Old/New Testament
14 અયૂબે કહ્યું, “માણસ કેવો નિર્બળ છે,
તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.
2 જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે
મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે.
3 શું આવા નિર્બળ માનવીની સામે જોવાની ચિંતા તમે કરો છો?
શું ન્યાય મેળવવા માટે તેને તમારી સમક્ષ ઊભો કરવામાં આવશે?
4 “અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું!
પણ એવું બનવું અશક્ય છે.
5 તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી
નાંખ્યા છે કે તેને ઓળંગી શકે નહિ;
તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે.
6 તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો.
અમને એકલા રહેવા દો, દિવસને અંતે ભાડૂતી મજુરને મળતા મહેનતાણાની જેમ
અમને અમારા વળતરનો આનંદ માણવા દો.
7 “ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય;
તે પાછું વિકાસ પામી શકે છે
અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.
8 તેનાં મૂળિયા કદાચ જમીનમાં ઊગે
અને તેનું થડ જમીનમાં સૂકાઇ જાય.
9 તે છતાંપણ તે જો ફરતે પાણી સૂંધે તો
એ નવા છોડની જેમ ડાળીઓ ઉગાડી શકે.
10 પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે.
જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે.
11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે,
અને નદી ક્ષીણ થઇને સુકાઇ જાય છે;
12 તેમ માણસ સૂઇ જઇને ક્યારેય
પાછો ઊઠતો નથી;
જ્યાં સુધી આકાશોનું
અસ્તિત્વ ન રહે
ત્યાં સુધી માણસ ફરીથી
તેની ઊંઘમાંથી જાગશે નહિ.
13 “હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો,
અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો,
અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું!
14 માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો?
જ્યાં સુધી મને મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હું રાહ જોઇશ.
15 દેવ તમે મને બોલાવશો
ત્યારે હું તમને જવાબ આપીશ.
પછી હું જેનું તમે સર્જન કર્યું છે,
તમારા માટે મહત્વનો હોઇશ.
16 પછી તમે મારાં એકેએક પગલાંને નજરમાં રાખશો,
પણ મારા દુષ્કૃત્યો તમને યાદ નહિ આવે.
17 તમે મારા પાપોને એક થેલામાં બાંધશો,
અથવા તમે મારા ગુનાઓ ઉપર ચીતરશો!
18 “પર્વતો પડીને નષ્ટ થાય છે,
અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
19 પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે.
પાણીના પૂર પૃથ્વી પરની જમીનને ધોઇ નાખે છે અને તેવી જ રીતે દેવ,
તમે મનુષ્યની આશાઓનો વિનાશ કરી નાખો છો.
20 તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો
અને પછી તે દૂર ચાલ્યો જાય છે.
તમે તેને ઉદાસ બનાવીને
દૂર મોકલી દો છો.
21 તેના સંતાનો આદરપાત્ર થયાં છે કે નહિ, તેની તેને જાણ નથી;
અથવા જો તેઓ નીચે લવાયા હોય તો અપમાનિત કરાયા હોય, એ વિષે પણ તે અજાણ છે.
22 તે માત્ર પોતાના દેહનું દુ:ખ અનુભવી શકે છે
અને મોટેથી પોતાના માટે રડે છે.”
અલીફાઝ તેમાનીનો બીજો સંવાદ
15 પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો:
2 “અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો
રડતા શબ્દોથી તું ઉત્તર ન આપત.
શું કોઇ શાણો માણસ, પોલા શબ્દોથી દલીલ કરે?
3 તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો
અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે?
4 અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો
કોઇએ પણ દેવને માન આપ્યું કે ઉપાસના કરી ન હોત.
5 તું જે વાતો કરે છે તે તારા પાપો બતાવે છે. અયૂબ,
તું ચતુરાઇ ભરેલા શબ્દો વડે તારા પાપ છૂપાવવાનો પ્રયત્ન કરે છે.
6 હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે,
હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે.
7 “તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે?
શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?
8 દેવની ગુપ્ત યોજનાઓ વિષે તમે સાંભળ્યું છે ખરું?
શું તને એમ છે તું એક જ બુદ્ધિશાળી વ્યકિત છે?
9 અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે?
અમારાં કરતાં તારામાં કઇ વિશેષ સમજદારી છે?
10 જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે
તે વૃદ્ધ અને અનુભવવાળાં માણસો અમારા પક્ષે છે!
11 દેવ તને આશ્વાસન આપવાની કોશિષ કરે છે, પણ એ તારા માટે પૂરતું નથી.
અમે તને દેવનો સંદેશો નમ્રતા પૂર્વક કહ્યો.
12 તું શા માટે ઉશ્કેરાઇ જાય છે?
તારી આંખો કેમ મિચાય છે?
13 તું તારો ગુસ્સો દેવની ઉપર કેમ ઠાલવો છો?
તમે શા માટે આમ બોલો છો?
14 “શું માણસ પવિત્ર હોઇ શકે?
સ્ત્રીજન્ય માનવી કદી નિર્દોષ હોઇ શકે?
15 જો, તે પોતાનાં સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી.
તેમની દ્રષ્ટિએ તો આકાશો પણ સ્વચ્છ અને શુદ્ધ નથી!
16 મનુષ્ય તો અધમમાં અધમ છે.
મનુષ્ય મલિન અને અપ્રામાણિક છે.
પછી માણસનું શું તે જે પાપોને પાણીની જેમ પી જાય છે.
17 “હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે,
જાણ્યું છે તે જ કહેવાનો છું.
18 આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે.
તેઓ તેઓનાં પિતૃઓ પાસેથી જે શીખ્યા હતા તે કાંઇ
પણ તેઓએ છૂપાવ્યું નથી.
19 એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી.
કોઇ વિદેશીઓ તેઓની ભૂમિમાથી પસાર થતા નહિ.
તેઓ જે તેમના પિતાઓ પાસે શીખ્યા તેમાંથી કાઇ પણ છૂપાવ્યું નથી.
તેઓએ જ આ ડહાપણ ભરેલી શિખામણ આપેલી છે.
20 એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે.
દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.
21 દરેક અવાજ તેને ડરાવે છે. જે સમયે તે વિચારે છે કે તે સુરક્ષિત છે
ત્યારે તેના દુશ્મનો આવી અને તેના પર હૂમલો કરશે.
22 અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી.
કોઇક જગ્યાએ ત્યાં એક તરવાર તેને મારવાની રાહ જોઇ રહી છે.
23 તે ખોરાક માટે ભટકે છે પરંતુ તે ક્યાં મેળવે છે?
તે જાણે છે કે મૃત્યુના દિવસો નજીક છે.
24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે;
યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.
25 તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે
અને સર્વસમર્થ દેવની સામે લડે છે.
26 તે દુષ્ટ વ્યકિત બહુ દુરાગ્રહી છે.
મજબૂત ઢાલથી સજ્જ થઇને તે દેવને પડકાર કરે છે.
27 એ દુષ્ટ માણસ છકી ગયેલો, પુષ્ટ અને ધનવાન છે.
તે માણસ કદાચ ચરબી યુકત અને ધનવાન હશે.
28 પરંતુ તેના નગરો ખંડેર બની જશે,
તેના ઘરનો નાશ થઇ જશે
અને તેનું ઘર ઉજ્જડ થઇ જશે.
29 તે ધનવાન નહિ રહે એની સમૃદ્ધિ ટકશે નહિ.
તે તેની સંપતિ ટકશે નહિ.
30 દુષ્ટ માણસ અંધકારમાંથી બચશે નહિ,
તે એક વૃક્ષ જેવો થશે જેની કુમળી ડાળીઓ
જવાળાઓથી બળી જાય છે અને પવનમાં ફૂંકાઇ જાય છે.
31 દુષ્ટ માણસે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઇએ નહિ.
કારણકે તેને કાંઇ મળશે નહિ.
32 દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે
તે પહેલા વૃદ્ધ થશે અને કરમાઇ જશે, તે સૂકી શાખા જેવો થશે.
33 તે જેની કાચી દ્રાક્ષ ખરી પડે એવા દ્રાક્ષના વેલા જેવો,
જેનું અપકવ ફળ ખરી પડે એવા જૈતૂનના વૃક્ષ જેવો છે,
34 કારણકે દેવ વિનાના લોકો પાસે કાઇ હોતું નથી.
જેઓ પૈસાને પ્રેમ કરે છે, તેઓના ઘરો અગ્નિથી નાશ પામી જશે.
35 દુષ્ટ લોકો હમેશા હેરાન કરવા માટે દુષ્ટ યોજનાઓ બનાવે છે.
તેઓ હંમેશા લોકોને છેતરવાની યોજનાઓ બનાવતા હોય છે.”
અયૂબનો પ્રત્યુતર
16 ત્યારે અયૂબે પ્રત્યુતર આપ્યો,
2 “આ બધું તો મેં પહેલાં સાંભળેલું છે.
તમારો તો આશ્વાસન પણ ત્રાસદાયક છે.
3 શું તમારા નકામા શબ્દોનો અંત નથી?
તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કર્યા કરો છો.
4 જો તમારી જગાએ હું હોત તો હું આ પ્રમાણે જ બોલી શક્યો હોત.
મેં તમારી સામે ડાહી વાતો કરી અને માથું હલાવ્યું હોત.
5 માત્ર મૌખિક રીતેજ હું તમને હિંમત આપી શક્યો હોત,
માત્ર મારા હોઠ ફફડાવીને જ હું તમને આશ્વાસન આપી શક્યો હોત.
6 “જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી;
અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?
7 સાચેજ દેવ! તમે મારી શકિત લઇ લીધી છે,
તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે.
8 હે દેવ! તમે મને કેવો હાડપિંજર જેવો બનાવી દીધો છે!
લોકો એને મારાં પાપોનું પરિણામ માને છે.
9 “દેવ મારા પર હુમલો કરે છે,
તે મારી સાથે ઉદ્વિગ્ન છે અને મારા શરીરને કાપીને અલગ કરે છે.
દેવ મારી સામે તેના દાંત પીસે છે.
મારા દુશ્મનો મારી સામે ધિક્કારથી જુએ છે.
10 લોકો મારી આજુબાજુ ટોળે વળી ગયા છે.
તેઓ મારી મશ્કરી કરે છે અને મારા મોઢા પર તમાચો મારે છે.
11 દેવે મને દુષ્ટ લોકોને સોંપી દીધો છે;
તેણે દુષ્ટ લોકોને મને ઇજા પહોંચાડવાની મંજૂરી આપી છે.
12 હું સુખચેનમાં હતો,
ત્યારે તેણે મને કચડી નાખ્યો;
હા, તેમણે મને ગરદનમાંથી પકડ્યો
અને મારા ટૂકડેટૂકડા કરી નાખ્યા.
દેવે મારો નિશાન તરીકે ઉપયોગ કર્યો.
13 દેવના ધનુર્ધારી માણસોએ મને ઘેરી લીધો છે.
તેઓ મારુ હૃદય ફાડી નાખે છે.
તે દયા દાખવતા નથી.
તે મારુ પિત્ત જમીન પર ઢોળે છે.
14 મારાં પર તે વારંવાર આક્રમણ કરે છે
અને યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે.
15 “હું ખૂબ ઊદાસ છું તેથી મે આ શોકના વસ્ત્રો પહેર્યા છે,
હું અહી ધૂળ અને રાખ પર હાર માનીને બેઠો છું.
16 હું કોઇ ઉપર ક્રૂર થયો ન હતો.
મારી પ્રાર્થનાઓ પવિત્ર અને સાચી છે.
17 રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે.
મારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયાં છે.
18 “હે પૃથ્વી ન્યાય માટે તલસતાં મારા લોહીને તું ઢાંકી દઇશ નહિ.
મારી ફરિયાદ માટે પોકારતાં મારા અવાજને તું દાટી દઈશ નહિં.
19 હજુ પણ આકાશમાં કોઇ છે જે મારી તરફેણમાં બોલે છે.
ઉપર કોઇ છે જે મારી સાક્ષી પૂરશે.
20 મારા મિત્રો મારી વિરૂદ્ધ બોલે છે જયારે
હું દેવ આગળ આંસુ રેડું છું.
21 જેમ એક વ્યકિત તેના મિત્ર માટે દલીલો કરે
તેમ દેવ સામે મારા માટે બોલે છે.
22 “થોડાજ વર્ષો માં હું
એ જગ્યાએ જઇશ જ્યાંથી હું પાછો ફરવાનો નથી.
22 પણ શાઉલ વધારે ને વધારે બળવાન થયો. તેણે સાબિત કર્યુ કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. તેની સાબિતીઓ એટલી મજબૂત હતી કે દમસ્કમાં રહેતા યહૂદિઓ તેની સામે દલીલો કરી શક્યા નહિ.
શાઉલનું યહૂદિઓ પાસેથી ભાગી જવું
23 ઘણા દિવસો પછી, યહૂદિઓએ શાઉલને મારી નાખવાની યોજના કરી. 24 યહૂદિઓ રાતદિવસ શહેરના દરવાજાએ ચોકી કરતા અને શાઉલની રાહ જોતા. તેઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. પરંતુ શાઉલે તેઓની આ યોજનાના સંદર્ભમાં જાણ્યું. 25 એક રાત્રે શાઉલે જે કેટલાક શિષ્યોને શીખવ્યું હતું તેઓએ તેને શહેર છોડવા માટે મદદ કરી. શિષ્યોએ શાઉલને ટોપલામાં મૂક્યો. તેઓએ શહેરની દીવાલના બાકોરામાંથી ટોપલાને ઉપરથી નીચે ઉતાર્યો.
યરૂશાલેમમાં શાઉલ
26 પછી શાઉલ યરૂશાલેમમાં ગયો. તેણે શિષ્યોના સમૂહમાં જોડાઇ જવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ બધા તેનાથી ડરતા હતા. શાઉલ ખરેખર ઈસુનો શિષ્યો છે તે તેઓ માનતા ન હતા. 27 બાર્નાબાસે શાઉલને સ્વીકાર્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે પ્રેરિતોને કહ્યું, શાઉલે દમસ્કના રસ્તા પર પ્રભુને જોયો છે. બાર્નાબાસે પ્રેરિતોને સમજાવ્યું કે પ્રભુએ શાઉલ ને કેવી રીતે કહ્યું. પછી તેણે પ્રેરિતોને કહ્યું કે શાઉલે દમસ્કના લોકોને કોઇ પણ જાતના ભય વિના પ્રભુનો બોધ આપ્યો.
28 અને તેથી શાઉલ શિષ્યોની સાથે રહ્યો, તેણે સમગ્ર યરૂશાલેમમાં મુસાફરી કરી અને જરા પણ ભય વિના પ્રભુ વિષે બોધ આપ્યો. 29 શાઉલ વારંવાર યહૂદિઓ કે જે ગ્રીક બોલતા હતા તેમની સાથે બોલતો, તે તેઓની સાથે દલીલો પણ કરતો. પરંતુ તેઓ તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. 30 જ્યારે વિશ્વાસીઓએ આ સંદર્ભમાં સાંભળ્યું, તેઓ શાઉલને કૈસરિયાના શહેરમાં લઈ ગયા. કૈસરિયાથી તેઓએ શાઉલને તાર્સસના શહેરમાં મોકલ્યો.
31 ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.
લોદ અને યાફામાં પિતર
32 પિતરે યરૂશાલેમની આજુબાજુના બધા ગામોમાં યાત્રા કરી. તેણે વિશ્વાસીઓની મુલાકાત લીધી. જે લોદમાં રહેતા હતા. 33 લોદમાં તેને એક એનિયાસ નામનો પક્ષઘાતી માણસ મળ્યો. છેલ્લા આઠ વર્ષથી એનિયાસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો. 34 પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી પાથર! હવે તું તારી જાત માટે આ બધું કરી શકીશ!” એનિયાસ તરત જ ઊભો થયો. 35 લોદ તથા શારોનના મેદાનોના બધા જ લોકોએ તેને જોયો. આ લોકો પ્રભુ ઈસુ તરફ વળ્યા.
36 યાફા શહેરમાં ટબીથા નામની ઈસુની શિષ્યા હતી. (તેનું ગ્રીક નામ, દોરકસ, અર્થાત “હરણ.”) તે હંમેશા લોકો માટે શુભ કાર્યો કરતી. જે લોકોને પૈસાની જરુંર હોય તે લોકોને તે હંમેશા પૈસા આપતી. 37 જ્યારે પિતર લોદમાં હતો. ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી. તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી. 38 યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો. (લોદ યાફા નજીક છે.) તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા. તેઓએ તેને વિનંતી કરી. મહેરબાની કરીને ઝડપથી આવ.
39 પિતર તૈયાર થઈ ગયો અને તેઓની સાથે ગયો. જ્યારે તે આવી પહોંચ્યો, તેઓ તેને મેડી પરના ઓરડામાં લઈ ગયા. બધી જ વિધવાઓ પિતરની આજુબાજુ ઊભી રહી. તેઓ રુંદન કરતાં હતાં. ટબીથા જ્યારે જીવતી હતી ત્યારે જે વસ્ત્રો બનાવ્યા હતા તે તેઓએ પિતરને દેખાડ્યા. 40 પિતરે બધાજ લોકોને ઓરડાની બહાર કાઢ્યા. તેણે ધૂંટણીએ પડીને પ્રાર્થના કરી. પછી તેણે ટબીથાના મુડદા તરફ ફરીને કહ્યું, “ટબીથા, ઊભી થા!” તેણે તેની આંખો ઉઘાડી. જ્યારે તેણે પિતરને જોયો, તે ત્યાં બેઠી થઈ. 41 પિતરે તેનો હાથ લંબાવ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને અંદર ઓરડામાં બોલાવ્યા. તેણે તેઓને ટબીથા બતાવી; તે જીવતી હતી!
42 યાફામાં દરેક સ્થળે લોકોએ આ સંદર્ભમાં સાંભળ્યું હતું. આ લોકોમાંના ઘણાએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. 43 પિતર યાફામાં ઘણા દિવસો રહ્યો. તે યાફામાં સિમોન નામના એક ચમારને ત્યાં રહ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International