Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગણના 19

લાલ ગાયનાં દેહાવશેષે

19 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે. તારે એ ગાય યાજક એલઆઝારને આપવી. અને તેણે તેને છાવણી બહાર લઈ જવી અને ત્યાં તેને માંરી નાખવી. એલઆઝાર તેનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળ તેનાં સાત વખત છંટકાવ કરે. ત્યારબાદ યાજકની સમક્ષ બીજી કોઈ પવિત્ર વ્યક્તિ ગાયનું ચામડું, માંસ, રક્ત તથા છાણનું દહન કરે. ત્યારબાદ યાજકે ગંધતરુંનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી લઈને ગાયનું દહન થતું હોય ત્યારે તે અગ્નિમાં નાખવું. ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય. જેણે ગાયનું દહન કર્યુ હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું, છતાં તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

“તે પછી વિધિ મુજબ જે શુદ્ધ ન હોય તેવી વ્યક્તિએ ગાયની રાખ ભેગી કરવી, અને છાવણી બહાર શુદ્ધ કરેલી જગ્યાએ તેની ઢગલી કરવી. અને તે રાખ વ્યક્તિના પાપ દૂર કરવાની વિધિ માંટેનું પાવકજળ બનાવવા રાખી મૂકવી.

10 “જે માંણસે ગાયની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાશે.

“ઇસ્રાએલી પ્રજા માંટે અને તમાંરી ભેગા રહેતા વિદેશીઓ માંટે આ કાયમી નિયમ છે. 11 જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું. 12 પછી તેણે ત્રીજે અને સાતમે દિવસે પાવકજળ વડે પોતાની શુદ્ધિ કરાવવી. ત્યારબાદ તે શુદ્ધ થયો ગણાશે. પણ જો તે આ પ્રમાંણે ત્રીજા દિવસે અને સાતમે દિવસે પોતાની શુદ્ધિ નહિ કરાવે તો તે શુદ્ધ નહિ ગણાય. 13 જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે.

14 “જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે. 15 મંડપમાંનું ઢાકણ વગરનું પ્રત્યેક માંત્ર અશુદ્ધ ગણાય. 16 જો કોઈ મંડપની બહાર હથિયારથી અથવા કુદરતી રીતે મૃત્યુ પામેલા માંણસને સ્પર્શ કરે અથવા હાડકાંને કે કબરને સ્પર્શ કરે તો તે સાત દિવસ સૂતકી ગણાય.

17 “આવા સૂતક માંટે પાપાર્થાર્પણની લાલ ગાયની રાખને વાસણમાં લઈ ઝરાના પાણી સાથે મિશ્ર કરવી. 18 ત્યારબાદ જે વ્યક્તિ શુદ્ધ ના હોય તેણે ઝુફો લઈને એ પાણીમાં બોળીને તેના વડે મંડપ ઉપર અને તેમાંનાં બધાં પાત્રો ઉપર તથા તેમાંના બધા માંણસો ઉપર છાંટવું, જેણે વ્યક્તિના હાડકાને કે મરેલા કે માંરી નાખવામાં આવેલા વ્યક્તિના મૃતદેહને કે કબરને સ્પર્શ કર્યો હોય તો તે વ્યક્તિ ઉપર પણ છાટવું.

19 “સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે.

20 “પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે. 21 આ તમાંરે માંટે કાયમી નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ ત્યારબાદ પોતાનાં કપડાં ધોઈ નાખે. વળી જે કોઈ તે પાણીને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી સૂતકી ગણાય. 22 સૂતકી વ્યક્તિ જે કોઈ વસ્તુને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય; અને તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

ગીતશાસ્ત્ર 56-57

નિર્દેશક માટે. રાગ: “દૂરના ઓકમાં કબૂતર.” દાઉદનું મિખ્તામ, ગાથમાં પલિસ્તીઓએ તેને પકડ્યો તે વખતે લખાયેલું છે.

હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે
    તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે.
    ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
જ્યારે મને બીક લાગશે ત્યારે
    હું તમારો ભરોસો કરીશ.
હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું.
    દેવ પર આધાર રાખું છું,
તેથી મને જરાપણ બીક નથી.
    માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે.
    અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે,
    તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો.
    તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો.
તમે મારી બધી વેદના જોઇ છે.
    તમે મારા આંસુઓથી જ્ઞાત છો.
તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે.
    અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.

હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
    હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
10 હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ,
    હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
11 મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી,
    પછી માણસ મને શું કરનાર છે?

12 હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ,
    હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
13 કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે,
    તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે,
જેથી હું જીવનનાં અજવાળામાં
    દેવની સામે જીવી શકું.

નિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત.

હે દેવ, મારા પર દયા કરો, કારણ,
    મારો આત્મા તારા શરણ આપ્યો છે,
આ તોફાન શમી જાય ત્યાં સુધી
    હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,
    તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
તે આકાશમાંથી સહાય મોકલશે
    અને મને બચાવશે.
જેઓ મને નુકશાન કરવા માગે છે
    તેમનાથી મને ઉગારશે.

મારું જીવન જોખમમાં છે.
    હું માનવભક્ષી સિંહોનાં જેવા
હિંસક દુશ્મનોથી ઘેરાયો છું.
    તેમના દાંત તીર ને ભાલાં જેવા છે,
    તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.

હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
    તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
    મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે;
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે;
    જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.

હે દેવ! મારું હૃદય તૈયાર છે,
    મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે.
    હું દેવ સ્તોત્રો ગાઇશ.
હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,
    હું પ્રભાતમાં વહેલો જાગીશ,
    ને હું પરોઢને આવકાર આપીશ.
હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.
    બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.
    તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
    તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.

યશાયા 8:1-9:7

એંધાણી રૂપ યશાયાનો પુત્ર

યહોવાએ મને કહ્યું, “એક મોટું ટીપણું લઇને તેના પર ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’[a] એમ બધા વાંચી શકે તે પ્રમાણે મોટા અક્ષરે સાદી ભાષામાં લખ.”

અને યાજક ઊરિયાને અને બેરેખ્યાના પુત્ર ઝર્ખાયાને તે લખાય તે દરમ્યાન સાક્ષી તરીકે રહેવાનું મેં પૂછયું, કારણ કે તેઓ વિશ્વાસુ માણસો છે. પછી મેં પ્રબોધિકા સાથે ગયો, તેને ગર્ભ રહ્યો અને પુત્ર અવતર્યો. પછી યહોવાએ મને કહ્યું, “તું એનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ રાખ. કારણ કે એ ‘બા’ કે ‘બાપા’ બોલતો થાય તે પહેલાં દમસ્કની સંપત્તિ અને સમરૂનની લૂંટ ઉપાડીને આશ્શૂરના રાજા સમક્ષ લઇ જવામાં આવશે.”

ફરી વાર યહોવા મારા દેવે મારી સાથે વાત કરી અને કહ્યું, “કારણ કે યરૂશાલેમના લોકો મદદ માટે મારા પર આધાર રાખતા નથી જે શિલોઆહના સ્થિર પાણી જેમ છે. ઉલ્ટાનું, તેઓ રસીન અને રમાલ્યાના પુત્રથી ડરેલા છે.” તેથી હું યહોવા યહૂદા પર ફ્રાત નદીના ધસમસતાં અને વેગીલા જળપ્રવાહને લઇને આવીશ, હું આશ્શૂરના રાજા તથા તેના સમગ્ર બળવાન સૈન્ય સાથે આવીશ. જળપ્રવાહ ઉભરાઇ જશે અને સમગ્ર તટ પ્રદેશને સપાટામાં લઇ લેશે. તે યહૂદામાં ધસી જશે, અને આગળ વધતા વધતા તે તેના ગળા સુધી પહોંચશે, અને તેના પાણી તમારી સમગ્ર ભૂમિમાં ફરી વળશે અને તેને ભરી દેશે.

પરંતુ દેવ આપણી સાથે છે, તારા આખો દેશ ભરપૂર થઇ જશે!

હે રાષ્ટ્રો! તમે અમારું ભૂંડુ કરવા નીકળ્યા છો. પણ તમે સફળ થઇ શકશો નહિ,
    તમે છિન્નભિન્ન થઇ જશો,
હે દૂરના રાષ્ટ્રો, તમે બધા સાંભળો;
    અમારી સામે યુદ્ધ કરવા તમારી જાતને સુસજ્જ કરો હા,
    અને નાશ પામો!
10 અમારી સામે આક્રમણ કરવાની યોજનાઓ તૈયાર કરો,
    તમારી વ્યૂહરચનાઓ વિકસાવો,
સભાઓ બોલાવો;
    અને નાશ પામો!
    કારણ કે યહોવા અમારી સાથે છે.

યશાયાને ચેતવણી

11 યહોવાએ મને જોરથી પકડીને એ લોકોને માર્ગે જતો રોક્યો, અને મને આ મુજબ કહ્યું, 12 “કહેવાતા કાવતરાઁની જેનાથી આ લોકો ડરે છે, ચિંતા કરશો નહિ તે લોકો જેનો ડર રાખે છે, તેનાથી ગભરાશો નહિ.”

13 તમારે તો માત્ર મને, સૈન્યોનો દેવ યહોવાને જ પવિત્ર માનવો. અને મારાથી જ ડરીને ચાલવું. 14 તમારે માટે પવિત્રસ્થાન હોવા છતાં એ લોકો માટે હું એવા પથરારૂપ થઇ પડીશ જેની સાથે તેઓ ભટકાય; એની સાથે જ ઇસ્રાએલના, યહૂદાના અને યરૂશાલેમના લોકો અથડાશે અને એના ઉપર જ ઠોકર ખાશે, એ લોકોને માટે હું ફાંસલા અને જાળ જેવો બની રહીશ. 15 તેઓમાંના ઘણા ઠોકર ખાઇને પટકાશે અને છિન્નભિન્ન થઇ જશે. ઘણા જાળમાં સપડાશે અને પકડાશે.

16 “આ કરાર હું બંધ કરી દઉં છું. આ શિક્ષણને મહોર મારીને મારા શિષ્યોને સુપ્રત કરું છું.”

17 યહોવાની સહાય માટે હું આશા રાખીશ.
    જો કે હાલમાં તે પોતાનું મુખ યાકૂબનાં સંતાનોથી સંતાડે છે
    છતાં પણ મારી આશા ફકત તેમનામાં જ છે.

18 હું અને મારા સંતાનો, જે મને યહોવાએ આપ્યા છે, સૈન્યોનો દેવ યહોવાની એંધાણીઓ છીએ, જેઓ સિયોન પર્વત પર વસે છે.

19 જ્યારે તેઓ તમને કહે કે, “ભૂવાઓ પાસે, ને ઝીણે સાદે બડબડનાર જંતરમંતર કરનારની પાસે જઇને ખબર કાઢો; ત્યારે મારે જવાબ આપવો કે, લોકોએ પોતાના દેવની પાસે જઇને ખબર કાઢવી નહિ? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?” 20 આપણે જરૂર આપણા શિક્ષણ અને સાક્ષી સમક્ષ જવું જોઇએ. જે લોકો પેલી બીજી વસ્તુઓ કરે છે, તેઓ પરોઢનો પ્રકાશ નહિ જુએ. 21 ભૂખથી અને દુ:ખથી પીડાતા લોકો આખા દેશમાં ભટકશે. ભૂખના માર્યા ગુસ્સે થઇને તેઓ પોતાના રાજાને અને દેવને શાપ આપશે, અને ઊંચે આકાશ તરફ જોશે; 22 અને નીચે પૃથ્વી પર નજર કરશે તો, અલબત્ત દરેક જગાએ તેઓને દુ:ખ, અભેદ્ય અંધકાર અને વેદના જ મળશે. તેમને અંધકારમાં ધકેલી દેવામાં આવશે.

મસીહા આગમન વિષે ભવિષ્યવાણી

પરંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટ્રોને પ્રતિષ્ઠા અપાવી. અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે.

કારણ કે ઇસ્રાએલ ફરીથી મહાન કહેવાશે, યહોવાએ પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેણીનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતાં આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતા આનંદ માણે છે તે મુજબ તેઓ તારી સંમુખ આનંદ કરે છે. કારણ કે ભૂતકાળમાં તમે જેમ મિદ્યાનની સેનાને હાર આપી હતી. તેમ એ લોકોને ભારરૂપ ઝૂંસરી તેમના ખભા પર પડતી લાકડી, તેમને હાંકનારનો પરોણો તમે ભાંગી નાખ્યો છે.

સૈનિકોના ધમ ધમ કરતા જોડા, ને લોહીમાં બોળેલાં વસ્ત્રો, તે બધાયને બળતણની જેમ અગ્નિમાં સળગાવી દેવામાં આવશે. કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.” તેનું રાજ્ય વિશાળ હશે; ત્યાં સદાને માટે અખંડ શાંતિ પ્રવર્તતી હશે. તે દાઉદના રાજસિંહાસન ઉપર બેસશે. ધર્મ અને ન્યાયના પાયા ઉપર પોતાની રાજ્યસત્તાની પ્રતિષ્ઠા કરીને રાજ્ય કરશે. આજથી તે અનંત કાળ સુધી. સૈન્યોના દેવ યહોવાનો સાચો પ્રેમ સિદ્ધ થશે.

યાકૂબ 2

બધા લોકોને પ્રેમ કરો

મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે. ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે. તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!” આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.

મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે. પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે. એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.

જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”(A) એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો. પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.

10 કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે. 11 દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.”(B) તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.”(C) માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો.

12 તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે. 13 હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

વિશ્વાસ અને સારા કાર્યો

14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના! 15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય. 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે. 17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.

18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ. 19 દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.

20 ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે. 21 આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો. 22 તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો. 23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.”(D) ઈબ્રાબિમને “દેવનો મિત્ર”(E) કહેવામા આવ્યો. 24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.

25 તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.

26 કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International