Old/New Testament
બિનયહૂદીઓ સાથેના લગ્ન-વિરૂદ્ધ એઝરાનો બોધ
9 પરંતુ આ બધું પૂરું થયા પછી કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા ને કહ્યું, “ઇસ્રાએલના લોકો, યાજકો અને લેવીઓએ પોતાની જાતને દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદી પાડી નથી. તેઓએ કનાનીઓ, હિત્તીઓ, પરિઝિઝઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના ઘૃણાપાત્ર રીત રિવાજો અને માર્ગો અપનાવ્યા છે. 2 તેમણે આ લોકોની સ્ત્રીઓને પોતાની અને પોતાના પુત્રોની પત્ની તરીકે સ્વીકારી છે; આમ પવિત્ર લોકોની પ્રદેશના લોકો સાથે ભેળસેળ થઇ ગઇ છે. આ પાપ કરવાવાળામાં આગેવાનો અને અમલદારો જ પહેલા છે.” 3 મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢયાં અને હું અતિશય સ્તબ્ધ થઇ બેસી ગયો. 4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇસ્રાએલના દેવના વચનોથી જેઓ ધૂજતા હતા. તે સર્વ મારી પાસે ભેગા થયા; સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઇને બેસી રહ્યો.
5 સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઇને બેઠો હતો ત્યાંથી ઊઠયો અને મારાં ફાટેલા ઝભ્ભા અને ઉપરણાં સાથે જ ઘૂંટણિયે પડી, મારા દેવ યહોવા તરફ હાથ લંબાવી હું બોલ્યો,
6 “હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે. 7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે; અમે અમારા રાજા તથા અમારા યાજકોએ અમારા પાપોને કારણે અમારી જાતને અન્ય દેશોના રાજાઓને હવાલે કરી દીધી છે અને અમે તરવારને, બંદીવાસને, લૂંટફાટને અને બેઆબરૂને વશ થયા છીએ અને અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે અમે એ જ બેહાલ દશામાં છીએે.
8 “પરંતુ ટૂંકા સમય માટે તમે, અમારા દેવે અમારા પર કૃપા કરીને અમારામાંથી કેટલાંકને ઉગારી લીધા છે અને આ પવિત્ર ભૂમિમાં અમને આશ્રયસ્થાન આપ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમારી ગુલામ દશામાં તમે અમારામાં નવા પ્રાણ પૂર્યા છે: 9 કારણ, અમે તો ગુલામ છીએ; તેમ છતાં અમારી ગુલામ દશામાં પણ તમે અમને ભૂલી નથી ગયા, અને તમે ઇરાનના રાજાના હૃદયમાં અમારા માટે દયા જગાડી છે અને તેમણે અમને જીવતદાન તો આપ્યું જ છે, ઉપરાંત અમારા દેવના મંદિરનો જીણોર્દ્ધાર કરી ફરી બાંધવાની પરવાનગી આપી છે, અને યહૂદામાં અને યરૂશાલેમમાં અમને દીવાલ આપી છે.
10 “હવે, હે અમારા દેવ, અમે તમને શું કહીએ? કારણકે અમે ફરીથી તમારી આજ્ઞાઓ પાળી નથી અને તમારાથી દૂર ભટકી ગયા છીએ. 11 દેવે, તેમના સેવકો પ્રબોધકો મારફત અમને ચેતવ્યા હતા કે, જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે ત્યાંના રહેવાસીઓના ભયંકર રીતરિવાજને લીધે તદૃન અશુદ્ધ થયેલી છે અને એક છેડાથી બીજા છેડા સુધી તેમાં વ્યાપેલી અશુદ્ધિઓને લીધે ષ્ટ થયેલી છે. 12 માટે તમારી પુત્રીઓને તેમના પુત્રો સાથે પરણાવશો નહિ. તેઓએ અમને કહ્યું હતું, અને તમારા પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવશો નહિ; અને એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, એ ભૂમિની ઉત્તમ ઉપજને માણી શકશો, અને તમારા વંશજોને એ સદાકાળ માટે વારસામાં આપતા જશો.
13 “અમારાઁ દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કઇ વીત્યું છે, તે સર્વ ને માટે, હે યહોવા અમારા દેવ, જેટલી થવી જોઇએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે. 14 છતાં અમે તમારા હુકમોનો અનાદર કરીને ફરી આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીશું? તો પછી શું તું અમારા પર કોપાયમાન થઇને અમારો એવો વિનાશ નહિ કરશે કે કઇ પણ અથવા કોઇ પણ ન બચે?
15 “હે ઇસ્રાએલના દેવ યહોવા, તું ન્યાયી છે તેથી જ અમે આજે છીએ એટલા ઊગરવા પામ્યા છીએ. અમે અપરાધીઓ તમારી સમક્ષ ઊભા છીએ, જુઓ. અમારા અપરાધને કારણે અમને તમારી સમક્ષ આવવાનો કોઇ અધિકાર નથી.”
લોકોની પોતાનાં પાપોની કબૂલાત
10 એઝરા દેવનાં મંદિર આગળ પગે પડીને રડતો રડતો પ્રાર્થના કરતો હતો અને અપરાધની કબૂલાત કરતો હતો, તે દરમ્યાન ઇસ્રાએલી સ્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઇ ગયું અને હૈયાફાટ રૂદન કરવા લાગ્યું. 2 ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની વિધર્મી સ્ત્રીઓને પરણીને દેવનો અવિશ્વાસ કર્યો છે. તેમ છતાં ઇસ્રાએલીઓ માટે હજી આશા છે. 3 હવે આપણે આપણા દેવ સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેમના પુત્રો સાથે હાંકી કાઢીશું. અમે આ પ્રમાણે તમારી અને દેવથી ડરીને ચાલનારા બીજાઓની સલાહ પ્રમાણે કરીશું. દેવના નિયમનું પાલન થવું જ જોઇએ. 4 ઊઠો, આ કામ તમારું છે. અમે તમને ટેકો આપીશું. હિંમત રાખો અને કામ પાર ઉતારો.”
5 ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇસ્રાએલીઓને સમ ખવડાવ્યા કે અમો એ વચન પ્રમાણે જ કરીશું. તેથી તેઓએ સમ ખાધા. 6 ત્યારબાદ એઝરાએ મંદિર સામેની તેની જગ્યા છોડી અને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. અને દેશવટેથી પાછા ફરેલા ઇસ્રાએલીઓએ દીધેલા છેહથી શોકમાંને શોકમાં અન્નજળ લીધા વગર તેણે ત્યાં જ રાત ગાળી. 7 તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદામાં તથા યરૂશાલેમમાં તથા જેઓ બધાં બંધક બનાવાયા હતાં તે બધાંને યરૂશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું. 8 અને ત્રણ દિવસમાં જે કોઇ આવી નહિ પહોચે તેની બધી માલમિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંધકોના સમૂહમાંથી દૂર કરવામાં આવશે આ આગેવાનો અને વડીલોનો નિર્ણય હતો.
9 આથી ત્રણ દિવસની અંદર યહૂદાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરૂશાલેમમાં ભેગા થયા અને નવમા મહિનાના વીસમાં દિવસે તેઓ બધા દેવના મંદિરનાં પ્રાંગણમાં બેઠા આ વાતના ભયના લીધે તેઓ બધાં ગંભીર અને મૂશળધાર વરસાદમાં થરથર ૂજતાં હતાં. 10 પછી યાજક એઝરાએ ઊભા થઇને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓને પરણીને યહોવાને છેહ દીધો છે, અને ઇસ્રાએલના અપરાધમાં વધારો કર્યો છે. 11 માટે હવે તમારા પિતૃઓના દેવ યહોવા આગળ પાપોની કબૂલાત કરો અને તેની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસતા અન્ય દેશોના લોકોથી અને તમારી વિધર્મી પત્નીઓથી અલગ થઇ જાઓ.”
12 ત્યારે આખી સભા મોટે સાદે બોલી ઊઠી, “જરૂર, તમે કહો તે પ્રમાણે અમારે કરવું જ જોઇએ. 13 પણ તમે લોકો ઘણા છો, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું પણ નથી; આ બાબતમાં અમે તો મોટું પાપ કર્યું છે. 14 આપણા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે, અને દરેક શહેરમાં તમારામાંના જેઓ વિધર્મી સ્ત્રીઓને પરણ્યા છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, જ્યાં સુધી આપણા પરથી આ કારણે ભભૂકી ઊઠેલો દેવનો કોપ ઉતરી ન જાય.”
15 કેવળ અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાહનો પુત્ર યાહઝયા એ વાતના વિરોધી થયા; અને તેમને લેવીઓ મશુલ્લામ તથા શાબ્બાથાયે ટેકો આપ્યો. બાકીના લોકોએ એનો સ્વીકાર કર્યો.
16 તેથી બંધકોએ પણ તે પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ તે તે કુટુંબના પ્રતિનિધિ તરીકે કેટલાંક કુટુંબના વડાઓને પસંદ કર્યા અને તેમનાં નામની યાદી બનાવી. દશમા મહિનાના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી 17 અને પહેલા મહિનાના પહેલા દિવસ સુધીમાં તેમણે વિધર્મી સ્ત્રીઓને પરણેલાં બધા માણસોની તપાસ પૂરી કરી.
વિધર્મી સ્ત્રીઓને પરણેલા પુરુષોની નામાવલી
18 યાજકોના કુટુંબોમાં નીચેના માણસો વિધર્મી સ્ત્રીઓને પરણેલા માલૂમ પડ્યા હતા, તેઓ આ મુજબ છે:
યેશુઆના વંશજોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઇઓ માઅસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા. 19 એ બધાએ પોતાની પત્નીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું અને દરેકે પોતાના પાપના પાપાર્થાર્પણ તરીકે એક ઘેટો ધરાવ્યો;
20 ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબદીયા;
21 હારીમના વંશજોમાંથી માઅસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઊઝઝિયા,
22 પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માઅસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલઆસાહ.
23 લેવીઓમાંથી
યોઝાબાદ, શિમઇ, કેલાયા (કેલીટા પણ કહેવાય છે), પથાહ્યા યહૂદા અને અલીએઝેર.
24 ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.
25 અન્ય ઇસ્રાએલીઓમાં:
પારોશના વંશજોમાંના; રામ્યાહ, યિઝિઝયા, માલ્કિયા, મીયામીન, એલઆઝાર, માલ્કિયા તથા બનાયા.
26 માત્તાન્યા, ઝર્ખાયા, યહીએલ, આબ્દી, યરેમોથ તથા એલિયા તે બધાં એલામના વંશજોમાંથી.
27 ઝાત્તૂના વંશજોમાંના: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.
28 બેબાયના વંશજોમાંના; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથ્લાય.
29 બાનીના વંશજોમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાસૂબ, શેઆલ તથા યરેમોથ.
30 પાહાથમોઆબના વંશજોમાંના; આદના, કલાલ, બનાયા, માઅસેયા, માત્તાન્યા, બસાલએલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
31 હારીમના વંશજોમાંના: અલીએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન, 32 બિન્યામીન, માલ્લૂખ તથા શમાયા.
33 હાશુમના વંશજોમાંના; માત્તનાય, માત્તાત્તાહ, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,
34 બિગ્વાયના વંશજોમાંના; માઅદાય, આમ્રામ, ઉએલ; 35 બનાયા, બેદયા, કલૂહુ; 36 વાન્યા, મરેમોથ, એલ્યાશીબ; 37 માત્તાન્યા, માત્તનાય, યાઅસુ;
38 બિન્નૂઇના વંશજોમાંથી બાની, શિમઇ, 39 નાથાન, શેલેમ્યા, અદાયા, 40 માખ્નાદબાય, શાશાય, શારાય, 41 અઝારએલ, શેલેમ્યા, શેમાર્યા, 42 શાલ્લૂમ, અમાર્યા અને યૂસેફ;
43 નબોના વંશજોમાંના; યેઇએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદો, યોએલ તથા બનાયા.
44 એ સર્વ પરદેશી સ્ત્રીઓને પરણ્યા હતા; તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી છોકરાં થયાં હતા.
લૂક બીજુ પુસ્તક લખે છે
1 વહાલા થિયોફિલ,
મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. 2 મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. 3 આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. 4 એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. 5 યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”
ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે
6 બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”
7 ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. 8 પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
9 પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”
એક નવા પ્રેરિતની પસંદગી
12 પછી તે પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરૂશાલેમ પાછા ફર્યા. (આ પર્વત યરૂશાલેમથી લગભગ અડધો માઇલ દૂર છે.) 13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.
14 બધા પ્રેરિતો ભેગા થયા હતા. તેઓ સતત એક જ હેતુથી પ્રાર્થના કરતાં હતા ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. ઈસુની મા મરિયમ, અને તેના ભાઈઓ પણ ત્યાં પ્રેરિતો સાથે હતા.
15 થોડા દિવસ પછી વિશ્વાસીઓની એક સભા મળી. (ત્યાં તેમાનાં લગભગ 120 હાજર હતા.) પિતરે ઊભા થઈને કહ્યું, 16-17 “ભાઈઓ, શાસ્ત્રવચનોમાં પવિત્ર આત્માએ દાઉદ દ્ધારા કહ્યું કે કંઈક થવાની જરુંર છે. તે આપણા સમૂહમાનાં એક યહૂદા વિષે કહેતો હતો. યહૂદા આપણી સાથે સેવામાં ભાગીદાર હતો. આત્માએ કહ્યું કે ઈસુને પકડવા માટે યહૂદા માણસોને દોરશે.”
18 (યહૂદાને આ દુષ્ટ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. તેના પૈસા તેના માટે ખેતર ખરીદવામાં વપરાયા. પણ યહૂદા ઊંધે મસ્તકે પટકાયો, અને તેનું શરીર ફાટી ગયું. તેનાં બધાં આંતરડાં બહાર નીકળી ગયાં. 19 યરૂશાલેમના બધા લોકોએ આ વિષે જાણ્યું. તેથી તેઓએ તે ખેતરનું નામ હકેલ્દમા રાખ્યું. તેઓની ભાષામાં હકેલ્દમાનો અર્થ, “લોહીનું ખેતર” થાય છે.)
20 પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે:
‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ;
ત્યાં કોઇએ રહેવું નહિ!’(A)
અને એમ પણ લખેલું છે:
‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’(B)
21-22 “તેથી હવે બીજા કોઈ માણસે આપણી સાથે જોડાવું જોઈએ અને ઈસુના પુનરુંત્થાનના સાક્ષી થવું જોઈએ. આ માણસ પેલા માણસોમાંનો એક હોવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ આપણી સાથે હતો ત્યારે બધા જ સમય દરમ્યાન આપણા સમૂહનો ભાગ હતો, જ્યારથી યોહાને લોકોને બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યુ, ત્યારથી ઈસુને આપણી પાસેથી આકાશમાં લઈ જવાયો ત્યાં સુધી આ માણસ આપણી સાથે હોવો જોઈએ.”
23 પ્રેરિતોએ બે માણસોને સમૂહની આગળ ઊભા કર્યા. એક હતો યૂસફ બર્સબા, તે યુસ્તસના નામથી ઓળખતો અને બીજો માણસ હતો માથ્થિયાસ. 24-25 પ્રેરિતોએ પ્રાર્થના કરી, “પ્રભુ, તું પ્રત્યેક માણસોના મનોને જાણે છે. આ બેમાંથી તું આ કામ કરવા માટે કોને પસંદ કરે છે તે દર્શાવ. યહૂદા ભટકી જઈને જ્યાં જવાનો હતો ત્યાં ગયો. પ્રભુ, કયા માણસે પ્રેરિત તરીકે તેની જગ્યા લેવી જોઈએ તે બતાવ.” 26 પછી પ્રેરિતોએ બેમાંથી એકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રભુની ઈચ્છાનુસાર માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી. તેથી તે બીજા અગિયારની સાથે પ્રેરિત થયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International