M’Cheyne Bible Reading Plan
સેનાપતિ નામાંનનો કોઢ મટી ગયો
5 અરામના રાજાનો સેનાપતિ નામાંન તેના રાજાનો માંનીતો અને કૃપાપાત્ર માંણસ ગણાતો હતો, કારણ, યહોવાએ એની માંરફતે અરામીઓને વિજય અપાવ્યો હતો. તે વીર યોદ્ધો હતો, પણ તે કોઢથી પીડાતો હતો.
2 અરામના દળો ઇસ્રાએલમાં થઈને પાછાં ફરતાં હતા ત્યારે કેટલાંક બંદીવાનો સાથે એક નાની છોકરીને પણ તેઓ ગુલામ તરીકે પકડી ગયા હતા. તેને નામાંનની પત્નીની દાસી તરીકે રાખવામાં આવી હતી. 3 તેણે પોતાની શેઠાણીને કહ્યું, “હું ઇચ્છું છું કે, ઇશ્વર કરે ને માંરા શેઠ પ્રબોધક પાસે સમરૂનમાં જાય, તેઓ તેના ચામડીના રોગનો ઇલાજ કરશે!”
4 નામાંને જઈને પોતાના રાજાને કહ્યું કે, ઇસ્રાએલ દેશની છોકરી આમ કહે છે.
5 અરામના રાજાએ કહ્યું, “સારું, તું જરૂર જા, હું ઇસ્રાએલના રાજા પર તને પત્ર લખી આપીશ.”
આથી નામાંન 10 મણ ચાંદી, 6,000 સોનામહોર અને 10 જોડ પોશાક લઈને સમરૂન જવા ઉપડયો. 6 તેણે ઇસ્રાએલના રાજાને પત્ર આપ્યો, જે નીચે મુજબ હતો, “હું માંરા સેવક નામાંનને તમાંરી પાસે મોકલું છું, તમે એનો ચામડીનો રોગ કોઢ મટાડશો.”
7 જેવો ઇસ્રાએલના રાજાએ પત્ર વાંચ્યો, તે ગભરાઈ ગયો અને પોતાનાં કપડાં એમ કહેતા ફાડી નાખ્યાં, “કે હું તે કંઈ દેવ નથી કે જે મરેલા માંણસને જીવતો કરે? એણે મને આ માંણસને એનો રોગ મટાડવા માંટે મોકલી આપ્યો છે! જરૂર એ માંરી સાથે યુદ્ધ કરવા માંગે છે!”
8 પણ જ્યારે દેવના માંણસ એલિશાના જાણવામાં આવ્યુ કે ઇસ્રાએલના રાજાએ પોતાનાં વસ્ત્ર ફાડયાં છે, ત્યારે તેણે તેને સંદેશો મોકલ્યો: “તું શા માંટે ગભરાઈ ગયો છે? તું નામાંનને માંરી પાસે મોકલ, એટલે એ જાણશે કે અહીં ઇસ્રાએલમાં યહોવાનો એક સાચો પ્રબોધક છે.”
9 તેથી પોતાના રથો અને માંણસો સાથે નામાંન એલિશા પ્રબોધકના ઘરે ગયો અને તેના બારણા સામે આવીને ઊભો રહ્યો. 10 એલિશાએ અંદર રહીને જ તેને કહેવડાવ્યું કે, “તું યર્દન નદીએ જા; અને તેમાં સાત વખત સ્નાન કર, તારો કોઢનો રોગ મટી જશે અને તું શુદ્વ થશે.”
11 પણ નામાંન તો ગુસ્સે થઈને બબડતો બબડતો ચાલ્યો ગયો કે, “હું તો એમ ધારતો હતો કે, તે બહાર આવી માંરી પાસે ઊભો રહી, પોતાના દેવ યહોવાનું નામ લઈ, રોગવાળા ભાગ પર હાથ ફેરવી કોઢ મટાડી દેશે. 12 દમસ્કની નદીઓ અબાનાહ અને ફાર્પાર ઇસ્રાએલની બીજી નદીઓ કરતાં વધારે સારી નથી? તેમાં સ્નાન કરીને હું રોગમુકત ન થઈ શકું?” આમ તે પાછો ફરીને ગુસ્સામાં ચાલ્યો ગયો.
13 પણ તેના નોકરોએ તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રબોધકે આપને કોઈ મુશ્કેલ કાર્ય કરવા માંટે કહ્યું હોત, તો તમે કર્યુ હોત કે નહિ? તેથી તેની આજ્ઞાને આધીન અવશ્ય થાઓ. જાઓ, સ્નાન કરીને શુદ્વ થાઓ!”
14 આથી તેણે જઈને દેવભકત એલિશાએ કહ્યા પ્રમાંણે યર્દનમાં સાત વખત ડૂબકી માંરી, એટલે તેની ચામડી, બાળકની ચામડી જેવી ચોખ્ખી થઈ ગઈ.
15 ત્યાર પછી તે પોતાના આખા રસાલા સાથે દેવભકત એલિશા પાસે પાછો જઈ તેમની સામે ઊભો રહીને બોલ્યો, “હવે મને ખાતરી થઈ કે; ઇસ્રાએલ સિવાય પૃથ્વી પર કયાંય દેવ નથી; હવે આપ આ સેવકની એક ભેટ સ્વીકારવાની કૃપા કરો.”
16 પણ એલિશાએ કહ્યું, “જે યહોવાનો હું સેવક છું તેના સમ ખાઈને કહું છું કે, હું કોઈ ભેટ સ્વીકારીશ નહિ.”
નામાંને તેને કંઈક સ્વીકારવા માંટે આગ્રહ કર્યો, પણ તેણે માંન્યું નહિ, 17 ત્યારે નામાંન બોલ્યો, “આપ ના જ પાડો છો તો આ સેવકને બે ખચ્ચર માંટી આપો, કારણ, હું હવે યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનાર્પણ કે યજ્ઞો ચડાવવાનો નથી. 18 માંત્ર આટલી એક બાબતમાં હું યહોવાની ક્ષમાં યાચું છું, અને તે એ કે માંરા રાજા જયારે રિમ્મોન દેવના મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યારે માંરા હાથનો ટેકો લે છે. અને તેઓ ત્યાં પગે લાગે છે. ત્યારે હું પણ પગે લાગું છું. યહોવા, આ સેવકને આટલી ક્ષમાં કરો.”
19 એલિશાએ કહ્યું, “સારું, શાંતિથી જા,”
પછી નામાંન સ્વદેશ જવા રવાના થયો. 20 ત્યાં દેવભકત એલિશાના નોકર ગેહઝીએ મનમાં કહ્યું, “શું માંરા શેઠે આ અરામી નામાંનને તે જે ભેટ લાવ્યો તે સ્વીકાર્યા વિના જ એમને એમ જવા દીધો? યહોવાના સમ. હું દોડતો તેની પાછળ જાઉ છું અને તેની પાસેથી કંઈ લઈ આવું છું.”
21 એમ વિચારીને ગેહઝીએ નામાંનની પાછળ દોડતો નીકળી પડયો. જયારે નામાંને તેને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે રથમાંથી તેને મળવા કૂદી પડયો અને બોલ્યો, “બધું કુશળ તો છે ને?”
22 તેણે કહ્યું, “બધું કુશળ છે. માંરા શેઠે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘એફ્રાઈમના ટેકરી પ્રદેશના પ્રબોધકોના સમૂહમાંથી બે યુવાનો હમણાં જ આવ્યા છે, તેમને લગભગ 34 કિલો ચાંદી અને બે જોડી કપડાં જોઇએ છે.’”
23 નામાંને કહ્યું, “જરૂર; ખુશીથી 68 કિલો લઈ જાઓ.” આ રીતે નામાંને તેને ખૂબ કિંમતી એવાં બે જોડ વસ્ત્રો આપ્યાં, અને બે થેલામાં લગભગ 68 કિલો ચાંદી આપી તે તેણે તેના નોકરોના માંથે ચઢાવી; અને તેઓ ગેહઝીએની આગળ ચાલવા લાગ્યા. 24 જયારે ગેહઝીએ એલિશા રહેતો હતો તે ટેકરી પર પહોંચ્યો, ત્યારે તેણે પેલા બે માંણસો પાસેથી વસ્તુઓ લઈને ઘરમાં મૂકી દઈ તેમને મોકલી દીધા, પછી તેઓ વિદાય થયા.
25 જયારે તે અંદર જઈને પોતાના શેઠની આગળ ઊભો રહ્યો ત્યારે અલિશાએ કહ્યું, “ગેહઝીએ, તું કયાં ગયો હતો?”
ગેહઝીએ કહ્યું, “કયાંય નહિ.”
26 પણ એલિશાએ કહ્યું, “જયારે રથમાંથી કૂદીને કોઇ તમને મળવા આવ્યું, ત્યારે માંરો આત્માં તમાંરી સાથે નહોતો? આ કંઈ ભેટ લેવાનો પ્રસંગ છે? આ કંઈ પૈસા, કપડાં, જેતૂનની વાડીઓ, અને દ્રાક્ષની વાડીઓ ઘેટાં અને બળદો તથા દાસ અને દાસીઓ લેવાનો પ્રસંગ છે? 27 એથી નામાંનનો કોઢ તને અને તારા વંશજોને કાયમનો વળગશે.”
તે ક્ષણે જ ગેહઝીને તરત જ કોઢ ફૂટી નીકળ્યો, અને તેની ચામડી હિમ જેવી સફેદ થઈ ગઈ અને તે એલિશાથી દૂર ચાલ્યો ગયો.
બાહેર ભજનસેવા અને શિસ્ત
2 હુથી પ્રથમ તો સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનું હું તમને કહું છુ. સર્વ લોકો માટે તમે દેવ સાથે વાત કરો. લોકોને જે વસ્તુઓની જરુંર છે તે દેવ પાસે માગો અને તેનો આભાર માનો. 2 રાજાઓ તેમજ સત્તા ભોગવતા બધા લોકો માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ. દેવ માટે ભક્તિભાવ અને માનથી છલકાતું તથા પરમ શાંતિ પ્રદ જીવન આપણને પ્રાપ્ત થાય તે માટે એવા અધિકારીઓ સારું પ્રાર્થના કરો. 3 આ સારી વાત છે અને એનાથી આપણા તારનાર દેવ પ્રસન્ન થાય છે.
4 દેવ ઈચ્છે છે કે દરેક જાણનું તારણ થાય. અને તેની ઈચ્છા છે કે સર્વ લોકો આ સત્ય જાણે. 5 દેવ તો માત્ર એક જ છે. અને લોકો દેવ સુધી પહોંચે એ માટે પણ એક જ મધ્યસ્થ છે. તે મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત છે જે એક માનવ પણ છે. 6 બધા જ લોકોના પાપ માટે ઈસુએ પોતાની જાતનું સ્વાર્પણ કર્યુ. ઈસુ એ વાતની સાબિતી છે કે દેવ સર્વ લોકોને બચાવી લેવા માગે છે. અને યોગ્ય સમયે જ તે (ઈસુ) આવ્યો. 7 તેથી જ તો સુવાર્તા કહેવા સારું મારી પસંદગી કરવામાં આવી હતી. તેથી જ તો પ્રેરિત તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો. (હુ તમને સત્ય જ કહુ છું. હુ કઈ જૂઠુ બોલતો નથી.) બિનયહૂદિ લોકોને શીખવનાર થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. તેઓ વિશ્વાસ કરી શકે અને સત્યને જાણે એવું હું તેઓને શિક્ષણ આપું છુ.
પુરુષો તથા સ્ત્રીઓ માટે કેટલાએક નિયમો
8 દરેક જગ્યાએ રહેતા માણસો પ્રાર્થના કરે એમ હુ ઈચ્છુ છું. પ્રાર્થનામાં જેઓ હાથ ઊંચા કરતા હોય તેઓ પવિત્ર હોવા જોઈએ. તે માણસો એવા ન હોવા જોઈએ કે જે ગુસ્સે થતા હોય અને દલીલબાજી કરતા હોય.
9 હુ એ પણ ઈચ્છું છું કે સ્ત્રીઓ એવાં કપડાં પહેરે કે જે એમના માટે યોગ્ય હોય. સન્માનનીય અને ઉચ્ચ વિચારો જળવાય એ રીતે સ્ત્રીઓએ કપડા ધારણ કરવાં જોઈએ. તેમણે પોતાના વાળ કલાત્મક અને આકર્ષક રીતે ગૂંથેલા હોવા ન જોઈએ. તેમજ પોતાને સૌદર્યવાન બનાવવા માણેક-મોતી કે સોનાના આભૂષણો કે કિમતી પોષાકોનો ઉપયોગ નહિ કરવો જોઈએ. 10 પરંતુ સારા કાર્યો કરીને તેમણે સુંદર બનવું જોઈએ. જે સ્ત્રીઓ એમ કહેતી હોય કે તેઓ દેવને ભજે છે તેમણે એ રીતે પોતાને સુંદર બનાવવી જોઈએ.
11 સ્ત્રીએ કોઈપણ વાત શાંતિથી સાંભળીને અને આજ્ઞાનું પાલન કરવા સંપૂર્ણ રીતે તૈયાર રહીને શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. 12 સ્ત્રી પુરુંષને ભણાવે એ માટે હું મંજૂરી આપતો નથી. અને પુરુંષ પર સ્ત્રીની સત્તા ચાલે એની પણ હું છૂટ આપતો નથી. સ્ત્રીએ શાંતિથી પોતાનું કામકાજ કરતા રહેવું. આવું શા માટે? 13 કારણ કે પ્રથમ આદમની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ હવાનું સર્જન થયું. 14 શેતાને આદમની છેતરપીંડી કરી નહિ, તેણે હવાને છેતરી અને તેથી તે પાપી બની. 15 પરંતુ સ્ત્રીઓને બાળકો હોવાને કારણે બચાવવામાં આવશે. જો તેઓ યોગ્ય રીતે આત્મસંયમ રાખી પવિત્ર જીવન જીવશે તથા વિશ્વાસ અને પ્રેમ ચાલુ રાખશે તો તેઓ તારણ પામશે.
પ્રજા માટે દાનિયેલની પ્રાર્થના
9 અહાશ્વેરોશનો પુત્ર માદીનો દાર્યાવેશ જે બાબિલ રાજ્યનો રાજા હતો, તેના પહેલા વર્ષમાં આ બનાવ બન્યો. 2 તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
3 પછી હું ગંભીરતાથી દેવ તરફ પ્રાર્થના સાથે જાણવા માટે વળ્યો, અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને રાખના ઢગલા પર બેસીને, મેં સાચા હૃદયથી દેવ મારા માલિકની પ્રાર્થના કરી. 4 મેં દેવ યહોવાને પ્રાર્થના કરીને આપણા પાપોની કબૂલાત કરતા કહ્યું,
“હે યહોવા, હે મહાન અને ભયાવહ દેવ, તું તારા કરારને વળગી રહે છે, અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરૂણા રાખે છે.
5 “પરંતુ યહોવા અમે પાપ કર્યા છે, દુષ્ટ કૃત્યો કર્યા છે, તમારી સામે બળવો કર્યો છે, તમારી આજ્ઞાઓ અને તમારા હુકમોની ઉપેક્ષા કરી છે. 6 અમારા રાજાઓને, આગેવાનોને તથા અમારા વડવાઓને અને દેશના બધા લોકોને તારા નામે ઉપદેશ આપનાર તારા સેવકો પ્રબોધકોની વાત અમે કાને ધરી નથી.
7 “હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.
8 “હે યહોવા, આ સર્વ દેશોમાં અમારે શરમાવાનું છે, અમારા રાજાઓને, આગેવાનોને અને અમારા વડવાઓને. કારણ, અમે બધાએ તમારી વિરૂદ્ધ પાપ કર્યા છે, અમે તમારા અપરાધી બન્યા છીએ.
9 “અમારા યહોવા દેવ, તમે તો દયાળુ છો અને ક્ષમા કરો છો, પણ અમે તમારી સામે બળવો પોકાર્યો છે. 10 હે યહોવા, અમારા દેવ, અમે તમારી વાણી માની નથી. તમારા સેવક પ્રબોધકો દ્વારા તમે અમને આપેલા સર્વ નિયમોનો અમે ભંગ કર્યો છે. 11 હા, સર્વ ઇસ્રાએલે તમારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. તેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભયાનક શાપ અમારા પર રેડી દેવામાં આવ્યો છે, કેમકે અમે તેની વિરૂદ્ધ પાપ કર્યુ છે.
12 “તમે અમને અને અમારા રાજ્યકર્તાઓને ચેતવણી આપ્યા પ્રમાણે જ કર્યું છે, અને યરૂશાલેમ પર અતિ ભારે આપત્તિ આવવા દીધી છે, પૃથ્વી પર બીજા કોઇ નગરમાં કદી એવી આપત્તિ આવી નથી. 13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા ઉપર ઊતરી છે, તેમ છતાં તમને, અમારા દેવ યહોવાને રીઝવવા અમે પ્રયત્ન કર્યો નથી; અમે પાપકૃત્યો છોડ્યાં નથી કે, અમે તમારા સત્યને માર્ગે ચાલ્યાં નથી. 14 હે અમારા દેવ યહોવા, તમે અમારા પર આફત ઉતારવાને રાહ જોઇને બેઠા હતા અને તમે તે ઉતારી પણ ખરી. તમે જે કઇં કર્યું છે તે બધું ન્યાયપૂર્વક કર્યું છે. કારણ, અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે.
15 “હે યહોવા, અમારા દેવ, તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને તમારું સાર્મથ્ય પ્રગટ કર્યું છે. તમારા નામનો મહિમા કર્યો છે. યહોવા ફરીથી એવું થવા દો! જો કે, અમે પુષ્કળ પાપ કર્યા છે અને અમે અધમતાથી ભરેલા છીએ. 16 હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.
17 “માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો. 18 હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ. 19 હે યહોવા, સાંભળો, હે યહોવા, ક્ષમા કરો, હે યહોવા, મારું સાંભળો અને કઇંક કરો. તમારા પોતાને માટે હે મારા દેવ, કારણકે તમારા લોકો અને તમારું નગર તમારા નામે ઓળખાય છે.”
70 સપ્તાહો વિષે સંદર્શન
20 હું આ પ્રમાણે પ્રાર્થના કરતો હતો, મારા અને મારા લોકો ઇસ્રાએલીઓના પાપની કબૂલાતો કરતો હતો અને મારા દેવ યહોવા સમક્ષ પવિત્ર પર્વત વતી વિનવણી કરતો હતો. 21 તે જ સમયે ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો. 22 તેણે મને કહ્યું, “દાનિયેલ, દેવના ભવિષ્યવચનો સમજવામાં તને મદદ કરવા હું અહીં આવ્યો છું. 23 તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે યહોવાએ તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું. કારણકે દેવ તને પુષ્કળ ચાહે છે. હવે તું સાંભળ, અને તેઁ જોયેલા સંદર્શનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર!
24 “તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમર્પિત થવાનું છે.
25 “માટે હવે તું સાંભળ! યરૂશાલેમ ફરી બાંધવાની આજ્ઞા અપાઇ એ સમયથી નિયુકત કરેલો રાજકુમાર આવે ત્યાં સુધીનો સમય સાત અઠવાડિયાઁનો હશે. છતાં યરૂશાલેમની શેરીઓ તથા ભીતો બાસઠ અઠવાડિયાઁમાં ફરીથી બંધાશે. આ આપત્તિનો સમય હશે. 26 બાસઠ અઠવાડિયાઁ પછી એ અભિષિકતનો વધ કરવામાં આવશે અને કોઇ તેનો પક્ષ નહિ લે. એક સેનાપતિ સૈના સાથે આવીને નગરીનો અને મંદિરનો નાશ કરશે; એનો અંત અચાનક રેલની જેમ આવશે અને અંતીમ સુધી નિર્માયેલાં યુદ્ધ અને વિનાશ ચાલ્યા કરશે.
27 “એ સેનાપતિ અન્ય લોકો સાથે સાત દિવસનું કબૂલાતનામું બનાવશે, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે; અને તે સમય દરમ્યાન વિનાશ નોતરશે, અને ધૃણાસ્પદ વસ્તુઓ કરશે. ત્યાં સુધી, જ્યારે અંતમાં યહોવાનો ચુકાદો તેની પર લાગુ કરવામાં આવશે.”
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
3 હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
“તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
5 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
8 માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
9 સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International