M’Cheyne Bible Reading Plan
બલામની ત્રીજી ભવિષ્યવાણી
24 બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો. 2 તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો. 3 અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું,
“બયોરનો પુત્ર બલામ કહે છે,
જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે.
4 દેવના શબ્દો સાંભળનારની વાણી છે.
સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.
5 “હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે!
હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!
6 જાણે નદીકાંઠે વિસ્તરેલા બાગબગીચા,
જાણે યહોવાએ રોપેલા કુવારના છોડ,
7 અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે,
તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે.
ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે.
તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.
8 “દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા
તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે.
તેઓ સિંહ જેવા છે;
પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે;
તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે,
અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.
9 પછી તે આડો પડીને ઊઘે છે,
તેને ઉઠાડવાની હિંમત કોણ કરે?
હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ
આપે તેના પર આશીર્વાદ ઊતરો,
તમને જે શ્રાપ આપે
તેના પર શ્રાપ ઊતરો.”
10 આ સાંભળીને રાજા બાલાક બલામ પર ખૂબ ગુસ્સે થયો. ક્રોધાવેશમાં મુક્કી પછાડીને તેણે અણગમો વ્યક્ત કરતાં ઊંચા સાદે કહ્યું, “હું માંરા દુશ્મનોને શ્રાપ આપવા માંટે તને લઈ આવ્યો અને તેં ત્રણ ત્રણ વાર તેમને આશીર્વાદ આપ્યા! 11 ચાલ, ભાગ, અહીંથી ચાલ્યો જા. ઘર ભેગો થઈ જા! મેં તને ભારે સન્માંન આપવાનું વચન આપ્યું હતું, પણ યહોવાએ તને તેનાથી વંચિત રાખ્યો છે.”
12 બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે, 13 ‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’ 14 હવે હું માંરા લોકો પાસે જાઉ છું પણ તે પહેલા તને સાવધાન કરતો જાઉ છું કે આ ઇસ્રાએલીઓ ભવિષ્યમાં તમાંરા મોઆબીઓના શા હાલ કરશે.”
બલામની છેલ્લી ભવિષ્યવાણી
15 એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી:
“બયોરના પુત્ર બલામની,
દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.
16 દેવના શબ્દો સાંભળનારની,
જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે.
સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા
દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.
17 “હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી,
પણ ભવિષ્યનું છે.
યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે,
ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે,
તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે.
અને શેથના પુત્રોનો તે નાશ કરશે.
18 ઇસ્રાએલ મજબૂત બનશે!
તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે.
તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.
19 “યાકૂબના કુટુંબમાંથી એક નવો શાસક આવશે. તે શાસક શહેરમાં બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”
20 પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી:
“અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”
21 પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી:
“તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત,
તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે.
22 પણ એ બળી જવા નિમાંયો છે.
કેનીઓનો વિનાશ થશે.
તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”
23 અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું:
“દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે?
24 કિત્તીમમાંથી (સાયપ્રસ) કિનારા પરથી વહાણો આવશે.
તેઓ આશ્શૂરને અને એબેરને કચડી નાખશે,
પછી છેવટે વિજેતા પણ વિનાશ પામશે.”
25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો.
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.
નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.
1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.
2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
7 દેવ આપણને આશીર્વાદ આપશે,
પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.
ઇસ્રાએલ પર દેવની કૃપાદૃષ્ટિ થશે
14 કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે. 2 ઘણી પ્રજાઓ તેમને તેમના પોતાના વતનમાં જવામાં સાથ આપશે, અને યહોવાની આપેલી ભૂમિમાં ઇસ્રાએલીઓએ લોકોને દાસ અને દાસીઓ તરીકે રાખશે; અને તેમને કેદ પકડનારાઓને તેઓ કેદ પકડશે અને તેમના પર અન્યાય કરનારાઓ પર તેઓ રાજ્ય કરશે. 3 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને તમારા કલેશથી તથા તમારા સંતાપથી અને તમે વેઠેલી સખત મજૂરીમાંથી તમને મુકિત આપશે.
બાબિલના રાજા વિષે એક ગીત
4 તે દિવસે તમે મહેણાં મારીને બાબિલના રાજાને કહેશો કે,
સિતમગાર કેવો શાંતિથી પડ્યો છે.
તેનો ઉગ્ર રોષ કેવો શાંત પડ્યો છે!
5 યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને
તારા દુષ્ટ શાસનનો અંત કર્યો છે.
6 તમે તમારા ક્રોધમાં મારા લોકોનું દમન કર્યુ છે.
તમે તેઓને સતત માર્યા છે,
તમે તમારા ક્રોધમાં તેમના પર ડંખીલુ શાસન કર્યુ છે
તમે પ્રજાની પર જુલમ ગુજારતાં અટક્યા નથી.
7 સમગ્ર પૃથ્વી હવે નિરાંતે શાંતિ ભોગવે છે.
લોકો એકાએક ગીતો ગાઇ ઉઠે છે.
8 હે બાબિલનાં રાજા,
તારી દશા જોઇને સરુના વૃક્ષો
અને લબાનોનના ગંધતરુઓ
આનંદમાં આવીને કહે છે,
“તું કબરમાં સૂતો ત્યારથી કોઇ કઠિયારો
અમને કાપવા આવ્યો નથી!”
9 પાતાળમાં રહેલા શેઓલમાં ખળભળાટ
અને ઉશ્કેરાટ મચી ગયો છે.
અને તે તમે જ્યારે આવો ત્યારે
તમારું સ્વાગત કરવા માટે આતુર છે.
પૃથ્વી પરના બધા રાજાઓના આત્માઓ
તમારું અભિવાદન કરવા પોતાના
આસન પરથી ઉભા થઇ ગયા છે.
10 તેઓ બધાં તને જોઇને બોલી ઊઠે છે.
“તું પણ અમારા જેવો નબળો નીકળ્યો!
અમારામાંનો એક બની ગયો!”
11 તારા વૈભવનો તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના સંગીતનો અંત આવ્યો છે.
તું શેઓલમાં[a] પહોંચી ગયો છે.
તારી પથારી અળસિયાઁની છે
અને કૃમિ જ તારું ઓઢણ છે!
12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર,
તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે!
બીજી પ્રજાઓનો નાશ કરનાર,
તને કાપી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો છે.
13 તું તારા મનમાં એમ માનતો હતો કે,
“હું આકાશમાં ઉંચે ચઢીશ,
અને પ્રચંડ નક્ષત્રો કરતાં પણ ઊંચે મારું સિંહાસન માંડીશ,
આકાશના ઘુમ્મટની ટોચે દેવોની સભાના પર્વત પર બેસીશ;
14 હું વાદળોથી પણ ઉપર જઇશ
અને પરાત્પર દેવ સમાન બનીશ.”
15 પણ તું તો અધોલોકમાં આવી પડ્યો છે,
પાતાળને તળિયે પહોંચી ગયો છે!
16 જ્યારે જે કોઇ તને જોશે,
તે તારા તરફ ટીકી રહેશે અને વિચાર કરશે કે,
“શું આ એ માણસ છે, જેણે પૃથ્વીને ધ્રૂજાવી હતી,
રાજ્યોને ડોલાવ્યાં હતાં જેણે જગતને અરણ્ય સમાન બનાવી દીધું હતું.
17 નગરોને ખેદાનમેદાન કરી નાખ્યાં હતાં.
અને જેણે કદી પોતાના કેદીઓને છોડી મૂકીને ઘેર જવા દીધા નહોતા?”
18 બીજી બધી પ્રજાના રાજાઓ માનપૂર્વક
પોતપોતાની કબરમાં સૂતેલા છે.
19 પણ તને તો કબર પણ મળી નથી.
તારા શબને તિરસ્કારપૂર્વક
ફેંકી દેવામાં આવ્યું છે.
તારું કચડાયેલું શબ,
યુદ્ધમાં વીંધાઇ ગયેલા યોદ્ધાઓથી વીંટળાઇને
એક ખાડાના ખડક તળિયે પડ્યું છે.
20 તારા નામનું કોઇ સ્મારક ઊભું કરવામાં આવશે નહિ
કારણ કે તેં તારા લોકોનો તેમજ તારા દેશનો નાશ કર્યો છે.
તારી ગાદી પર તારો પુત્ર આવશે નહિ,
તારા જેવા કુકમીર્ના વંશજોનું નામોનિશાન
પણ ન રહેવું જોઇએ.
21 એમના પૂર્વજોના પાપ માટે તેમની હત્યાઓ કરો,
જેથી તેઓ ફરીથી ઊભા થઇ શકે નહિ,
દેશને જીતી શકે નહિ
અને પૃથ્વીના નગરોને ફરીથી બાંધે નહિં.
22 સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું બાબિલની સામે થઇશ, હું તેનું નામોનિશાન ભુંસી નાખીશ, એનો વંશવેલો નિર્મૂળ કરી નાખીશ.
23 “હું તેને શાહુડીનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું બનાવી દઇશ; હું વિનાશનો સાવરણો ચલાવીશ અને બધું સાફ કરી નાખીશ.” આ સૈન્યોના દેવયહોવાના વચન છે.
દેવ આશ્શૂરને પણ સજા કરશે
24 સૈન્યોના દેવ યહોવા સમપૂર્વક કહે છે કે, “મારી યોજના પ્રમાણે જ બધું થશે. મારી ઇચ્છા અનુસાર જ બધું બનશે. 25 હું મારા દેશનાં ડુંગરો પર આશ્શૂરને પગ તળે રોળી તેનો ભૂક્કો ઉડાવી દઇશ. ત્યારે તેની ઝૂંસરી મારા લોકો પરથી ઊતરી જશે. તેનો બોજો તેમના ખભા પરથી ઊતરી જશે. 26 આ યોજના સમગ્ર પૃથ્વી માટે ઘડવામાં આવી છે. બધી પ્રજાઓ સામે આ હાથ ઉગામેલો છે.”
27 સૈન્યોના દેવ યહોવાની આ યોજના છે, અને એને કોણ સમાપ્ત કરી શકે? તેમણે હાથ ઉગામ્યો છે, એને પાછો કોણ વાળી શકે?
પલિસ્તીઓને દેવનો સંદેશ
28 જ્યારે રાજા આહાઝનું અવસાન થયું તે વર્ષ દરમ્યાન આ પ્રમાણે દેવી વાણી સંભળાઇ.
29 હે સર્વ પલિસ્તીઓ, તમને મારનારી લાઠી ભાંગી ગઇ છે, તેથી આનંદમાં નાચશો નહિ, કારણ કે એક સાપમાંથી બીજો એક વધારે ભયંકર સાપ જન્મ લે છે, અને તેમાંથી હજી બીજો ઊડતો સાપ પેદા થાય છે. 30 પરંતુ મારા ગરીબ અને દીનદલિત લોકો રોટલો પામશે અને શાંતિથી રહેશે. હે પલિસ્તીઓ! હું દુકાળ મોકલી તમારા લોકોને જડમૂળથી ઉખેડી નાખીશ. કોઇ તેમાંથી ઉગરી શકશે નહિ.
31 હે પલિસ્તી દેશનાં નગરો, આક્રંદ કરો,
હે પલિસ્તીઓ, તમે સૌ ભયથી થથરી ઊઠો!
કારણ ઉત્તરમાંથી તોફાનની જેમ સૈન્ય આવે છે
અને એમાં કોઇ ભાગેડુ નથી.
32 બીજા દેશમાંથી આવેલા સંદેશવાહકોને શો જવાબ આપવો?
એ જ કે, યહોવાએ સિયોનની સ્થાપના કરી છે
અને ત્યાં જ તેના ગરીબ અને કચડાયેલા લોકો આશ્રય મેળવશે.
જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
2 તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો. 2 નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે. 3 પ્રભુની દયાનો અનુભવ તમે ક્યારનોય કર્યો છે. તેથી તેના વડે તારણ મેળવવા આગળ વધો.
4 પ્રભુ ઈસુ તે જીવંત “પથ્થર” છે. દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર (ઈસુ) ની જરુંર નથી.
પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો. અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું. તેથી તેની નજીક આવો. 5 તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો. 6 પવિત્રશાસ્ત્ર કહે છે કે:
“જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે,
અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું;
જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” (A)
7 તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર – તે એક એવો પથ્થર છે:
“જેને સ્થપતિઓએ અવગણ્યો છે.
તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.” (B)
8 અવિશ્વાસીઓ માટે, તે છે:
“તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે,
એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” (C)
લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
9 પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
10 કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા.
પરંતુ હવે તમે દેવની પ્રજા છો.
ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી.
પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.[a]
દેવ માટે જીવો
11 પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે અજાણ્યા પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઈચ્છે છે તે વિષયોથી દૂર રહો. તે વસ્તુઓ તમારા આત્માની વિરૂદ્ધ લડે છે. 12 તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે.
દરેક માનવીય સત્તાને આધિન રહો
13 આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો. 14 રાજા દ્ધારા મોકલવામા આવેલા અધિકારીઓને આજ્ઞાંકિત બનો. જે લોકો ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જે લોકો સારું કરે છે, તેઓના વખાણ કરવા આ લોકોને દેવે મોકલ્યા છે. 15 તેથી જ્યારે તમે સારું કરો ત્યારે તમારા વિષે મૂર્ખાઇ ભરેલી વાતો કરતા મૂર્ખ લોકોના મુખ તમે બંધ કરી દો. દેવ જે ઈચ્છે તે આ છે. 16 સ્વતંત્ર લોકોની જેમ જીવો. પરંતુ દુષ્ટ કાર્ય કરવા માટે સ્વતંત્રતાને બહાનું ન બનવા દેવની સેવામાં જીવન વિતાવો. 17 દરેક લોકોનો આદર કરો. દેવના કુટુંબના દરેક ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો. રાજાનું સન્માન કરો અને દેવથી ડરો, અને રાજાને માન આપો.
ખ્રિસ્તની વેદનાનું દ્દષ્ટાત
18 ચાકરો, તમારા ધણીની સત્તાનો સ્વીકાર કરો. અને તે પણ સંપૂર્ણ સન્માનસહિત કરો. તમારે ભલા અને દયાળુ ધણીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેમજ ખરાબ ધણીની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ. 19 પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે. 20 પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે. 21 પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.
22 “તેણે કોઈ પાપ નહોતું કર્યુ,
અને તેના મુખેથી કોઇ અસત્ય ઉચ્ચારયું નહોતું.” (D)
23 ખ્રિસ્ત વિષે લોકો ખરાબ બોલ્યા, પરંતુ ખ્રિસ્ત તેઓના માટે કશું જ ખરાબ ન બોલ્યા. ખ્રિસ્તે સહન કર્યું પરંતુ લોકોને તેણે ધમકાવ્યા નહિ. અદબ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. ખ્રિસ્તે દેવને તેની કાળજી લેવા દીધી. દેવ તે યોગ્ય ન્યાય કરે છે. 24 વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં. 25 તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International