Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
એસ્તેર 1-2

રાણી વાશ્તી પદષ્ટ

આ બધું બન્યું ત્યારે અહાશ્વેરોશ રાજા, ભારતથી તે કૂશ સુધીના એકસો સત્તાવીસ પ્રાંતોનો સમ્રાટ હતો. રાજા અહાશ્વેરોશ પાટનગર સૂસામાં તેના સિંહાસન પર મહેલમાંથી રાજ્ય કરતો હતો.

તેના અમલના ત્રીજા વર્ષે તેણે પોતાના બધા અમલદારો અને દરબારીઓને એક ઉજાણી આપી. તે સમય દરમ્યાન ઇરાન તથા માદાયના લશ્કરી આગેવાનો અને મહત્વના નેતાઓ પણ ઉજાણીમાં હાજર હતા; તે સમયે તેણે તેમની સમક્ષ એક સો એંશી દિવસ સુધી પોતાના રાજ્યની વિપુલ સંપત્તિનું અને પોતાના રાજવૈભવનું પ્રદર્શન કર્યુ. એક સો એંશી દિવસની ઉજવણીને અંતે રાજાએ પાટનગર સૂસાના સર્વ લોકોને, સૌથી વધારે મહત્વની વ્યકિતઓથી માંડીને સૌથી ઓછા મહત્વના લોકોને ઉજાણી આપી, જે સતત સાત દિવસો સુધી મહેલના ઉદ્યાનમાં રાખવામાં આવી હતી. ત્યાં લટકતાં સફેદ અને ભૂરા રંગના શણના કપડા જેને સફેદ શણની અને જાંબુડી રંગની દોરીઓ વડે ચાંદીની કડીઓ પર અને આરસના સ્તંભો દ્વારા લગાડવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો આરસ અને બીજા ભાતભાતના મૂલ્યવાન પથ્થરોની ફરશ પર ગોઠવ્યા હતા. તેઓને અનેકવિધ પ્રકારના આકારના સોનાના પાત્રોમાં દ્રાક્ષારસ પીરસવામાં આવ્યો હતો. રાજાએ પોતાને શોભે એ રીતે દ્રાક્ષારસ છૂટથી પીવડાવ્યો હતો. રાજાએ દ્રાક્ષારસ પીવા સંબંધી નિયમ કર્યો હતો; દરેક વ્યકિત પોતાની ખુશી પ્રમાણે ભલે પીએ, પરંતુ કોઇને વધારે પીવા માટે ફરજ પાડવી નહિ. રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, તે દરેકને પોતપોતાની ઇચ્છા મુજબ પીવા દેવું.

રાણી વાશ્તીએ પણ સ્રીઓ માટે અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં એક ઉજાણી આપી હતી.

10 ઉજાણીના સાતમા દિવસે રાજા દ્રાક્ષારસ પીને ખુબ નશામાં હતો અને તેણે પોતાની સેવા કરતા સાત ખોજાઓ મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસને બોલાવ્યા અને હુકમ કર્યો કે, 11 રાણી વાશ્તીને તેણીનો મુગટ પહેરાવીને લાવો, જેથી આગેવાનો અને મહત્વના લોકો તેના સૌદર્યનું દર્શન કરે. રાણી સાચે જ બહુ સુંદર હતી.

12 પરંતુ જ્યારે ખોજાઓએ રાજાના આદેશ વિષે રાણીને કહ્યું ત્યારે તેણે આવવાનો ઇન્કાર કર્યો. આથી રાજાને ખૂબ ગુસ્સો ચઢયો, અને તે ક્રોધથી ભભૂકી ઊઠયો. 13 તેથી રાજાએ બુદ્ધિમાન માણસોની કાનૂની નિષ્ણાંતોની અને હાલના વિષયોમાં જાણકારોની સલાહ લીધી, કારણ, રાજા માટે કાનૂન અને વ્યવસ્થાના નિષ્ણાતોની સલાહ લેવાનો ત્યારે રિવાજ હતો. 14 બુદ્ધિમાન માણસો જે રાજાની ખૂબ નજીક હતાં તે કાર્શના, શેથાર આદમાથા, તાશીર્શ, મેરેસ, માર્સના, અને મમૂખાન જેવા સૌથી નજીકના માણસો હતા. એ સાતે ઇરાનના અને માદાયના નેતાઓ હતા. તેઓ રાજાને સીધા મળી શકતા હતા, અને રાજ્યમાં ઉંચી પદવીઓ ધરાવતા હતા. 15 રાજાએ તેઓને પ્રશ્ર્ન કર્યો, “દરબારીઓ મારફતે પહોંચાડવામાં આવેલી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે કાયદેસર રીતે રાણી વાશ્તી સામે શાં પગલાં લેવાં જોઇએ?”

16 પછી રાજા અને તેના અમલદારો સમક્ષ મમૂખાને કહ્યુ કે, “વાશ્તી રાણીએ કેવળ રાજા વિરૂદ્ધ જ નહિ પરંતુ અહાશ્વેરોશના સામ્રાજ્યના પ્રત્યેક અધિકારી તથા પ્રત્યેક નાગરિક વિરૂદ્ધ અપરાધ કર્યો છે. 17 બધી જ સ્ત્રીઓને રાણીના વર્તનની જાણ થશે અને તેઓ પણ પોતાના પતિ પ્રત્યે અનાદર કરવા પ્રેરાશે, તેઓ પોતાના પતિઓને કહેશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સંમુખ આવવા આજ્ઞા કરી પણ રાણીએ તેનુ પણ પાલન કર્યુ નહિ.’

18 “તે જ દિવસે ઇરાન તથા માદાયના આગેવાનો અને અમલદારોની પત્નીઓ જેને રાણીના જવાબની જાણ થઇ, તેઓ પોતાના પતિઓની સાથે એની વાત કરવાની અને તેને પરિણામે સમગ્ર રાજ્યમાં અવિનય અને ક્રોધ મોટી માત્રામાં ફેલાઇ જશે,

19 “જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: ‘વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.’ પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો. 20 આ શાહી ફરમાન આખા સામ્રાજ્યમાં જાહેર થશે, પછી બધી જ સ્ત્રીઓ પોતાના પતિને માન આપશે પછી તે મહાન અને અગત્યનો હોય કે અગત્યનો ન હોય.”

21 રાજા તથા તેના અધિકારીઓને મમૂખાનની સલાહ પસંદ પડી અને તે પ્રમાણે કર્યુ. 22 તેણે રાજ્યનાં બધાં પ્રાંતોમાં તેઓની સ્થાનિક ભાષામાં પત્રો મોકલી આપ્યાં, તે પત્રોને દરેક પ્રાંતની ભાષામાં જાહેરાત કરવામાં આવી કે, પ્રત્યેક પુરુષ જ પોતાના કુટુંબનો ઉપરી હોવો જોઇએ.

એસ્તેરને રાણીપદ

જ્યારે અહાશ્વેરોશ રાજાનો ગુસ્સો શમી ગયો, ત્યારે તેણે વાશ્તી રાણી વિશે વિચાર્યુ અને તેને યાદ કર્યુ કે, તે કેવી રીતે વર્તી હતી અને તેણીની સામે કેવા પગલાં ભરવામાં આવ્યાં હતાં. ત્યારે રાજાના અંગત સેવકોએ સલાહ આપી, ચાલો રાજ્યની સૌથી વધુ સ્વરૂપવાન કુમારિકાઓની શોધ થાય અને તેઓને તમારી પાસે લાવીએ. ભલે રાજા દરેક પ્રાંતમાં આ કામને માટે લોકોને નીમે. તેઓ જુવાન સૌદર્યવાન કુમારિકાઓને પસંદ કરીને પાટનગર સૂસાના મહેલના જનાનખાનામાં લઇ આવે. જનાનખાના પર નીમેલા રાજાના ખોજા હેગેની સંભાળ નીચે તેઓ રહે. આ કુમારિકાઓને સૌંદર્યના દ્રવ્યો હેગે પુરા પાડશે. પછી જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકા વાશ્તીને બદલે રાણી થાય. આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો.

પાટનગર સૂસામાં એક યહૂદી રહેતો હતો. તેનું નામ મોર્દખાય હતું. તે બિન્યામીન ટુકળીના, કીશના પુત્ર શિમઇના પુત્ર યાઇરનો પુત્ર હતો. જ્યારે નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમનો નાશ કર્યો અને યહૂદાના રાજા યહોયાકીન અને તે બીજા અનેક યહૂદીઓની સાથે દેશ નિકાલ કરાવી તેને બંદીવાન તરીકે બાબિલ લઇ જવાયો હતો. તેના કાકાની પુત્રી હદાસ્સાહ ઊર્ફે એસ્તેરને માબાપના મૃત્યુ પછી મોર્દખાયએ પોતાની પુત્રી તરીકે ખોળે લીધી હતી. અને તેને ઉછેરીને મોટી કરી હતી. તે કુમારિકાનો દેહ ઘાટીલો અને મુખ રૂપાળું હતું.

રાજાનો હુકમ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને પાટનગર સૂસા લાવીને હેગેને સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં લઇ જઇને હેગેને સોંપવામાં આવી હતી. જ્યારે હેગેએ એસ્તેરને જોઇ ત્યારે તે તેનાથી ખૂબજ પ્રભાવિત થયો અને તેને પ્રસન્ન રાખવા તેણે પોતાનાથી બનતું બધું જ કર્યુ. તેણે એસ્તેર માટે તરત જ સૌંદર્ય પ્રસાધનો અને વિશિષ્ટ ખોરાકની વ્યવસ્થા કરી આપી અને રાજમહેલમાંથી તેને સાત ચૂંટેલી દાસીઓ પણ આપી, ઉપરાંત તેણીને અને તેણીની દાસીઓને જનાનખાનાનો શ્રે ભાગ રહેવા માટે આપ્યો. 10 પોતે યહૂદી છે તેવું એસ્તેરે કોઇને જણાવ્યું ન હતું કારણકે મોર્દખાયે તેને તેમ કરવાની ના પાડી હતી. 11 એસ્તેરની શી સારસંભાળ છે અને નિયતિ વિષે પૂછપરછ કરવા માટે મોર્દખાય પ્રતિદિન સ્ત્રીઓના કક્ષોના ચોગાન સામે આગળ પાછળ ચાલ્યા કરતો હતો.

12 રાજા અહાશ્વેરોશની સામે કુમારિકાઓના દરેકના વારા આવે તે પહેલાં તેઓને છ માસ સુધી સુગંધી પદાથોર્ વડે માવજત આપવામાં આવતી. પછી બીજા છ માસ તેઓને તેલો અને સૌંદર્ય માવજતો આપવામાં આવતી. આમ તેઓની બાર માસ સુધી કાળજી લઇ તૈયાર કરવામાં આવતી. 13 જ્યારે અહાશ્વેરોશ રાજા પાસે જવાનો કુમારિકાનો વારો આવે ત્યારે તેને જનાનખાનામાંથી જે કંઇ ગમે તે આપવામાં આવતું. 14 સાંજે તે કુમારિકા મહેલમાં જતી, અને સવારે બીજી સ્રીના જનાનખાનામાં પાછી ફરતી, જેની સંભાળ રાજાની ઉપપત્નીઓનો રક્ષક જે ખોજો શાઆશ્ગાઝની દેખરેખ હેઠળ હતી. રાજાને તે ખાસ પસંદ પડી હોય અને તેને નામ લઇને બોલાવે તે જ કુમારિકા રાજા પાસે ફરી જતી.

15 એસ્તેરનો વારો જ્યારે રાજા પાસે જવાનો આવ્યો ત્યારે તેણે કોઇ પણ વસ્તુની માગણી ન કરી અને તેણીએ હેગેની સલાહ સ્વીકારી કે તેણીએે શું લેવું (હેગે રાજાના જનાનખાનાનો અખત્યાર સંભાળતો ખોજો હતો. એસ્તર તેના કાકાની દીકરીની દત્તક પુત્રી હતી.) બીજી કુમારિકાઓએ જ્યારે તેને જોઇ ત્યારે તેઓએ તેની ખૂબ પ્રશંસા કરીને પ્રસન્નતા વ્યકત કરી. એસ્તેર તે સૌનુ મન હરી લીધું જેઓએ તેણીને જોઇ. 16 રાજા અહાશ્વેરોશના શાસનના સાતમા વર્ષે દશમા એટલે કે ટેબેથ મહિનામાં તેને રાજા પાસે લઇ જવામાં આવી ત્યારે બીજી કુમારિકાઓ કરતાં રાજાને તે વધારે પસંદ પડી.

17 અને રાજા એસ્તેરથી બહુંજ ખુશ હતો અને તે એસ્તેરને પ્રેમ કરતો અને બીજી કોઇ કુમારિકાઓ કરતાં એસ્તેરને વધારે માન્ય રાખતો. તે એસ્તેરથી એટલો બધો પ્રસન્ન થયો કે તેણે સોનાનો મુગટ તેણીના માથા પર મૂક્યો અને વાશ્તી રાણીની જગ્યાએ તેને રાણી તરીકે જાહેર કરી. 18 ત્યારપછી રાજાએ એસ્તેરના માનમાં પોતાના અમલદારોને અને દરબારીઓને મોટો ભોજન સમારોહ આપ્યો. વળી તેણે રાજ્યના બધા પ્રાંતોમાં રજા જાહેર કરી અને રાજાને શોભે એવી ભેટોની લ્હાણી કરી.

કાવત્રાં વિશે જાણતો મોર્દખાય

19 ત્યારબાદ જ્યારે બીજીવાર સુંદર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો. 20 મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે તેવું કોઇને જણાવ્યું ન હતું. હજુ પણ તે મોર્દખાયના ઘરમાં રહેતી હતી, ત્યારે તેણી જેમ તેની સૂચનાઓનું પાલન કરતી હતી તે જ પ્રમાણે પાળવાનું તેણે ચાલુ રાખ્યું હતું.

21 જ્યારે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો તે દરમ્યાન રાજાના દરવાજાના માર્ગે ચોકી કરતા બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ જે રાજાથી ગુસ્સે થયા હતા અને તેમણે અહાશ્વેરોશનું ખૂન કરવાનું કાવત્રું રચ્યું. 22 મોર્દખાયને તેની જાણ થતાં તેણે રાણી એસ્તેરને વાત કરી, અને તેણે મોર્દખાયનું નામ દઇને રાજાને જાણ કરી. 23 તપાસ કરતાં તે સાચુ નીકળ્યું. બંને ચોકીદારોને ફાંસીએ ચઢાવવામાં આવ્યાં. આ બધી વાતો રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં લખવામાં આવી હતી.

પ્રેરિતોનાં કૃત્યો 5:1-21

અનાન્યા તથા સફિરા

અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી. પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ.

પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો? તેં ખેતર વેચ્યું તે પહેલાં તે તારું હતું અને તે વેચ્યા પછી પણ તેં તારી ઈચ્છાનુસાર તે પૈસાનો કોઇ રીતે ઉપયોગ કર્યો હોત. તેં શા માટે આ ખરાબ કરવાનું વિચાર્યુ છે? તું દેવ સમક્ષ જૂઠું બોલ્યો છે, માણસો સમક્ષ નહિ!”

5-6 જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું. તેઓ તેને બહાર લઈ ગયા અને દફનાવી દીધો અને દરેક માણસે જેણે આ અંગે સાંભળ્યું તે બધા ભયભીત થયા.

ત્રણેક કલાફ પછી તેની પત્ની અંદર આવી. સફિરા તેના પતિનું જે કંઈ થયું એ અંગે કશું જાણતી નહોતી. પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”

સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”

પિતરે તેને કહ્યું, “પ્રભુના આત્માનું પરીક્ષણ કરવા માટે તું અને તારો પતિ કેમ સંમત થયા? ધ્યાનથી સાંભળ! તું પેલા પગલાંનો અવાજ સાંભળે છે? તારા પતિને દફનાવનારા બારણે આવી પહોંચ્યા છે! તેઓ તને પણ આ રીતે લઈ જશે.” 10 તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી. 11 બધા જ વિશ્વાસીઓ અને બીજા બધા લોકો જેમણે આ વિષે સાંભળ્યું તે બધા ભયભીત થઈ ગયા.

દેવ તરફથી સાબિતી

12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો. 13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા. 14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા. 15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે. તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે. 16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.

યહૂદિઓનો પ્રેરિતોને અટકાવવાનો પ્રયત્ન

17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ. 18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા. 19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું, 20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.” 21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો.

પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International