M’Cheyne Bible Reading Plan
સિનાઇ પર્વત પર એલિયા
19 એલિયાએ જે કંઈ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી માંરી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું, 2 પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ. જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.”
3 તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો. 4 અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી.”
5 પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દેવદૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે,” 6 તેણે જોયું, તો તેના માંથા આગળ હૂંફાળો રોટલો અને પાણીનો કૂજો હાજર હતો, તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
7 યહોવાના દૂતે ફરી આવીને તેને બીજી વાર સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ, ને ખાઈ લે, તારે લાંબો પંથ કાપવાનો છે.” 8 તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો. 9 એક ગુફામાં દાખલ થઈને તેણે ત્યાં રાત વિતાવી, અચાનક તેને યહોવાની વાણી સંભળાઈ;
તેમણે કહ્યું “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”
10 એલિયાએ કહ્યું, “હું સર્વસમર્થ દેવ યહોવાને સંપૂર્ણ રીતે સમર્પિત છું, ઇસ્રાએલના લોકોએ તમાંરા કરારનો ભંગ કર્યો છે, તમાંરી વેદીનો નાશ કર્યો છે અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે. હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા ઈચ્છે છે.”
11 યહોવાએ તેને જણાવ્યું, “બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે.” કારણ યહોવા ત્યાંથી પસાર થઇ રહ્યાં છે, પ્રચંડ પવન ફુંકાવા લાગ્યો, જે યહોવાની હાજરીમાં પર્વતને હલાવી શકે અને પથ્થરોને તોડી શકે એટલો શકિતશાળી હતો. પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા કંઈ એ ભૂકંપમાં નહોતા. 12 ભૂકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં સંપૂર્ણ શાંતિ હતી.
13 આ સાંભળતાં જ એલિયાએ પોતાના ઝભ્ભાથી મોં ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. ત્યાં એક અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”
14 તેણે ફરીથી જવાબ આપ્યો, “હું સંપૂર્ણરીતે સર્વસમર્થ દેવ યહોવાને અર્પણ થઇ ગયો છુ, ઇસ્રાએલના લોકોએ તમાંરો કરાર ફગાવી દીધો છે, તમાંરી વેદી તોડી પાડી છે, અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે, હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા માંગે છે.”
15 યહોવાએ તેને કહ્યું, “તું પાછો ફર, અને દમસ્કના રણ વિસ્તારમાં જા, ત્યાં જઈને અરામના રાજા તરીકે હઝાએલનો અભિષેક કર. 16 નિમ્શીના પુત્ર યેહૂનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર, અને અબેલ-મહોલાહના શાફાટના પુત્ર એલિશાને તારા પછીના પ્રબોધક તરીકે નિયુકત કર, 17 હઝાએલની તરવારથી જે કોઇ પણ છટકી ને ભાગી જશે યેહૂ તેને માંરી નાખશે, અને યેહૂની તરવારથી જે કોઇ પણ છટકીને ભાગી જશે તેને એલિશા માંરી નાખશે. 18 પરંતુ હજી પણ 7,000 એવા ઇસ્રાએલીઓ છે, જેઓ કદી બઆલને નમ્યા નથી કે નથી તેને તેની મૂર્તિને ચુમ્યાં.”
પ્રબોધક બનતો એલિશા
19 એલિયા ત્યાંથી વિદાય થયો, અને તેણે શાફાટના પુત્ર એલિશાને ખેડ કરતો જોયો, તેની આગળ બાર જોડ બળદ હતા, અને તે પોતે છેલ્લી જોડ સાથે હતો; એલિયાએ ત્યાંથી પસાર થતાં પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો. 20 એલિશા, બળદોને છોડીને એલિયાની પાછળ દોડયો અને કહેવા લાગ્યો, “માંરે માંરા પિતા અને માંતાને વિદાય વચન કહેવું છે, પછી હું તારી સાથે આવીશ.”
એલિયાએ કહ્યું, “જા, અને પાછો આવ. હું તને રોકીશ નહિ.”
21 એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.
થેસ્સાલોનિકામાં પાઉલનું કામ
2 ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે અમારી તમારી સાથેની મુલાકાત નિષ્ફળ નહોતી નીવડી. 2 અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો. 3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી. 4 ના. અમે સુવાર્તા આપીએ છીએ કારણ કે સુવાર્તા આપવા માટે દેવે અમારી પરીક્ષા કરી છે અને અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી જ્યારે અમે બોલીએ છીએ ત્યારે દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, નહિ કે માણસોને. દેવ એ એક છે જે અમારાં હૃદયોનો પારખનાર છે.
5 તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે. 6 અમે લોકો તરફથી, તમારા તરફથી, કે બીજા કોઈ તરફથી પ્રસંશાની અપેક્ષા નથી રાખતા.
7 અમે ખ્રિસ્તના પ્રેરિતો છીએ. અને તેથી અમે જ્યારે તમારી પાસે હતા ત્યારે, તમારી પાસે અમુક કામ કરાવવા માટે અમે અમારી સત્તાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ જે રીતે એક મા પોતાના બાળકનું જતન કરે છે, તે રીતે અમે તમારા પ્રત્યે વિનમ્ર વર્તાવ કરેલો. 8 અમે તમને બહુ પ્રેમ કર્યો. તેથી અમે દેવની સુવાર્તામાં તમારી સાથે સહભાગી થતા હતા તે એક આનંદ હતો એટલું જ નહિ; અમે અમારા જીવનની સાથે તમારા જીવનમાં સહભાગી તથા પ્રસન્ન થયા હતા. 9 ભાઈઓ અને બહેનો, તમને યાદ છે કે રાત અને દિવસ અમે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હતો. જ્યારે અમે દેવની સુવાર્તા તમને આપતા હતા ત્યારે તમારી પાસેથી વળતર લઈને તમને અમે બોજારૂપ બનવા નહોતા ઈચ્છતા.
10 જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે. 11 તમે જાણે છો કે જેમ બાપ પોતાનાં બાળકો સાથે જેવું વર્તન કરે, તેવું વર્તન અમે તમારી સાથે કર્યુ હતું. 12 અમે તમને પ્રોત્સાહિત કર્યા, અમે તમને રાહત પહોંચાડી, અને અમે તમને દેવ માટે સારું જીવન જીવવા માટે કહ્યું. દેવ તેના રાજ્ય અને મહિમા માટે તમને તેડે છે.
13 જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે. 14 ભાઈઓ અને બહેનો, તમે યહૂદિયામાં ખ્રિસ્ત ઈસુમાં બનેલી દેવની મંડળીઓ જેવા છો. યહૂદિયામાં દેવના લોકોએ ત્યાંના બીજા યહૂદીઓ દ્વારા ઘણી અનિષ્ટ બાબતો સહન કરી હતી. અને તમે પણ તે જ અનિષ્ટ બાબતો તમારા પોતાના દેશવાસીઓ દ્વારા સહન કરી રહયાં છો. 15 તે યહૂદિઓએ પ્રભુ ઈસુને મારી નાખ્યો. અને તેઓએ પ્રબોધકોને પણ મારી નાખ્યા. અને તે યહૂદિઓએ આપણને તે પ્રદેશ યહૂદિયાં છોડી જવા દબાણ કર્યુ, દેવ તેઓનાથી પ્રસન્ન નથી. તેઓ તો બધાજ લોકોની વિરૂદ્ધ છે. 16 હા, તેઓ આપણને બિનયહૂદિઓને શિક્ષણ આપતા રોકવા માગે છે. અમે બિનયહૂદિઓને શિક્ષણ આપીએ છીએ, જેથી તેઓનું તારણ થઈ શકે. પરંતુ પેલા યહૂદિઓ તો તેઓનાં કરેલાં જ પાપમાં એક પછી એક પાપ ઉમેરતાં જાય છે. દેવનો કોપ હવે તેઓના પર છવાઈ ચૂક્યો છે.
તેઓની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઈચ્છા
17 ભાઈઓ અને બહેનો, અલ્પ સમય માટે અમે તમારાથી વિખૂટા પડયા. (અમે ત્યાં તમારી સાથે ન હતા, પરંતુ વિચારોથી તો અમે તમારી સાથેજ હતા.) તમને મળવાની અમારી ઉત્કટ ઈચ્છા હતી, અને તમને મળવા ખૂબ પ્રયત્નો પણ કર્યા. 18 હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. ખરેખર મેં, પાઉલે ત્યાં આવવા ઘણા પ્રયાસો કર્યા, પણ શેતાને અમને અટકાવ્યા. 19 તમે જ અમારી આશા, અમારો આનંદ, અને મુગટ છો જેના માટે ઈસુ ખ્રિસ્તના આવવાના સમયે તેની સમક્ષ અમને અભિમાન થશે. 20 ખરેખર તમેજ અમારો મહિમા અને આનંદ છો.
રાજાનો સલાહકાર દાનિયેલ
1 યહૂદા રાજાના યહોયાકીમના રાજ્યમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ત્રીજા વર્ષમાં યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી તેની ફરતે ઘેરો ઘાલ્યો. 2 અને યહોવાએ યહૂદાના રાજા યહોયાકીમને તથા મંદિરના થોડા વાસણો નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધાં. નબૂખાદનેસ્સાર બંધકોને શિનઆર પ્રાંતમાં લઇ ગયો; અને તે વાસણો પોતાના દેવના મંદિરનાં ભંડારમાં મૂકી દીધા.
3 પછી મુખ્ય ખોજા આસ્પનાઝને તેણે આજ્ઞા કરી કે, બંદી તરીકે પકડી લાવેલા ઇસ્રાએલી યુવાનોમાંથી રાજવંશી અને અમીર કુટુંબોના કેટલાક યુવાનોને પસંદ કર. 4 જે યુવાનોમાં કોઇ પણ પ્રકારની ખોડખાંપણ ન હોય, પણ ઘણા રૂપાળા, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનનાં જાણકાર હોય, વળી રાજમહેલમાં રહેવાને લાયક હોય, એવા ઇસ્રાએલી યુવાનોને પસંદ કરીને તું તેઓને ખાલદીઓની ભાષા તથા લખાણ વિષે શીખવ.
5 રાજા, પોતે જે ભોજન લેતો હતો અને જે દ્રાક્ષારસ પીતો હતો તે જ તેમને પણ દરરોજ આપવામાં આવે એમ ઠરાવ્યું. તેમને ત્રણ વરસ સુધી શિક્ષણ આપવાનું હતું અને ત્રણ વર્ષને અંતે તેમને રાજા સમક્ષ રજૂ કરવાના હતાં. 6 એ પસંદ કરાયેલા યુવાનોમાં યહૂદાના કુળસમૂહનાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા હતા. 7 પરંતુ રાજાના મુખ્ય ખોજાએ તેમનાં નામ અનુક્રમે દાનિયેલને બેલ્ટશાસ્સાર, હનાન્યાને શાદ્રાખ, મીશાએલને મેશાખ અને અઝાર્યાને અબેદ-નગો પાડ્યાં.
8 દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, રાજાનું ભોજન કે, તેનો દ્રાક્ષારસ લઇને મારે મારી જાતને ષ્ટ કરવી નહિ. આથી તેણે આસ્પનાઝને વિનંતી કરી: મને ષ્ટ થવાની ફરજ ન પાડશો.
9 હવે જ્યારે દેવે કૃપા કરી છે અને આસ્પનાઝના હૃદયમાં દાનિયેલ પ્રત્યે માન હતું તેથી તેણે દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. અને તેને કહ્યું, 10 “મને રાજાની બીક લાગે છે. તેમણે તમારે શું ખાવું ને પીવું તે ન ક્કી કરી આપ્યું છે અને જો તેઓ જોશે કે, તમારી ઉંમરના બીજા છોકરાઓ કરતાં તમે શરીરે નબળા છો, તો તમે રાજા સમક્ષ મારું માથું ભયમાં મૂકી દેશો.”
11 ત્યારે દાનિયેલે, હનાન્યા, મીશાએલ અને અઝાર્યાની દેખરેખ માટે આસ્પનાઝે નીમેલા કારભારીને કહ્યું, 12 “તમે દશ દિવસ માટે આ પ્રમાણે અખતરો કરી જુઓ; અમને ફકત શાકાહારી ખોરાક અને પીવા માટે માત્ર પાણી આપો. 13 પછી જે યુવાનોને રાજાએ ઠરાવી આપેલો ખોરાક આપો તેમની સાથે અમારી સરખામણી કરો અને જે પ્રમાણે તમે જુઓ તે મુજબ અમારી સાથે વતોર્.”
14 આખરે ચોકીદારે તેમની અરજ સાંભળી અને દશ દિવસ તેમની કસોટી કરી. 15 દશ દિવસને અંતે જે યુવાનો રાજાએ ઠરાવી આપેલો ખોરાક લેતા હતા તે બધાં કરતાં તેઓ વધારે તંદુરસ્ત અને હૃષ્ટપૃષ્ટ થવા માંડ્યાં. 16 તેથી ચોકીદારે તેઓને સ્વાદિષ્ટ ખોરાક અને દ્રાક્ષારસને બદલે ફકત શાકભાજી અને પાણી આપવાનું ચાલુ રાખ્યું.
17 આ ચારે છોકરાઓને દેવે સાહિત્યનું અને બધી કળાઓનું જ્ઞાન આપ્યું અને તેણે દાનિયલનેએ સંદર્શનો અને સ્વપ્નોને સમજવાની શકિત આપી.
18 રાજાએ જણાવેલા હુકમ પ્રમાણે ત્રણ વરસનું શિક્ષણ પુરું થયું એટલે આસ્પાનાઝ બધા યુવાનોને પરીક્ષા માટે રાજાની પાસે લઇ ગયો. 19 રાજા નબૂખાદનેસ્સારે તેઓની સાથે વાતચીત કરી; તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાના જેવા બીજા કોઇ ન મળ્યા. તેથી રાજા વધારે પ્રભાવિત થયો અને તેઓને રાજાના સલાહકાર મંડળમાં સામેલ કર્યા. 20 જ્ઞાન અને કળાની બાબતમાં રાજાએ તેમને જે કઇં પૂછયું તે બધામાં તેઓનાં રાજ્યના બધા મંત્રવિદો અને જાદુગરો કરતાં દસગણા વધુ ચડિયાતા માલૂમ પડ્યા. 21 રાજા કોરેશના અમલના પહેલાં વર્ષ સુધી દાનિયેલ રાજદરબારમાં કાયમ રહ્યો.
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
7 તેઓ આપણા દેવ યહોવા છે;
તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
8 તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે;
અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
9 એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો;
અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું,
અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ;
અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
12 જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં
તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં.
13 તેઓ એક દેશથી બીજે દેશ
અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં.
14 તેમણે તેઓ પર કોઇને દુર્વ્યવહાર કરવા દીધો નહિ;
દેવે રાજાઓને તેમને ઇજા નહિ કરવાની ચેતવણી આપી.
15 દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી;
મારા અભિષિકતોને રંજાડશો નહિ;
અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”
16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો;
અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો,
અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી,
અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો
ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ
તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ
આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
23 પછી યાકૂબ મિસરમાં આવ્યો;
અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24 દેવે તેમની વૃદ્ધિ કરી,
અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા;
અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો
અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
27 દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા;
ભયાવહ ચમત્કાર કરવા.
28 દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો,
છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.
29 અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું;
અને સર્વ માછલાં મારી નાંખ્યા.
30 પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં;
તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.
31 યહોવાએ આદેશ આપ્યો,
અને જૂઓ મિસરમાં
એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.
32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યા;
અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ.
33 તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો.
અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
34 તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા
તથા તીડો આવ્યા.
35 તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં;
અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
36 તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા,
દેવે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International