Old/New Testament
દાર્યાવેશનો વટહુકમ
6 એ પછી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો. 2 ત્યારે માદાય પ્રાંતના “એકબાતાના” કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો:
એમાં આ ટીપ્પણી હતી: 3 રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું.
તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી. 4 ભીંતોમાં મોટા પથ્થરના ત્રણ થર અને નવા લાકડાનો એક થર રાખવો. તમામ ખર્ચ રાજભંડારમાંથી કરવો. 5 તદુપરાંત યરૂશાલેમના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર જે સોના ચાંદીના વાસણો બાબિલ લઇ આવ્યો હતો તે પાછાં સોંપી દેવા, તે બધાં પાછા યરૂશાલેમના દેવના મંદિરમાં લઇ જઇ ત્યાં તેના મૂળસ્થાને ફરી ગોઠવી દેવાં.
6 ત્યારબાદ દાર્યાવેશે આ મુજબ હુકમ બહાર પાડ્યો:
ફ્રાંતની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબા તાત્તનાય, શથાર-બોઝનાય અને તેમના સાથી અમલદારો જોગ. તેઓએ ત્યાથી દૂર રહેવું. 7 દેવના મંદિરના બાંધકામમાં તમારે વિઘ્નો ન નાખવા, યહૂદાના પ્રશાસક અને યહૂદીયાઓના આગેવાનો દેવનું મંદિર એના અસલ સ્થાને ફરીથી બાંધે.
8 યહૂદીયાઓના વડીલોને દેવનું મંદિર બાંધવામાં તમારે મદદ કરવી એવું મારું ફરમાન છે: એનો સમગ્ર ખર્યો ફ્રાત પારના પ્રદેશના મહેસૂલમાંથી થતી રાજ્યની આવકમાંથી અચૂક ચૂકવી દેવો. જેથી કામ અટકી પડે નહિ. 9 આકાશના દેવને દહનાર્પણો અર્પવા માટે યરૂશાલેમના યાજકોને જુવાન વાછરડાં, બકરા, ઘેટાં, હલવાનો, તથા ઘઉં, મીઠું, દ્રાક્ષારસ અને તેલ તેઓ જે કઇં માગે તે બધું અચૂક દરરોજ પૂરું પાડવું. 10 જેથી તેઓ આકાશના દેવને પ્રસન્ન કરવા માટે સુવાસિત દહનાર્પણો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે.
11 વળી એવો હુકમ પણ કર્યો છે કે, જે કોઇ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરનો એક મોભ ખેંચી કાઢવામાં આવશે. અને તેનું ઘર કચરાનો ઢગલો કરી નાખવું.
12 જે રાજાઓ કે પ્રજાઓ યરૂશાલેમના દેવના મંદિરનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ભલે દેવ વિનાશ કરે.
હું દાર્યાવેશ તમને આ હુકમ કરું છું. તેનું સંપૂર્ણ વફાદારીથી પાલન કરવામાં આવે.
મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
13 ત્યારપછી ફ્રાંતની પશ્ચિમના પ્રદેશના સૂબા તાત્તનાયએ, શથાર-બોઝનાયે અને તેમના સાથીઓએ રાજા દર્યાવેશે મોકલેલી આજ્ઞાનું અક્ષરશ: પાલન કર્યુ. 14 યહૂદીયાઓના વડીલોએ પણ પ્રબોધકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાના વચનોથી પ્રેરાઇને મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યુ અને તેમનું ઉદેશ્ય પુરું કર્યુ. તેઓએ ઇસ્રાએલના દેવના ફરમાન મુજબ તથા કોરેશ, દાર્યાવેશ અને આર્તાહશાસ્તા અને ઇરાનના રાજાઓના ફરમાન મુજબ બાંધકામને પૂરું કર્યુ. 15 તે મંદિર રાજા દાર્યાવેશના રાજ્યના છઠ્ઠા વર્ષે અદાર મહિનાના ત્રીજે દિવસે પૂર્ણ થયું હતું.
16 ત્યારબાદ ઇસ્રાએલીઓએ યાજકોએ, લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરનું સમર્પણ ઉજવ્યું.
17 તેમણે 100 બળદો, 200 ઘેટાં, 400 હલવાન, અને બાર બકરાની આખા ઇસ્રાએલ માટેની પાપાર્થાપણની બલી આપી. 18 ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.
પાસ્ખાપર્વ
19 દેશવટેથી પાછા ફરેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું પર્વ ઊજવ્યું. 20 બધા જ યાજકો અને લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યુ હતું અને તેઓ હવે વિધિવત્ત શુદ્ધ હતા. લેવીઓએ બંદીવાસમાંથી આવેલા સર્વ લોકો તેમના સગાંવહાંલા, યાજકો અને પોતાને માટે પાસ્ખાના હલવાનનો વધ કર્યો. 21 ઇસ્રાએલી જેઓ દેશવટેથી પાછા આવ્યા હતા તેઓએ પાસ્ખા ખાધું, કેટલાક બીજાઓએ ઇસ્રાએલના દેવ યહોવાને શોધવા પોતાને પ્રજાની અશુદ્ધિઓથી જુદા કર્યા અને ઇસ્રાએલના દેવ યહોવા પાસે આવ્યા. તેઓએ તેમની સાથે ખાધું પણ ખરું. 22 સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીર રોટલીનું પર્વ ઊજવ્યું. તેઓ ખૂબ આનંદમાં હતા કારણકે યહોવાએ આશ્શૂરના રાજાના હૃદયમાં ઇસ્રાએલીઓ પ્રત્યે સદ્ભાવ જગાડી તેમના દેવ યહોવાના મંદિરના કામમાં તેમને મદદ કરવા પ્રેર્યાં હતાં.
એઝરાનું યરૂશાલેમમાં આગમન
7 ઇરાનના રાજા આર્તાહશાસ્તાના શાસનમાં એઝરા બાબિલથી યરૂશાલેમ આવ્યો. પોતાના કુટુંબના ઇતિહાસ પ્રમાણે એઝરા સરાયાનો પુત્ર હતો; સરાયા અઝાર્યાનો પુત્ર હતો. અઝાર્યા હિલ્કિયાનો પુત્ર હતો; 2 હિલ્કિયા શાલ્લૂમનો પુત્ર હતો; શાલ્લૂમ સાદોકનો પુત્ર હતો; સાદોક અહીટૂબનો પુત્ર હતો. 3 અહીટૂબ અઝાર્યાનો પુત્ર હતો; અઝાર્યા મરાયોથનો પુત્ર હતો; 4 મરાયોથ ઝરાહ્યાનો પુત્ર હતો; ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર હતો; ઉઝઝી બુક્કીનો પુત્ર હતો 5 બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.
6 એઝરા બાબિલથી આવ્યો, તે એક મહાન શિક્ષક હતો. જે ઇસ્રાએલના દેવ યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં ઘણો નિપૂણ હતો. તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. 7-8 કેટલાક યાજકો લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો મંદિરના સેવકો અને કેટલાક બીજા ઇસ્રાએલીઓ સાથે રાજા આર્તાહશાસ્તાના શાસનના સાતમા વર્ષના પાંચમા મહિનામાં તે યરૂશાલેમ પહોંચ્યો. 9 એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને તેના પર તેના દેવ યહોવાની હતી. એટલે તે પાંચમા મહિનાના પહેલે દિવસે યરૂશાલેમ આવી પહોંચ્યો હતો. 10 એઝરાએ પોતાનું આખું જીવન યહોવાના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને આચારમાં ઉતારવામાં અને ઇસ્રાએલીઓને તેનાં કાનૂનો અને આજ્ઞાઓ સમજાવવામાં ગાળ્યું હતું.
એઝરાને આર્તાહશાસ્તાનો પત્ર
11 રાજા આર્તાહશાસ્તાએ આ પત્ર યાજક એઝરાને આપ્યો, જે યહોવાના નિયમશાસ્રનો અને યહોવાએ ઇસ્રાએલને આપેલા હુકમોનો શિક્ષક હતો.
12 રાજાઓનાં રાજા આર્તાહશાસ્તા તરફથી:
આકાશના દેવનું નિયમશાસ્ત્ર શીખવનાર શિક્ષક એઝરા યાજકને ક્ષેમકુશળ:
13 હું આથી આજ્ઞા ફરમાવું છું કે, મારા રાજ્યમાંના ઇસ્રાએલીઓમાંથી તેમના યાજકોમાંથી કે લેવીઓમાંથી, જે કોઇ પોતાની રાજીખુશીથી યરૂશાલેમ જવા ઇચ્છે, તેમને તારી સાથે જવા દેવા.
14 મેં અને મારા સાત સલાહકારોએ તારા દેવનો જે નિયમ તારી પાસે છે તેની બાબતમાં યહૂદામાં અને યરૂશાલેમમાં શી સ્થિતિ છે તે તપાસવા માટે તને મોકલ્યો છે.
15 અને અમે તમને તમારી સાથે લઇ જવા માટે ચાંદી અને સોનું આપી રહ્યાં છીએ, આ ઇસ્રાએલના દેવ માટે ભેટ છે, જે યરૂશાલેમમાં નિવાસ કરે છે. 16 તદુપરાંત તારે બાબિલના સર્વ રાજ્યોમાંથી યરૂશાલેમના દેવના મંદિર માટે ચાંદી તથા સોનું સૈચ્છિકાર્પણો તરીકે યહૂદીયા અને તેઓના યાજકો પાસેથી ઉઘરાવવું.
17 આ બધી ભેટો સાથે બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પણ ચોક્કસ ખરીદવામાં આવે, જ્યારે તમે યરૂશાલેમ પહોંચો ત્યારે તે સર્વ અર્પણોનું યરૂશાલેમમાં તમારા દેવના મંદિરની વેદી પર બલિદાન ચઢાવવામાં આવે. 18 જે કઇં સોનુંચાંદી વધે તેનો ઉપયોગ તમારા દેવને પ્રસન્ન કરવા, જેમ તને અને તારા સાથીઓને ઠીક લાગે તે રીતે કરવો. 19 તમારા દેવના મંદિરની સેવા માટે જે વાસણો તને આપવામાં આવ્યાં છે, તે તારે પૂરેપૂરા યરૂશાલેમમાં દેવને આપી દેવાં. 20 અને જો તારા દેવનાં મંદિર માટે બીજા કશાની તને જરૂર પડે તો તું રાજ્યની તિજોરીમાંથી જરૂર વાપરી શકે છે.
21 હું રાજા આર્તાહશાસ્તા ફ્રાંત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, આકાશના દેવના નિયમશાસ્ત્રના લહિયા યાજક એઝરા જે કઇં માગે તે તમારે વિના વિલંબે પૂરું પાડવાનું છે. 22 3,400 કિલો[a] ચાંદી, 16,300 કિલો[b] ઘઉં, 600 ગેલન[c] દ્રાક્ષારસ અને 600 ગેલન તેલથી પ્રમાણ વધી ન જાય; મીઠું જોઇએ તેટલું આપવું. 23 આકાશના દેવ પોતાના મંદિર માટે જે કઇં ફરમાવે, તે બધું તમારે તાબડતોબ કરવાનું છે, નહિ તો કદાચ મારા રાજ્ય પર અને મારા વંશજો પર તેમનો રોષ ઊતરે.
24 અને તમને એ પણ જણાવવામાં આવે છે કે, કોઇ પણ વધારાનો કરવેરો યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે મંદિરના સેવકો કે દેવના મંદિરના બીજા કર્મચારીઓ પાસેથી લેવાનો નથી. 25 અને એઝરા, તું તને દેવે જે બુદ્ધિ આપી છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કર અને ફ્રાંત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા દેવના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓને નિયુકત કર; જો તેઓને યહોવાના નિયમશાસ્ત્રનું જ્ઞાન ના હોય તો તારે તેઓને શીખવવું. 26 દેવના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાનૂનનું પાલન કરવાની ના પાડનારને તાત્કાલિક મૃત્યુદંડ અથવા દેશમાંથી હદપાર કરવાની સજા અથવા તેનો સામાન જપ્ત કરવાની અથવા કેદની સજા કરવી.
એઝરાની દેવને સ્તુતિ
27 ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના દેવ યહોવાની સ્તુતિ હો! કારણ કે તેણે રાજાને યરૂશાલેમના યહોવાના મંદિરનો મહિમાં વધારવાની પ્રેરણા કરી છે. 28 અને તેમણે રાજાને, તેના મંત્રીઓને અને બધા ઉચ્ચ અધિકારીઓને મારા પ્રત્યે સદ્ભાવના ધરાવતા કર્યા છે. મને ખબર છે કે મારા પર મારા યહોવા દેવની કૃપા હતી તેથી મેં ઇસ્રાએલના આગેવાનોને મારી સાથે યરૂશાલેમ જવા માટે ભેગા કર્યા.”
એઝરા સાથે પાછાં ફરેલાં આગેવાનોની યાદી
8 આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમ્યાન બાબિલથી મારી સાથે જેઓ આવ્યા હતા તેઓના કુટુંબના વડવાઓના નામ આ મુજબ છે:
2 ફીનહાસના વંશજોમાંનો ગેર્શોમ; ઇથામારના વંશજોમાંનો દાનિયેલ; દાઉદના વંશજોમાંનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.
3 પારોશના વંશજોમાંનો ઝખાર્યા; તેની સાથે વંશાવળી મુજબ 150 પુરુષો નોંધાયા હતા.
4 પાહાથ-મોઆબના વંશજોમાંથી ઝરાહ્યાનો પુત્ર એલ્યહોએનાય; તેની સાથે 200 પુરુષો હતા.
5 શખાન્યાના વંશજોમાંનો યાહઝીએલનો પુત્ર; તેની સાથે ત્રણસો પુરુષો હતા.
6 આદીનના વંશજોમાંનો યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે 50 પુરુષો હતા.
7 એલામના વંશજોમાંના અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.
8 શફાટયાના વંશજોમાંના મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે 80 પુરુષો હતા.
9 યોઆબના વંશજોમાંના યહીએલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે 218 પુરુષો હતા.
10 શલોમીથના વંશજોમાંના યોસિફયાનો પુત્ર તેની સાથે 160 પુરુષો હતા.
11 બેબાયના વંશજોમાનાં બેબાયનો પુત્ર ઝર્ખાયા; તેની સાથે 28 પુરુષો હતા.
12 અઝગાદના વંશજોમાંના હાક્કાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એકસો દશ પુરુષો હતા.
13 છેલ્લા અદોનીકામના વંશજો હતા; તેઓનાં નામ આ છે: અલીફેલેટ, યેઉએલ, શમાયા, ને તેઓની સાથે 60 પુરુષો હતા.
14 બિગ્વાયના વંશજોમાંના ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે 70 પુરુષો હતા.
યરૂશાલેમમાં પુન:પ્રયાણ
15 અમે નદીને કિનારે એકઠા થયા જે આહવા તરફ વહેતી અને ત્યાં ત્રણ દિવસ માટે પડાવ નાખ્યો. તે દરમ્યાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ એક પણ લેવી નોંધાયો ન હતો. 16 તેથી મેં અલીએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ તથા લેવી આગેવાનોને તેડાવ્યા. વળી મેં યોયારીબ અને એલ્નાથાન બોધકોને પણ બોલાવ્યા, કારણકે તેઓ ખૂબ અભ્યાસી માણસો હતા. 17 અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા, અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા તેના જાતભાઇઓને અમારા દેવનાં મંદિર માટે સેવકો મોકલવા કહેવડાવ્યું. 18 અને અમારા પર દેવની કૃપા હતી. એટલે તેમણે અમારી પાસે નીચે પ્રમાણે સેવકો મોકલ્યા: ઇસ્રાએલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઇઓ અને તેના પુત્રો, કુલ 18 પુરુષો. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો. 19 મરારીના વંશજો હશાબ્યા અને યશાયા, તેના ભાઇઓ તથા તેઓના પુત્રો કુલ 20 પુરુષો. 20 દાઉદે તથા તેના સરદારોએ મંદિરની સેવાને માટે જે નથીનીમને નીમ્યા હતા, તેઓમાંના 220 ને; એ બધાનાં નામ દર્શાવેલા હતાં.
21 અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસની જાહેરાત કરી, જેથી અમે અમારા દેવની આગળ પોતાને નમ્ર બનાવીએ; અમે પ્રાર્થના કરી કે તે અમારું, અમારા બાળકોનું તથા અમારા સામાનનું મુસાફરી દરમ્યાન રક્ષણ કરે. 22 શત્રુઓથી માર્ગમાં અમારું રક્ષણ કરવા માટે રાજા પાસે પાયદળના સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને શરમ આવી. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઇ દેવની આરાધના કરે છે તેના પર દેવ પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે, પણ જે કોઇ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેનો ભયંકર કોપ ઉતરે છે.” 23 આથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે દેવને પ્રાર્થના કરી, અને તેણે અમારી પ્રાર્થના સાંભળી.
24 પછી મેં યાજકોમાંથી બાર આગેવાનોને પસંદ કર્યા, મેં શેરેબ્યાને, હશાબ્યાને તથા તેના ભાઇઓમાંથી દસને પસંદ કર્યા; 25 મેં તે બધું સોનુ ચાંદી અને બીજી વસ્તુઓનું વજન કર્યુ જે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધાં ઇસ્રાએલીઓએ દેવના મંદિર માટે આપ્યું હતું. 26 મેં તેમને 22,100 કિલો ચાંદી, 3,400 કિલો વજનના ચાંદીના વાસણો, 3,400 કિલોગ્રામ સોનું. 27 સોનાનાં 20 ઘડાઓ, જેનું વજન 8-1/2 કિલોગ્રામ હતું, અને પિત્તળના બે વાસણો, જે સોના જેટલાં જ કિંમતી હતાં તે આપ્યાં. 28 અને મેં તે યાજકોને કહ્યું, “તમે યહોવાને સમર્પિત થયેલા છો, તેમ આ વાસણો પણ યહોવાને સમર્પિત થયેલા છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના દેવ યહોવાને સ્વેચ્છાએ ધરાવેલી ભેટ છે.” 29 મેં તેઓને કહ્યું, “આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; મંદિરે પહોંચો ત્યાં સુધી એનું રક્ષણ કરજો. ત્યાં યહોવાના મંદિરના ભંડારના ઓરડાઓમાં યાજકોના અને લેવીઓના આગેવાનો તથા યરૂશાલેમના ઇસ્રાએલીઓનાં કુટુંબના વડાઓની સમક્ષ વજન કરીને સોંપી દેજો.”
30 આથી યાજકોએ અને લેવીઓએ યરૂશાલેમ દેવના મંદિરે લઇ જવા માટે ચાંદી, સોનું અને વાસણો સંભાળી લીધાં.
31 અમે પહેલા મહિનાને બારમે દિવસે આહવા નદીથી યરૂશાલેમ આવવા ઊપડ્યા. અમારા પર દેવની કૃપાષ્ટિ હતી અને તેણે માર્ગમાં દુશ્મનોનાં હુમલાથી અને ચોર લૂંટારાથી અમારું રક્ષણ કર્યુ. 32 અને આમ અમે યરૂશાલેમ પહોંચ્યા પછી અમે ત્રણ દિવસ આરામ લીધો. 33 અને ચોથે દિવસે, યાજક ઊરિયાનો પુત્ર મરેમોથ, ફીનહાસનો પુત્ર એલઆઝાર, યેશુઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઇનો પુત્ર નોઆદ્યાએ ચાંદી, સોનું અને બીજી કિંમતી વસ્તુઓનું અમારા દેવનાં મંદિરમાં વજન કર્યુ. 34 દરેક વસ્તુઓનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીનું કુલ વજન નોંધી લેવાયું હતું.
35 ત્યારપછી જેઓ દેશવટેથી પાછા ફર્યા હતા, તેમણે આખા ઇસ્રાએલ તરફથી યહોવાને બાર બળદો અર્પણ કર્યા, 96 ઘેટાં, 77 ઘેટાંઓ દહનાર્પણ તરીકે, અને પાપાર્થાર્પણ તરીકે બાર બકરા ધરાવ્યાં; તેઓએ આ બધું જ યહોવાને દહનાર્પણ રૂપે ચઢાવ્યું.
36 રાજાનો હુકમ ફાત નદીની પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમજ પ્રશાસકોને જણાવવામાં આવ્યો અને તે નેતાઓએ લોકોને અને દેવના મંદિરના કામમાં ઘણો જ સહકાર આપ્યો.
ઈસુના સાત શિષ્યોને દર્શન
21 પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું. 2 શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા. 3 સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”
બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.
4 બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો. 5 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?”
શિષ્યોએ કહ્યું, “ના.”
6 ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.
7 ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો. 8 બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા. 9 જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી. 10 પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”
11 સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ. 12 ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો. 13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.
14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.
ઈસુ પિતર સાથે વાત કરે છે
15 જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનો[a] ની સંભાળ રાખ.”
16 ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”
17 ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!”
ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ. 18 હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.” 19 (ઈસુએ દેવનો મહિમા પ્રગટ કરવા, તે દર્શાવવા એમ કહ્યું.) પછી ઈસુએ પિતરને કહ્યું, “મારી પાછળ આવ!”
20 પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”) 21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય, તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ. તું મારી પાછળ આવ!”
23 તેથી એ વાત ભાઈઓમાં અંદર અંદર પ્રસરી. તેઓ કહેતા હતા કે આ શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતો હતો તે મૃત્યુ પામશે નહિ. પણ ઈસુએ કહ્યું ન હતું કે તે મૃત્યુ પામશે નહિ. તેણે ફક્ત કહ્યું, “ધારો કે મેં નક્કી કર્યુ હોય કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવે એમાં તારે શું?”
24 તે શિષ્ય જે આ બાબત કહે છે, તે જેણે હમણાં આ બાબત લખી છે. અમે જાણીએ છીએ કે તે જે કહે છે તે સાચું છે.
25 ત્યાં બીજી ઘણી બાબતો છે જે ઈસુએ કરી છે. જો તે બાબતોના પ્રત્યેક કામો લખવામાં આવે તો હું ધારું છું કે એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International