M’Cheyne Bible Reading Plan
યેહૂ સમરૂનના અમલદારોને લખે છે
10 આહાબને 70 પુત્રો હતા જે સમરૂનમાં રહેતા હતા. યેહૂએ સમરૂન શહેરના અમલદારોને, વડીલોને અને આહાબના વંશજોના વાલીઓને લખ્યું; 2 “તમારા રાજાનાં પુત્રો તમારી પાસે છે, તમારી પાસે રથ અને ઘોડા છે, તમારી પાસે કિલ્લેબંધ નગરો અને શસ્રો પણ છે. 3 એટલે આ પત્ર પહોંચતાં જ તમારા ધણીના વંશજોમાંથી જે સૌથી સારો અને લાયક હોય તેને તેના પિતાની રાજગાદીએ બેસાડો અને તમારા ધણીના વંશ માટ યુદ્ધે ચડો.”
4 પણ તેઓ અતિશય ભયભીત થઈ ગયા અને બોલ્યા, “બબ્બે રાજાઓ તેની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરી ટકી શકીશું?”
5 આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.”
આહાબનાં સંતાનો મારતા સમરૂનના વડીલો
6 ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.”
રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં. 7 જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા, અને તેમનાં માથાં ટોપલીઓમાં ભરીને યેહૂને યિઝએલ મોકલી આપ્યાં. 8 સંદેશવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “એ લોકો રાજકુંવરોનાં માથાં લઈ આવ્યા છે.”
ત્યારે તેણે કહ્યું, “બે ઢગલા કરીને તે માથાં કાલ સવાર સુધી શહેરના દરવાજા આગળ રહેવા દો.”
9 બીજે દિવસે દરવાજામાંથી બહાર આવીને લોકોને કહ્યું, “તમારો કોઈ દોષ નથી. એ તો હું છું કે જેણે મારા ધણીની સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો; પણ આ બધાને કોણે મારી નાખ્યા? 10 તમે એ જરૂર સમજી લો કે, યહોવાએ આહાબના કુટુંબ વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને તેણે જે કહ્યું છે એ બધું જ બનશે. યહોવાએ પોતાના સેવક એલિયા મારફતે સંદેશો મોકલ્યો હતો અને તેણે જે કહ્યું હતું તે સાચું કરી બતાવ્યું છે.”
11 ત્યાર પછી યેહૂએ આહાબના વંશના યિઝએલમાં બાકી રહેલા સૌને તેમજ તેના ઉમરાવોને, નિકટના મિત્રોને અને તેના યાજકોને મારી નાખ્યા, કોઈને જીવતો જવા ન દીધો.
અહાઝયાના સબંધીઓ મારતો યેહૂ
12 પછી યેહૂ સમરૂન જવા નીકળ્યો. 13 રસ્તામાં તેને અહાઝયાના (સબંધીઓ) મળ્યા, તેણે તેમને પૂછયું, “તમે કોણ છો!”
તેમણે કહ્યું, “અમે અહાઝયાના સબંધીઓ છીએ અને અમે રાજાનાં અને રાણીનાં સંતાનોને મળવા જઈએ છીએ.”
14 યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.”
તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.
યહોનાદાબને મળતો યેહૂ
15 ત્યાંથી નીકળીને તે જવા લાગ્યો, ત્યારે સામેથી રેખાબનો પુત્ર યહોનાદાબ તેને મળવા આવતો હતો. તેમણે એકબીજાની કુશળતા પૂછી. પછી યેહૂએ તેને કહ્યું, “હું તારા પ્રત્યે જેવો વિશ્વાસુ છું તેવો તું મારા પ્રત્યે છે?”
યહોનાદાબે કહ્યું, “હા છું.”
પછી યેહૂએ કહ્યું, “તારો હાથ મને આપ.”
અને યેહૂએ તેને રથમાં પોતાની બાજુએ ખેંચી લીધો.
16 યેહૂએ તેને જણાવ્યું, “તું મારી સાથે ચાલ, અને યહોવાને માટે મેં શું શું કર્યુ છે તે જો!”
પછી તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો. 17 સમરૂનમાં દાખલ થતાં જ તેણે ત્યાં બચવા પામેલા આહાબના કુટુંબીજનોની હત્યા કરી, અને આમ, યહોવાએ એલિયાને કહ્યું હતું તે મુજબ તેના વંશનો નાશ કર્યો.
બઆલના સેવકોને બોલાવતો યેહૂ
18 પછી યેહૂએ બધાં લોકોને ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલ દેવની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની ઘણી વધારે સેવા કરનાર છે. 19 બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.”
પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું. 20 યેહૂએ હુકમ કર્યો. “બઆલને માટે એક પવિત્ર મેળો બોલાવો.” અને મેળો બોલાવવામાં આવ્યો. 21 યેહૂએ પોતે સમગ્ર ઇસ્રાએલમાં સંદેશવાહકો મોકલ્યા અને બઆલના બધા જ સેવકો ભેગા થયા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તે બધા બઆલના મંદિરમાં એક છેડાથી બીજા છેડા સુધી ભરાયા.
22 પછી યેહૂએ પૂજાનાં વસ્ત્રોના ભંડારીને કહ્યું, “બઆલના બધા સેવકો માટે વસ્ત્રો લાવ.” એટલે તે લઈ આવ્યો.
23 પછી યેહૂ અને રેખાબનો પુત્ર યહોનાદાબ લોકોને સંબોધન કરવા મંદિરના અંદરના ભાગમાં ગયા; તેઓએ કહ્યું, “જેઓ બઆલનું ભજન કરે છે તેઓ જ અહીં હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. જેઓ યહોવાનું ભજન કરે છે તેઓમાંનો કોઈ અહીં હોવો જોઈએ નહિ!” 24 પછી તે યજ્ઞો અને દહનાર્પણો આપવા અંદર ગયો.
યેહૂએ 80 માણસોને બહાર ગોઠવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “હું તમને સોંપી દઉં છું. એમાંના કોઈને પણ તમારામાનો જે કોઈ જીવતો જવા દેશે તે પોતે જીવતો નહિ રહે.”
25 દહનાર્પણ પછી તેણે નાયકો અને ચોકીદારોને કહ્યું, “અંદર જાઓ અને બધાંને મારી નાખો, એકનેય જવા દેશો નહિ.”
ચોકીદાર અને નાયકોએ અંદર જઈને એકેએકની હત્યા કરતાં કરતાં છેક બઆલના મંદિરના ગર્ભગૃહ સુધી પ્રયાણ કર્યું. 26 બઆલના મંદિરમાં જે સ્તંભ હતો તેને તેઓ બહાર લઇ આવ્યા અને તેને બાળી મૂકયો. 27 આ રીતે તેઓએ બઆલના સ્તંભનો વિનાશ કરી નાખ્યો. તેઓએ બઆલના દેવનું મંદિર તોડી પાડ્યું અને તે જગ્યાને જાહેર શૌચાલય બનાવી દીધું જે આજે પણ છે.
28 આ રીતે યેહૂએ ઇસ્રાએલમાંથી બઆલને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખ્યું. 29 જે ઇસ્રાએલ પાસે પાપ કરાવતો હતો તે નબાટના પુત્ર યરોબઆમને ફકત યેહૂ રોકી ન શક્યો. બેથેલ અને દાનમાં ચાલતી સોનાના વાછરડાને પધ્રૂજવાની પ્રણાલીને તે બંધ ન કરી શક્યો.
યેહૂનું ઇસ્રાએલ પર રાજ
30 પછી યહોવાએ યેહૂને કહ્યું, “આહાબના પરિવારનો નાશ કરવા માટેની મારી આજ્ઞાનું પાલન તેઁ કર્યું છે તેથી હું તારા પુત્રને, પૌત્રને અને પ્રપૌત્રીને એમ ચોથી પેઢી સુધી તારા વંશજોને ઇસ્રાએલની ગાદી પર બેસાડીશ.”
31 પણ યેહૂએ યહોવાના આદેશોનું હૃદયપૂર્વક પાલન ન કર્યું. યરોબઆમ ઇસ્રાએલ પાસે જે પાપ કરાવતો હતો તે કરવામાંથી પોતે દૂર રહી શક્યો નહિ.
ઇસ્રાએલને હરાવતો હઝાએલ
32 તે દિવસોમાં યહોવાએ ઇસ્રાએલને નાનું બનાવવાની શરુઆત કરી. હઝાએલે તેમને તેમના પોતાનાજ પ્રદેશમાં હરાવીને તેમની ભૂમિ કબજે કરી. 33 યર્દનથી પૂર્વ તરફ, આનોર્ન નદી પાસે અરોએર સુધી, આખો પ્રદેશ જીતી લીધો, તેમાં ગિલયાદ અને બાશાનનો પ્રદેશ જેમાં ગાદના રૂબેનના અને મનાશ્શાના કુળસમૂહોના લોકો રહેતા હતા, તે આવી જતો હતો.
યેહૂનું મૃત્યું
34 યેહૂના રાજયનાં બીજાં બનાવો અને કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ કાળ વૃત્તાંતમાં નોંધેલા છે. 35 પછી યેહૂ પિતૃલોકને પામ્યો, અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. 36 તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ ગાદીએ આવ્યો. યેહૂએ ઇસ્રાએલ પર સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું હતું.
1 ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઇચ્છાથી હું પ્રેરિત બન્યો છું. ખ્રિસ્ત ઈસુમાં જીવન વિષે જે વચન છે તે વિષે લોકોને જણાવવા દેવે મને મોકલ્યો છે.
2 હવે તિમોથીને સંબોધન કરું છું. તું તો મારા પ્રિય પુત્ર સમાન છે.
દેવ-પિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તને કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
આભારસ્તુતિ અને પ્રોત્સાહન
3 રાત-દિવસ હંમેશા મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. એ પ્રાર્થનાઓમાં તારા માટે હું દેવની આભારસ્તુતિ કરું છું. મારા પૂર્વજો જેની સેવા કરતા હતા તે એ જ દેવ છે. હું જે જાણું છું તે સાચું છે એમ સમજી, મેં હંમેશા એ દેવની સેવા કરી છે. 4 તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય. 5 તારો સાચો વિશ્વાસ પણ મને યાદ આવે છે. તારી દાદી લોઈસ અને તારી માતા યુનિકા સૌ પ્રથમ એવો જ વિશ્વાસ ધરાવતાં હતાં. હું જાણું છું કે એ જ વિશ્વાસ હવે તું ધરાવે છે. 6 માટે હું તને યાદ દેવડાવા ઈચ્છું છું કે, જ્યારે મેં મારા હાથો તારા માથા પર મૂક્યા, દેવે તને તે કૃપાદાન આપ્યું. જેમ એક નાની સરખી જ્યોત ધીરે ધીરે મોટા અગ્નિમાં પરિવર્તન પામે છે, તેમ દેવે તને આપેલ તે ખાસ કૃપાદાન વધુ ને વધુ ખીલે અને તું એનો ઉપયોગ કરે એમ હું ઈચ્છું છું. 7 કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
8 તેથી આપણા પ્રભુ ઈસુ વિષે લોકોને કહેતાં તું શરમ કે સંકોચ ન રાખીશ. અને મારા માટે પણ તારે શરમિંદા બનવાની જરૂર નથી કેમ કે હું પ્રભુને ખાતર જ કેદમાં છું. પરંતુ એ સુવાર્તાને લીધે તું પણ મારી સાથે દુ:ખ સહન કર એ સહન કરવા દેવ આપણને સાર્મથ્ય આપે જ છે.
9 દેવે આપણને તાર્યા છે અને આપણને તેના સંતો બનાવ્યા છે. આપણા પોતાના પ્રયત્નને કારણે એ થયું નથી. ના! તેની કૃપાને કારણે દેવે આપણને બચાવ્યા અને આપણને તેના સંતો બનાવ્યા કારણ કે એવી દેવની ઈચ્છા હતી. સમયનો પ્રારંભ થયો તે પહેલા ખ્રિસ્ત ઈસુ ધ્વારા દેવે એ કૃપા આપણને આપેલી હતી. 10 અત્યાર સુધી એ કૃપા આપણને પ્રગટ થઈ ન હતી. જ્યારે આપણો તારનાર ખ્રિસ્ત ઈસુ આવ્યો ત્યારે આપણને તેની કૃપા પ્રગટ થઈ. ઈસુએ મરણને નાબૂદ કર્યુ અને આપણને જીવન મેળવવાનો માર્ગ બતાવ્યો. હા! સુવાર્તા દ્ધારા ઈસુએ આપણને અવિનાશી જીવન પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડ્યો.
11 તે સુવાર્તાના પ્રચાર માટે, સુવાર્તાના પ્રેરિત તથા ઉપદેશક થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. 12 અને અત્યારે હું દુ:ખ સહન કરી રહ્યો છું કેમ કે હું સુવાર્તા બધે કહેતો ફરું છું. પણ તેથી કઈ હું શરમાતો નથી. જેને મેં સ્વીકાર્યો છે તે એક (ઈસુ) ને જાણું છું. તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે, એની મને ખાતરી છે.
13 મારી પાસેથી તેં જે સત્ય વચનો સાંભળ્યાં છે તેને તું અનુસર. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે વિશ્વાસ અને પ્રેમ છે તેના ધ્વારા એ ઉપદેશને તું અનુસર. એ ઉપદેશ નમૂનારૂપ છે, કે જે દર્શાવે છે કે તારે કેવો ઉપદેશ આપવો જોઈએ. 14 તને જે સત્ય મળેલ છે તેનું તું રક્ષણ કર. પવિત્ર આત્માની સહાય વડે એ વસ્તુઓને તું સંભાળી રાખ. એ પવિત્ર આત્મા આપણા અંત:કરણમાં જ વસે છે.
15 તું તો જાણે જ છે કે આસિયાના પ્રાંતના પશ્ચિમની દરેક વ્યક્તિએ મને ત્યજી દીધો છે. ફુગિલસ અને હર્મોગનેસ પણ મને છોડીને ચાલ્યા ગયા છે. 16 ઓનેસિફરસના કુટુંબ પર પ્રભુ દયા કરે એવી મારી પ્રાર્થના છે. ઓનેસિફરસે ઘણી વાર મને મદદ કરી છે. મારી કેદની સજાને કારણે તે શરમિંદો થયો ન હતો. 17 ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી. 18 મારી પ્રાર્થના છે કે તે દિવસે પ્રભુ ઓનેસિફરસને દયા બતાવશે. તું તો જાણે છે જ એફેસસમાં ઓનેસિફરસે મને કઈ કઈ રીતે મદદ કરી હતી.
2 “હે યિઝએલ! તારા ભાઇ બહેનનું પુન:નામકરણ કર. ભાઇનું નામ આમ્મી અને બહેનનું નામ રૂહામાહ રાખ, કારણકે હવે દેવ તેના પર દયા રાખશે.
2 “તમારી માને આજીજી કરો, તેને સમજાવો: કારણકે તે મારી પત્ની નથી, ને હું તેનો ધણી નથી; તેને સમજાવો કે, તે તેનો વારાંગના તરીકેનો વ્યભિચાર બંધ કરે. 3 જો તે તેમ કરતાં નહિ અટકે તો હું તેને તેના જન્મ સમયે હતી તેવી નગ્ન કરી દઇશ અને તેને વેરાન સ્થળે મોકલી આપીશ. હું તેને મરુભૂમિ સમી સૂકીભઠ બનાવી દઇશ અને તેને પાણી વિના તરસે મરવા દઇશ. 4 જ્યાં સુધી તેના સંતાનોનો સબંધ છે, મને તેમનાં પર સહાનુભૂતિ નથી; કારણકે તેઓ મારા સંતાનો નથી. તેઓ એક વારાંગનાના સંતાનો છે. 5 તેણીને તેનો ગર્ભધારણ પોતાના શરમજનક કાર્યોથી થયો છે અને તેણીએ કહ્યું, ‘હું મારા પ્રેમીઓની પાસે જઇશ, કારણ, તેઓ મને મજાનું ખાવાનું, પીવાનું, કપડાં, તેલ અને અત્તર આપે છે.’
6 “એથી જો, હું એના માર્ગમાં કાંટાની વાડ ઊભી કરીશ અને તેની આડે ભીત ચણીશ, જેથી તેણી જે કઇ કરવા માંગે છે, તે નહિ કરી શકે. 7 તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પકડી શકશે નહિ; તે તેઓને શોધશે છતાં તેઓ તેને મળશે નહિ; ત્યારે તે કહેશે કે, હું મારા પતિને ઘેર પાછી ફરીશ, કારણકે અત્યારે મારી જે સ્થિતિ છે તેના કરતાં તેની સાથે મારી સ્થિતિ વધારે સારી હતી.
8 “એ સમજતી નહોતી કે, એને અનાજ, દ્રાક્ષારસ અને તેલ આપનાર હું હતો, અને એણે બઆલ દેવ પાછળ ખચીર્ નાખ્યું તે મબલખ સોનું-ચાંદી આપનાર પણ હું હતો. તેથી હવે હું અનાજ કે, દ્રાક્ષ પાકવા દઇશ નહિ, અને એનું ઉઘાડું શરીર ઢાંકવા મેં જે પહેરવા-ઓઢવાનું આપ્યું હતું, તે પણ પાછું લઇ લઇશ. 9-10 તેથી તેના પ્રેમીઓ આગળ તેની શરમ ઉઘાડી પાડીશ. મારા હાથમાંથી તેને કોઇ બચાવી શકશે નહિ. 11 હું તેનાઁ તમામ આનંદોત્સવ, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના સાબ્બાથો તથા તેનાં મુકરર પવોર્, તે સર્વનો હું અંત આણીશ. 12 જે દ્રાક્ષની વાડીઓ અને અંજીરના વૃક્ષો વિષે તે એમ કહે છે કે, ‘એ તો મારા પ્રેમીઓએ મને આપેલી ભેટ છે.’ હું તેને ઉજ્જડ બનાવી દઇશ, અને હું તેઓને જંગલમાં ફેરવી નાખીશ અને જંગલી પ્રાણીઓ તેને ખાઇ જશે.
13 “મને ભૂલીને તે બઆલની મૂર્તિ આગળ ધૂપ બાળતી હતી. અને આભૂષણોનો શણગાર કરીને પ્રેમીઓની પાછળ ફરતી હતી. તે માટે હું તેને સજા કરીશ.” આ યહોવાના વચન છે.
14 “તેથી હવે, હું તેણીને વેરાન પ્રદેશ તરફ મોહિત કરીશ અને તેની સાથે માયાળુપણે વાત કરીશ. 15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.” 16 યહોવા કહે છે.
“તે દિવસે તે મને ‘મારા માલિક’ કહેવાને બદલે ‘મારા પતિ’ એમ કહીને સંબોધન કરશે ને પછીથી બઆલ કહીને નહિ બોલાવે. 17 હે ઇસ્રાએલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઇશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.
18 “તે દિવસે હું તમારી અને હિંસક પ્રાણીઓ, પક્ષીઓ તથા સર્પોની વચ્ચે કરાર કરીશ કે, તમારે હવે એકબીજાથી ગભરાવું નહિ, હું સર્વ શસ્રોનો નાશ કરીશ, સર્વ લડાઇઓનો અંત આવશે, ત્યારે તમે શાંતિ અને સુરક્ષા અનુભવશો અને નિર્ભય રીતે સૂઇ શકશો. 19 વળી હું યહોવા તને મારી સાથે પવિત્રતા, ન્યાયીપણું, પ્રેમ તથા દયાની સાંકળથી સદાકાળને માટે બાંધીશ, હા, લગ્નબંધનથી બાંધીશ. 20 વિશ્વાસુપણા તથા પ્રેમથી હું તારી સાથે સગાઇ કરીશ. અને તું તારા યહોવાને ઓળખશે. 21 યહોવા કહે છે કે, તે દિવસે હું જવાબ આપીશ,
“હું આકાશોને જવાબ આપીશ,
ને તેઓ પૃથ્વીને જવાબ આપશે;
22 પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને અને જૈતતેલને જવાબ આપશે;
અને તેઓ યિઝએલને જબાબ આપશે.
23 હું તેણીને જમીનમાં મારા માટે રોપીશ.
મેં જેઓને ‘મારા અપ્રિય’ કહ્યાં હતાં તેમને મારો પ્રેમ બતાવીશ,
હું તે લોકો જે ‘મારા લોક નથી’ તરીકે ઓળખાય છે
તેમને ‘તમે મારા લોકો’ છો તેમ કહીશ, અને તેઓ કહેશે, ‘તમે અમારા દેવ છો.’”
મેમ
97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
નુન
105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
“હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
સામેખ
113 બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું.
પણ હું તમારા નિયમોને ચાહું છું.
114 તમે જ મારી ઓથ તથા ઢાલ છો;
મને તમારા વચનની આશા રાખું છે.
115 દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો,
જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.
116 તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું.
મારી આશાઓને નિરાશ ન કરો.
117 મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ.
અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
118 હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો,
કારણકે તમે તેમનાં છેતરામણા માર્ગોને પ્રગટ કરો છો.
119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો;
માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120 હું તમારા ભયથી કાંપુ છું,
અને તમારા ન્યાયવચનનો આદર કરું છું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International