M’Cheyne Bible Reading Plan
સલોફદાહની પુત્રીઓનો વારસા હક્ક
36 પછી યૂસફના પુત્રોનાં-કુટુંબોમાંના મનાશ્શાના પુત્ર-માંખીરના પુત્ર ગિલયાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇસ્રાએલપુત્રોના કૂળસમૂહોના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર વિનંતી કરી કહ્યું, 2 “યહોવાએ તમને ચિઠ્ઠી ઉપાડીને ઇસ્રાએલી પ્રજા વચ્ચે જમીન વહેંચી આપવા આદેશ કર્યો છે, અને તેમણે અમાંરા ભાઈ સલોફદાહની જમીન તેની પુત્રીઓને આપવાનું પણ આદેશ કર્યો છે. 3 પરંતુ હવે જો તેઓ ઇસ્રાએલીઓના કોઈ બીજા કુળસમૂહમાં પરણે, તો તેમની જમીન તે કૂળસમૂહને જશે, અને અમાંરા કુળસમૂહના ભાગની જમીનમાં એટલો ઘટાડો થશે. 4 અને જ્યારે ઇસ્રાએલીઓનું જુબિલીનું વર્ષ આવે, ત્યારે પણ તેમની જમીન તેઓ જે કૂળસમૂહમાં પરણી હશે તે કુળસમૂહની જમીનમાં જ કાયમ રહેશે, અને અમાંરો કૂળસમૂહ એ કાયમને માંટે ગુમાંવશે.”
5 આથી મૂસાએ જાહેરમાં યહોવા તરફથી મળેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓને આ નિર્ણય કહી સંભળાવ્યો: “યૂસફના કૂળસમૂહની ફરિયાદ સાચી છે, 6 સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ. 7 ઇસ્રાએલીઓની જમીન એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જઈ શકે નહિ. પરંતુ દરેક ઇસ્રાએલી પોતાના પૂર્વજોની જમીન રાખશે. 8 જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું, 9 જેથી દરેક ઇસ્રાએલીની વંશપરંપરાગત જમીન સચવાઈ રહે, આ રીતે વારસાનો કોઈ ભાગ એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જશે નહિ.”
10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ, 11 તેથી માંહલાહ, નિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહએ તેઓના પિતરાઈ ભાઈઓ એટલે કે પોતાના કાકાઓના પુત્રો સાથે લગ્ન કર્યા. 12 તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો.
13 યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા.
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
ઉત્તરના રાજ્ય સમરૂનને ચેતવણી
28 અફસોસ છે એફ્રાઇમના ધનવાન લોકો અહંકારી,
છાકટા અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ થયેલાં છે.
પરંતુ તેઓ જંગલી ફૂલ
કે પાંદડાના હારની જેમ ક્ષીણ થઇ જશે.
2 કારણ કે યહોવા મારા દેવ તમારી વિરુદ્ધ આશ્શૂરના મહાન સૈન્યને મોકલશે;
તે કરાના ભયંકર તોફાનની જેમ તમારા પર,
વિનાશ વેરનાર વાવાઝોડાની જેમ, તોફાને ચઢેલાં ઊભરાતાં પાણીના ઘસમસતા પૂરની જેમ ધસી આવશે,
ને તેમને ભોંયભેગા કરીને પછાડશે.
3 ઇસ્રાએલના છાકટા આગેવાનોના
તુમાખીભર્યા મુગટો પગ તળે કચરાશે.
4 અને તેમના માથાં પરનાં કરમાતાં ફૂલો જેવી તેમની જાહોજલાલી હશે
અને પૌષ્ટિક ખોરાકથી હષ્ટપુષ્ટ
અને ઋતુંનાં પહેલાં પાકેલાં અંજીર જેવી થશે,
જે નજરે ચડતાં જ ચૂંટાઇને ખવાઇ જાય છે.
5 યહોવાના જે લોકો બચી ગયા હશે, તેઓ માટે છેવટે સૈન્યોનો દેવ યહોવા પોતે “મહિમાનો મુગટ” અને “સૌદંર્યનો તાજ થશે.” 6 તે ન્યાયાસન ઉપર બેસનારાઓમાં ન્યાયની ભાવના પ્રેરશે અને દુશ્મનોથી નગરના દરવાજાઓનું રક્ષણ કરનારાઓને બહાદુર બનાવશે. 7 યાજકો અને પ્રબોધકો પણ દ્રાક્ષારસ પીને લથડીયાં ખાય છે; દ્રાક્ષારસથી તેમના ચિત્ત ડહોળાઇ ગયા છે, તેઓ દિવ્ય દર્શનના અર્થઘટનમાં ગોથાં ખાય છે, ચુકાદો આપવામાં ગૂંચવાય છે. 8 તેઓનાં બધાં મેજ ઊલટીથી ભરાઇ ગયાં છે, કોઇ જગા ચોખ્ખી રહેવા પામી નથી.
દેવ પોતાના લોકોને મદદ કરવા ઇચ્છે છે
9 લોકો કહે છે, “યશાયા પોતાના મનમાં શું સમજે છે કે આપણી સાથે આ પ્રમાણે વાત કરે? અમે શું હમણા જ બોલતા શીખ્યા હોય એવા નાનાં બાળકો છીએ?” 10 પણ તે આ પ્રમાણે સંભળાશે,
“ત્સવ, લે સ્તવ,[a] સ્તવ, લે સ્તવ,
કવ, લેકવ, કવ, લેકવ,
ઝર શામ, ઝર શામ!”
11 એટલે યહોવા આ લોકોની સાથે વાત કરશે, તેમને પાઠ ભણાવવા અન્ય ભાષા બોલનાર વિદેશીઓને મોકલશે.
12 તેણે તેઓને કહ્યું હતું કે, “અહીં વિશ્રામ છે. થાક્યા હોય તે વિશ્રામ કરે. અહીં શાંતિ છે,”
પણ તેમણે કાને ન ધર્યુ. 13 તેથી હવે યહોવાના શબ્દો પણ તેમનેઆ પ્રમાણે સંભળાશે,
“ત્સ, લેત્સવ, સ્ત, લેસ્તવ,
કવ, લેકવ, કવ, લેકવ,
ઝર શામ, ઝર શામ.”
તેથી તેઓ પોતાના રસ્તે જવાનું રાખે, અને ઠોકર ખાઇને પાછા પડે, તૂટી પડે અને સપડાવીને કબ્જે કરાય.
દેવના ન્યાયથી કોઇ નથી બચી સકતું
14 માટે યરૂશાલેમના લોકો પર રાજ્ય કરતાઓ ઘમંડી માણસો, તમે યહોવાના વચન સાંભળો! 15 કારણ કે તમે એમ કહો છો કે, અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે, અમે શેઓલની સાથે સમજૂતી કરી છે; જ્યારે વિનાશનો ચાબખો વીંજાશે ત્યારે તે અમને સ્પર્શ કરશે નહિ, કારણ કે અમે જૂઠાણાનો આશ્રય લીધો છે, અને અમારી જાતને જુઠ્ઠાણામાં છુપાવી દીધી છે.
16 તેથી યહોવા મારા દેવ કહે છે કે, “જુઓ, હું સિયોનમાં પાયાનો પથ્થર મૂકું છું, જે નક્કર અને મજબૂત છે. જે માણસ વિશ્વાસ રાખે છે તે ગભરાતો નથી.
17 “હું ન્યાયની દોરી અને ન્યાયીપણાનો ઓળંબો લઇ ચણતર કરીશ, કરાંનું તોફાન તમારા જૂઠાણાના આશ્રયને ઘસડીને લઇ જશે, અને પાણીનું પૂર તમારી સંતાઇ જવાની જગા પર ફરી વળશે. 18 ત્યારે તમારો મૃત્યુ સાથેનો કરાર રદ થશે, અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ, જ્યારે વિનાશનો ચાબખો વિંઝાશે ત્યારે તમે તેનાથી પટકાઇ પડશો.
19 “તે જેટલી વાર વિંઝાશે તેટલી વાર તે તમને પકડશે; પ્રતિદિન સવારે, રાતદિવસ તે વિંઝાશે, એના સમાચાર માત્રથી ભય વ્યાપી જશે.
20 “તમે તૈયાર કરેલી પથારી એટલી ટૂંકી છે કે તેના પર સૂઇ શકાય નહિ; અને ઓઢવાનું એટલું સાંકડું છે કે તમને ઢાંકી શકે નહિ.”
21 કારણ કે તે પરાસીમના પર્વત પર અને ગિબયોનની ખીણમાં રોષે ભરાઇ ઉભો થઇ જશે, અને અસાધારણ તથા અનોખું કાર્ય કરશે! 22 એટલે હવે તમે હાંસી ઉડાવશો નહિ. નહિ તો તમારી સાંકળો મજબૂત થઇ જશે.
સૈન્યોના દેવ યહોવાએ છોડેલી આખા દેશના વિનાશની આજ્ઞા મેં સાંભળી છે.
યહોવા ન્યાયપૂર્વક સજા કરશે
23 ધ્યાનથી મારી વાણી સાંભળો! ધ્યાન દઇને મારું વચન સાંભળો. 24 શું ખેડુત ખેતર ખેડ્યા જ કરે અને વાવણી જ ન કરે એવું બને ખરું? તે શું ચાલુ જમીન ખોદ્યા જ કરે છે અને રાંપડી જ ફેરવ્યા કરે છે? 25 તેની જમીનની સપાટી સરખી કરીને તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? અને ચાસમાં ઘઉં, ને નક્કી કરેલી જગાએ જવ, ને યોગ્ય ઋતુંમાં શું તે બાજરી વાવતો નથી?
26 કારણ કે તેને તેના દેવે શિક્ષણ આપીને યોગ્ય જ્ઞાન આપ્યુ હોય છે. 27 કારણ કે સૂવા ધારદાર શસ્રથી મસળાતા નથી કે જીરાના દાણા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સૂવા લાકડીથી ઝુડાય છે અને જીરું ઝૂડિયાથી ઝૂડાય છે. 28 ઘઉં સરળતાથી દળાય છે તેથી તે તેને સતત ઝાડ્યા કરતો નથી અને એક વ્યકિત અનાજના દાણા પર ગાડાનું પૈડું ફેરવે છે છતાં પણ તે દાણાને તોડી નાખતો નથી. 29 એ જ્ઞાન પણ સૈન્યોના દેવ યહોવા પાસેથી મળે છે, જેની સલાહ અદૃભુત છે અને જેનું શાણપણ અજબ છે.
1 દેવની પસંદગી પામેલ બાઈ[a] તથા તેનાં છોકરાં જોગ લખિતંગ વડીલ:
હું તમને બધાને સત્યમાં પ્રેમ કરું છું. અને એ બધા લોકો જે સત્યને જાણે છે તે બધા પણ તમને પ્રેમ કરે છે. 2 સત્યના કારણે અમે તમને પ્રેમ કરીએ છીએ-તે સત્ય જે આપણામા રહે છે. આ સત્ય આપણી સાથે સદાકાળ રહેશે.
3 આપણા પર દેવ પિતા અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની કૃપા, દયા અને શાંતિ રહેશે. આપણે આ આશીર્વાદો સત્ય અને પ્રેમ દ્વારા પ્રાપ્ત કરીશું.
4 તમારા કેટલાંએક બાળકો વિશે જાણીને હું ઘણો ખુશ હતો. હું ખુશ છું કે પિતાએ આપણને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ સત્યના માર્ગ ચાલે છે. 5 અને હવે, વહાલી બાઈ, હું તને કહું છું: આપણે બધાએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આ નવી આજ્ઞા નથી. તે એ જ આજ્ઞા છે જે આરંભથીજ આપણને મળી છે. 6 અને પ્રેમનો અર્થ એ છે કે જે રીતે જીવન જીવવાની આપણને આજ્ઞા કરી છે તે પ્રમાણે જીવવું. અને આ દેવની આજ્ઞા છે તમે પ્રેમનું જીવન જીવો. આ આજ્ઞા તમે આરંભથી સાંભળી છે.
7 હમણા જગતમાં ઘણા જૂઠા ઉપદેશકો છે. આ જૂઠા ઉપદેશકો ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો અને માણસ થયો તે સ્વીકારવાની ના પાડે છે. જે વ્યક્તિ આ સત્ય સ્વીકારવાની ના પાડે છે તે જૂઠો ઉપદેશક અને ખ્રિસ્તનો દુશ્મન છે. 8 સાવધ રહો! તમે જે કામ કર્યું છે તે બધાનો બદલો ગુમાવશો નહિ. સાવધ રહો, જેથી તમે તમારા બધાં પ્રતિફળ પામશો.
9 પ્રત્યેક વ્યક્તિએ ફક્ત ખ્રિસ્તે આપેલા ઉપદેશનેજ અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ઈસુએ આપેલા બોધને બદલે છે, તો પછી તે વ્યક્તિ પાસે દેવ નથી. પણ જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તના બોધને અનુસરવાનું ચાલુ રાખે છે, તો તે વ્યક્તિને પિતા (દેવ) અને પુત્ર બંને મળે છે. 10 જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે, પરંતુ આ બોધ લાવતો નથી, તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ. તેને આવકારો નહિ. 11 જો તમે તેને સ્વીકારો છો તો, તમે તેના દુષ્ટ કામોમાં મદદ કરો છો.
12 મારી પાસે તમને કહેવાનું ઘણુ છે. પરંતુ મારી ઈચ્છા કાગળ અને શાહીનો ઉપયોગ કરવાની નથી. તેને બદલે, તમારી મુલાકાત કરવાની હું આશા રાખું છું. પછી આપણે ભેગા મળીને વાતો કરી શકીશું, જે આપણને વધારે આનંદિત બનાવશે. 13 તારી બહેનનાં બાળકો જે દેવની પસંદગી પામેલ છે તે તમને તેઓનો પ્રેમ મોકલે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International