Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 7

જળપ્રલયનો આરંભ

પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ. પ્રત્યેક શુદ્ધ પ્રાણીઓની સાત સાત જોડ (સાત નર અને સાત માંદા) સાથે લઈ લો અને પૃથ્વીના બીજા અશુદ્વ પ્રાણીઓની એક એક જોડ જેમાં એક નર અને એક માંદા હોય તે લઈ લો. હવામાં ઉડનારાં બધાં જ પક્ષીઓની સાત જોડ (સાત નર અને સાત માંદા) લઈ આવો. આથી આ બધાં જ પ્રાણીઓ પૃથ્વી પર જીવતા રહેશે. જયારે બીજા પ્રાણીઓ નાશ પામશે. હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.” અને નૂહે યહોવાની બધી જ વાતો સ્વીકારી અને યહોવાની આજ્ઞા પ્રમાંણે કર્યું.

પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં. નૂહ અને તેનો પરિવાર જળપ્રલયથી બચવા માંટે વહાણમાં ચાલ્યા ગયાં. નૂહની પત્ની, તેના પુત્રો અને પુત્રવધૂઓ તેમની સાથે હતાં. 8-9 દેવની નૂહને આજ્ઞા પ્રમાંણે, શુધ્ધ પ્રાણીઓ અને અશુધ્ધ પ્રાણીઓ અને પક્ષીઓ તથા પેટે ચાલનારા પ્રાણીઓએ દરેકમાંથી બે નર અને બે માંદા વહાણમાં નૂહ સાથે ચઢી ગયાં. 10 સાત દિવસ પછી પ્રલયનાં પાણી પૃથ્વી પર ફરી વળ્યાં. ધરતી પર વર્ષા થઈ.

11-13 બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600 વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ. 40 દિવસ અને 40 રાત સુધી પૃથ્વી પર વરસાદ વરસતો રહ્યો. બરાબર તે જ દિવસે નૂહ તેની પત્ની, તેના પુત્રો, શેમ, હામ, અને યાફેથ અને તેમની પત્નીઓ વહાણમાં ગયાં. 14 તેઓ તેમજ દરેક જાતનાં પૃથ્વી પરનાં પ્રાણીઓ વહાણમાં હતાં. દરેક જાતના પશુ, દરેક જાતનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરેક જાતનાં પક્ષી તેમજ પાંખવાળા જીવો વહાણમાં ચઢી ગયાં હતાં. 15 તે બધાં જ પ્રાણીઓ નૂહની સાથે વહાણમાં ગયાં હતા, દરેક પ્રકારના જીવિત જાનવરોનાં તે જોડાં હતાં. 16 દેવની આજ્ઞા પ્રમાંણે બધાં જ પ્રાણીઓ જોડીમાં વહાણમાં ચઢી ગયા. તેઓના વહાણમાં આવી ગયા બાદ યહોવાએ તેની પાછળનો દરવાજો બંધ કરી દીધા.

17 ચાળીસ દિવસ સુધી પૃથ્વી પર જળપ્રલય ચાલુ રહ્યો. પાણી વધતાં ગયાં. અને વહાણ પૃથ્વીથી અધ્ધર ઊંચકાવા લાગ્યું. 18 પાણી ચઢતાં જ ગયા અને ખૂબ વધી ગયા, અને વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. 19 પાણી પૃથ્વી પર એટલા બધાં ચઢયાં કે, આકાશ નીચેના બધાં જ ઊંચા પર્વતો ઢંકાઈ ગયા. 20 અને પાણી વધીને ઉંચામાં ઉંચા પર્વતોથી ઉપર 20 ફૂટ ચઢી ગયાં હતાં.

21-22 પૃથ્વી પરના બધાં જ જીવો મરી ગયા. દરેક પુરુષ અને સ્ત્રી મરી ગયાં. બધાં જ પક્ષીઓ અને બધી જ જાતનાં પ્રાણીઓ પણ મરી ગયાં. 23 આ રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં જ પ્રાણી, બધાં જ પેટે ચાલનારાં જીવો અને બધાં જ પક્ષીઓનો નાશ કર્યો. એ બધાં જ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચ્યા. 24 અને 150 દિવસ સુધી જમીન લગાતાર પાણીથી ઢંકાયેલી રહી.

માથ્થી 7

ઈસુ બીજાને દોષિત ન ઠરાવવા વિષે શિક્ષણ આપે છે

(લૂ. 6:37-38, 41-42)

“બીજાઓને દોષિત ન ઠરાવો, અને દેવ તમને દોષિત ઠરાવશે નહિ. તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

“જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય! ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ.

“જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે.

જે જોઈએ છે તેના માટે દેવને પ્રાર્થના કરો

(લૂ. 11:9-13)

“દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે.

“તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! 10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! 11 તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે.

અગત્યનો નિયમ

12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે.

આકાશ અને નરકનો માર્ગ

(લૂ. 13:24)

13 “સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. 14 જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે.

મનુષ્યોનાં કૃત્યોને ઓળખો

(લૂ. 6:43-44; 13:25-27)

15 “જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે. 16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ. 17 તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારાં ફળ આપે છે ને ખરાબ વૃક્ષ નઠારાં ફળ આપે છે. 18 તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબજાડ સારા ફળ આપી શક્તું નથી. 19 જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે. 20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો.

21 “જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે. 22 એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોને[a] કાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી? 23 પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’

એક ડાહ્યો અને એક મૂર્ખ માણસ

(લૂ. 6:47-49)

24 “જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે. 25 ધોધમાર વરસાદ પડ્યો, પૂર આવ્યું અને તે ઘર પર વાવાઝોડું ફુંકાયું છતાં પણ તે ઘર તૂટી પડ્યું નહિ કારણ કે તેનો પાયો ખડક ઉપર બાંધેલો હતો.

26 “પરંતુ જે વ્યક્તિ મારા આ વચનોને ધ્યાનથી સાંભળે છે પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવો છે. 27 ધોધમાર વરસાદ આવ્યો, પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું.”

28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા. 29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

એઝરા 7

એઝરાનું યરૂશાલેમમાં આગમન

ઇરાનના રાજા આર્તાહશાસ્તાના શાસનમાં એઝરા બાબિલથી યરૂશાલેમ આવ્યો. પોતાના કુટુંબના ઇતિહાસ પ્રમાણે એઝરા સરાયાનો પુત્ર હતો; સરાયા અઝાર્યાનો પુત્ર હતો. અઝાર્યા હિલ્કિયાનો પુત્ર હતો; હિલ્કિયા શાલ્લૂમનો પુત્ર હતો; શાલ્લૂમ સાદોકનો પુત્ર હતો; સાદોક અહીટૂબનો પુત્ર હતો. અહીટૂબ અઝાર્યાનો પુત્ર હતો; અઝાર્યા મરાયોથનો પુત્ર હતો; મરાયોથ ઝરાહ્યાનો પુત્ર હતો; ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર હતો; ઉઝઝી બુક્કીનો પુત્ર હતો બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.

એઝરા બાબિલથી આવ્યો, તે એક મહાન શિક્ષક હતો. જે ઇસ્રાએલના દેવ યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં ઘણો નિપૂણ હતો. તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. 7-8 કેટલાક યાજકો લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો મંદિરના સેવકો અને કેટલાક બીજા ઇસ્રાએલીઓ સાથે રાજા આર્તાહશાસ્તાના શાસનના સાતમા વર્ષના પાંચમા મહિનામાં તે યરૂશાલેમ પહોંચ્યો. એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને તેના પર તેના દેવ યહોવાની હતી. એટલે તે પાંચમા મહિનાના પહેલે દિવસે યરૂશાલેમ આવી પહોંચ્યો હતો. 10 એઝરાએ પોતાનું આખું જીવન યહોવાના નિયમોનો અભ્યાસ કરવામાં, તેને આચારમાં ઉતારવામાં અને ઇસ્રાએલીઓને તેનાં કાનૂનો અને આજ્ઞાઓ સમજાવવામાં ગાળ્યું હતું.

એઝરાને આર્તાહશાસ્તાનો પત્ર

11 રાજા આર્તાહશાસ્તાએ આ પત્ર યાજક એઝરાને આપ્યો, જે યહોવાના નિયમશાસ્રનો અને યહોવાએ ઇસ્રાએલને આપેલા હુકમોનો શિક્ષક હતો.

12 રાજાઓનાં રાજા આર્તાહશાસ્તા તરફથી:

આકાશના દેવનું નિયમશાસ્ત્ર શીખવનાર શિક્ષક એઝરા યાજકને ક્ષેમકુશળ:

13 હું આથી આજ્ઞા ફરમાવું છું કે, મારા રાજ્યમાંના ઇસ્રાએલીઓમાંથી તેમના યાજકોમાંથી કે લેવીઓમાંથી, જે કોઇ પોતાની રાજીખુશીથી યરૂશાલેમ જવા ઇચ્છે, તેમને તારી સાથે જવા દેવા.

14 મેં અને મારા સાત સલાહકારોએ તારા દેવનો જે નિયમ તારી પાસે છે તેની બાબતમાં યહૂદામાં અને યરૂશાલેમમાં શી સ્થિતિ છે તે તપાસવા માટે તને મોકલ્યો છે.

15 અને અમે તમને તમારી સાથે લઇ જવા માટે ચાંદી અને સોનું આપી રહ્યાં છીએ, આ ઇસ્રાએલના દેવ માટે ભેટ છે, જે યરૂશાલેમમાં નિવાસ કરે છે. 16 તદુપરાંત તારે બાબિલના સર્વ રાજ્યોમાંથી યરૂશાલેમના દેવના મંદિર માટે ચાંદી તથા સોનું સૈચ્છિકાર્પણો તરીકે યહૂદીયા અને તેઓના યાજકો પાસેથી ઉઘરાવવું.

17 આ બધી ભેટો સાથે બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પણ ચોક્કસ ખરીદવામાં આવે, જ્યારે તમે યરૂશાલેમ પહોંચો ત્યારે તે સર્વ અર્પણોનું યરૂશાલેમમાં તમારા દેવના મંદિરની વેદી પર બલિદાન ચઢાવવામાં આવે. 18 જે કઇં સોનુંચાંદી વધે તેનો ઉપયોગ તમારા દેવને પ્રસન્ન કરવા, જેમ તને અને તારા સાથીઓને ઠીક લાગે તે રીતે કરવો. 19 તમારા દેવના મંદિરની સેવા માટે જે વાસણો તને આપવામાં આવ્યાં છે, તે તારે પૂરેપૂરા યરૂશાલેમમાં દેવને આપી દેવાં. 20 અને જો તારા દેવનાં મંદિર માટે બીજા કશાની તને જરૂર પડે તો તું રાજ્યની તિજોરીમાંથી જરૂર વાપરી શકે છે.

21 હું રાજા આર્તાહશાસ્તા ફ્રાંત નદી પારના પ્રાંતના સર્વ ખજાનચીઓને હુકમ કરું છું કે, આકાશના દેવના નિયમશાસ્ત્રના લહિયા યાજક એઝરા જે કઇં માગે તે તમારે વિના વિલંબે પૂરું પાડવાનું છે. 22 3,400 કિલો[a] ચાંદી, 16,300 કિલો[b] ઘઉં, 600 ગેલન[c] દ્રાક્ષારસ અને 600 ગેલન તેલથી પ્રમાણ વધી ન જાય; મીઠું જોઇએ તેટલું આપવું. 23 આકાશના દેવ પોતાના મંદિર માટે જે કઇં ફરમાવે, તે બધું તમારે તાબડતોબ કરવાનું છે, નહિ તો કદાચ મારા રાજ્ય પર અને મારા વંશજો પર તેમનો રોષ ઊતરે.

24 અને તમને એ પણ જણાવવામાં આવે છે કે, કોઇ પણ વધારાનો કરવેરો યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો કે મંદિરના સેવકો કે દેવના મંદિરના બીજા કર્મચારીઓ પાસેથી લેવાનો નથી. 25 અને એઝરા, તું તને દેવે જે બુદ્ધિ આપી છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કર અને ફ્રાંત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા દેવના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓને નિયુકત કર; જો તેઓને યહોવાના નિયમશાસ્ત્રનું જ્ઞાન ના હોય તો તારે તેઓને શીખવવું. 26 દેવના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાનૂનનું પાલન કરવાની ના પાડનારને તાત્કાલિક મૃત્યુદંડ અથવા દેશમાંથી હદપાર કરવાની સજા અથવા તેનો સામાન જપ્ત કરવાની અથવા કેદની સજા કરવી.

એઝરાની દેવને સ્તુતિ

27 ત્યારે એઝરાએ કહ્યું, “અમારા પૂર્વજોના દેવ યહોવાની સ્તુતિ હો! કારણ કે તેણે રાજાને યરૂશાલેમના યહોવાના મંદિરનો મહિમાં વધારવાની પ્રેરણા કરી છે. 28 અને તેમણે રાજાને, તેના મંત્રીઓને અને બધા ઉચ્ચ અધિકારીઓને મારા પ્રત્યે સદ્ભાવના ધરાવતા કર્યા છે. મને ખબર છે કે મારા પર મારા યહોવા દેવની કૃપા હતી તેથી મેં ઇસ્રાએલના આગેવાનોને મારી સાથે યરૂશાલેમ જવા માટે ભેગા કર્યા.”

પ્રેરિતોનાં કૃત્યો 7

સ્તેફનનું ઉદ્દબોધન

પ્રમુખ યાજકે સ્તેફનને કહ્યું, “શું આ હકીકત સાચી છે?” સ્તેફને જવાબ આપ્યો, “મારા ભાઈઓ અને યહૂદિ વડીલો મને ધ્યાનથી સાંભળો. આપણા પૂર્વજ ઈબ્રાહિમને આપણા મહિમાવાન દેવના દર્શન થયા. ઈબ્રાહિમ મેસોપોટેમિયામાં રહેતો પછી તે હારાનમાં રહેવા ગયા હતો તે અગાઉ આ બન્યું હતું. દેવે ઈબ્રાહિમને કહ્યું, ‘તારો દેશ અને તારા લોકોને છોડીને તે દેશમાં જા જે હું તને બતાવીશ.’

“તેથી ઈબ્રાહિમે ખાલ્દી દેશ છોડ્યો અને તે હારાનમાં રહેવા ગયો. ઈબ્રાહિમના પિતાના મૃત્યુ પછી દેવે તેને આ સ્થળે મોકલ્યો. જ્યાં હાલમાં તમે રહો છો. પણ દેવે ઈબ્રાહિમને આ જમીનમાંથી કશું આપ્યું નહિ. દેવે તેને એક ડગલું પણ જમીન આપી નહિ. પણ દેવે વચન આપ્યું કે ભવિષ્યમાં તે ઈબ્રાહિમને આ જમીન તેના માટે તથા તેના સંતાનો માટે આપશે. (ઈબ્રાહિમને કોઈ સંતાન નહોતા તે અગાઉ આ હતું.)

“દેવે તેને જે કહ્યું તે આ છે: ‘તારા વંશજો બીજા દેશમાં રહેશે. તેઓ અજ્ઞાત હશે. ત્યાંના લોકો તેઓને 400 વરસ સુધી ગુલામીમાં રાખશે. તેઓને દુ:ખ આપશે. જે રાષ્ટ્ર તેઓને ગુલામ બનાવશે તેને હું શિક્ષા કરીશ.’ અને દેવે એમ પણ કહ્યું, ‘આ હકીકતો બન્યા પછી તમારા લોકો તે દેશમાંથી બહાર આવશે. અને પછી આ સ્થળે તમારા લોકો અહી મારી સેવા કરશે.’

“દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.

“આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો. 10 યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી. 11 પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ.

12 “પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજનો સંગ્રહ થતો હતો. તેથી તેણે આપણા પિતાઓને (યાકૂબનાં સંતાનો) ત્યાં મોકલ્યો. (આ તેનો મિસરનો પ્રથમ પ્રવાસ હતો.) 13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું. 14 પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે) 15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા. 16 પાછળથી તેઓના શરીરોને શખેમ લઈ જવામાં આવ્યા. તેઓને કબરમાં મૂકવામાં આવ્યા. (તે એ જ કબર હતી જે ઈબ્રાહિમે હમોરના દીકરાઓ પાસેથી શખેમમાંથી ખરીદી હતી. તેણે તેઓને રૂપાનું નાણું પણ ચૂકવ્યું હતું.)

17 “મિસરમાં યહૂદિ લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ત્યાં વધારે ને વધારે આપણા લોકો હતા. (દેવે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું તે જલદીથી સાચું થવાનું હતું.) 18 પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો. 19 આ રાજા આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજો તરફ ખરાબ રીતે વર્તતો હતો. રાજાએ તેમનાં બાળકોને ખુલ્લામાં બહાર તેઓની પાસે મુકાવડાવ્યાં જેથી તેઓ જીવે નહિ.

20 “આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી. 21 જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો. 22 મિસરીઓએ તેઓ જે બધું જાણતા હતા તે મૂસાને શીખવ્યું. તે બોલવામાં અને તે પ્રમાણે કરવામાં બાહોશ હતો.

23 “જ્યારે મૂસા લગભગ 40 વર્ષનો થયો, તેણે વિચાર્યુ કે પોતાના દેશના ઇસ્ત્રાએલી ભાઈઓને મળવું તે સારું હશે. 24 મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો. 25 મૂસાએ વિચાર્યુ કે તેના યહૂદિ ભાઈઓ સમજશે કે દેવ મારા હાથે તેઓનો છૂટકારો કરશે. પણ તેઓ સમજ્યા નહિ.

26 “બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’ 27 એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના! 28 ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?’(A) 29 જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે, મૂસાએ મિસર છોડ્યું. તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો. ત્યાં તે અજાણ્યો હતો. મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા.

30 “ચાળીસ વરસ પછી મૂસા સિનાઇ પર્વતના રણ પ્રદેશમાં હતો. ત્યાં દૂતે તેને ઝાડીઓ મધ્યે અગ્નિ જ્વાળામાં દર્શન દીધું. 31 જ્યારે મૂસાએ આ જોયું. તે નવાઇ પામ્યો. તે તેને જોવા સારું નજીક ગયો. ત્યારે મૂસાએ એક અવાજ સાંભળ્યો; તે પ્રભુનો અવાજ હતો. 32 પ્રભુએ કહ્યું, ‘હું તારા પૂર્વજોનો દેવ, એટલે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’(B) મૂસા ભયથી ધ્રુંજી ઊઠ્યો. અગ્નિ સામે જોવાની તેની હિંમત ચાલી નહિ.

33 “પ્રભુએ તેને કહ્યું, ‘તારા જોડા કાઢી નાંખ, કારણ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. 34 મેં મારા લોકોને મિસરમાં દુ:ખ સહન કરતાં જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓને મુક્ત કરવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, મૂસા હું તને મિસરમાં પાછો મોકલું છું.’(C)

35 “આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? ના! એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. દેવે મૂસાને દૂતની મદદથી મોકલ્યો. આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો. 36 તેથી મૂસાએ લોકોને બહાર દોર્યા. તેણે અદભૂત પરાક્રમો અને ચમત્કારો કર્યા. મૂસાએ ઇજિપ્તમાં અને રાતા સમુદ્રમાં, મિસર દેશમાં અને 40 વરસ સુધી રણપ્રદેશમાં અદ્દભૂત કામો તથા ચમત્કારો કર્યા.

37 “આ એ જ મૂસા હતો જેણે યહૂદિ લોકોને આ શબ્દો કહ્યા હતા. ‘દેવ તમને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. અને તે મારા જેવો જ થશે.’(D) 38 આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.

39 “પણ આપણા પૂર્વજો મૂસાને તાબે ન થયા. તેઓએ તેનો અસ્વીકાર કર્યો. તેઓએ ફરીથી મિસર પાછા જવા વિચાર્યુ. 40 આપણા પૂર્વજોએ હારુંનને કહ્યું, ‘મૂસા અમને મિસર દેશમાંથી બહાર લાવ્યો છે પણ અમને ખબર નથી કે તેનું શું થયું છે તેથી કેટલાક દેવોને બનાવ જે અમારી આગળ જાય અને અમને દોરે.’ (E) 41 તેથી લોકોએ એક મૂર્તિ બનાવી જે વાછરડાં જેવી હતા. પછી તેઓએ મૂર્તિને તેનું બલિદાન આપ્યું. લોકો ઘણા ખુશ હતા કારણ કે તેણે જે બનાવ્યું હતું તે પોતાના હાથે બનાવ્યું હતું! 42 પણ દેવ તેઓનાથી વિમુખ થયો અને તેઓને આકાશમાંના જૂઠાં દેવોના સૈન્યની પૂજા કરતા અટકાવ્યા. દેવ કહે છે: પ્રબોધકોના જે લખાણ છે તે આ છે. દેવ કહે છે,

‘ઓ યહૂદિ લોકો! તમે રણપ્રદેશમાં 40 વરસ સુધી મને લોહીના બલિદાનો ચઢાવ્યા નહોતા.
43 તમે માલોખનો માંડવો અને
    તમારા રમ્ફા દેવનો તારો લઈને આવ્યા છો.
આ મૂર્તિઓ તમે પૂજા કરવાને બનાવી છે.
    તેથી હું તમને બાબિલને પેલે પાર મોકલી દઈશ.’(F)

44 “અરણ્યમાં તે પવિત્ર મંડપ આપણા પૂર્વજોની પાસે હતો. દેવે મૂસાને આ મંડપ કેવી રીતે બનાવવો તે કહ્યું. દેવે જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેણે તે બનાવ્યો. 45 પાછળથી યહોશુઆ આપણા પિતાઓને બીજા રાષ્ટ્રોની ભૂમિ જીતવા દોરી ગયો. આપણા લોકો અંદર પ્રવેશ્યા. દેવે બીજા લોકોને બહાર કાઢ્યા. જ્યારે આપણા લોકો આ નવી ભૂમિમાં પ્રવેશ્યા, તેઓ તેઓની સાથે એ જ મંડપ લઈ આવ્યા. આપણા લોકોએ આ મંડપો તેઓના પૂર્વજો પાસેથી પ્રાપ્ય કર્યો હતો. અને આપણા લોકોએ દાઉદનો સમય આવતા સુધી તે રાખ્યા. 46 દેવ દાઉદ પર ઘણો પ્રસન્ન હતો. દાઉદે તેના યાકૂબના દેવને માટે રહેઠાણ (મંદિર) બનાવવાની રજા માગી. 47 પરંતુ સુલેમાન એક વ્યક્તિ હતો જેણે મંદિર બાધ્યું.

48 “પરંતુ પરાત્પર દેવ માણસોએ તેઓના હાથે બાંધેલા રહેઠાણોમાં રહેતો નથી. પ્રબોધકો જે લખે છે તેમ:

49 ‘પ્રભુ કહે છે,
આકાશ મારું રાજ્યાસન છે.
    પૃથ્વી મારા પાદાસન માટેની જગ્યા છે.
તમે મારા માટે કેવા પ્રકારનું રહેઠાણ બનાવશો?
    એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં મને વિશ્રામની જરુંર પડે!
50 સ્મરણ કરો મેં જ આ બધી વસ્તુઓ બનાવી છે!’”(G)

51 પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો. 52 તમારા પૂર્વજોએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક પ્રબોધકને સતાવ્યા છે. તે પ્રબોધકોએ તે ન્યાયીના (ખ્રિસ્ત) આગમન વિષે આગળથી ખબર આપી હતી. પરંતુ તમારા પૂર્વજોએ તે પ્રબોધકોને મારી નાખ્યા. અને હવે બીજા એક ન્યાયીથી વિમુખ થઈને તમે તેને મારી નાખ્યો. 53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”

સ્તેફનનું મૃત્યુ

54 યહૂદિ આગેવાનોએ સ્તેફનની આ બાબતો સાંભળી. તેઓ ગુસ્સે થયા. યહૂદિ આગેવાનો એવા ગાંડા થઈ ગયા હતા કે તેઓ સ્તેફન સામે દાંત પીસવા લાગ્યા. 55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો. 56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”

57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા. 58 તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા. 59 પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!” 60 તેણે ઘૂંટણે પડીને બૂમ પાડી, “પ્રભુ આ પાપ માટે તેઓને દોષ દઈશ નહિ!” આમ કહ્યા પછી સ્તેફન અવસાન પામ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International