M’Cheyne Bible Reading Plan
એલિયાની દુષ્કાળ અંગેની આગાહી
17 એલિયા ગિલયાદના તિશ્બેનો હતો, તેણે આહાબને કહ્યું કે, “ઇસ્રાએલના દેવ યહોવા જેની સંમુખ ઊભો રહું છું તેનો હું સેવક છું, અને હું માંરા જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ પડવાના નથી.”
2 ત્યારબાદ તેને યહોવા તરફથી આ સંદેશો મળ્યો. 3 “આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીથના વહેળા પાસે સંતાઈ જા. 4 ઝરણાનું પાણી પીજે, અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તને ત્યાં ખવડાવે.” 5 તેણે યહોવાનાં કહ્યાં પ્રમાંણે કર્યુ. તે યર્દન નદીની બાજુમાં આવેલ કરીથના વહેળા પાસે ગયો. 6 કાગડાઓ સવાર-સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા, અને તે ઝરણામાંથી પાણી પીતો.
7 પણ થોડા સમય પછી, નાની નદીનું પાણી સુકાઈ ગયું કેમકે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. 8 પછી યહોવાએ એલિયાને કહ્યું, 9 “તું ઊઠ, અને સિદોન નગરની પાસેના સારફત ગામમાં જઈને રહે, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તે તારું પોષણ કરશે, તે માંટે મેં તેને આજ્ઞા આપી છે.”
10 આથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે, તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેનું અભિવાદન કર્યુ અને કહ્યું, “જરા મને કૂંજામાં થોડું પાણી પીવા લાવી આપોને.” 11 તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને બૂમ પાડીને કહ્યું, “માંરે માંટે ટૂકડો રોટલીનો પણ લાવજો.”
12 પણ તે વિધવા બોલી, “તમાંરા દેવ યહોવાના સમ માંરી બરણીમાં મુઠ્ઠી લોટ અને કૂજામાં થોડું તેલ છે; એ સિવાય માંરી પાસે કશું ખાવાનું નથી. હું અહીં આ થોડા લાકડાં ભેગાં કરવા આવી છું, જેથી જઈને મરતાં પહેલાં માંરે માંટે ને માંરા પુત્રના છેલ્લા ભોજન માંટે કંઈ રાંધી શકું.”
13 એલિયાએ કહ્યું, “ગભરાઈશ નહિ, જા ને હું કહું છું એ પ્રમાંણે કર. પહેલાં માંરા માંટે એક નાની રોટલી બનાવજે, પછી એક તારા માંટે બનાવ, અને ત્યાર પછી એક તારા પુત્ર માંટે બનાવ. 14 કારણ, ઇસ્રાએલના યહોવા દેવનાં વચન છે કે, ‘યહોવા ભૂમિ પર વરસાદ ન મોકલે, ત્યાં સુધી બરણી માંનો લોટ અને તેલનો કૂંજો કદી ખાલી થશે નહિ.’”
15 આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યુ; અને લાંબા સમય સુધી એલિયાને, તે સ્રીને અને તેના કુટુંબને ખાવાનું મળતું રહ્યું. 16 એલિયા માંરફતે યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી અને તે પ્રમાંણે લોટની બરણી અને તેલનો કૂંજો કદી ખાલી થયા નહિ.
17 ત્યારબાદ તે ઘરવાળી સ્રીનો પુત્ર માંદો પડયો, તેની માંદગી એટલી ભારે હતી કે તેનું મૃત્યુ થયું. 18 ત્યારે તેણે એલિયાને કહ્યું, “ઓ યહોવાના માંણસ, તમે શા માંટે આવીને માંરા એ પાપ વિષે યાદ કરાવો છો? જેને લીધે માંરો પુત્ર મરી ગયો હતો?”
19 એલિયાએ તેને કહ્યું, “તારા પુત્રને માંરી પાસે લાવ.” એમ કહીને એલિયાએ તેના ખોળામાંથી બાળકને લઈ લીધો અને પોતે રહેતો હતો તે માંળ ઉપરની ઓરડીમાં લઈ જઈ તેને પોતાની પથારીમાં નીચે મૂક્યો. 20 પછી તેણે યહોવાને પ્રાર્થના કરતાં કહ્યું, “ઓ માંરા યહોવા દેવ, હું જેને ત્યાં ઊતર્યો છું, તે વિધવાને તમાંરે સાચેજ નુકસાન પહોંચાડવું છે? એના પુત્રને તમે શા માંટે માંરી નાખ્યો?” 21 તેણે પોતે બાળક તરફ ખેંચાઇને ત્રણ વખત લાંબા થઈને યહોવાને મોટેથી પ્રાર્થના કરી કે, “ઓ માંરા દેવ, આ બાળકને ફરી જીવતો કરી દે.”
22 યહોવાએ તેનો પોકાર સાંભળ્યો. પેલા બાળકને ફરીથી જીવતો કર્યો. 23 એલિયાએ તેને ઉપાડી લઈ ઘરના પરના માંળપરની ઓરડીમાંથી તેને તેની માંતા પાસે લઇ આવ્યો. તે બાળકને તેની માંતાને સુપ્રત કરીને તેણે કહ્યું, “જો, તારો પુત્ર તો જીવે છે.”
24 તેથી તે સ્ત્રીએ કહ્યું, “હવે હું ખાતરી પૂર્વક જાણું છું કે તમે દેવના માંણસ છો, અને તમે બોલો છો તે યહોવાનું વચન છે તે સત્ય છે.”
4 ઘણીઓ, જે બાબતો તમારા સેવકો માટે સુંદર અને ન્યાયી હોય તે તેમને આપો. યાદ રાખો કે આકાશમાં તમારો પણ ઘણી છે.
ખ્રિસ્તીઓને કેટલીક બાબતો કરવા પાઉલ જણાવે છે
2 પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો. 3 અમારા માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ અમને તેની સુવાર્તા ફેલાવવાની તક આપે. પ્રાર્થના કરો કે દેવે જે ખ્રિસ્ત વિષેનું મર્મ પ્રકાશિત કર્યુ છે તેનો અમે ઉપદેશ આપી શકીએ. હું કારાગૃહમાં છું કારણ કે હું આ સત્યનો ઉપદેશ આપું છુ. 4 પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ.
5 જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો. 6 જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.
પાઉલ સાથેના લોકો વિષેના સમાચાર
7 તુખિકસ ખ્રિસ્તમાં મારો વહાલો ભાઈ છે. પ્રભુમાં તે મારી સાથે વિશ્વાસુ સેવક તથા સાથી દાસ છે. તે તમને મારી સાથે બની રહેલી તમામ ઘટનાઓ જણાવશે. 8 તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું. 9 ઓનસિમસની સાથે હું એને મોકલી રહ્યો છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં વિશ્વાસુ અને વહાલો ભાઈ છે. તે તમારા સમૂહમાંથી આવે છે. તુખિકસ અને ઓનેસિમસ તમને અહીં જે કંઈ બન્યું છે તે જણાવશે.
10 અરિસ્તાર્ખસ તમને ક્ષેમકુશળ કહે છે. તે મારી સાથે અહીં કેદી છે. અને માર્ક, બાર્નાબાસનો પિત્રાઈ પણ તમને ક્ષેમકુશળ કહે છે. (માર્ક અંગે શું કરવું તે ક્યારનું મેં તમને જણાવી દીધું છે. જો તે ત્યાં આવે, તો તમે તેને આવકારજો.) 11 ઈસુ પણ (તે યુસ્તસના નામે પણ ઓળખાય છે) તમને ક્ષેમકુશળ કહે છે. આ જ ફક્ત યહૂદી વિશ્વાસુઓ છે કે જે મારી સાથે દેવના રાજ્ય માટે કાર્ય કરે છે. તેઓ મારા માટે દિલાસારુંપ બની રહ્યા છે.
12 એપાફ્રાસ પણ તમને ક્ષેમકુશળ કહે છે. તે ઈસુ ખ્રિસ્તનો સેવક છે. અને તે તમારા સંઘનો છે. તે હમેશા તમારા માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થે છે કે તમે આત્મિક રીતે પરિપકવ બનવા માટે વિકાસ પામો અને દેવ તમારા માટે ઈચ્છે છે તે દરેક વસ્તુ તમને પ્રાપ્ત થાય. 13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે. 14 દેમાસ અને આપણા વહાલા મિત્ર લૂક વેંદ પણ ક્ષેમકુશળ કહે છે.
15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો. 16 આ પત્ર તમારી આગળ વાંચ્યાં પછી, તે લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવવા તેની કાળજી રાખજો. અને લાવદિકિયામાં જે પત્ર મેં લખ્યો છે તે પણ તમે વાંચજો. 17 આર્ખિપસને કહેજો કે, “તને પ્રભુએ જે કામ સોંપ્યું છે તે પૂર્ણ કરવા સાવધ રહેજે.”
18 હું પાઉલ, મારા સ્વહસ્તે આ પત્ર લખી રહ્યો છું અને તમને ક્ષેમકુશળ પાઠવી રહ્યો છુ, કારાગારમાં મને યાદ કરજો. દેવની કૃપા (દયા) તમારા પર થાઓ.
મંદિરથી વહેતું પાણી
47 પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું. 2 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું.
3 હાથમાં માપદંડ લઇને તે પૂર્વ તરફ ગયો અને 1,000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટીસમાં હતાં. 4 એ પછી તેણે બીજા 1,000 હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક 1,000 હાથ અંતર માપ્યું, અને મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસમાં હતાં. 5 બીજા 1,000 હાથ અંતર માપ્યું. હવે તે પાણી નદીમાં ફેરવાઇ ગયા હતાં, પાણી એટલાં ઊંડા હતાં કે તેમાં તરી શકાય. કોઇ ચાલીને સામે કિનારે જઇ શકે નહિ. 6 તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.”
7 ત્યાર બાદ તે મને પાછો નદીને કાંઠે લઇ ગયો અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભાં હતાં. 8 તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે. 9 જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે. 10 મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે. 11 પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે. 12 એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”
કુળસમૂહો માટે ભૂમિના ભાગલા
13 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલના બાર કુળ સમૂહોને જમીન વહેંચવા માટે આ સૂચનો છે: યૂસફના કુળને તેના પુત્રોની જાતિઓ એફ્રાઇમ અને મનાશ્શા માટે બે ભાગ મળશે. 14 સર્વ કુળોને સરખો ભાગ મળશે, કારણ કે તમારા પિતૃઓને આ દેશ આપવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને તેનો વારસો મળશે. તેની હદ આ પ્રમાણે છે:
15 “ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી હેથ્લોન અને સદાદમાંથી પસુર થઇને, 16 હામાથ અનદ દમસ્ક અને હમાથની સરહદ વચ્ચે આવેલાં શેહરો બેરોથાહ અને સિબ્રાઇમ થઇને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાનીકોન સુધી જાય છે. 17 આમ, ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી જાય છે અને તેની ઉત્તરે દમસ્કની સરહદ અને હમાથ આવેલા છે. આ ઉત્તરની સરહદ છે.
18 “પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે.
19 “દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.
20 “પશ્ચિમ સરહદે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે અને હમાથના ઘાટ સામેના બિંદુ સુધી એ જ સરહદની ગરજ સારે છે.
21 “ઇસ્રાએલના કુળો મધ્યે આ સરહદોનો વિસ્તાર તમારે વહેંચી આપવો. 22 તમારા પોતાના માટે અને તમારી મધ્યે પોતાના કુટુંબો સાથે વસતા પરદેશીઓ માટે આ દેશને વતન તરીકે વહેંચી આપવો. આ દેશમાં જન્મેલા વિદેશી માતાપિતાના બાળકો પણ દેશના વતની કહેવાશે. તમારા બાળકોની જેમજ તેઓને એક સરખા અધિકારો મળશે. 23 વિદેશીઓ જે જાતિ વંશની ભેગા વસતા હોય તેની સાથે તેમને પણ ભાગ મળવો જોઇએ.” આ મારા માલિક યહોવાના વચન છે.
દાઉદનું ગીત.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો!
ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે;
અને તારાં સર્વ રોગ મટાડે છે.
4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે
અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે;
જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6 જેઓ જુલમથી હેરાન થયેલા છે,
તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7 મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માર્ગો
અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8 યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે.
તે દયા તથા પ્રેમથી ભરપૂર છે,
પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી,
અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા.
તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની
તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી,
એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે;
તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું;
માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે,
અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે;
અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે.
અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે;
અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે;
અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં
અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો,
તમે યહોવાને ધન્યવાદ આપો.
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા,
જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો,
તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે;
હે મારા આત્મા તેમની સ્તુતિ કર;
દેવની સ્તુતિ કર!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International