાં ઘૂસી જઇને અબળા સ્ત્રીઓને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ સ્ત્રીઓમાં પણ પુષ્કળ પાપ હોય છે. અનેક અનિષ્ટ કુકર્મો કરવાની ઈચ્છા ધરાવતી એ સ્ત્રીઓ પાપૅંેથી ભરપૂર હોય છે. 7 એ સ્ત્રીઓ હંમેશા નવું નવું શિક્ષણ શીખવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સત્યના જ્ઞાન સુધી પહોંચી શકવા શક્તિમાન થતી નથી. 8 યાન્નેસ અને યાંબ્રેસને યાદ કર. તેઓ મૂસાના વિરોધીઓ હતા. આ લોકોની બાબતમાં પણ એવું જ છે. તેઓ સત્યનો વિરોધ કરે છે. એ એવા લોકો છે જેમની વિચાર-શક્તિ ગૂંચવાઇ ગઇ છે. તેઓ વિશ્વાસનો માર્ગ અનુસરવામાં નિષ્ફળ ગયા છે. 9 પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.
છેલ્લી સૂચનાઓ
10 પરંતુ મારા વિષે તો તું બધું જાણે છે. હું જે શીખવું છું અને જે રીતે હું રહું છું તે તને ખબર છે. મારા જીવનનો હેતું તું જાણે છે. મારો વિશ્વાસ, મારો પ્રેમ અને મારી ધીરજથી તું પરિચિત છે. હું મારો પ્રયત્ન કદીય છોડતો નથી, એ તું જાણે છે. 11 મેં જે સતાવણી અને યાતનાઓ સહન કરી છે તે વિષે તને ખબર છે. અંત્યોખ, ઈકોનિયામાં, અને લુસ્ત્રામાં મારી સાથે જે બન્યું હતું તે તું જાણે છે. એ સ્થળોએ મેં કેવી કેવી સતાવણી સહન કરી હતી, એ તને ખબર છે. પરંતુ એ બધી મુશ્કેલીઓમાં પ્રભુએ જ મારો છુટકારો કર્યો છે. 12 દરેક વ્યક્તિ દેવની ઈચ્છા મુજબ ખ્રિસ્ત ઈસુમાં જીવન સમર્પિત કરી જીવવાનો પ્રયત્ન કરશે તે દરેક વ્યક્તિની સતાવણી કરવામાં આવશે. 13 જે દુષ્ટ લોકો બીજાને છેતરે છે તે લોકો વધુ ને વધુ ખરાબ થતા જશે. તેઓ બીજા લોકોને મૂર્ખ બનાવશે, પરંતુ તેઓ પોતે પણ મૂર્ખ બનશે.
14 પરંતુ જે વાતો તું શીખ્યો છે તેને અનુસરવાનું તારે ચાલુ રાખવું જોઈએ. તું જાણે છે કે એ બધી વતો સાચી છે. તું એ બાબતો શીખવનારાઓ પર પૂરો વિશ્વાસ રાખી શકે છે એની તને ખબર છે. 15 તું બાળક હતો ત્યારનો પવિત્ર શાસ્ત્રથી પરિચિત છે. એ પવિત્રશાસ્ત્ર[a] તને વિવેકબુદ્ધિવાળો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્ધારા તારણના માર્ગે જવા એ વિવેકબુદ્ધિ તને ઉપયોગી નીવડશે. 16 દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. 17 શાસ્ત્રોનો ઉપયોગ કરીને જે વ્યક્તિ દેવની સેવા કરશે, તે બધાજ સારા કાર્યો કરવા માટે પૂરેપૂરો સુસજજ થશે.
આગેવાનોએ ઇસ્રાએલ અને યહૂદાથી પાપ કરાવ્યા
5 હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો!
તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં. 2 બંડખોરોએ તેઓને ફસાવવા માટે શિટ્ટિમમાં ઊંડા ખાડાઓ ખોદ્યા છે, પરંતુ હું તમને સૌને શિક્ષા કરીશ. 3 હું જાણું છું એફ્રાઇમ શું કરી રહ્યું છે. ઇસ્રાએલના કૃત્યો મારાથી છુપા નથી. હા, હું જાણું છું કે, એફ્રાઇમ વારાંગનાની જેમ ર્વત્યુ. ઇસ્રાએલ અપવિત્ર બન્યું. 4 તેઓના દુષ્ટ કૃત્યો તેમને દેવ તરફ પાછા ફરતાં દૂર રાખે છે. કારણકે તેઓના હૃદયમાં વ્યભિચારી આત્મા દ્વારા પકડાયેલા છે, અને તેઓ યહોવાને નથી જાણતા. 5 ઇસ્રાએલનો ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી છે. ઇસ્રાએલ અને એફ્રાઇમ પોતાના પાપમાં ઠોકર ખાશે અને યહૂદા તેની સાથે પડશે.
6 અંતે તેઓ દેવની શોધ કરવા પોતાના ઘેટાં, બકરાં અને ઢોરઢાંખર સાથે આવશે અને તેઓનું બલિદાન દેવને અર્પશે. પરંતુ ત્યારે ઘણું જ મોડું થઇ ગયું હશે. તેઓ યહોવાને શોધી શકશે નહિ. દેવ તેઓથી વિમુખ થશે અને તેઓને એકલા મૂકી દેવામાં આવશે. 7 તેઓએ યહોવાને દગો દીધો હતો. કારણકે તેઓએ બીજા કોઇના સંતાનોને જન્મ આપ્યો છે. તેથી તે ચંદ્રદર્શનનો દિવસ તેમનો અને તેમની ભૂમિનો નાશ કરશે.
ઇસ્રાએલના વિનાશની ભવિષ્યવાણી
8 ચેતવણીનો ઘંટ વગાડો!
ગિબયાહમાં તથા રામામાં
અને બેથ-આવેન સુધી રણશિંગડું વગાડી ચેતવણી આપો;
બિન્યામીનનો પ્રદેશ ધ્રુજી ઊઠો!
9 હે ઇસ્રાએલ! સજાનો દિવસ આવી રહ્યો છે,
ઇસ્રાએલ તારાજ થઇ જશે.
ઇસ્રાએલના લોકો માટે હું જે જાહેર કરું છું
તે અચૂક થવાનું જ છે.
10 યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા;
જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં.
તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.
11 એફ્રાઇમને સજા થશે અને કચરી નાખવામાં આવશે કારણ
તેણે મૂર્તિઓના યાજકોના આદેશ પાળ્યાં છે.
12 આથી હું ઇસ્રાએલ અને યહૂદાને ઊધઇ
અને કીડાની જેમ કોરી ખાઇશ.
13 જ્યારે ઇસ્રાએલને પોતાના રોગની ખબર પડી અને યહૂદાએ પોતાનો ઘા જોયો,
ત્યારે ઇસ્રાએલે આશ્શૂર જઇ સમ્રાટને તેડાવ્યો.
પણ તે તેમને સાજો કરી શકે એમ નથી કે,
તેમના ઘા રૂજાવી શકે એમ નથી.
14 કારણ સિંહની જેમ હું એફ્રાઇમ
અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ.
હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ
અને દૂર ફેંકી દઇશ.
હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.
15 તેઓ પોતાનો અપરાધ કબૂલ કરશે
અને મારું મુખ શોધશે પણ હું
મારે સ્થાને જરૂર પાછો ચાલ્યો જઇશ.
દુ:ખમાં આવી પડશે ત્યારે તેઓ મને શોધવા નીકળશે.”
યહોવા તરફ પાછા ફરવાનું પ્રતિફળ
6 લોકો કહે છે,
“આવો આપણે પાછા યહોવા પાસે જઇએ.
તેમણે આપણને ચીરી નાખ્યા છે, અને તે જ આપણને પાછા સાજા કરશે;
તેણે આપણને ઘા કર્યા છે, અને તે જ આપણને પાટાપીંડી કરશે.
2 બે દિવસ પછી તે આપણને બચાવશે.
ત્રીજે દિવસે તે આપણને આપણા પગ પર ઉભા કરશે,
જેથી આપણે તેની હાજરીમાં જીવીએ.
3 ચાલો આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ,
યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને
ખંતથી મહેનત કરીએ;
તે આપણને ઉગતા સૂરજની જેમ ચોક્કસ પ્રાપ્ત થશે.
વસંતઋતુંમાં પૃથ્વીને લીલીછમ કરનાર
છેલ્લા વરસાદની જેમ, તે આવશે.”
લોકો શ્રદ્ધાળું નથી
4 “હે એફ્રાઇમ અને યહૂદા,
હું તમારી સાથે કેવો વ્યવહાર કરું?
તમારો પ્રેમ પરોઢના વાદળ જેવો
અને ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવો છે.
5 એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે હત્યા કરી છે;
મેં મારા મુખનાઁ વચનોથી તેઓનો સંહાર કર્યો છે!
દિવસ પછી રાત ચોક્કસ આવે છે,
તેમ અચાનક ચેતવણી આપ્યા વીના
મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળા રૂપ,
તમારા ઉપર ચોક્કસ આવી પડશે.
6 કારણકે તારાં યજ્ઞાર્પણ નહિ,
પણ તારો પ્રેમ હું ચાહું છું.
તારા દહનાર્પણો નહિ,
પણ તું મારા કાર્યો ઓળખે તેવું હું ઇચ્છું છું.
7 પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે;
મારા પ્રેમનો અનાદર કર્યો છે:
8 ગિલયાદ બૂરા લોકોનું નગર છે,
અને તેના રસ્તાઓમાં લોહીથી ખરડાયેલા પગોના નિશાન છે.
9 જેમ ધાડપાડુઓ રાહદારી
પર હુમલો કરવા છુપાયેલા હોય છે,
તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખુન કરવા
અને શરમજનક અપરાધો કરવા છુપાય છે.
10 ઇસ્રાએલમાં મેં રૂવાટાં ઉભા થાય એવી એક બાબત જોઇ છે.
અને એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે,
લોકો બીજા દેવોની પૂજા કરીને ષ્ટ થયા છે.
11 યહૂદા, તારા માટે કાપણીનો સમય પણ છે.
એ તે સમયે બનશે, જ્યારે હું મારા લોકોને બંધનાવસ્થાથી પાછા લાવીશ.”
કોફ
145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
રેશ
153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
શીન
161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
તાવ
169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International