Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 11-13

સોફાર નાઅમાથીનો અયૂબને જવાબ

11 ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો:

“આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે?
    જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે?
શું તું વિચારે છે કે વાતો કરીને તું બીજા માણસોને ચૂપ કરી દઇશ?
    તું શું વિચારે છે કે તું દેવની મશ્કરી કરીશ અને તને કોઇ ઠપકો નહિ આપે?
કારણકે તું કહે છ કે,
    ‘હું જે કહું છું તે સાચું છે.
    હું દેવની નજરમાં નિર્દોષ છું.’
હું ઇચ્છું છું કે, દેવ બોલશે
    અને તને કહેશે કે પોતે શું વિચારે છે!
દેવ તને ડહાપણના રહસ્યો વિષે કહેશે.
    તે તને કહેશે કે દરેક વાત ને બે બાજુ હોય છે.
અને તું ખાતરી રાખજે કે
    તે તને તારા દોષોની પાત્રતાથી ઓછી સજા આપે છે.

“અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે?
    તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી.
તું સ્વર્ગની બાબત કાંઇ કરી શકશે નહિ.
    શેઓલ બાબતે તું કાંઇ જાણતો નથી.
તેનું માપ પૃથ્વી કરતાં પણ મહાન
    અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે.

10 “તે ધસી જઇને કોઇની પણ ધરપકડ કરે;
    અને તેનો ન્યાય કરવા તેને ન્યાયાલયમાં ઊભો કરી દે તો તેમ કરતાં તેમને કોણ અટકાવી શકે?
11 સાચે જ દેવ જાણે છે કોણ નિરર્થક છે.
    જ્યારે દેવ અનિષ્ટ જુએ છે ત્યારે તે તેને યાદ રાખે છે.
12 પણ મૂર્ખ માણસને તે બુદ્ધિમાન કરે છે,
    અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.
13 પણ તારે તારા હૃદયને માત્ર દેવની સેવા કરવા માટે જ તૈયાર કરવું જોઇએ
    અને તેની પ્રાર્થના કરવા તારે તારા હાથ તેની ભણી ઉપર કરવા જોઇએ.
14 જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ!
    તારાં ઘરમાં અનિષ્ટ ને દાખલ થવા દેતો નહિ
15 પછી તું દેવ સામે શરમાયા વગર જોઇ શકશે
    અને ભય વિના દેવ સમક્ષ ઊભો રહી શકશે.
16 વહી ગયેલા પાણીની જેમ તું તારું દુ:ખ ભૂલી જઇશ.
    અને તારા દુ:ખો ભૂતકાળ બની જશે.
17 તારું જીવન મધ્યાનના સૂર્યથી પણ વધુ ઊજળું થશે.
    અને અંધકાર પણ પ્રભાતના પ્રકાશ જેવો બની જશે.
18 પછી તું સુરક્ષા અનુભવીશ કારણકે ત્યાં આશા છે.
    દેવ તારી સંભાળ લેશે અને તને વિસામો આપશે.
19 તું નિરાંતે સૂઇ શકશે અને તને કોઇ હેરાન કરશે નહિ.
    અને ઘણા લોકો તારી પાસે મદદ માગવા આવશે.
20 દુષ્ટ લોકો કદાચ મદદ માગશે,
    પરંતુ તેઓ તેમની મુશ્કેલીમાંથી છટકી શકશે નહિ.
    તેમની આશાઓ તેમને મૃત્યુ સુધી દોરી જશે.”

અયૂબનો ઉત્તર

12 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે,

“હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો;
    તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!
પરંતુ તમારી જેમ મને
    પણ ડહાપણ અને અક્કલ છે;
અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા,
    એ બધું કોણ નથી જાણતું?
‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’
    પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે,
હું ખરેખર સાચો છું
    અને નિર્દોષ છું છતાં તેઓ હસે છે.
જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે.
    સ્થિર માણસ જેના પગ લથડી રહ્યાં છે તેને છેતરે છે.
ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે.
    તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે;
    તેઓની તાકાત તે જ તેમનો દેવ છે.

“પરંતુ પશુઓને તમે પૂછો તો તે તમને શીખવશે,
    જો પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.
અથવા પૃથ્વીને પૂછો, તે તમને શીખવશે;
    સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.
દરેક વ્યકિત જાણે છે કે
    આ સર્વનું યહોવાએ સર્જન કર્યું છે.
10 બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા
    પણ દેવના જ હાથમાં છે.
11 જેમ મારું મુખ સારા ભોજનનો સ્વાદ પારખે છે તે જ રીતે જ્યારે
    હું સાંભળું છું ત્યારે મારું મન સત્યની પરખ કરે છે.
12 અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે,
    અને પાકી વયમાં સમજણ હોય છે.’
13 પરંતુ ખરું ડહાપણ અને સાર્મથ્ય તો દેવનાં જ છે.
    સમજ અને સત્તા તો તેની પાસે જ છે.
14 તે મહા પરાક્રમી છે. તે જે કાંઇ ફાડી નાખે છે તે ફરીથી બાંધી શકાતું નથી.
    જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઇ તેને છોડાવી શકતું નથી.
15 જ્યારે તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સૂકાઇ જાય છે
    અને જ્યારે તે વરસાદને છોડી દે છે, ત્યારે પાણી પૃથ્વી પર ફરી વળે છે.
16 દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે.
    છેતરનારા અને છેતરાયેલાં બંને તેનાં હાથમાં જ છે.
17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે
    અને ન્યાયકર્તાઓને મૂર્ખા બનાવે છે.
18 રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે,
    અને તેમને શકિતશાળી બનાવે છે.
19 તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે
    સરકારી અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મુકે છે.
20 વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે,
    અને વડીલોનું શાણપણ પણ છીનવી લે છે.
21 દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે.
    તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
22 દેવ ગુપ્તમાં ગુપ્ત રહસ્ય પણ પ્રગટ કરે છે,
    તે મૃત્યુ જેવી કાળી જગ્યાએ પણ પ્રકાશ પહોચાડે છે.
23 તે રાષ્ટને મોટું બનાવે છે
    પછી તેના લોકોને વિખેરી નાખે છે.
24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે
    અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતાં હોય તેવા,
25 ઘોર અંધકારમાં અથડાતાં
    અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”

13 અયૂબે કહ્યું “તમે જે કઇં મને કહ્યું તે બધું
    તો મેં મારા કાનેથી સાંભળ્યું છે,
    અને મારી આંખોએ જોયું છે અને હું એ બધું સમજું છું.
તમે જે બધુ જાણો છો તે હું પણ જાણું છુ.
    તમે જેવા હોશિયાર છો તેવો જ હું છું.
પણ મારે સર્વ સમર્થ દેવ સાથે
    મોઢાંમોઢ વાત કરવી છે.
    મારે એમની સાથે વિવાદ કરવો છે.
તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો.
    તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.
તમે મૂંગા રહ્યા હોત તો સારું હતું!
    કારણકે એમાં તમારું ડહાપણ જણાત.

“હવે મારી દલીલો સાંભળો,
    મારી બાબત પર ધ્યાન આપો.
શું તમે દેવ માટે જૂઠું બોલશો?
    શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે.
શું તમે દેવનો મારી સામે બચાવ કરવા પ્રયત્ન કરી રહ્યાં છો?
    તમે પક્ષપાત કરો છો તમે દેવનો
    પક્ષ પસંદ કરો છો કારણકે તે દેવ છે એટલા માટે.
સાવચેત રહેજો, તમે જે
    કાંઇ કરો છો એ બધું તે જાણે છે.
શું તમે એમ માનો છો કે તમે જેમ માણસને મૂર્ખ બનાવો છો
    તેમ દેવને પણ બનાવી શકશો?
10 તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો
    પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે.
11 દેવની મહાનતા તમને નહિ ડરાવે
    તમે તેનાથી કરશો નહિ?
12 તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે
    અને તમારી બધી દલીલો કોઇ કામની નથી.

13 “હવે તમે છાના રહો, મને બોલવા દો
    અને જે થવાનું હોય તે થવા દો.
14 ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું,
    હું મારો જીવ મૂઠીમાં લઇને ફરવા તૈયાર છું.
15 આમ કહેવાને કારણે દેવ ભલે મને મારી નાખે,
    હું તેમની રાહ જોઇશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
16 ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે.
    કારણકે દુષ્ટ લોકોની દેવ સામે ઊભા રહેવાની હિંમત હોતી નથી.
17 હવે તમે મારી વાત
    સહેજ ધ્યાનથી સાંભળો.
18 હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ.
    અને હું જાણું છું કે
    હું નિર્દોષ છૂટીશ.
19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે?
    જો કોઇ પણ હોય તો હું તત્કાળ ચૂપ થઇ જઇશ.

20 “હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી
    હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ.
21 મને સજા કરવાનું બંધ કરો
    અને મને ડરાવવાનું બંધ કરો!
22 પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ;
    અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો.
23 મને કહો, “મેં શું ખોટું કર્યુ છે?
    મને મદદ કરો! મારાં પાપ
    અને અપરાધ મને જણાવો.
24 શા માટે તમે મારાથી મુખ ફેરવી લો છો?
    શા માટે તમે મારી સાથે તમારા દુશ્મન જેવું વર્તન કરો છો?
25 શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને શિક્ષા કરશો?
    શું તમે સૂકા નિરર્થક તણખલાની પાછળ પીછો કરશો?
    હું તો એવો છું.
26 તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો
    અને મારી યુવાવસ્થાના પાપોની સજા મને આપો છો;
27 હે દેવ, તમે મારા પગમાં બેડીઓ બાંધો છો,
    તમે મારા બધા રસ્તાઓ ધ્યાનથી નિરખો છો,
    અને મારું એકેએક ડગલું તપાસો છો.
28 જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું
    અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”

પ્રેરિતોનાં કૃત્યો 9:1-21

શાઉલનું બદલાણ

યરૂશાલેમમાં શાઉલ હજુ પણ પ્રભુના શિષ્યોને બધીજ વખતે હત્યા કરવાની ધમકીઓ આપતો હતો. તેથી તે પ્રમુખ યાજક પાસે ગયો. શાઉલે તેને દમસ્ક શહેરની સભાઓના યહૂદિઓને પત્રો લખવાનું કહ્યું. શાઉલે ખ્રિસ્તના માર્ગના શિષ્યોને દમસ્કમાં શોધવાનો અધિકાર પ્રમુખ યાજક પાસેથી માગ્યો. જો તેને કોઈ સ્ત્રી કે પુરુંષ મળે તો તેઓને યરૂશાલેમ લઈ આવે.

તેથી શાઉલ દમસ્ક ગયો. જ્યારે તે શહેરની નજીક આવ્યો. તેની આજુબાજુ એકાએક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ ઝબૂક્યો. શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”

શાઉલે કહ્યું, “તું કોણ છે, પ્રભુ?”

જવાબમાં વાણી સંભળાઇ, “હું ઈસુ છું, તું જેની સતાવણી કરે છે. તે હું છું. હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”

શાઉલ સાથે મુસાફરી કરતા માણસો ત્યાં ઊભા રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહિ. તે માણસોએ વાણી સાંભળી, પણ તેઓએ કોઇને જોયો નહિ. શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે તેની આંખો ઉઘાડી. પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી શાઉલની સાથેના માણસોએ તેનો હાથ પકડ્યો અને તેને દમસ્ક દોરી ગયા. ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ. તે ખાઈ કે પી શક્યો પણ નહિ.

10 ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”

અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”

11 પ્રભુએ અનાન્યાને કહ્યું, “ઊભો થા અને પાધરા નામના રસ્તે જા. યહૂદિયાનું ઘર શોધી કાઢ. તાર્સસના શહેરમાં શાઉલ નામના માણસની તપાસ કર. તે હમણાં ત્યાં પ્રાર્થના કરે છે. 12 શાઉલે એક દર્શન જોયું છે. આ દર્શનમાં આનાન્યા નામનો માણસ તેની પાસે આવ્યો અને તેના પર હાથ મૂક્યો. પછી શાઉલ ફરિથી જોઈ શક્યો.”

13 પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું. 14 હવે શાઉલ અહીં દમસ્કમાં આવ્યો છે. મુખ્ય યાજકોએ જે લોકોને તારામાં વિશ્વાસ છે તે બધાને પકડવા માટેનો તેને અધિકાર આપ્યો છે.”

15 પણ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જો! મેં એક અગત્યના કામ માટે શાઉલને પસંદ કર્યો છે. તેણે રાજાઓને, યહૂદિ લોકોને અને બીજા રાષ્ટ્રોને મારા વિષે કહેવું જોઈએ. 16 મારા નામે એને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે. એ હું તેને બતાવીશ.”

17 તેથી અનાન્યા ત્યાંથી છોડીને યહૂદાના ઘરે ગયો. તેણે તેના હાથો શાઉલ પર મૂક્યા અને કહ્યું, “શાઉલ, મારા ભાઈ, પ્રભુ ઈસુએ મને મોકલ્યો છે. તું જ્યારે અહીં આવ્યો ત્યારે રસ્તા પર જે તને દેખાયો તે એ જ છે. ઈસુએ મને એટલા માટે મોકલ્યો કે જેથી તું ફરીથી જોઈ શકે. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” 18 અચાનક તેની આંખોમાંથી છાલાં જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે જોઈ શકવા સમર્થ બન્યો, શાઉલ ઊભો થયો અને તે બાપ્તિસ્મા પામ્યો. 19 પછી તેણે થોડુંક ખાધું અને ફરીથી સાર્મથ્ય અનુભવવા લાગ્યો.

શાઉલનો જમસ્કમાં બોધ

શાઉલ દમસ્કમાં ઈસુના શિષ્યો સાથે થોડા દિવસો માટે રહ્યો. 20 તેથી જલદીથી તેણે સભાસ્થાનોમાં ઈસુ વિષે બોધ આપવાની શરુંઆત કરી. તેણે લોકોને કહ્યું, “ઈસુ એ દેવનો દીકરો છે!”

21 જે બધા લોકોએ શાઉલને સાંભળ્યો તે નવાઈ પામ્યા હતા. તેઓએ કહ્યું, “આ એ જ માણસ છે જે યરૂશાલેમમાં હતો. તે ઈસુ નામમાં વિશ્વાસ રાખનારા લોકોને મારી નાખવા પ્રયત્ન કરતો હતો! તે (શાઉલ) અહી એ જ વસ્તુ કરવા આવ્યો છે. તે ઈસુના શિષ્યોને પકડવા માટે અહીં જ આવ્યો છે. અને તેઓને યરૂશાલેમમાં મુખ્ય યાજકો પાસે લઈ જશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International