Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 4

પહેલો પરિવાર

આદમ અને તેની પત્ની હવા વચ્ચે જાતિય સંબંધ થયો અને તે ગર્ભવતી થઈ અને એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેઓએ “કાઈન” રાખ્યું. હવાએ કહ્યું, “યહોવાની સહાયથી મને પુત્ર મળ્યો છે.”

એ પછી હવાએ બીજા બાળકને જન્મ આપ્યો. તે બાળક “કાઈન” નો ભાઈ હાબેલ હતો. હાબેલ ભરવાડ બન્યો અને કાઈન ખેડૂત બન્યો.

પ્રથમ હત્યા

3-4 પાકના સમયે કાઈન યહોવા પાસે એક અર્પણ લાવ્યો, પોતાની જમીનમાં પેદા કરેલા અનાજમાંથી થોડું અનાજ તે લાવ્યો. પરંતુ હાબેલ પોતાનાં ઘેટા અને બકરાના સમૂહમાંથી થોડા પ્રાણીઓ લાવ્યો. હાબેલ પોતાના સૌથી શ્રેષ્ઠ ઘેટાં અને બકરાંનાં પહેલાં બચ્ચાં તેમની ચરબી સાથે લાવ્યો.

યહોવાએ હાબેલ અને તેના અર્પણોનો સ્વીકાર કર્યો. પરંતુ યહોવાએ કાઈન તથા તેના અર્પણનો અસ્વીકાર કર્યો તેથી કાઈન ખૂબ ગુસ્સે થયો અને દુ:ખી થયો. યહોવાએ કાઈનને પૂછયું, “તું કેમ રોષે ભરાયો છે? તારું મોંઢું ઉતરેલું કેમ દેખાય છે? જો તું સારાં કામ કરીશ, તો માંરી નજરમાં તું યોગ્ય ઠરીશ. અને પછી હું તારો સ્વીકાર કરીશ. પરંતુ જો તું ખરાબ કામ કરીશ તો તે પાપ તારા જીવનમાં રહેશે. તારાં પાપો તને તેના વશમાં રાખવા ઈચ્છશે પરંતુ તારે તારાં પાપોને તારા પોતાના વશમાં રાખવા પડશે.”

કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલો, આપણે બહાર મેદાનમાં જઈએ.” તેથી કાઈન અને હાબેલ મેદાનમાં ગયા. અને પછી કાઈને પોતાના ભાઈ પર હુમલો કર્યો અને તેની હત્યા કરી.

પછી યહોવાએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?”

કાઈને જવાબ આપ્યો, “હું નથી જાણતો, શું એ માંરું કામ છે કે, હું માંરા ભાઈની ચોકી કરું, ને સંભાળ રાખું?”

10 પછી યહોવાએ કહ્યું, “તેં આ શું કર્યું? તારા ભાઈનું લોહી ધરતીમાંથી મને પોકાર આપતા અવાજ જેવું છે 11 તેં તારા પોતાના ભાઈની હત્યા કરી છે. અને હવે તારા ભાઈનું રકત તારા હાથથી લેવાને જે ધરતીએ પોતાનું મોં ખોલ્યું છે, તેથી હવે હું આ ભૂમિને ખરાબ કરવાવાળી વસ્તુઓ હું ઉત્પન્ન કરીશ. 12 ભૂતકાળમાં તેં વાવણી કરી હતી અને તે મોટા પ્રમાંણમાં ઊગી હતી. પરંતુ હવે તું એ જમીનને ખેડીશ ત્યારે એ તને પાક નહિ આપે; તારે પૃથ્વી પર રઝળતાં રખડતાં ફરવું પડશે.”

13 ત્યારે કાઈને કહ્યું, “આ સજા સહન કરવી તે માંરા ગજા બહારની છે. 14 તમે મને આજે જમીનને ખેડવામાંથી હાંકી કાઢયો છે. એટલે માંરે તમાંરી આગળથી સંતાતા ફરવું પડશે, માંરે આ ભૂમિ પર રઝળતા રખડતાં ફરવું પડશે. અને પૃથ્વી પર માંરો વિનાશ થશે. અને જો કોઈ મનુષ્ય મને મળશે તો તે મને માંરી નાખશે.”

15 ત્યારે યહોવાએ કાઈનને કહ્યું, “હું એમ થવા દઈશ નહિ. જો કોઈ તને માંરશે તો હું તે માંણસને સાતગણી કડક શિક્ષા કરીશ.” પછી યહોવાએ કાઈન પર એક નિશાન બનાવ્યું. એ નિશાન એમ દર્શાવતું હતું કે, કાઈનને કોઈ માંરે નહિ.

કાઈનનો પરિવાર

16 પછી કાઈન યહોવા પાસેથી ચાલ્યો ગયો. અને એદનની પૂર્વમાં આવેલા નોદની ભૂમિમાં રહેવા લાગ્યો.

17 કાઈને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ કર્યો જેથી તે ગર્ભવતી થઈ અને તેણે હનોખ નામના બાળકને જન્મ આપ્યો. કાઈને એક શહેર વસાવ્યું અને પોતાના પુત્રના નામ પરથી તેનું નામ હનોખ પાડયું.

18 હનોખથી ઇરાદ જન્મ્યો અને ઇરાદથી મહૂયાએલ જન્મ્યો. મહૂયાએલથી મથૂશાએલ અને મથૂશાએલથી લામેખ જન્મ્યો.

19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એક પત્નીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું. 20 આદાહે યાબાલને જન્મ આપ્યો. જેઓ તંબુઓમાં રહે છે અને પશુપાલન કરે છે તેઓના તે પિતા હતા. 21 આદાહનો બીજો પુત્ર યૂબાલ પણ હતો. યૂબાલ યાબાલનો ભાઈ હતો. વીણા અને વાંસળી વગાડનારાઓનો તે પિતા હતો. 22 સિલ્લાહે તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે કાંસાંનાં અને લોખંડનાં બધી જ જાતનાં ઓજારો બનાવનારાઓનો પિતા હતો. તૂબાલ-કાઈનની બહેનનું નામ નાઅમાંહ હતું.

23 લામેખે પોતાની પત્નીઓને કહ્યું:

“આદાહ અને સિલ્લાહ, માંરી વાત સાંભળો.
    હે લામેખની પત્નીઓ માંરે જે કહેવું પડે છે તે કાળજીપૂર્વક સાંભળો.
મને દુ:ખ પહોંચાડનાર એક માંણસને, મેં માંરી નાખ્યો છે.
    મને માંરતાં એક છોકરાને મેં માંરી નાખ્યો છે.
24 કાઈનની હત્યાનો દંડ ઘણો ભારે હતો. તેથી માંરી હત્યાનો દંડ પણ તેનાથી વધારેને વધારે ભારે હશે.
    જો કાઇનનું વેર સાતગણું લેવાશે, તો લામેખનું જરૂર સિત્તોતેરગણું લેવાશે.”

આદમ અને હવાનો નવો પુત્ર

25 આદમે હવા સાથે ફરીવાર જાતિય સંબંધ બાંધ્યો અને હવાએ બીજા એક પુત્રને જન્મ આપ્યો. તેઓએ તે બાળકનું નામ “શેથ” પાડયું. હવાએ કહ્યું, “દેવે મને બીજો પુત્ર આપ્યો છે. કાઈને હાબેલને માંરી નાખ્યો પરંતુ હવે ‘શેથ’ માંરી પાસે છે.” 26 “શેથ”ને પણ એક પુત્ર હતો. એનું નામ “અનોશ” હતું. તે સમયે, લોકોએ યહોવાને પ્રાર્થના કરવાનું શરૂ કર્યુ.

માથ્થી 4

ઈસુનું પરીક્ષણ

(માર્ક 1:12-13; લૂ. 4:1-13)

પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો. ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ. આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો. ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે, “જો તું દેવનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”

ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે, “ધર્મશાસ્ત્રમા[a] લખ્યું છે કે,

‘માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ
    દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે.’”(A)

પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે. પછી શેતાને કહ્યું કે, “જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર. શા માટે? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે,

‘દે પોતાના દૂતોને આજ્ઞા કરશે,
    અને તેમના હાથમાં તને ઝીલી લેશે,
જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ.’”(B)

ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે,

‘પ્રભુ તારા દેવની પરીક્ષણ તું ન કર.’”(C)

પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું. તેણે કહ્યુ, “જો તું પગે પડીને મારું ભજન કરીશ, તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ.”

10 ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે,

‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર.
    ફક્ત તેની જ સેવા કર!’”(D)

11 પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો, ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા.

ગાલીલમાં ઈસુનાં સેવા કાર્યો

(માર્ક 1:14-15; લૂ. 4:14-15)

12 ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી તે ગાલીલ પાછો ગયો. 13 તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો. 14 યશાયા પ્રબોધકે[b] જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ:

15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં,
    સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં,
    યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે.
16 જેઓ અંધકારમાં જીવતા હતાં.
    પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો;
તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી
    પર જીવે છે તેમના માટે આવ્યો છે.” (E)

17 ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો, તેણે કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે.”

ઈસુ દ્વારા કેટલાક પ્રેરિતોની પસંદગી

(માર્ક 1:16-20; લૂ. 5:1-11)

18 ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન (જે પિતર કહેવાતો) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ જાળથી માછલા પકડતા હતાં. તેઓ માછીમાર હતા. 19 ઈસુએ કહ્યું, “ચાલો મારી પાછળ આવો. હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ. તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે.” 20 તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં.

21 ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો. 22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા.

ઈસુ બોધ કરે છે અને લોકોને સાજા કરે છે

(લૂ. 6:17-19)

23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં[c] ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 24 ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા, આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને, તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં; અને ઈસુએ તે બધાને સાજા કર્યા. 25 આથી ગાલીલથી તથા દશનગરથી[d] તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.

એઝરા 4

શત્રુઓ તરફથી મંદિરનો વિરોધ

યહૂદા અને બિન્યામીનના દુશ્મનોને ખબર પડી કે દેશવટેથી પાછા આવેલા લોકો ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર બાંધે છે. એટલે તેઓએ ઝરૂબ્બાબેલ અને કુટુંબના વડીલો પાસે આવીને કહ્યું, “અમે પણ તમારી સાથે મંદિર બાંધવાના કામમાં જોડાવા માગીએ છીએ, કારણ, અમે પણ તમારી જેમ તમારા દેવના ઉપાસક છીએ અને અમને અહીં વસાવનાર આશ્શૂરના રાજા એસાર-હાદોનના વખતથી એને યજ્ઞો અર્પણ કરતા આવ્યા છીએ.”

ઝરૂબાબ્બેલ, યેશુઆ અને ઇસ્રાએલી કુટુંબના બીજા વડવાઓએ કહ્યું, “અમારા દેવનું મંદિર બાંધવામાં તમારે અમારી સાથે જોડાવું નહિ. ઇરાનના રાજા કોરેશે અમને ફરમાવ્યા પ્રમાણે અમે એકલા જ યહોવાનું મંદિર બાંધીશું.”

ત્યારબાદ દેશના લોકોએ યહૂદિયાઓને ડરાવીને ના હિંમત બનાવી તેમને આગળનું બાંધકામ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો. તેઓએ તેમના વિરૂદ્ધ સલાહકારો ભાડેથી રાખ્યા, આ માણસોએ તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કર્યો, કોરેશ રાજાના સમગ્ર રાજ્યકાળ દરમ્યાન અને દાર્યાવેશ રાજા ગાદી પર આવ્યો ત્યાં સુધી આમ ચાલ્યું.

ત્યારબાદ રાજા અહાશ્વેરોશના અમલની શરૂઆતમાં તે લોકોએ યહૂદા અને યરૂશાલેમના વતનીઓ વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી.

યરૂશાલેમના બાંધકામ વિરૂદ્ધ શત્રુઓ

વળી ઇરાનના રાજા આર્તાહશાસ્તાના અમલ દરમ્યાન બિશ્લામે, મિથદાથ, તાબએલે અને તેમના બીજા સાથીઓએ રાજાને પત્ર લખ્યો. એ પત્ર અરામી ભાષામાં લખેલો હતો. તેનું ભાષાંતર કરીને સંભળાવવાનું હતું.

આમાં મુખ્યત્વે પ્રશાસક રહૂમે અને મંત્રી શિમ્શાયે, આર્તાહશાસ્તા રાજા પર યરૂશાલેમ વિરૂદ્ધ પત્ર મોકવ્યો.

આ પત્રમાં સામેલ થનારાઓની યાદી: શાસન કર્તા રહૂમે અને મંત્રી શિમ્શાય અને તેમના સાથીદારો; ન્યાયાધીશો અને અધિકારીઓ તેઓ ત્રિપોલીસના, ઇરાનના, ઇરેખના અને બાબિલના લોકો, સુસાના એલામીઓ, 10 અને બાકીની બધી પ્રજાઓ, જેઓને મહાન અને સજ્જન રાજા અશૂરબનિપાલ સમરૂનનાં ગામોમાં અને ફ્રાંત નદીની પશ્ચિમના બીજા પ્રદેશમાં લાવ્યો હતો તેમને ત્યાં વસાવ્યા.

11 પત્ર નીચે મુજબ છે:

રાજા આર્તાહશાસ્તા પ્રત્યે લિ. ફ્રાંતની પશ્ચિમના પ્રાંતના તેમના સેવકોના પ્રણામ.

12 અમે તમારું ધ્યાન ખેચીએ છીએ કે, બાબિલથી યરૂશાલેમ મોકલવામાં આવેલા યહૂદિયાઓ બળવાખોર અને દુષ્ટ નગરનું ફરીથી બાંધકામ કરી રહ્યા છે. તેઓ નગરના કિલ્લાની દીવાલ બાંધી રહ્યાં છે અને પાયાનું સમારકામ કરી રહ્યાં છે.

13 એટલે હવે અમારે રાજાને જણાવવું જોઇએ કે, જો એ નગર બંધાશે એના કિલ્લાની દીવાલો પૂરી થશે, તો તેઓ ખંડણી, કરવેરા કે જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની ઉપજમાં ઘટાડો થશે.

14 અમે તમારી સેવામાં છીએ એટલે તમને આ રીતે લજ્જિત થતા જોઇ રહેવું અમને યોગ્ય લાગતું નથી તેથી અમે આપ નામદારને આ હકીકત જણાવીએ છીએ.

15 અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારા પૂર્વજોની અધિકૃત નોંધોની તપાસ કરો તો, તમને ખબર પડશે કે આ નગર કેવું બંડખોર હતું, કેટલાક રાજાઓ અને પ્રજાઓ વિરૂદ્ધ વિદ્રોહ કરવા માટેના એક લાંબા ઇતિહાસના કારણે તેને પાયમાલ કરવામાં આવ્યું હતું.

16 તેથી અમે તો આપ નામદારને નિવેદન કરીએ છીએ કે, “જો એ નગરો બંધાઇ જશે ને એના કોટ પૂરા થશે, તો નદી પાર આપનુ શાસન પશ્ચિમના પ્રદેશમાં રહેશે નહિ.”

17 એટલે રાજાએ આ પ્રમાણે જવાબ મોકલ્યો:

પ્રશાસક રહૂમ, સચીવ શિમ્શાય તથા સમરૂન અને ફ્રાંતની પશ્ચિમના પ્રદેશમાં વસતા તેમના બીજા સાથીઓ સદગૃહસ્થો પ્રત્યે.

શુભકામના.

18 તમે મોકલેલ પત્ર મને મળ્યો અને તેને અનુવાદ કરાવીને મને વાંચી સંભળાવાયો છે. 19 મેં કાર્યાલયોમાં તપાસ કરાવી છે અને શોધી કાઢયું છે કે, યરૂશાલેમના લોકોએ ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે બળવો કર્યો છે. બળવો અને દગો ખરેખર તેઓને માટે સામાન્ય બાબત છે. 20 યરૂશાલેમમાં પ્રતાપી રાજાઓ પણ છે અને તેમણે ફ્રાત પારના સમગ્ર પ્રદેશ પર સત્તા ભોગવી છે અને કરવેરા વસૂલ કર્યા છે.

21 માટે હવે તમારે એવો હુકમ કરવો જોઇએ કે, “એ લોકોની પ્રવૃત્તિ બંધ થાય, અને બીજી આજ્ઞા આપના તરફથી થતાં સુધી એ નગર ન બંધાય. 22 સાવધાન રહો, હવે આ બાબતની જરાપણ અવગણના કરશો નહિ, નહિ તો રાજ્યને વધારે નુકશાન થશે.”

23 જ્યારે આર્તાહશાસ્તા રાજાનો આ પત્ર રહૂમ અને શિમ્શાય અને તેમના બીજા સાથીઓને વાંચી સંભળાવવામાં આવ્યો ત્યારે તેઓ ઝડપથી યરૂશાલેમ ધસી ગયા અને જોરજુલમથી યહૂદીયાઓને કામ કરતાં રોકી દીધા.

મંદિરનું બાંધકામ સ્થગિત

24 અને એ જ રીતે યરૂશાલેમમાંના યહોવાના મંદિરનું કામ થંભી ગયું હતું અને ઇરાનના રાજા દાર્યાવેશના બીજા વર્ષ સુધી તે સ્થગિત જ રહ્યું હતું.

પ્રેરિતોનાં કૃત્યો 4

યહૂદિઓની ન્યાયસભા સમક્ષ પિતર અને યોહાન

જ્યારે પિતર અને યોહાન લોકોને વાત કરતા હતા, ત્યારે કેટલાક માણસો તેમની પાસે આવ્યા. ત્યાં કેટલાક યહૂદિ યાજકો, મંદિરનું રક્ષણ કરતા સૈનિકોના સરદારો અને કેટલાક સદૂકિયો હતા. તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે. યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનની ધરપકડ કરીને તેઓને જેલમાં પૂર્યા. તે વેળા લગભગ રાત હતી. તેથી તેઓએ પિતર અને યોહાનને બીજા દિવસ સુધી જેલમાં રાખ્યા. પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5,000 માણસોની સંખ્યા થઈ.

બીજા દિવસે યહૂદિ અધિકારીઓ, વડીલો, અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા. અન્નાસ (પ્રમુખ યાજક) કાયાફા, યોહાન, અને આલેકસાંદર ત્યાં હતા. પ્રમુખ યાજક પરિવારના પ્રત્યેક ત્યાં હતા. તેઓએ પિતર અને યોહાનને ભેગા થયેલા બધા લોકોની સામે ઊભા રાખ્યા. યહૂદિ આગેવાનોએ તેઓને ઘણી બધી વાર પૂછયું, “તમે કેવી રીતે આ અપંગ માણસને સાજો કર્યો? તમે કયા સાર્મથ્યનો ઉપયોગ કર્યો? તમે કોના અધિકારથી આ કર્યુ?”

પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો: આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો? તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો? 10 અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.

11 ‘જે પથ્થર તમે બાંધનારાઓએ નકામો ગણ્યો હતો.
    પણ હવે એ જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.’(A)

12 માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”

13 યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા. 14 તેઓએ એક અપંગ માણસને ત્યાં બે પ્રેરિતોની બાજુમાં ઊભેલો જોયો. તેઓએ જોયું કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેથી તેઓ પ્રેરિતોની વિરૂદ્ધ કંઈકહી શક્યા નહિ.

15 યહૂદિ આગેવાનોએ તેઓને સભા છોડી જવા કહ્યું. પછી આગેવાનોએ તેઓને શું કરવું જોઈએ તે વિષે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. 16 તેઓએ કહ્યું, “આપણે પેલા માણસોનું શું કરીશું? યરૂશાલેમમાં દરેક માણસ જાણે છે કે તેઓએ અદભૂત ચમત્કાર કર્યા છે. આ સ્પષ્ટ છે. આપણે કહી શકીએ નહિ કે તે સાચું નથી. 17 આપણે તેઓને ધમકી આપવી જાઇએ અને આ માણસ (ઈસુ) વિષે કદી પણ ના બોલવા જણાવવું જોઈએ. જેથી આ વાત લોકોમાં આગળ પ્રસરશે નહિ.”

18 પછી યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનને ફરીથી અંદર બોલાવ્યા. તેઓએ પ્રેરિતોને ઈસુના નામે કંઈ પણ શીખવવાની કે કહેવાની મનાઇ કરી. 19 પણ પિતર અને યોહાને તેઓને જવાબ આપ્યો, “તમારી દ્દષ્ટિએ શું યોગ્ય છે? દેવ શું ઈચ્છે છે? અમારે દેવને કે તમને તાબે થવું? 20 અમે શાંત રહી શકીએ નહિ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે તેના સંદર્ભમાં અમારે લોકોને કહેવું જોઈએ.”

21-22 યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.) તેથી યહૂદિ આગેવાનોએ પ્રેરિતોને ફરીથી ચેતવણી આપીને છોડી દીધા.

પિતર અને યોહાનનું વિશ્વાસીઓમાં પાછા જવું

23 પિતર અને યોહાને યહૂદિ આગેવાનોની સભાનો ત્યાગ કર્યો અને તેઓ પોતાના સમૂહમાં ગયા. તેઓએ મુખ્ય યાજકો અને વડીલ યહૂદિ આગેવાનોએ તેમને જે કંઈ કહ્યું હતું તે બધું સમૂહને કહ્યું. 24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે. 25 અમારો પૂર્વજ દાઉદ તારો સેવક હતો. પવિત્ર આત્માની સહાયથી તેણે આ શબ્દો લખ્યા:

‘શા માટે રાષ્ટ્રો બૂમો પાડે છે?
શા માટે વિશ્વના લોકો દેવની વિરૂદ્ધ યોજના ઘડે છે? તે નિરર્થક છે!

26 ‘પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે,
    અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.’(B)

27 જ્યારે અહીં યરૂશાલેમમાં ઈસુની વિરૂદ્ધ હેરોદ, પોંતિયુસ પિલાત, રાષ્ટ્રો અને બધા યહૂદિ લોકો આવીને ભેગા મળ્યા ત્યારે ખરેખર આ બાબતો બની. ઈસુ તારો પવિત્ર સેવક છે. તે એક છે જેને તેં ખ્રિસ્ત બનાવ્યો છે. 28 આ લોકો જે ઈસુની વિરૂદ્ધ આવીને ભેગા મળ્યા છે જેથી તારી યોજના પૂર્ણ થઈ. તારા સાર્મથ્ય અને તારી ઈચ્છાથી તે બન્યું. 29 અને હવે, પ્રભુ, તેઓ શું કહે છે તે સાંભળ, તેઓ અમને ધમકાવે છે! પ્રભુ, અમે તારા સેવકો છીએ. તું અમારી પાસે જે કહેવડાવવા ઇચ્છતો હોય તે અમે ભય વગર બોલીએ તેમાં અમને સહાય કર. 30 તારું સાર્મથ્ય બતાવીને અમને સાર્મથ્યવાન થવામાં મદદ કર. માંદા લોકોને સાજા કર, સાબિતીઓ આપ, અને ઈસુના નામના અદભૂત સાર્મથ્યથી તે અદભૂત ચમત્કારો થવા દે, જે તારો પવિત્ર સેવક છે.”

31 વિશ્વાસીઓની પ્રાર્થના પછી તેઓ જ્યાં ભેગા થયા હતા તે મકાન હાલ્યું. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને તેઓએ દેવનો સંદેશો નિર્ભય રીતે કહેવાનું ચાલુ કર્યું.

વિશ્વાસીઓનો ભાગ

32 વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા. 33 મહાન સાર્મથ્યથી પ્રેરિતોએ લોકોને કહ્યું કે પ્રભુ ઈસુ ખરેખર મૃત્યુમાંથી ઉઠ્યો છે. અને દેવે બધા વિશ્વાસીઓને ઘણા આશીર્વાદ આપ્યા હતા. 34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં. 35 તેઓએ પૈસા લાવીને પ્રેરિતોને આપ્યા. પછી દરેક વ્યક્તિને તેની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ આપવામાં આવી.

36 વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો. 37 યૂસફની માલિકીનું એક ખેતર હતું. તેણે ખેતર વેચીને પૈસા લઈને તે પૈસા પ્રેરિતોને આપ્યા હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International