M’Cheyne Bible Reading Plan
યેહૂનો રાજયાભિષેક
9 આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા. 2 તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે. 3 પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”
4 તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો. 5 તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા.
તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.”
યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”
6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું. 7 તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે. 8 હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ. 9 નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ. 10 યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.’”
પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.
યેહૂને રાજા ઘોષિત કરતા નોકરો
11 યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?”
યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”
12 અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, “તેના કેહવાનો સાર આ હતો: ‘તેણે કહ્યું, આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’”
13 વાત સાંભળીને તે લોકોએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”
યિઝએલ જતો યેહૂ
14 આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ-ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.
15 પણ ઘાયલ થયા પછી યોરામ સાજો થવા માટે યિઝએલ પાછો ફર્યો હતો, જે માણસો ત્યાં યેહૂની સાથે હતા તેઓને યેહૂએ કહ્યું, “જો તમે મને રાજા બનાવવા ઇચ્છતા હો તો આપણે અહીં જે વાત કરી છે તેની તમારામાંથી કોઇપણ યિઝએલમાં જઇને આ વાત કહેશે નહિ.”
16 પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.
17 યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમાં એક ટૂકડી આવતી દેખાય છે.”
ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”
18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?’”
યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?”
આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”
19 રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?”
યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો”
20 ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.”
21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”
અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.
22 યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?”
યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”
23 આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!”
24 પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.
25 યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “એને ઉપાડીને નાબોથના ખેતરમાં નાખી દે. યાદ છે, તું અને હું એના બાપ આહાબની પાછળ પાછળ ઘોડે બેસીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરૂદ્ધ એવી દેવવાણી ઉચ્ચારી હતી ને યાદ કર. યહોવા કહે છે; 26 ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમાં ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”
27 યહૂદાના રાજા અહાઝયાએ જ્યારે આ બધું જોયું કે તરત જ તે બેથ-હાગ્ગાનને રસ્તે ભાગી ગયો. પણ યેહૂએ તેનો પીછો પકડયો. અને કહ્યું, “એને પણ મારી નાખો.”
યિબ્લઆમ પાસે આવેલા ગૂરના ચઢાવ આગળ તેઓએ તેને તેના રથમાં મારી નાખ્યો; તેણે મગિદૃોમાં આશરો લીધો. અને તે ત્યાં મૃત્યુ પામ્યો. 28 ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમાં દફનાવ્યો.
29 આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.
ઈઝેબેલનું ભયંકર મૃત્યુ
30 યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી. 31 જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”
32 યેહૂએ બારી તરફ ઊંચું જોયું અને કહ્યું, “મારા પક્ષે કોણ છે? કોઈ છે?”
બેત્રણ અમલદારોએ ઉપરથી તેના તરફ જોયું. 33 એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.”
તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી. 34 પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.”
35 જ્યારે તેઓ દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ તથા હાથની હથેળી સિવાય બીજું કઇ ન મળ્યું. 36 તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે; 37 ‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.’”
માટે કેટલાએક નિયમો
6 સર્વ દાસોએ પોતાના શેઠ પ્રત્યે સંપૂર્ણ માન દર્શાવવું જોઈએ. જો તેઓ આમ કરશે તો, દેવનું નામ અને આપણો ઉપદેશ ટીકાને પાત્ર થશે નહિ. 2 કેટલાએક દાસોના શેઠો વિશ્વાસીઓ હોય છે. તેથી જે દાસો તથા એ શેઠો ભાઈઓ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એ દાસો પોતાના શેઠોને ઓછું માન આપે તો ચાલે. ના! તેઓએ તો વધારે કામ કરવું જોઈએ કારણ કે તેઓ કે જેને તેની સેવાઓ દ્વારા લાભ થયો છે તેઓ વિશ્વાસીઓ છે. જેને તેઓ પ્રેમ કરે છે.
તેઓને આ વાતો શીખવ અને સલાહ આપ.
ખોટો ઉપદેશ અને સાચું ધન
3 કેટલાએક લોકો એવી બાબતોનો ઉપદેશ આપશે કે જે ખોટો જ હોય. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો સાથે એ લોકો સંમત નહિ થાય. અને દેવની સેવાનો સાચો માર્ગ દર્શાવતા ઉપદેશનો તેઓ સ્વીકાર નહિ કરે. 4 ખોટી રીતે ઉપદેશ આપતી વ્યક્તિ અભિમાનથી છલકાય છે અને કશું જાણતી હોતી નથી. તે વ્યક્તિમાં દલીલબાજીની બિમારી હોય છે. અને એ શબ્દો વિષે દલીલબાજી કરે છે. એના પરિણામે ઈર્ષા, મુશ્કેલીઓ, અપમાનો અને ખોટા વહેમ ઉત્પન્ન થાય છે. 5 પણ ભ્રષ્ટ મતિના લોકોથી પરિણામે સતત દલીલબાજી થાય છે. એ લોકોએ સત્ય ખોઈ નાખ્યું છે. તેઓ એવું માનતા હોય છે કે દેવની સેવા તો કમાઈનું સાધન છે.
6 એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો. 7 આ દુનિયામાં આપણે જ્યારે આવ્યા ત્યારે, આપણે કશુંય લીધા વગર ખાલી હાથે આવ્યા હતા. અને આપણે જ્યારે મરી જઈશું ત્યારે, આપણે કશુંય લઈ જઈ શકવાના નથી. 8 તેથી આપણને જો પૂરતો ખોરાક અને કપડાં મળી રહે, તો તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. 9 ધનવાન થવાની ઈચ્છા રાખતા લોકો પોતે જ પ્રલોભનોની જાળમાં પકડાય છે. તેઓને ઘણી બધી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા થાય છે, કે જે ચીજે તેઓને નુકસાન કે આઘાત આપનારી નીવડે છે. એ વસ્તુઓ લોકોને પાયમાલ કરીને તેઓનો સર્વનાશ આણે છે. 10 પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે.
તારે યાદ રાખવા જેવી કેટલીક બાબતો
11 પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ. 12 વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે. એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે. અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે. એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે. 13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.
17 દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે. 18 તું પૈસાદાર લોકોને સારાં કાર્યો કરવાનું કહે. સારાં કાર્યો કરીને સમૃદ્ધ થાય. તેઓ ભલું કરે. ઉત્તમ કાર્યો રુંપી સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ઉદાર તથા પરોપકારી થાય. 19 એવું કરીને તેઓ પોતાના માટે આકાશમાં એક ખજાનો સંગ્રહ કરશે. તે ખજાનો મજબૂત સ્તંભ બનશે – તે ખજાના ઉપર તેઓ તે ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકે.
20 તિમોથી, દેવે તારામાં વિશ્વાસ મૂકીને તને ઘણી વસ્તુઓ સોંપી છે. તે વસ્તુઓને તું સુરક્ષિત રાખજે. દેવ તરફથી આવતી ન હોય એવી મૂર્ખાઈ ભરી વાતો કરતાં લોકોથી તું દૂર રહેજે. સત્યની વિરૂદ્ધમાં દલીલો કરતાં લોકોથી તું દૂર રહેજે. તેઓ જેને “જ્ઞાન” તરીકે ઓળખાવે છે, તેનો તે લોકો ઉપયોગ કરે છે. પરંતુ ખરેખર તો તે જ્ઞાન નથી. 21 કેટલાએક લોકો એવું કહેતા હોય છે કે તેઓની પાસે એ “જ્ઞાન” છે. એ લોકોએ સત્ય વિશ્વાસ તજ્યો છે.
તમ સર્વ પર દેવની કૃપા થાઓ.
હોશિયા દ્વારા યહોવા દેવનો સંદેશ
1 યહૂદાના રાજાઓ ઉઝિઝયા, યોથામ, આહાઝ તથા હિઝિક્યા અને ઇસ્રાએલના રાજા યોઆશના પુત્ર યરોબઆમના અમલ દરમ્યાન બસેરીના પુત્ર હોશિયાને સંભળાયેલી યહોવાની વાણી.
2 યહોવાનો હોશિયાને આ પહેલો સંદેશો હતો. તેણે કહ્યું “જા અને તે વારાંગનાને પરણ; જેને તેની વારાંગનાવૃતિથી સંતાન થયા તેને પોતાનાં કરી લે; કેમ કે, દેશ યહોવાનો ત્યાગ કરીને વારાંગના જેવું વર્તન કર્યું છે, તેઓ યહોવામાં અશ્રદ્ધાળુ થયા છે.”
યિઝએલનો જન્મ
3 તેથી હોશિયાએ ત્યાં જઇને દિબ્લાઇમની પુત્રી ગોમેર સાથે વિવાહ કર્યા અને ગોમેરને તેનાથી ગર્ભ રહ્યો અને એક પુત્ર અવતર્યો. 4 યહોવાએ તેને કહ્યું, “તેનું નામ ‘યિઝએલ’ પાડ, કારણકે થોડા જ સમયમાં હું યેહૂના કુટુંબના માણસો પર બદલો લઇશ અને તેના વંશજોને યિઝએલ ખીણમાં તેણે જે રકતપાત કર્યો હતો તેના માટે સજા કરીશ. 5 હું ઇસ્રાએલ રાજ્યનો અંત લાવીશ.”
લો-રૂહામાહાનો જન્મ
6 ગોમેરને ફરીથી ગર્ભ રહ્યો, ને આ વખતે પુત્રી અવતરી, યહોવાએ તેને કહ્યું, “તું તેણીનું નામ લો-રૂહામાહ પાડ; કારણકે હવે પછી હું કદી ઇસ્રાએલના લોકો પર તેમના પાપોને ક્ષમા કરીને દયા દેખાડવાનો નથી. 7 પરંતુ હું યહૂદાના લોકો પર કૃપા કરીશ અને તેમનું રક્ષણ કરીશ. ધનુષ, તરવાર, યુદ્ધ, કે, ઘોડેસવારોથી તેમનો ઉધ્ધાર કરીશ નહિ પરંતુ તેમના દેવ યહોવા તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”
લો-આમ્મીનો જન્મ
8 લો-રૂહામાહને ધાવણ છોડાવ્યા પછી ગોમેરને ફરી ગર્ભ રહ્યો અને તેને એક પુત્ર અવતર્યો. 9 ત્યારે યહોવાએ કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કારણ કે તમે ઇસ્રાએલના લોકો મારા લોકો નથી, ને હું તમારો દેવ નથી.”
યહોવા દેવના વચન: ઇસ્રાએલીઓ અસંખ્ય થશે
10 “છતાંય ઇસ્રાએલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય કે, ન તો ગણી શકાય. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે દેવની પ્રજા નથી,’ તેને બદલે ‘તમે જીવતા જાગતા દેવના દીકરાઓ છો.’ એમ તેમને કહેવામાં આવશે.
11 “ત્યારબાદ યહૂદાના લોકો અને ઇસ્રાએલના લોકો ફરી ભેગા થશે અને તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને જમીન મેળવી લેવા આગળ વધશે. કારણકે યિઝએલનો દિવસ એક મહાન દિવસ હશે.”
યોદ
73 તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે;
તમારી આજ્ઞાઓ શીખવો;
અને તેનું પાલન કરવાની સમજ આપો.
74 તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે;
કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
75 હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે.
અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
76 તમારા વચન પ્રમાણે તમારા સેવકને
તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો,
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78 ભલે અભિમાનીઓ લજ્જા પામો, તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે
અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે.
છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
79 ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે
અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે;
તેઓ મારી પાસે આવો.
80 તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિર્દોષ શુદ્ધ રહો;
તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો;
જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.
કાફ
81 મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે.
પણ હું તમારા વચનની આશા રાખું છું.
82 તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે.
જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે.
તમે મને ક્યારે આશ્વાસન આપશો?
83 હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું,
પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
84 કેટલા દિવસ છે તારા સેવકના?
તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
85 જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા;
તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે.
તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87 તેઓએ લગભગ મને મારી નાખ્યો,
છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો;
એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
લામેદ
89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે;
તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ,
તે સર્વ તમારા સેવકો છે.
92 જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં;
તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત.
93 હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને,
કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
94 હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ,
મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે;
છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે,
પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International