Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 11

સંસારનું વિભાજન

11 જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા. લોકો પૂર્વમાંથી આગળ વધ્યા અને શિનઆરના મેદાનમાં આવી પહોચ્યા. અને ત્યાં જ ઠરીઠામ થયા. લોકોએ એક બીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો બનાવીએ અને ભઠ્ઠામાં પકવીએ.” આમ, લોકો પોતાના ઘર બનાવવા માંટે પથ્થરોની જગ્યાએ ઇટોનો ઉપયોગ કરવા લાગ્યા. તથા છોની જગ્યાએ ડામર વાપરવા લાગ્યા.

પછી લોકોએ કહ્યું, “ચાલો, આપણે આપણા માંટે એક નગર બનાવીએ અને એક ગગનચુંબી ઇમાંરત ઊભી કરીએ. પછી આપણે લોકો નામના મેળવીશું. જો આપણે લોકો આમ કરીશું તો પૃથ્વી પર કદી વેરવિખેર થઈશું નહિ અને એક જ જગ્યાએ એક સાથે રહીશું.”

ગગનચુંબી ઇમાંરત અને નગર જોવા માંટે યહોવા નીચે ઊતરી આવ્યા. યહોવાએ લોકોને આ બધું બાંધતા જોયા. તેથી તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે, અને તેઓની ભાષા પણ એક જ છે. હું જોઉ છું કે, તેમની યોજનાઓ મુજબ કરવા માંટે તેઓ ભેગા થયા છે. આ તો ફકત તેઓ શું કરી શકે છે તેની શરુઆત છે અને હવે તેઓ જે કંઈ કરવા માંગે છે તે કરતાં એમને કોઈ રોકી શકશે નહિ. એટલા માંટે, ચાલો આપણે નીચે જઈએ અને એમની ભાષાને ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજી ન શકે.”

આથી યહોવાએ તે લોકોને તે જગ્યાએથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા, અને તે લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું. તે એ જગ્યા હતી જયાં યહોવાએ આખી પૃથ્વીની ભાષાને ગૂંચવી નાખી હતી. આથી આ જગ્યાનું નામ બાબિલ પડયું. અને અહીંથી જ યહોવાએ એ લોકોને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા હતા.

શેમના પરિવારની કથા

10 આ શેમના પરિવારની કથા છે. વિનાશક જળપ્રલય પછીના બીજા વર્ષે શેમ જ્યારે 100 વર્ષનો હતો ત્યારે, તેને ત્યાં આર્પાકશાદનો જન્મ થયો હતો. આર્પાકશાદના જન્મ પછી 11 શેમ 500 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્રપુત્રીઓ થયા.

12 આર્પાકશાદ જ્યારે 35 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં શેલાહનો જન્મ થયો. 13 આર્પાકશાદ 403 વર્ષ જીવતો રહ્યો. અને તે અરસામાં તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.

14 જયારે શેલાહ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં હેબેરનો જન્મ થયો. 15 હેબેરના જન્મ પછી શેલાહ 403 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.

16 જયારે હેબર 34 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં પેલેગનો જન્મ થયો. 17 પેલેગના જન્મ પછી હેબેર 430 વર્ષ જીવતો રહ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.

18 જયારે પેલેગ 30 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં “રેઉ” નો જન્મ થયો. 19 રેઉના જન્મ પછી પેલેગ 209 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં હતા.

20 જયારે રેઉ 32 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં સરૂગનો જન્મ થયો. 21 સરૂગના જન્મ પછી રેઉ 207 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.

22 જયારે સરૂગ 30 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં નાહોર જન્મ્યો. 23 નાહોરના જન્મ પછી સરૂગ 200 વરસ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.

24 જયારે નાહોર 29 વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર “તેરાહ”નો જન્મ થયો. 25 તેરાહના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં.

26 જયારે તેરાહ 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાનનો જન્મ થયો.

તેરાહના પરિવારની કથા

27 આ તેરાહના પરિવારની કથા છે. તેરાહને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાન જન્મ્યા હતાં. હારાન લોતનો પિતા હતો. 28 હારાન તેની જન્મભૂમિ કાસ્દીઓના “ઉર” નગરમાં મૃત્યુ પામ્યો. જયારે હારાન મૃત્યુ પામ્યો ત્યારે તેનો પિતા “તેરાહ” જીવતો હતો. 29 ઇબ્રામ અને નાહોર બંન્નેએ લગ્ન કર્યા. ઇબ્રામની પત્નીનું નામ સારાય હતું. અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. મિલ્કાહ હારાનની પુત્રી હતી. હારાનને યિસ્કાહ નામે બીજો એક પુત્ર હતો. 30 સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.

31 તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના “ઉર” નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. 32 તેરાહ 205 વર્ષ જીવ્યો પછી હારાનમાં અવસાન પામ્યો.

માથ્થી 10

ઈસુએ પ્રેરિતોને ઉપદેશ માટે મોકલ્યા

(માર્ક 3:13-19; 6:7-13; લૂ. 6:12-16; 9:1-6)

10 ઈસુએ તેના બાર શિષ્યોને બોલાવ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓને કાઢવાની તથા દરેક જાતની માંદગી અને બીમારીમાંથી સાજા કરવાની શક્તિ આપી. બાર પ્રેરિતોનાં નામ આ પ્રમાણે છે:

પ્રથમ સિમોન જે પિતર કહેવાય છે

તેનો ભાઈ આંન્દ્રિયા,

ઝબદીનો દીકરો યાકૂબ

તથા તેનો ભાઈ યોહાન.

ફિલિપ

અને બર્થોલ્મી;

થોમા

તથા કર ઉઘરાવનાર માથ્થી;

અલ્ફીનો દીકરો યાકૂબ

અને થદી;

સિમોન કનાની[a]

તથા યહૂદા ઈશ્કરિયોત, જે તેને દુશ્મનના હાથમાં સોપી દેનારો હતો.

આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે “જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ. પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે. જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે, ‘આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો. તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ. 10 મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ.

11 “જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો. 12 જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’ 13 જો ઘરના લોકો લાયક હશે તો તમારા આશીર્વાદ એમની સાથે રહેશે. પણ જો તેઓ લાયક નહિ હોય તો તમે આપેલી શાંતિની આશિષ તમારી પાસે પાછી આવશે. 14 અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો. 15 હું તમને સત્ય કહું છું કે, ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે. તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે.

ઈસુ મુસીબતો વિષે ચેતવે છે

(માર્ક 13:9-13; લૂ. 21:12-17)

16 “સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ. 17 લોકોથી ચેતના રહેજો, કારણ એ લોકો તમારી ધરપકડ કરશે. તમને ન્યાય માટે લઈ જશે અને સભાસ્થાનોમાં લઈ જઈ તમારા પર કોરડા ફટકારાશે. 18 તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. 19 જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે. 20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.

21 “ભાઈઓ, ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે. પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે. 22 જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે. 23 જ્યારે તમારી એક નગરમાં પજવણી કરવામાં આવે તો તમે બીજા નગરમાં જતાં રહેજો. તમને સાચું જ કહું છું કે, માણસનો દીકરો આવે તે પહેલા તમે ઈસ્રાએલના તમામ નગરોમાં ફરી વળશો.

24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. 25 ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!

પ્રભુથી ડરો, લોકોથી નહિ

(લૂ. 12:2-7)

26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો.

28 “જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. 29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. 30 દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે. 31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.

લોકોને તમારા વિશ્વાસ વિષે કહો

(લૂ. 12:8-9)

32 “જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ. 33 પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.

ઈસુ વિષે લોકોનો અસ્વીકાર

(લૂ. 12:51-53; 14:26-27)

34 “એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, શાંતિ તો નહિ, પણ હું તલવાર લઈને આવ્યો છું.

35-36 ‘હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ,
પુત્રીને તેની મા વિરૂદ્ધ,
અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું.
મનુષ્યના શત્રું તો તેમના ઘરના લોકો જ બનશે.’[b]

37 “જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી. 38 જે માણસ તેને આપવામાં આવેલ વધસ્તંભનો સ્વીકાર કરતો નથી તો તે મારો શિષ્ય થવા માટે યોગ્ય નથી. 39 જે માણસ મારા કરતાં તેના જીવનને વધારે પ્રેમ કરે છે તે સાચું જીવન ગુમાવી દેશે. પણ જે મારા માટે જીવન અર્પણ કરી શકશે તેજ સાચું જીવન પ્રાપ્ત કરી શકશે.

જે વ્યક્તિ આપણી વિરુંદ્ધ નથી તે આપણા પક્ષનો છે

(માર્ક 9:41)

40 “જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે. 41 જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે. 42 હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”

એઝરા 10

લોકોની પોતાનાં પાપોની કબૂલાત

10 એઝરા દેવનાં મંદિર આગળ પગે પડીને રડતો રડતો પ્રાર્થના કરતો હતો અને અપરાધની કબૂલાત કરતો હતો, તે દરમ્યાન ઇસ્રાએલી સ્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઇ ગયું અને હૈયાફાટ રૂદન કરવા લાગ્યું. ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની વિધર્મી સ્ત્રીઓને પરણીને દેવનો અવિશ્વાસ કર્યો છે. તેમ છતાં ઇસ્રાએલીઓ માટે હજી આશા છે. હવે આપણે આપણા દેવ સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેમના પુત્રો સાથે હાંકી કાઢીશું. અમે આ પ્રમાણે તમારી અને દેવથી ડરીને ચાલનારા બીજાઓની સલાહ પ્રમાણે કરીશું. દેવના નિયમનું પાલન થવું જ જોઇએ. ઊઠો, આ કામ તમારું છે. અમે તમને ટેકો આપીશું. હિંમત રાખો અને કામ પાર ઉતારો.”

ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇસ્રાએલીઓને સમ ખવડાવ્યા કે અમો એ વચન પ્રમાણે જ કરીશું. તેથી તેઓએ સમ ખાધા. ત્યારબાદ એઝરાએ મંદિર સામેની તેની જગ્યા છોડી અને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. અને દેશવટેથી પાછા ફરેલા ઇસ્રાએલીઓએ દીધેલા છેહથી શોકમાંને શોકમાં અન્નજળ લીધા વગર તેણે ત્યાં જ રાત ગાળી. તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદામાં તથા યરૂશાલેમમાં તથા જેઓ બધાં બંધક બનાવાયા હતાં તે બધાંને યરૂશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું. અને ત્રણ દિવસમાં જે કોઇ આવી નહિ પહોચે તેની બધી માલમિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંધકોના સમૂહમાંથી દૂર કરવામાં આવશે આ આગેવાનો અને વડીલોનો નિર્ણય હતો.

આથી ત્રણ દિવસની અંદર યહૂદાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરૂશાલેમમાં ભેગા થયા અને નવમા મહિનાના વીસમાં દિવસે તેઓ બધા દેવના મંદિરનાં પ્રાંગણમાં બેઠા આ વાતના ભયના લીધે તેઓ બધાં ગંભીર અને મૂશળધાર વરસાદમાં થરથર ૂજતાં હતાં. 10 પછી યાજક એઝરાએ ઊભા થઇને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓને પરણીને યહોવાને છેહ દીધો છે, અને ઇસ્રાએલના અપરાધમાં વધારો કર્યો છે. 11 માટે હવે તમારા પિતૃઓના દેવ યહોવા આગળ પાપોની કબૂલાત કરો અને તેની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસતા અન્ય દેશોના લોકોથી અને તમારી વિધર્મી પત્નીઓથી અલગ થઇ જાઓ.”

12 ત્યારે આખી સભા મોટે સાદે બોલી ઊઠી, “જરૂર, તમે કહો તે પ્રમાણે અમારે કરવું જ જોઇએ. 13 પણ તમે લોકો ઘણા છો, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું પણ નથી; આ બાબતમાં અમે તો મોટું પાપ કર્યું છે. 14 આપણા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે, અને દરેક શહેરમાં તમારામાંના જેઓ વિધર્મી સ્ત્રીઓને પરણ્યા છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, જ્યાં સુધી આપણા પરથી આ કારણે ભભૂકી ઊઠેલો દેવનો કોપ ઉતરી ન જાય.”

15 કેવળ અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાહનો પુત્ર યાહઝયા એ વાતના વિરોધી થયા; અને તેમને લેવીઓ મશુલ્લામ તથા શાબ્બાથાયે ટેકો આપ્યો. બાકીના લોકોએ એનો સ્વીકાર કર્યો.

16 તેથી બંધકોએ પણ તે પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ તે તે કુટુંબના પ્રતિનિધિ તરીકે કેટલાંક કુટુંબના વડાઓને પસંદ કર્યા અને તેમનાં નામની યાદી બનાવી. દશમા મહિનાના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી 17 અને પહેલા મહિનાના પહેલા દિવસ સુધીમાં તેમણે વિધર્મી સ્ત્રીઓને પરણેલાં બધા માણસોની તપાસ પૂરી કરી.

વિધર્મી સ્ત્રીઓને પરણેલા પુરુષોની નામાવલી

18 યાજકોના કુટુંબોમાં નીચેના માણસો વિધર્મી સ્ત્રીઓને પરણેલા માલૂમ પડ્યા હતા, તેઓ આ મુજબ છે:

યેશુઆના વંશજોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઇઓ માઅસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા. 19 એ બધાએ પોતાની પત્નીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું અને દરેકે પોતાના પાપના પાપાર્થાર્પણ તરીકે એક ઘેટો ધરાવ્યો;

20 ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબદીયા;

21 હારીમના વંશજોમાંથી માઅસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઊઝઝિયા,

22 પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માઅસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલઆસાહ.

23 લેવીઓમાંથી

યોઝાબાદ, શિમઇ, કેલાયા (કેલીટા પણ કહેવાય છે), પથાહ્યા યહૂદા અને અલીએઝેર.

24 ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.

25 અન્ય ઇસ્રાએલીઓમાં:

પારોશના વંશજોમાંના; રામ્યાહ, યિઝિઝયા, માલ્કિયા, મીયામીન, એલઆઝાર, માલ્કિયા તથા બનાયા.

26 માત્તાન્યા, ઝર્ખાયા, યહીએલ, આબ્દી, યરેમોથ તથા એલિયા તે બધાં એલામના વંશજોમાંથી.

27 ઝાત્તૂના વંશજોમાંના: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.

28 બેબાયના વંશજોમાંના; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથ્લાય.

29 બાનીના વંશજોમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાસૂબ, શેઆલ તથા યરેમોથ.

30 પાહાથમોઆબના વંશજોમાંના; આદના, કલાલ, બનાયા, માઅસેયા, માત્તાન્યા, બસાલએલ, બિન્નૂઇ તથા મનાશ્શા.

31 હારીમના વંશજોમાંના: અલીએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન, 32 બિન્યામીન, માલ્લૂખ તથા શમાયા.

33 હાશુમના વંશજોમાંના; માત્તનાય, માત્તાત્તાહ, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,

34 બિગ્વાયના વંશજોમાંના; માઅદાય, આમ્રામ, ઉએલ; 35 બનાયા, બેદયા, કલૂહુ; 36 વાન્યા, મરેમોથ, એલ્યાશીબ; 37 માત્તાન્યા, માત્તનાય, યાઅસુ;

38 બિન્નૂઇના વંશજોમાંથી બાની, શિમઇ, 39 નાથાન, શેલેમ્યા, અદાયા, 40 માખ્નાદબાય, શાશાય, શારાય, 41 અઝારએલ, શેલેમ્યા, શેમાર્યા, 42 શાલ્લૂમ, અમાર્યા અને યૂસેફ;

43 નબોના વંશજોમાંના; યેઇએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદો, યોએલ તથા બનાયા.

44 એ સર્વ પરદેશી સ્ત્રીઓને પરણ્યા હતા; તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી છોકરાં થયાં હતા.

પ્રેરિતોનાં કૃત્યો 10

પિતર અને કર્નેલિયસ

10 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો. કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો. એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”

કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?”

તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે. સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.” જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો. કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.

બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો. 10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. 11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું. 12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. 13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”

14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”

15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!” 16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું. 17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?

કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં. 18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”

19 પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે. 20 ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.” 21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”

22 તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.” 23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.

બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા. 24 બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.

25 જ્યારે પિતર ઘરમાં પ્રવેશ્યો, કર્નેલિયસ તેને મળ્યો. કર્નેલિયસ પિતરના ચરણોમાં નમી પડ્યો અને તેણે દંડવત પ્રણામ કર્યા. 26 પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.” 27 પિતરે કર્નેલિયસ સાથે વાતો કરવાનું ચાલું રાખ્યું, પછી પિતર અંદરની બાજુએ ગયો અને ત્યાં એક મોટું લોકોનું ટોળું એકઠું થયેલું જોયું.

28 પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ. 29 તેથી જ જ્યારે મને અહી આવવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કોઇ દલીલ કરી નથી. હવે, કૃપા કરીને મને કહો, મને શા માટે બોલાવવામાં આવ્યો છે.”

30 કર્નેલિયસે કહ્યું, “ચાર દિવસ પહેલા, હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા. અચાનક, મારી સામે એક માણસ (દૂત) ઊભો હતો. તેણે ચળકતો પોશાક પહેરેલો હતો. 31 તે માણસે કહ્યું, ‘કર્નેલિયસ! દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે દેવે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. 32 તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’ 33 તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ. હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ.”

પિતરનું કર્નેલિયસના ઘરમાં ભાષણ

34 પિતરે બોલવાનું શરું કર્યુ, “હવે હું ખરેખર સમજું છું કે દેવ સમક્ષ પ્રત્યેક વ્યક્તિ એક સમાન છે. 35 અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી. 36 દેવે યહૂદિ લોકોને કહ્યું છે. દેવે તેમને સુવાર્તા મોકલી છે કે ઈસુ ખ્રિસ્ત દ્ધારા શાંતિ આવી છે. ઈસુ તે સર્વનો પ્રભુ છે!

37 “યહૂદિયામાં સર્વત્ર શું બન્યું છે તે તું જાણે છે. યોહાને લોકોને બાપ્તિસ્માના સંદર્ભમાં બોધ આપ્યો પછી તે ગાલીલમાં શરું થઈ. 38 તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.

39 “ઈસુએ યહૂદિયા અને યરૂશાલેમમાં જે બધું કર્યુ તે અમે જોયું. અમે સાક્ષી છીએ. વળી ઈસુની હત્યા થઈ હતી. તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર લટકાવ્યો. 40 પરંતુ, તેના મૃત્યુ પછીના ત્રીજા દિવસે દેવે ઈસુને મૂએલામાંથી ઉઠાડ્યો. દેવે લોકોને સ્પષ્ટ રીતે ઈસુના દર્શન કરાવ્યા. 41 પરંતુ બધા જ લોકો ઈસુને જોઈ શક્યા નહિ. ફક્ત સાક્ષીઓ કે જેમને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓએ તેને જોયો. અમે તે સાક્ષીઓ છીએ. ઈસુ જ્યારે મૃત્યુમાંથી ઉઠ્યો પછી, અમે તેની સાથે ખાધું છે અને પીધું છે.

42 “ઈસુએ અમને લોકોને બોધ આપવાનું કહ્યું અને સાક્ષી આપો કે દેને એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ તરીકે પસંદ કરેલ છે. 43 પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”

બિનયહૂદિઓમાં પવિત્ર આત્મા આવ્યો

44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. 45 યહૂદિ વિશ્વાસીઓ જેઓ ત્યાં પિતર સાથે આવ્યા હતા તેઓ નવાઇ પામ્યા. તેઓને નવાઇ લાગી હતી કે પવિત્ર આત્મા બિનયહૂદિ લોકો પર પણ રેડાયો છે. 46 આ યહૂદિ વિશ્વાસીઓએ તેઓને વિવિધ ભાષામાં બોલતા અને દેવની સ્તુતિ કરતા સાંભળ્યા. પછી પિતરે કહ્યું, 47 “અમે તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાની મનાઇ કરી શકીએ નહિ. તેઓને આપણી માફક જ પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે!” 48 તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International