M’Cheyne Bible Reading Plan
બલામની પ્રથમ ભવિષ્યવાણી
23 બલામે બાલાકને કહ્યું, “અહીં માંરે માંટે સાત વેદીઓ બાંધો અને સાદ બળદ તથા સાત નર ઘેટા મને લાવી આપો.” 2 બાલાકે બલામની સૂચનાઓ પ્રમાંણે કર્યુ, અને તેણે અને બલામે દરેક વેદી પર એક વળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી.
3 બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો.
4 ત્યાં તેને દેવનો મેળાપ થયો. બલામે યહોવાને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક બળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી છે.”
5 પછી યહોવાએ બલામને શું કહેવું તે જણાવ્યું, અને કહ્યું, “તું પાછો બાલાક પાસે જા અને માંરા કહ્યાં પ્રમાંણે તેને કહેજે.”
6 બાલાક જ્યારે બલામ પાસે પાછો ફર્યો ત્યારે તે હજી આહુતિ પાસે મોઆબના આગેવાનો સાથે જ ઊભો હતો. 7 બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું:
“મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી,
પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે,
અને મને કહ્યું છે,
‘આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે!
આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.’
8 જેને દેવ શ્રાપ ન આપતો હોય
તેને હું શી રીતે શ્રાપ આપું?
દેવ જેનું ભૂડું ઈચ્છતો નથી તેનું ભૂંડું હું શી રીતે ઈચ્છું?
9 હું ઊચા ખડકની ટોચ પરથી તે લોકોને નિહાળું છું,
એ પ્રજા એકલી રહે છે,
તે અન્ય પ્રજાઓથી પોતાને ભિન્ન ગણે છે.
10 ઇસ્રાએલની પ્રજા અસંખ્ય છે!
ગણ્યા ગણાય નહિ તેટલા છે.
માંરું મૃત્યુ સજ્જન જેવું થાઓ.
ભલે માંરું જીવન ઇસ્રાએલીઓની જેમ પૂરું થાય.”
11 રાજા બાલાકે આ સાંભળીને બલામને કહ્યું, “આ તે શું કર્યું? મેં તમને માંરા દુશ્નનોને શ્રાપ આપવા તેડાવ્યો અને તમે તો તેમને આશીર્વાદ આપ્યા.”
12 પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”
13 ત્યાર પછી બાલાકે તેમને કહ્યું, “માંરી સાથે બીજી જગ્યાએ આવો, ત્યાંથી તમે ઇસ્રાએલી પ્રજાને જોઈ શકો. તમે ફકત એક ભાગને જ જોઈ શકશો, કદાચ તે જગ્યાએથી તમે તેઓને માંરા માંટે શ્રાપિત કરી શકો.” 14 એમ કહીને રાજા બાલાક બલામને પિસ્ગાહ પર્વતની ટોચે આવેલા ચોકીના મેદાનમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી અને પ્રત્યેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપ્યું.
15 બલામે રાજા બાલાકને કહ્યું, “હું યહોવાનો મેળાપ કરવા જાઉ છું. તું તારી વેદી પાસે ઊભો રહે.”
16 યહોવા બલામને મળવા આવ્યા અને બલામે શું કહેવું તે યહોવાએ તેને જણાવ્યું. 17 આથી રાજા અને મોઆબના સર્વ સરદારો તેઓની આહુતિ પાસે ઊભા હતા ત્યાં બલામ બાલાક પાસે પાછો ગયો. રાજા બાલાકે આતુરતાથી પૂછયું: “યહોવાએ તને શું કહ્યું છે?”
બલામની બીજી ભવિષ્યવાણી
18 એટલે બલામે જવાબ આપ્યો:
“બાલાક ઊઠ, ઊભો થા અને ધ્યાનથી સાંભળ.
હે સિપ્પોરના પુત્ર, હું જે કહું તે કાને ધર.
19 દેવ તે કાંઈ મનુષ્ય નથી
કે જૂઠું બોલે,
વળી તે કંઈ માંણસ નથી
કે પોતાના વિચાર બદલે.
તે તો જે બોલે તે પાળે,
ને જે કહે તે પ્રમાંણે કરે.
20 હું તેઓને આશીર્વાદ આપું તેવી મને આજ્ઞા મળી છે.
દેવ તેઓને આશીર્વાદ આપે તે હું ફેરવી શકું નહિ.
21 દેવે યાકૂબના લોકોમાં કઈ જ ખોટું ન જોયું.
દેવે ઇસ્રાએલના લોકોમાં કોઈ પાપ જોયું ન હતું.
તેઓના દેવ યહોવા તેમની સાથે છે;
તેઓની વચ્ચે તેનો જયજયકાર રાજાની જેમ થાય છે.
22 એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે,
અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે.
23 ઇસ્રાએલી પ્રજા વિરુદ્ધ કોઈ જંતરમંતર ચાલે તેમ નથી.
કોઈ પણ કામણટૂમણ સફળ થાય તેમ નથી.
ઇસ્રાએલ વિષે લોકો કહેશે;
‘જુઓ તો ખરા દેવે તેઓને માંટે કેવાં અદભૂત કાર્યો કર્યા છે!’
24 એ પ્રજા તો સિંહની જેમ છલાંગ
માંરવાને તાકી રહી છે;
એ શિકારને ફાડી ખાધા વિના અને
તેનું લોહી પીધા વિના જંપીને બેસનાર નથી.”
25 પછી બાલાકે બલામને કહ્યું, “ભલે, તું તેમને શ્રાપ ન આપે તો કંઈ નહિ, પણ ઓછામાં ઓછું તું એમને આશીર્વાદ ન આપતો.”
26 બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”
27 પછી રાજા બાલાકે બલામને કહ્યું, “ચાલ, હું તને બીજી કોઈ એક જગ્યાએ લી જાઉ, કદાચ દેવ પ્રસન્ન થાય અને ત્યાંથી તને માંરા તરફથી તેમને શ્રાપ આપવા દે.” 28 તેથી રાજા બાલાક, બલામને રણને કાંઠે આવેલા પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જયાંથી રણ જોઈ શકાતું હતું.
29 પછી બલામે બાલાકને કહ્યું, “તું મને સાત વેદી બાંધી આપ અને સાત બળદ અને સાત ઘેટાં બલિદાન માંટે લઈ આવ.” 30 બલામે જે કહ્યું તે જ પ્રમાંણે બાલાકે કર્યું અને પ્રત્યેક વેદી પર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો,
શત્રુ તરફના ભયથી મને ઉગારો.
2 દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે.
તેમનાથી મને છુપાવી દો.
3 તેઓએ તેમની જીભને તરવાર જેવી તીક્ષ્ણ બનાવી છે.
તેમનાં કડવાં શબ્દો તીર જેવાં છે, જે પાછા ખેંચાઇને વીંધવા માટે તૈયાર છે.
4 તેઓ જાડીમાં છુપાય છે અને નિર્દોષો ઊપર તેમનાં તીર ચલાવે છે.
તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે.
આમ કરતાં તેઓ ગભરાતા નથી.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે;
અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે:
“અમને અહીં જોનાર કોણ છે?”
6 તેઓ દુષ્ટકૃત્યો કરવા માટે યોગ્ય તકની ચતુરાઇથી રાહ જુએ છે;
તેઓનાં હૃદયનાં ઊંડાણમાં દુષ્ટ વિચારો
અને ખરાબ યોજનાઓ છે.
7 પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે,
અને એકાએક તેઓને વીંધી નાંખશે.
8 દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે.
અને તેઓ ઠોકર ખાશે;
જે કોઇ તેઓને જોશે
તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.
9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે.
અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે
અને દેવનાં અદ્ભૂત કાર્યો
વિષે બીજાઓને શીખવશે.
10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે.
તે દેવ પર આધાર રાખે છે.
અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.
નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.
1 હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
2 તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
3 અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
4 તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
5 હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
6 દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
7 તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
8 આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
9 તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
અને હા, તેઓ ગીતો ગાય છે.
બાબિલની પડતી ને વિજયનું દર્શન
13 આમોસના પુત્ર યશાયાને બાબિલ વિષે યહોવાએ સંદર્શન આપ્યું તે આ રહ્યું:
2 “ઉજ્જડ પર્વત પર ધ્વજા ઊંચે ફરકાવો.
તેઓને ઊંચે સાદે હાંક મારો,
હાથના ઇશારા કરો
કે તેઓ ઉમરાવોના દરવાજા પર ત્રાટકે.”
3 દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા
યોદ્ધાઓને મારા સૈનિકોને,
મારા વિશ્વાસુ લડવૈયાઓને,
મારો વિરાટ ગુસ્સો બતાવવાનો મેં હુકમ કર્યો છે.
4 “સાંભળો! પર્વતો પર મોટી મેદનીનો કોલાહલ સંભળાય છે!
ભેગા થતાં રાજ્યોનો અને પ્રજાઓનો શોરબકોર સાંભળો!
સૈન્યોના દેવ યહોવા,
યુદ્ધ માટે સૈન્યોને ભેગાં કરે છે.
5 યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા
યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી,
ક્ષિતિજને પેલે પારથી સમગ્ર
દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”
6 આક્રંદ કરો, કારણ કે યહોવાનો દિવસ આવી ગયો છે. સર્વ શકિતશાળી તરફથી સર્વનાશ આવશે. 7 બધા લોકોના હાથ ખોટા થઇ જશે. તેમના હૃદય હારી જશે. 8 તેઓ દુ:ખ અને વેદના અનુભવશે, પ્રસવવેદના ભોગવતી સ્ત્રી જેમ તેઓ કષ્ટ પામશે; તેઓ ગભરાઇ જશે અને ડરથી એકબીજા સામે અનિમેષ ષ્ટિથી જોયા કરશે.
બાબિલ વિરુદ્ધ દેવનો ન્યાય
9 જુઓ, યહોવાનો દિવસ આવે છે; તે રોષ અને ભયંકર ક્રોધથી નિર્દય બનીને ધરતીને ઉજ્જડ કરી નાખશે અને તેમાંથી પાપીઓનો સંહાર કરશે; 10 આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપતાં બંધ થઇ જશે. સૂર્ય ઊગતાંની સાથે ઘોર અંધકાર થઇ જશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.
11 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું જગત ઉપરનાં પાપો માટે આફત ઉતારીશ; તેમના ગુનાઓ માટે દંડ ફટકારીશ. હું ઉદ્ધત વ્યકિતઓનું અભિમાન ઉતારીશ. 12 જુલમગારોની તુમાખીને ધૂળ ચાટતી કરી નાખીશ. ઓફીરના શુદ્ધ સોનાની માફક લોકો પણ દુર્લભ થઇ જશે. 13 હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”
14 બાબિલમાં વસતા વિદેશીઓ જેની પાછળ શિકારીઓ પડ્યાં છે, એવાં હરણાંની જેમ અથવા રેઢાં મૂકેલાં ઘેટાંની જેમ, પોતાને વતન પોતાના લોકોમાં ભાગી જશે. 15 બાબિલમાં રહેતા દરેક જણ જે પકડાઇ ગયાં છે, તેઓને ભાલાથી વીંધી નાખવામાં આવશે અને પકડાયેલો દરેક જણ તરવારનો ભોગ બનશે. 16 તેમનાં બાળકોને તેમનાં દેખતાં પછાડીને મારી નાખવામાં આવશે, તેમનાં ઘરો લૂંટી લેવામાં આવશે, અને તેમની સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવશે.
17 “કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ, 18 બાબિલના યુવાનો, બાળકો કે વૃદ્ધો પર લશ્કરના સૈનિકો દયા દાખવશે નહિ. 19 સદોમ અને ગમોરાનો નાશ યહોવાએ આકાશમાંથી આગ મોકલીને કર્યો હતો.
“તે જ પ્રમાણે રાજ્યોમાં સૌથી ગૌરવવાન, ખાલદીઓના વૈભવ અને ગર્વરૂપ બાબિલ તેમના હાથે ખેદાનમેદાન થઇ જશે. 20 એમાં ફરી કદી વસતિ થશે નહિ, દીર્ઘકાળપર્યંત એમાં કોઇ વસશે નહિ, કોઇ ભટકતી ટોળી પણ ત્યાં તંબુ તાણશે નહિ, કોઇ ભરવાડ ત્યાં ઘેટાબકરાંને પણ નહિ બેસાડે. 21 પણ ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરશે અને તેનાં ઘરો ઘુવડોથી ભરાઇ જશે; ત્યાં શાહમૃગનો વાસ થશે અને રાની બકરાં કૂદાકૂદ કરશે. 22 એનાં આલીશાન મકાનોમાં અને એનાં રંગમહેલોમાં વરુ અને શિયાળવાં ભૂંકતા રહેશે. એના દિવસો ભરાઇ ગયા છે, એનો સમય પૂરો થઇ ગયો છે.”
1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર, તરફથી કુશળતા હો.
દેવની પસંદગી પામેલા લોકો જોગ જેઓ તેઓના ઘરથી દૂર પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આસિયા અને બિથૂનિયાના વિવિધ વિસ્તારોમાં પથરાયેલા છે. 2 દેવ બાપે ઘણા સમય પહેલા તેના પવિત્ર લોકો બનાવવા તમને પસંદ કર્યા હતા. તમને પવિત્ર કરવાનું કામ આત્માનું છે. દેવ ઈચ્છતો હતો કે તમે તેને આજ્ઞાંકિત બનો. અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્ધારા તમે શુદ્ધ બનો.
તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.
જીવંત આશા
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે. 4 હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.
5 તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે. 6 આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે. 7 આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે. વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
8 તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. 9 તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.
10 પ્રબોધકોએ ખંતથી અભ્યાસ કરીને આ તારણ વિષે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે વાત કરી છે. 11 ખ્રિસ્તનો આત્મા તે પ્રબોધકોમાં હતો. અને તે આત્મા ખ્રિસ્તને સહન કરવાની વ્યથા વિષે તેમજ તે વ્યથા પછી આવનાર મહિમા વિષે વાત કરતો હતો. આ આત્મા જે દર્શાવતો હતો તે વિષે સમજવાનો તે પ્રબોધકોએ પ્રયત્ન કર્યો હતો. તેઓ આ ઘટના ક્યારે ઘટશે અને તે વખતે દુનિયા કેવી હશે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
12 તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.
પવિત્ર જીવન માટે આહવાન
13 તેથી સેવા માટે તમારા મન તૈયાર કરો, અને તમારી જાતને નિયંત્રણમાં રાખો. ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમને પ્રાપ્ત થનાર કૃપા પર તમારી પૂર્ણ આશા રાખો. 14 ભૂતકાળમાં તમે આ બધું સમજ્યા નહિ, તેથી તમે ઈચ્છતા હતા તેવા દુષ્ટ કાર્યો તમે કર્યા, પરંતુ હવે તમે દેવના આજ્ઞાંકિત છોકરાં છો. તેથી ભૂતકાળમા જીવતા હતા તેવું ન જીવશો. 15 પરંતુ જે કંઈ કરો તેમાં દેવ જેવા પવિત્ર બનો. દેવ એક જ છે કે જેણે તમને તેડ્યા છે. 16 પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે પવિત્ર થાઓ, કારણ કે હું પવિત્ર છું.” (A)
17 તમે દેવની પ્રાર્થના કરો અને તેને બાપ તરીકે સંબોધો. દેવ દરેક વ્યક્તિના કાર્યનો સમાન ન્યાય કરે છે. તેથી જ્યારે તમે અહીં પૃથ્વી પરના પ્રવાસમાં છો, ત્યારે દેવનો ભય (માન) રાખીને જીવો. 18 તમે જાણો છો કે ભૂતકાળમાં તમ નિરર્થક જીવન જીવતા હતા. તમારા પહેલા જીવી ગયેલા લોકો પાસેથી તમને આવું જીવન વારસામાં મળ્યું હતું. પરંતુ તે પ્રકારની જીવન પદ્ધતિમાંથી તમને બચાવી લેવામા આવ્યા છે, તમને ખરીદવામાં આવ્યા છે. પરંતુ સોના કે ચાંદી જેવી નાશવંત વસ્તુઓથી નહિ. 19 તમે તો ખ્રિસ્તના અમૂલ્ય રક્ત થી ખરીદાયા છો કે જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે. 20 આ જગતની રચના પહેલા ખ્રિસ્તની પસંદગી થઇ હતી. પરંતુ આ અંતિમ સમયમાં તમારી માટે જગતમાં ખ્રિસ્ત પ્રગટ થયો છે. 21 ખ્રિસ્ત થકી તમે દેવમા વિશ્વાસ કરો છો. દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડ્યો અને તેને મહિમા બક્ષ્યો. તેથી તમારો વિશ્વાસ અને તમારી આશા દેવમાં છે.
22 હવે સત્યને અનુસરીને તમે તમારી જાતને નિર્મળ બનાવી છે. હવે તમે તમારા ભાઇઓ અને બહેનો માટે સંપૂર્ણ હૃદયથી તથા બળથી પ્રીતિ કરો. 23 તમે પુર્નજન્મ પામ્યા છો. આ નવજીવન વિનાશી બીજમાંથી આવ્યું નથી. પરંતુ અવિનાશીથી તમને આ નવજીવન પ્રાપ્ત થયું છે. દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુર્નજન્મ આપવામાં આવ્યો છે. 24 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“લોકો અમર નથી, તેઓ તો ઘાસ જેવા છે.
અને તેઓનુ સઘળુ ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે.
અને ફૂલ ખરી પડે છે.
25 પરંતુ પ્રભુનું વચન સદાકાળ રહે છે.” (B)
અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામા આવ્યું હતું તે એ જ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International