Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 17-19

17 “હું ત્રાહિત છું. મારો આત્મા રૂંધાય છે.
    હું જીવનને આરે આવી ઊભો છું,
હવે કબર સિવાય મારે માટે કોઇ
    મારી રાહ જોતું નથી.
મારી આજુબાજુ હવે માત્ર મારી હાંસી કરનારાઓ જ રહ્યાં છે;
    અને જ્યારે તેઓ કઠોર વચનો બોલે છે, હું તેઓને નજરમાં રાખું છું.

“દેવ, મને બતાવો કે તમે ખરેખર મને આધાર આપો છો.
    બીજુ કોઇ મને આધાર નહિ આપે.
હે દેવ, તમે જ તેઓને આ સમજવા દીધું નથી,
    તેથી તમે તેઓને જીતવા દેશો નહિ.
તમે જાણો છો, લોકો શું કહે છે,
    ‘જ્યારે એક માણસ પોતાની સંપતિનો હિસ્સો મેળવવા માટે
    પોતાના મિત્રોને વાત કરે છે, તેના બાળકો અંધ બની જશે.’
દેવે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે;
    તેથી લોકો મારા મોઢા પર થૂંકે છે.
દુ:ખથી આંસુ સારવાથી હવે મારી આંખે અંધારા આવે છે,
    અને મારાં અંગો પડછાયા જેવા બની ગયા છે.
ન્યાયી લોકો આને લીધે ઉદ્વિગ્ન છે.
    નિર્દોષ લોકો જેઓ દેવની કાળજી કરતાં નથી તેને લીધે વ્યથિત છે.
છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે
    અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે.

10 “પરંતુ તમે બધા રહેવા જ દો, પાછા આવો,
    મને તમારી વચ્ચે એકપણ શાણો માણસ નહિ મળે.
11 મારું જીવન પસાર થતું જાય છે.
    મારી યોજનાઓ નષ્ટ થઇ ગઇ છે.
    મારી આશાઓ અદ્રશ્ય થઇ ગઇ છે.
12 પણ મારા મિત્રો રાત ને દિવસ માને છે,
    અંધકાર હોવા છતાં તેઓ કહે છે, ‘પ્રકાશ નજીકમાં છે.’

13 “હું કદાચ આશા રાખુંકે કબર મારું નવું ઘર બને.
    હું કબરના અંધકારમાં પથારી પાથરવાની પણ કદાચ આશા રાખું.
14 મેં કબરને એમ કહ્યું છે, ‘તમે મારા પિતા છો.’
    મેં કીડાઓને કહ્યું છે, ‘તમે મારી માતા અને બહેનો છો.’
15 તો પછી હવે, મારે માટે કોઇ આશા રહી ખરી?
    કોણ જોશે, મારા માટે કોઇ આશા છે કે નહિ?
16 મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે?
    આપણે માટીમાં સાથે મળી જઇશું?”

બિલ્દાદ શૂહીનો જવાબ

18 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે,

“અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ?
    સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ.
તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો?
    અને શા માટે અમને મૂર્ખ માનો છો?
અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે.
    શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું?
    શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?

“હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યું જશે.
    તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.
તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે.
    તેની પાસેનો દીવો હોલવાઇ જશે.
તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે.
    તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે.
તે ફાસલામાં ચાલે છે;
    તેના પગ એમાં ફસાઇ જાય છે.
ફાસલો તેના પગની પાની પકડી લે છે,
    એના પાશમાં તે જકડાઇ જાય છે.
10 જમીન પર જાળ સંતાઇને પડી હશે,
    તેનાં માર્ગમાં એ પાથરેલી હશે.
11 એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે.
    દરેક પગલું તેની પાછળ તે ભરે છે.
12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે.
    વિનાશ તેને નીચો પાડવાં રાહ જોઇને ઊભા હોય છે.
13 ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે.
    એના હાથ, પગ કોહવાઇ જશે.
14 એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે
    અને એને ભયના રાજાની હાજરીમાં લાવવામાં આવશે.
15 જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે;
    એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે.
16 તેની નીચેથી મૂળીયાં સડી જાય છે,
    તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે.
17 આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ.
    એને કોઇ પણ યાદ કરશે નહિ.
18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે
    અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
19 તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ.
    તેના કુટુંબમાંથી કોઇ જીવતું નહિ રહે.
20 પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું.
    અને પૂર્વના લોકો ભયને કારણે તેમના વાળ ખેચી નાખશે.
21 દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે,
    જેને દેવનું જ્ઞાન નથી તેની આવી જ દશા થશે.”

અયૂબનો પ્રત્યુતર

19 ત્યારબાદ અયૂબે જવાબ આપ્યો:

“તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો?
    અને મહેણાં મારીને મને કચડ્યા કરશો?
તમે પહેલેથીજ મને દસ વખત મહેણાં માર્યાં છે.
    જયારે તમે મારા પર હુમલો કરો છો, તમને શરમ આવતી નથી!
જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી સમસ્યા છે.
    તે તમને દુ:ખ નહિ પહોંચાડે.
તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે.
    તમે કહો છો કે મારી સમસ્યા એ મારો દોષ છે.
આટલું સમજી લો દેવે મને વિના વાંકે દંડ્યો છે
    અને મને ફાંસલામાં પકડી લીધો છે તે સાચું છે.
જો હું એમ બૂમો પાડું, ‘મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.’
    તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી.
દેવે મારો માર્ગ બંધ કરી દીધો છે.
    તેણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
એમણે મને બેઆબરુ કર્યો છે અને અપમાનિત પણ કર્યો છે.
    મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
10 જ્યાં સુધી મારો વિનાશ ન થાય
    ત્યાં સુધી ચારે બાજુથી તે મારા પર પ્રહાર કરે છે.
    મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડાઇ ગઇ છે.
11 તદુપરાંત તેમણે પોતાનો બધો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે,
    તેઓ મને પોતાનો શત્રુ જેવો ગણે છે.
12 તેણે તેનું આખું સૈન્ય મારી સામે મૂકી દીધું છે,
    મારી આજુબાજુ હુમલો કરવા માટે ઊંચી મજબૂત ઇમારતો બાંધી છે.
    અને મારા ઘરની આસપાસ છાવણીઓ નાખી છે.

13 “તેમણે મને મારા ભાઇઓ અને સાથીઓથી વિખૂટો પાડ્યો છે.
    હું બધાય સ્વજનોમાં અજાણ્યા જેવો લાગું છું.
14 સગાંવહાંલાઓએ મને તજી દીધો છે.
    મારા મિત્રો પણ મને ભૂલી ગયા છે.
15 મારા ઘરમાં જે મુલાકાતીઓ રહે છે તે તથા મારા નોકરો પણ મને પારકા જેવો ગણે છે.
    તેઓને હું વિદેશી જેવો લાગુ છું.
16 મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી.
    જો હું મદદ માટે આજીજી કરું તો પણ તે જવાબ આપતો નથી.
17 મારી પત્ની મારા શ્વાસનેજ ધિક્કારે છે,
    અને મારા સગા ભાઇઓ પણ મારો તિરસ્કાર કરે છે.
18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે;
    અને જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મને ખરાબ શબ્દો કહે છે.
19 મારા ગાઢ મિત્રો મારો તિરસ્કાર કરે છે.
    મારા સૌ પ્રિયજનો મારી વિરૂદ્ધ થઇ ગયાં છે.

20 “હું ખૂબ પાતળો છું, મારાં હાડકાંમાંથી મારી ચામડી ઢીલાશથી લટકે છે.
    મારામાં થોડોકજ જીવ બાકી રહ્યો છે.

21 “હે મારા મિત્રો, મારા પર દયા કરો,
    કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે.
22 શા માટે દેવની જેમ તમે પણ મારી પાછળ પડ્યાં છો?
    મેં વેઠેલા દુ:ખોથી પણ તમને સંતોષ નથી થતો શું?

23 “હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે.
    હું ઇચ્છું છું મારા શબ્દો ટીપણી પર લખાય.
24 હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક
    પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે.
25 હું જાણું છું કે મારો ઉધ્ધાર કરનાર કોઇ છે.
    હું જાણુ છું તે જીવે છે. અને આખરે તે અહીં પૃથ્વી પર ઊભો રહેશે અને મારો બચાવ કરશે.
26 મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી
    પણ હું મારા દેવને મળીશ.
27 હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.
    બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ
    અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી.

28 “તમે કદાચ કહો, ‘અમે અયૂબને હેરાન કરીશું.
    અને તેનો વાંક કાઢવા કઇક કારણ શોધીશું.’
29 તરવારથી તમારે ડરવું જોઇએ; કારણકે દેવ ગુનેગાર ને સજા આપે છે.
    તમને સજા આપવા દેવ તરવારનો ઊપયોગ કરશે.
    ત્યારે તમને ખબર પડશે કે ન્યાય કરનાર એક છે.”

પ્રેરિતોનાં કૃત્યો 10:1-23

પિતર અને કર્નેલિયસ

10 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો. કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો. એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”

કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?”

તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે. સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.” જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો. કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.

બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો. 10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. 11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું. 12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. 13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”

14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”

15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!” 16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું. 17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?

કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં. 18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”

19 પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે. 20 ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.” 21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”

22 તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.” 23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.

બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International