Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 3

માંનવીનું પતન-પાપનો આરંભ

યહોવા દેવ દ્વારા બનાવેલાં કોઈ પણ જંગલી પ્રાણી કરતાં સાપ વધારે કપટી હતો. (તે સ્ત્રીને દગો કરવા ઈચ્છતો હતો.) સાપે સ્ત્રીને કહ્યું, “હે સ્ત્રી, તમને દેવે ખરેખર એમ કહ્યું છે કે, તમાંરે બાગનાં કોઈ પણ વૃક્ષનાં ફળ ખાવાં નહિ?”

સ્ત્રીએ સાપને કહ્યું, “ના, દેવે એવું કહ્યું નથી. અમે બાગનાં વૃક્ષોનાં ફળ ખાઈ શકીએ છીએ. પણ એક વૃક્ષ છે જેનાં ફળ અમે ખાઈ શકતાં નથી. દેવે અમને કહ્યું છે કે, ‘બાગની વચ્ચોવચ્ચ જે વૃક્ષ છે તેનાં ફળ તમાંરે ખાવાં નહિ, તેમજ તેને અડવું પણ નહિ, નહિ તો મૃત્યુ પામશો.’”

પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ. દેવને ખબર છે કે, જો તમે એ વૃક્ષનાં ફળો ખાશો તો તમને ખરાખોટાની સમજ પડશે અને તમે દેવ જેવા થઈ જશો.”

સ્ત્રીએ જોયું કે, વૃક્ષ સુંદર છે અને તેનાં ફળ પણ ખાવા માંટે સારાં છે અને વૃક્ષ તેને બુદ્વિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું અને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડાં ફળ તેને પણ આપ્યાં અને તેણે પણ તે ખાધાં.

પછી પુરુષ અને સ્ત્રી બંન્ને બદલાઈ ગયાં. અને તેઓની આંખો ઉઘડી ગઇ. તેઓેએે જોયું કે, તેઓ વસ્રહીન છે; એટલે તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાના અંગ ઢાંકયાં.

પછી પેલા પુરુષ અને સ્ત્રીએ દિવસના ઠંડા પહોરમાં બાગમાં યહોવા દેવના ફરવાનો અવાજ સાભળ્યો. તેઓ બાગના વૃક્ષોમાં છુપાઈ ગયાં. યહોવા દેવે બૂમ માંરીને મનુષ્યને પૂછયું, “તું કયાં છે?”

10 પુરુષે કહ્યું, “બાગમાં તમાંરો પગરવ સાંભળીને હું ડરી ગયો, હું વસ્રહીન હતો, એટલે સંતાઈ ગયો.”

11 યહોવા દેવે પુરુષને પૂછયું, “તને કોણે કહ્યું કે, તું વસ્રહીન છે? તું શા કારણે શરમાંયો? જે ઝાડનાં ફળ ખાવાની મેં મનાઈ કરી હતી તે ઝાડનાં ફળ તેં ખાધાં તો નથી ને?”

12 પુરુષે કહ્યું, “તમે જે સ્ત્રી માંરા માંટે બનાવી, તેણે મને એ વૃક્ષનાં ફળ આપ્યાં, ને મેં ખાધાં.”

13 પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તેં આમ શા માંટે કર્યું?”

સ્ત્રીએ કહ્યું, “સાપે માંરી સાથે બનાવટ કરી, તેણે મને મૂર્ખ બનાવી અને મેં ફળ ખાધું.”

14 પછી યહોવા દેવે સર્પને કહ્યું:

“તેં આ ઘણું ખરાબ કામ કર્યું છે,
    તેથી તારું ખોટું જ થશે.
બીજા જંગલનાં પ્રાણીઓ કરતાં
    તારું ભૂંડું વધારે થશે.
તારે જીવનપર્યંત પેટ ઘસડીને ચાલવું પડશે,
    અને ધૂળ ફાકીને રહેવું પડશે.
15 હું તારી અને આ સ્ત્રીની વચ્ચે
    અને તારાં બાળકો
અને એનાં બાળકો
    વચ્ચે દુશ્મનાવટ રખાવીશ.
એનો વંશ તારું માંથું કચરશે
    અને તું એના પગને કરડીશ.”

16 પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું,

“તારે ગર્ભાવસ્થા દરમ્યાન ભારે
    વેદના વેઠવી પડે એમ હું કરીશ.
તું જયારે બાળકને જન્મ આપીશ ત્યારે
    તને અસહ્ય વેદના થશે.
તું તારા પતિને ખૂબ ઈચ્છીશ
    પણ તે તારા પર રાજ કરશે.”[a]

17 પછી યહોવા દેવે મનુષ્યને કહ્યું:

“મેં તને આજ્ઞા કરી હતી કે, તું આ વિશિષ્ટ વૃક્ષનાં ફળ ખાઈશ નહિ,
    પરંતુ તેં તારી પત્નીની વાત માંની અને તે વૃક્ષનાં ફળ ખાધાં.
એટલે તારે લીધે આ ભૂમિ શ્રાપિત થઈ છે.
    જીવનપર્યંત પરિશ્રમ કરીશ ત્યારે તું એમાંથી ખાવા પામીશ.
18 આ ભૂમિ કાંટા અને ઝાંખરાં ઉગાડશે.
    તું ખેતરમાં ઉગતા જંગલી છોડવાં ખાઇશ.
19 તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે.
    જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ.
જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ.
    તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ.
જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો.
    અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”

20 આદમે પોતાની પત્નીનું નામ હવા પાડયું. કારણ કે તે સર્વ માંનવજીવોની જનેતા હતી.

21 પછી યહોવા દેવે આદમ અને તેની પત્ની માંટે પશુઓનાં ચામડાનાં વસ્રો બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.

22 યહોવા દેવે કહ્યું, “જુઓ, હવે માંણસ આપણામાંના એકના જેવો થઈ ગયો છે; મનુષ્યને સારાનરસાની સમજ આવી છે. અને હવે પુરુષ જીવનના વૃક્ષનાં ફળ પણ લઈ શકે, છે. જો પુરુષ તે ફળને ખાશે તો તે સદા અમર થઈ જશે.”

23 આથી યહોવા દેવે પુરુષને એદનના બાગને છોડવા માંટે મજબૂર કર્યો, જે માંટીમાંથી આદમ પેદા થયો હતો તે જ પૃથ્વી પર આદમને સખત પરિશ્રમ કરવો પડ્યો. 24 યહોવા દેવે આદમને બાગની બહાર કાઢી મૂકયો. અને પછી દેવે બાગના દરવાજાની ચોકી કરવા માંટે સ્વર્ગના દૂતોને મૂકયા. યહોવા દેવે ત્યાં એક અગ્નિમય સતત વીંઝાતી તરવાર પણ મૂકી, જે તરવાર જીવનના વૃક્ષના માંર્ગની ચોકી કરતી ચારેબાજુએ ચમકતી હતી.

માથ્થી 3

બાપ્તિસ્મા કરનાર યોહાનનું કાર્ય

(માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17; યોહ. 1:19-28)

સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.” યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:

“એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે:
‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો;
    અને તેના માટેનો માર્ગ સીધો કરો.’” (A)

યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો. યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં. લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.

ફરોશીઓ[a] અને સદૂકીઓ[b] તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે? તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે. તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે. 10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષ[c] જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી દેશે.

11 “તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે. 12 તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે[d] અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.”

ઈસુનું યોહાન દ્વારા બાપ્તિસ્મા

(માર્ક 1:9-11; લૂ. 3:21-22)

13 તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો. ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા[e] લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. 14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?”

15 ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.

16 બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો. પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો. 17 અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું.”

એઝરા 3

વેદીના જીણોર્દ્ધારનો પ્રારંભ

ઇસ્રાએલના પુત્રો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે તેઓ બધા એક દિલથી યરૂશાલેમમાં ભેગા થયા. યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેના યાજકો સાથે તથા શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ અને તેના સાથીઓએ ઇસ્રાએલના દેવની વેદી ફરીથી બાંધી, જેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેની પર દહનાર્પણો ચઢાવી શકાય.

આજુબાજુના બીજા લોકોનો ડર હોવા છતાં તેમણે પહેલાંને સ્થાને જ વેદી ઊભી કરી અને તેના પર સવાર સાંજ યહોવાને દહનાર્પણો આપવાનું શરૂ કર્યુ. તેઓએ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યો અને નિયમ પ્રમાણે દરરોજ જોઇતા પ્રમાણમાં દહનાર્પણો ચઢાવ્યા. એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાર્ષિક પર્વોની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા. તેઓએ સાતમા મહિનાના પ્રથમ દિવસથી યહોવાને દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યુ; પરંતુ યહોવાના મંદિરનો પાયો હજી નંખાયો ન હતો.

મંદિરના જીણોર્દ્ધારનો પ્રારંભ

તેમણે કડિયાઓને અને સુથારોને પૈસા આપ્યા અને સિદોન અને તૂરના લોકોને ખોરાક પાણી અને તેલ મોકલ્યાં, જેથી તેઓ લબાનોનથી સમુદ્રમાર્ગે યાફા સુધી દેવદારનું લાકડું લઇ આવે. ઇરાનના રાજા કોરેશે એ માટે પરવાનગી આપી હતી.

બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા. આ સમગ્ર યોજના પર દેખરેખ રાખવાનું કામ યેશૂઆ, કાદમીએલ અને તેના પુત્રો, હેનાદાદ અને તેઓના પુત્રો તથા સબંધીઓને સોંપવામા આવ્યું. તેઓ સર્વ લેવીઓ હતા. 10 જ્યારે યહોવાના મંદિરનો પાયો નાખવાનું કામ પૂરું થયું ત્યારે, યહોવાની સ્તુતિ કરવા માટે તેઓએ ઇસ્રાએલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને રણશિંગડા સાથે તથા લેવીઓને તેમના હાથમાં ઝાંઝની જોડી આપીને ઊભા રાખ્યા. 11 તેઓએ યહોવાની સ્તુતિ અને આભાર ગીત ગાયાં,

“દેવ ભલા છે અને તેમનો પ્રેમ
    તથા દયા ઇસ્રાએલીઓ પર સદાકાળ રહેશે.”

ત્યારે બધા લોકો ઊંચે સાદે યહોવાની સ્તુતિ કરવા લાગ્યા, કારણ; યહોવાના મંદિરનો પાયો નંખાઇ ચૂક્યો હતો.

12 ઘણા યાજકો, લેવીઓ અને કુટુંબના આગેવાનો અને વડીલો, જેમણે પહેલાનું મૂળ મંદિર જોયું હતું તેઓ પોતાની નજર સામે પાયો નંખાતો જોઇને રડી પડ્યા, પણ બીજા ઘણા લોકો મોટે સાદે હર્ષના પોકારો કરતા હતા. 13 તેથી લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના છે તે પારખી શકાતા નહોતા, કારણકે લોકો દૂર સુધી સંભળાય એટલે મોટે અવાજે પોકારો કરતા હતા.

પ્રેરિતોનાં કૃત્યો 3

પિતર લંગડા માણસને સાજો કરે છે

એક દિવસે પિતર અને યોહાન મંદિરમાં ગયા. તે વખતે બપોરનાં ત્રણ વાગ્યા હતા. આ સમય મંદિરની દૈનિક પ્રાર્થના કરવાનો હતો. જ્યારે તેઓ મંદિરના પ્રાંગણમાં જતાં હતાં ત્યારે એક માણસ ત્યાં હતો. આ માણસ તેના જન્મથી અપંગ હતો. તે ચાલી શકતો ન હતો, તેથી કેટલાક મિત્રો તેને ઊચકીને લઈ જતા. તેના મિત્રો તેને રોજ મંદિરે લાવતા. તેઓ મંદિરના બહારના દરવાજાની એક તરફ તે લંગડા માણસને બેસાડતા. તે દરવાજો સુંદર નામે ઓળખાતો. ત્યાં મંદિર જતા લોકો પાસે તે માણસ પૈસા માટે ભીખ માગતો. તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા.

પિતર અને યોહાને તે અપંગ માણસ તરફ જોયું અને કહ્યું, “અમારા તરફ જો!” તે માણસે તેઓના તરફ જોયું, તેણે વિચાર્યુ તેઓ તેને થોડા પૈસા આપશે. પણ પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી કંઈ નથી. પણ મારી પાસે તને આપી શકાય તેવું બીજું કંઈક છે: ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ઊભો થા અને ચાલ!”

પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડ્યો અને તેને ઉઠાડ્યો. તરત જ તે માણસના પગોમાં અને ઘૂંટીઓમાં જોર આવ્યું. તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો. 9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ.

પિતરનું લોકોને સંબોધન

11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.

12 જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું? 13 ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી. 14 ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું. 15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.

16 “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે આ લંગડો માણસ સાજો થયો. આ બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે આ માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!

17 “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે ઈસુ સાથે આમ કર્યુ કારણ કે તમે શું કરતાં હતા તે તમે જાણતાં નહોતા. તમારા અધિકારીઓ પણ સમજતા ન હતા. 18 દેવે કહ્યું કે આ વસ્તુઓ બનશે. દેવે બધા પ્રબોધકો મારફતે કહ્યું કે તેનો ખ્રિસ્ત દુ:ખ સહેશે અને મૃત્યુ પામશે. દેવે આ કેવી રીતે પૂર્ણ કર્યુ એ મેં તમને કહ્યું. 19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે. 20 પછી પ્રભુ તમને આત્મિક તાજગી માટે સમય આપશે. તે તમને ઈસુ આપશે, તે એક ખ્રિસ્ત તરીકે પસંદ થયેલ છે.

21 “પણ જ્યાં સુધી બધી વસ્તુઓ ફરીથી બરાબર ન થાય ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ. જ્યારે તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા તે બોલ્યો હતો ત્યારે ઘણાં લાંબા સમય પહેલા દેવે આ સમય વિષે કહ્યું હતું. 22 મૂસાએ કહ્યું, ‘પ્રભુ તારો દેવ તને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. તે મારા જેવો હશે. તમને પ્રબોધક જે કહે તે સર્વનું પાલન કરવું જોઈએ. 23 અને જો કોઇ વ્યક્તિ તે પ્રબોધકની અવજ્ઞા કરશે તો, પછી તેનું મૃત્યુ થશે, અને દેવના લોકોથી તે જુદો પડશે.’

24 “શમુએલના કહ્યા પછી તેના પછીના બધા પ્રબોધકોએ દેવ વિષે કહ્યું છે. તે સર્વ જણે આ સમય માટે પણ કહ્યું છે. 25 પ્રબોધકોએ જેના વિષે કહ્યું હતું તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પૂર્વજો સાથે જે કરાર કર્યો હતો તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પિતા ઈબ્રાહિમને કહ્યું હતું. ‘પૃથ્વી પરના દરેક રાષ્ટ્ર તમારા સંતાનો દ્ધારા આશીર્વાદિત થશે.’[a] 26 દેવે તેના ખાસ સેવકને મોકલ્યો છે. દેવે ઈસુને તમારી પાસે પ્રથમ મોકલ્યો છે. દેવે તમને આશીર્વાદ આપવા માટે ઈસુને મોકલ્યો છે. તમારામાંના દરેકને ખરાબ કાર્યો કરવામાંથી પાછા ફેરવીને તે આમ કરે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International