M’Cheyne Bible Reading Plan
પાસ્ખાપર્વ
9 મિસરમાંથી પ્રસ્થાન કર્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં ઇસ્રાએલી પ્રજા અને મૂસા સિનાઈના અરણ્યમાં હતા ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇસ્રાએલી પ્રજાએ નિયત સમયે પાસ્ખાપર્વ પાળવાનું છે. 3 પાસ્ખાપર્વ પ્રથમ મહિનામાં ચૌદમાં દિવસની સંધ્યાઓ શરૂ થાય છે. તમાંરે એને લગતા બધા નિયમો અને વિધિઓનું ચુસ્તપણે પાલન કરવાનું છે.”
4 તેથી મૂસાએ ઇસ્રાએલી પ્રજાને પાસ્ખાપર્વ ઉજવવાની આજ્ઞા કરી. 5 ઇસ્રાએલી પ્રજાએ પાસ્ખા પર્વની ઉજવણી સિનાઈના અરણ્યમાં પ્રથમ મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે શરૂ કરી હતી. યહોવાએ મૂસાને સૂચવ્યું હતું તે મુજબ ઇસ્રાએલીઓએ કર્યું.
6 પરંતુ એવું બન્યું કે કેટલાક માંણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા, તેઓ દફનક્રિયામાં હતા તેથી તે દિવસે પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તેમણે તે જ દિવસે મૂસા અને હારુનની પાસે જઈને પોતાની હકીકત દર્શાવી. 7 તેઓએ મૂસાને કહ્યું, “અમે મૃત દેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. સર્વ ઇસ્રાએલીઓ નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ કરે છે. તે અમને શા માંટે તેમ કરવાની મનાઈ કરવામાં આવે છે?”
8 મૂસાએ તેમને કહ્યું, “તમાંરી બાબતમાં યહોવાની આજ્ઞા શી છે તે હું જાણી લઉ ત્યાં સુધી તમે ધીરજ ધરો.”
9 યહોવાએ મૂસાને કહ્યું, 10 “તારે ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહેવું કે: તમાંરામાંથી અથવા તમાંરા વંશજોમાંથી કોઈ મૃતદેહના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર પ્રવાસમાં હોય, તો પણ માંરા માંનમાં પાસ્ખા નીચે પ્રમાંણે પાળી શકે છે. 11 આવા લોકો બીજા મહિનાના ચૌદમાં દિવસે સંધ્યાકાળે ઉજવણી શરૂ કરી શકે છે. તેઓએ અર્પણ કરેલુ હલવાન બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું; 12 એમાંનું કશું સવાર સુધી રહેવા દેવું નહિ, તેમજ એ બલિના પશુનું કોઈ હાડકું ભાંગવું પણ નહિ. તેમણે એ પાસ્ખાને લગતા બધા નિયમો અને વિધિઓનું પાલન કરવું. 13 પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.
14 “પરંતુ તમાંરી વચ્ચે કોઈ વિદેશી રહેતો હોય અને તે પાસ્ખા ઊજવવા ઈચ્છતો હોય તો તેણે પણ એના બધા નિયમો અને વિધિઓ પ્રમાંણે એ ઊજવવું જોઈએ. દેશના વતનીઓ તથા વિદેશીઓ સૌને માંટે એક જ નિયમ છે.”
વાદળ અને અગ્નિ
15 જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો. 16 આ પ્રમાંણે હંમેશા થતું રહ્યું. દિવસે વાદળ આચ્છાદન કરતો અને રાત્રે અગ્નિની જેમ ઝળહળતું. 17 જ્યારે જ્યારે પવિત્ર મંડપ ઉપરથી વાદળ હઠી જતું, ત્યારે ત્યારે ઇસ્રાએલી પ્રજા મુકામ ઉઠાવતી, અને આગળ મુસાફરી કરતી અને જયાં જયાં વાદળ થોભે ત્યાં ત્યાં મુકામ કરતી. 18 આમ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓ મુકામ ઉઠાવતા મુસાફરી કરતા અને મુકામ કરતા. જયાં સુધી વાદળનું આચ્છાદન લાંબા સમય સુધી રહે તો ત્યાં સુધી તેઓ મુકામ ચાલુ રાખતા. 19 જો વાદળ લાંબા સમય સુધી પવિત્રમંડપ પર રહેતું તો ઇસ્રાએલી પ્રજા યહોવાની આજ્ઞા માંથે ચઢાવીને આગળ પ્રવાસ કરતી નહિ અને લાંબા સમય સુધી ત્યાં જ રોકાતી. 20 પરંતુ કેટલીક વખત વાદળ થોડા દિવસ જ મુલાકાત મંડપ પર રહેતું ત્યારે પણ તેઓ યહોવાની આજ્ઞા થતાં મુકામ કરતા અને યહોવાની આજ્ઞા થતા મુકામ ઉઠાવતા. 21 કેટલીક વખત વાદળ સાંજથી સવાર સુધી રહેતું, સવારે વાદળ હઠતાં જ તેઓ મુકામ ઉઠાવતા, અને તેને અનુસરતાં. જો તે રાતના હઠતાં તો તેને અનુસરતા. 22 જયાં સુધી વાદળ પવિત્રમંડપ પર ભલે રહે પછી એ બે દિવસ માંટે હોય, એક મહિના માંટે હોય કે એક વર્ષ માંટે હોય ત્યાં સુધી ઇસ્રાએલીઓ મુકામ ઉઠાવતા નહિ; જયારે વાદળ હઠતું ત્યારે જ તેઓ મુકામ ઉઠાવી પ્રવાસ કરતા. 23 આમ તેઓ યહોવાની આજ્ઞા અનુસાર છાવણી કરતાં અથવા પ્રવાસ કરતા, યહોવા મૂસા દ્વારા તેઓને જે આજ્ઞા કરે તે પ્રમાંણે તેઓ કરતા.
નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.
1 મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.
2 તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
3 હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
4 તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
5 તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
8 હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
9 તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.
10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11 તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
લઇને તમને મળવા આવશે.
13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.
16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.
સુલેમાન:
7 હે રાજકુંવરી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે!
તારા પગ કુશળ કારીગરે કંડારેલા ઝવેરાત જેવા છે!
2 તારી નાભિ જાણે સુંદર ગોળાકાર પ્યાલો,
જેમા દ્રાક્ષારસ કદી ખૂટતો નથી.
તારું પેટ ખીલેલા ફૂલોથી શણગારેલી
ઘઉંની ઢગલીના જેવું છે.
3 તારાં બે સ્તન જાણે હરણીના
મનોહર જોડિયા બચ્ચાં જેવા છે!
4 હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન;
તારી આંખો જાણે બાથ-રાબ્બીમના નગર દરવાજા પાસે
આવેલા હેશ્બોનના ઝરા!
તાંરુ નાક જાણે દમસ્કની ચોકી કરતો
લબાનોનનો બુરજ!
5 તારું મસ્તક કામેર્લ પર્વત સમું છે.
તારા કેશ ઘનઘોર ઘટાં જેવા છે.
તારા વળાંકોમાં રાજા પોતે
બંદીવાન બની ગયો છે.
6 અહા! મારી પ્રીતમા,
તું કેવી સુંદર છે!
તથા વિનોદ કરવા લાયક
અને આનંદદાયક છે!
7 તાડના વૃક્ષ જેવી
તું ઊંચી અને સુડોળ છે;
અને તારા સ્તનો
તેના ફળો જેવાઁ છે!
8 મેં કહ્યું, “હું તાડના વૃક્ષ પર ચઢી જાઉં;
તેના ફળો હું લઉં,
તારા સ્તન દ્રાક્ષની લૂમો જેવાઁ થાય!
તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય!
9 તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય!
તે દ્રાક્ષારસ સીધો મારા પ્રીતમ પાસે જાય,
અને તેના હોઠો તથા દાંત ઉપર સરળતાથી પેટમાં ઊતરી જાય.”
કન્યા કહે છે સુલેમાનને:
10 હું તેની પ્રીતમા છું
અને તે મારા માટે તીવ્ર ઝંખના રાખે છે.
11 હે મારા પ્રીતમ!
ચાલ, આપણે ખેતરમાં જઇએ;
અને આપણે ગામડાંમાં ઉતારો કરીએ.
12 આપણે વહેલાઁ ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઇએ;
દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ,
ને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ,
તે આપણે જોઇએ;
ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.
13 ત્યાં મદનવેલ તેની સુગંધ પ્રસરાવે છે;
વળી આપણાં આંગણામાં સર્વ પ્રકારના જૂના
અને નવા તરેહ તરેહનાં ફળો છે,
મારા પ્રીતમ, મેં તેને કાળજી પૂર્વક તારા માટે સાચવી રાખ્યા છે.
યાજક મલ્ખીસદેક
7 આ મલ્ખીસદેક શાલેમનો રાજા હતો તથા તે પરાત્પર દેવનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને ઈબ્રાહિમ પાછો આવી રહ્યો હતો, ત્યારે મલ્ખીસદેક તેને મળ્યો. અને મલ્ખીસદેક ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો. 2 ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો.
મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે. તેના બે અર્થ થાય છે પહેલો અર્થ, મલ્ખીસદેક એટલે “ભલાઈનો રાજા.” અને “શાલેમનો રાજા,” એટલે “શાંતિનો રાજા” પણ છે. 3 મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી, તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી, પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે.
4 આ મલ્ખીસદેકની મહાનતાને વિચાર કરો! ઈબ્રાહિમે યુદ્ધમાં જીતીને મેળવેલી તમામ સંપત્તિમાંથી દશમો ભાગ આપી દીધો. 5 નિયમશાસ્ત્ર કહે છે કે લોકો લેવી પુત્રમાંથી એટલે પોતાના ભાઈઓમાંથી બનેલા યાજકોને દશાંશ આપે. યાજકો અને લોકો પછી ભલે તે ઈબ્રાહિમના પરિવારના હોય તો પણ તેમની પાસેથી દશાંશ એકઠા કરે. 6 મલ્ખીસદેક લેવી કુટુંબનો નહોતો. છતાં તેને ઈબ્રાહિમ પાસેથી દશમો ભાગ મળ્યો. ઈબ્રાહિમે દેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા છતાં મલ્ખીસદેક તેને આશીર્વાદ આપ્યો. 7 આશીર્વાદ આપનાર વ્યક્તિ આશીર્વાદ પામનાર કરતાં વધુ મહાન હોય છે તે સર્વ કોઈ જાણે છે.
8 અહીં ર્મત્યે માણસો દશમો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે, તે લે છે. 9 વળી એમ પણ કહી શકાય કે, જે લેવીનો દશમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દશમો ભાગ આપ્યો. 10 કેમ કે જ્યારે મલ્ખીસદેક તેના પિતાને મળ્યો, ત્યારે લેવી હજી પોતાના પિતાની કમરમાં હતો.
11 હવે જો લેવીના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત. (જેના મારફત લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું) તો હારુંનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ એવો બીજો યાજક મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? 12 કારણ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલવાની અગત્ય છે. દેવ જ્યારે યાજકપદ બદલે છે ત્યારે તેને સંકળાયેલા નિયમો પણ બદલે છે. 13 જેના વિષે વાત કરવામાં આવી છે તે કોઈ બીજા કુળના છે. આ કુળની કોઈપણ વ્યક્તિ વેદીનો સેવક નહોતી. સિવાય કે લેવી કુળની વ્યક્તિ હોય. 14 કેમ કે તે સ્પષ્ટ છે કે આપણો પ્રભુ (ખ્રિસ્ત) યહૂદાના કુળમાં જન્મ્યો હતો. અને મૂસાના નિયમ પ્રમાણે યાજકપદની સેવા તેના કુટુંબને સોંપાયેલી નહોતી.
ઈસુ મલ્ખીસદેક સમાન યાજક
15 મેં જે કંઈ કહ્યું છે તેથી પણ વધારે સ્પષ્ટ થાય છે. કે મલ્ખીસદેક જેવો બીજો યાજક પ્રગટ થઈ રહ્યો છે. 16 એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો, પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે. 17 શાસ્ત્રોમાં એના વિષે કહેવામાં આવ્યું છે કે: “તું મલ્ખીસદેક હતો તેના જેવો જ સનાતન યાજક છે.” (A)
18 પહેલાનો નિયમ એટલા માટે રદ કરવામાં આવ્યો કે તે નિર્બળ અને વ્યર્થ હતો. 19 મૂસાના નિયમશાસ્ત્રથી કશું પૂર્ણ થઈ શક્યુ નથી. અને હવે આપણને વધારે સારી આશા છે. અને તે આશા દ્ધારા આપણે દેવની નજીક આવી શકીએ છીએ.
20 એ વાત પણ એટલી જ અગત્યની છે કે દેવે વચન દ્ધારા ઈસુને પ્રમુખ યાજક બનાવ્યો. જ્યારે બીજા માણસો યાજક બન્યા, ત્યારે દેવે આવા કોઈ સમ લીધા નહોતા. 21 પણ ઈસુ તો દેવના વચન સાથે યાજક બન્યો. દેવે તેને કહ્યું:
“પ્રભુએ સમ ખાધા છે,
તે તેનો વિચાર કદી બદલશો નહિ:
તું સનાતન યાજક છે.” (B)
22 તેથી દેવના સમ દર્શાવે છે કે તેના લોકો માટે દેવ તરફથી ઈસુ ઉત્તમ ખાતરીબદ્ધ કરાર છે.
23 અને જ્યારે આવા ઘણા યાજકો હતા ખરા, કારણ કે યાજક વર્ગમાં તેમને ચાલુ રહેતા મૃત્યુએ અટકાવી દીધા હતા. 24 પણ ઈસુ સદાકાળ રહે છે તે માટે એનું યાજકપદ અવિકારી છે. 25 આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.
26 ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે. તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે. 27 તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. 28 જૂના નિયમો પ્રમાણે પસંદ કરવામાં આવતા પ્રમુખ યાજકો નિર્બળ અને અધૂરા હતા. પરંતુ દેવના સમનું વચન નિયમશાસ્ત્ર પછી આપવામાં આવ્યું હતુ. તેણે પોતાના પુત્રને સદાકાળ માટે સંપૂર્ણ પ્રમુખયાજક તરીકે નીમ્યો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International