Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગણના 34

ઇસ્રાએલીઓમાં કનાન પ્રદેશની વહેંચણી

34 યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓને તું આ પ્રમાંણે આજ્ઞા કર: હવે તમે કનાનના પ્રદેશમાં દાખલ થશો, તમાંરા તાબામાં આવનાર એ પ્રદેશની સરહદ આ પ્રમાંણે છે: એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે. એની દક્ષિણની સરહદ પૂર્વમાં મૃત સમુદ્રના છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમ ઘાટ સુધી જઈ સીનમાં થઈને દક્ષિણમાં કાદેશ-બાર્નેઆ સુધી જાય છે. ત્યાંથી તે હસાર આદાર થઈને છેક આસ્મોન સુધી જશે. ત્યાંથી મિસરના કોતર તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે. ભૂમધ્ય સમુદ્ર એ તમાંરી પશ્ચિમ સરહદ હશે. તમાંરી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે. ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે. ત્યાંથી એ ઝિફ્રોન થઈને હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમાંરી ઉત્તરની સરહદ થશે. 10 તમાંરી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શક્રામ જશે. 11 શક્રામથી એ આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ થઈ નીચે ઊતરી કિન્નેરેથના સરોવરના પૂર્વ કિનારે પહોંચશે. 12 ત્યાંથી એ સરહદ યર્દનને કિનારે આગળ વધી મૃત સમુદ્ર આગળ પૂરી થશે. આ થઈ તમાંરા દેશની ચારે દિશાની સરહદો.”

13 મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આજ્ઞા આપી, “આ પ્રદેશ તમાંરે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવાનો છે, યહોવાએ એ પ્રદેશ નવ આખા અને એક અડધા કુળસમૂહોને સોંપી દેવા જણાવ્યું છે. 14 રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને વારસો વહેંચી આપવામાં આવ્યો છે. 15 યરીખોની સામે યર્દન નદીની પૂર્વ તરફનો પ્રદેશ તેઓને આપ્યો છે.”

16 યહોવાએ મૂસાને કહ્યું, 17 “નીચેના માંણસો તને જમીનની વહેંચણીમાં મદદ કરશે; યાજક એલઆઝાર અને નૂનનો પુત્ર યહોશુઆ. 18 ઉપરાત જમીન વહેંચણી માંટે તેઓને મદદ કરવા તારે દરેક કુળસમૂહમાંથી એક આગેવાન લેવો. 19 એમનાં નામ આ પ્રમાંણે છે:

યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ,

20 શિમયોનના કુળસમૂહમાંથી આમ્મીહુદનો પુત્ર શિમયોન.

21 બિન્યામીનના કુળસમૂહમાંથી કિસ્લોનનો પુત્ર અલીદાદ.

22 દાનના કુળસમૂહમાંથી યોગ્લીનો પુત્ર બુક્કી,

23 યૂસફના વંશજ મનાશ્શાના કુળસમૂહમાંથી એફોદનો પુત્ર હાન્નીએલ

24 એફ્રાઈમના કુળસમૂહમાંથી શિફાટાનનો પુત્ર કમુએલ,

25 ઝબુલોનના કુળસમૂહમાંથી પાર્નાખનો પુત્ર અલીસાફાન.

26 ઈસ્સાખારના કુળસમૂહમાંથી અઝઝાનનો પુત્ર પાલ્ટીએલ.

27 આશેરના કુલસમૂહમાંથી શલોમીનો પુત્ર આહીહૂદ,

28 નફતાલીના કુળસમૂહમાંથી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ.”

29 કનાન પ્રદેશમાં કુળો મધ્યે ઇસ્રાએલીઓને જમીન વહેંચવા માંટે આ માંણસોની નિમણૂક મેં કરી છે.

ગીતશાસ્ત્ર 78:38-72

38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
    તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો;
તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો;
    અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
    અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
    અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
    અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
    તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
    અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
    લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
    અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
    ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
    કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
    અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
    તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
    અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ,
    પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
    હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
    અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
    કે તેઓ બીધા નહિ,
    પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
    ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
    ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
    અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
    તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં.
ફેંકનાર[a] તરફ પાછા ફરતાં,
    વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
    અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
    અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
    એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
    દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
    તેમનો ક્રોધ અતિ વધારે હતો.
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
    અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
    તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
    તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
    અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
    અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
    તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
    પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
    પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
    યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
    અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.

યશાયા 26

ભાગ્યપરિવર્તન અને સ્તુતિગાન

26 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે:

અમારું નગર મજબૂત છે.
    અમારું રક્ષણ કરવાને માટે યહોવાએ કોટ અને કિલ્લા ચણેલા છે.
દરવાજા ઉઘાડી નાખો જેથી ધર્મને માર્ગે
    ચાલનારી પ્રજા જે વફાદાર રહે છે તે ભલે અંદર આવે.

હે યહોવા, જેમનાં ચિત્ત ચલિત થતાં નથી,
    તેમને તું પૂરેપૂરી શાંતિમાં રાખે છે;
    કારણ કે તેઓ તારા પર વિશ્વાસ રાખે છે.

સદા યહોવા પર ભરોસો રાખો,
    તે જ આપણો સનાતન ખડક છે.
તેણે ઊંચી હવેલીઓમાં વસનારાઓને નીચા નમાવ્યાં છે,
    તેમના ગગનચુંબી નગરને
તેણે તોડી પાડીને ભોંયભેગુ કરી નાખ્યું છે.
    ધૂળભેગું કર્યું છે.
તે પગ તળે કચડાય છે, ને દીનદલિતોના પગ તળે તે રોળાય છે.

ન્યાયીના માર્ગે ચાલનારનો રસ્તો સુગમ છે;
    તમે યહોવા એને સરળ બનાવો છો.
અમે તમારા નિયમોને માર્ગે ચાલીએ છીએ,
    અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ,
તમારું નામસ્મરણ એ જ અમારા
    પ્રાણની એકમાત્ર ઝંખના છે.
આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું;
    મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ;
કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો,
    ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માર્ગે વળે છે.
10 પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય,
    તો પણ તેઓ નીત્તિમત્તા શીખતા નથી;
સદાચારી લોકોથી ભરેલી આ ભૂમિમાં પણ તેઓ અધર્મ આચરે છે,
    અને તમારા ગૌરવનો સહેજ પણ આદર કરતા નથી.
11 હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે,
    તો પણ તમારા દુશ્મનો તે જોતા નથી,
તમારા લોકો માટેનો તમારો પ્રેમ કેવો ઉગ્ર છે
    તેનું ભાન થતાં તેઓ લજવાય!
    તમારા શત્રુઓ માટે રાખી મૂકેલા અગ્નિથી તેઓને ભસ્મ કરો.
12 હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો,
    અમારા ખોટા કાર્યો બદલ તમે અમને અત્યાર પહેલા સજા આપી દીધી છે.

દેવ પોતાના લોકોને નવું જીવન આપશે

13 હે અમારા દેવ યહોવા,
    તમારા સિવાયના બીજા હાકેમોએ
અમારા ઉપર હકૂમત ચલાવી છે
    પણ અમે તો માત્ર તને જ સ્વીકારીએ છીએ.
14 પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું,
    તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે;
તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી.
    તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.
15 યહોવાની સ્તુતિ થાઓ!
    હે યહોવા, તમે અમારી પ્રજાની વૃદ્ધિ કરી છે,
    અમારા દેશના બધા જ સીમાડા વિસ્તાર્યા છે.
16 હે યહોવા, તેઓના દુ:ખમાં
    તેઓએ તમારી શોધ કરી,
જ્યારે તમે તેઓને શિક્ષા કરી
    ત્યારે તેઓએ તમને પ્રાર્થના કરી.
17 હે યહોવા, કોઇ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ આવ્યો હોય,
    ત્યારે પ્રસુતિની વેદનામાં ચીસો પાડે છે;
    તેવી પીડા તમારી સંમુખ અમને થતી હતી.
18 અમે પણ સ્ત્રીની પ્રસવવેદના જેવી વેદનાથી પીડાયા
    પણ પરિણામ કાઇં આવ્યું નહિ.
અમારા સર્વ પ્રયત્નો છતાં,
    અમે જગતના લોકોને જીંદગી આપી નહોતી.
19 છતાં પણ અમારી પાસે આ ખાતરી છે:
“જેઓ દેવના છે;
    તેઓ ફરીથી સજીવન થશે.
તેઓનાં શરીરો ઊઠશે.
    હે ધૂળમાં રહેનારાઓ,
તમે જાગૃત થાઓ,
    ને મોટેથી હર્ષનાદ કરો;
કારણ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે,
    તે જેમ વનસ્પતિને સજીવન કરે છે
તેમ યહોવા મૃત્યુલોકમાં
    સૂતેલાઓને સજીવન કરશે.”

ન્યાય પુરસ્કાર અને સજા

20 આવો, મારા લોકો, તમારા ઘરમાં પ્રવેશ કરો
    અને બારણાં વાસી દો.
તમારા શત્રુઓ વિરુદ્ધ યહોવાનો રોષ ઉતરે
    ત્યાં સુધી થોડો સમય સંતાઇ રહો.
21 જુઓ, પૃથ્વી પરના સર્વ લોકોને
    તેમના પાપની સજા કરવા યહોવા આકાશમાંથી આવી રહ્યા છે,
પૃથ્વી પોતાના ઉપર રેડાયેલું લોહી ઉઘાડું કરશે,
    તે પોતાના ઉપર માર્યા ગયેલાઓને ઢાંકી નહિ રાખે.

1 યોહાન 4

યોહાન જૂઠાં પ્રબોધકોથી ચેતવે છે

મારા વહાલા મિત્રો, હમણા જગતમાં ઘણા જૂઠા પ્રબોધકો છે. તેથી પ્રત્યેક આત્માઓ પર વિશ્વાસ કરવો નહિ પરંતુ તે આત્માઓ દેવ પાસેથી છે કે નહિ તે પારખી જુઓ. એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. આત્મા કહે છે, “હું માનુ છું કે ઈસુ તે ખ્રિસ્ત છે જે પૃથ્વી પર આવ્યો અને માનવ બન્યો.” તે આત્મા દેવ તરફથી છે. બીજા આત્માએ ઈસુ વિષે આ કહેવાની ના પાડી. તે આત્મા દેવ તરફથી નથી. આ આત્મા ખ્રિસ્તિવિરોધીનો છે. તમે સાભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે તે ખ્રિસ્તવિરોધી જગતમાં છે.

મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે. અને પેલા લોકો (જૂઠા પ્રબોધકો) જગતના છે. તેથી જે વાતો તેઓ કહે છે તે જગતની છે. અને જગત તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે. પણ આપણે દેવના છીએ. તેથી જે લોકો દેવને જાણે છે તેઓ આપણને ધ્યાનથી સાંભળે છે. પરંતુ જે લોકો દેવના નથી તેઓ આપણને સાંભળતા નથી. આ રીતે આપણે સત્યના આત્માઓને ભ્રાંતિના આત્માઓથી જૂદા તારવી શકીએ છીએ.

પ્રેમ દેવ પાસેથી આવે છે

વહાલા મિત્રો, આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે પ્રેમ દેવ પાસેથી આવે છે. જે વ્યક્તિ પ્રેમ કરે છે તે દેવનુ બાળક બને છે અને દેવને ઓળખે છે. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે દેવને આળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે. આ રીતે દેવે તેનો પ્રેમ આપણને બતાવ્યો છે: દેવે તેના એક માત્ર પુત્રને તેના મારફત આપણને જીવન આપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે. 10 સાચો પ્રેમ એ દેવનો આપણા પ્રત્યેનો પ્રેમ છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમ નહિ. પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે.

11 જો દેવે આપણને આટલો બધો પ્રેમ આપ્યો તો, વહાલા મિત્રો! તેથી આપણે પણ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. 12 કોઈ વ્યક્તિએ હજુ સુધી દેવને જોયો નથી. પણ જો આપણે એકબીજાને પ્રેમ કરીશું, તો દેવ આપણામાં રહે છે. જો આપણે એકબીજાને પ્રેમ કરીએ, તો દેવનો પ્રેમ આપણામાં સંપૂણૅ થયેલો છે.

13 આપણે જાણીએ છીએ કે આપણે દેવમાં રહીએ છીએ અને દેવ આપણામાં રહે છે. આપણે આ જાણીએ છીએ કેમ કે દેવે આપણને તેનો આત્મા આપ્યો છે. 14 અમે જોયું છે કે પિતાએ તેના પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. હવે આપણે લોકોને જે કહીએ છીએ તે આ છે. 15 જો કોઈ વ્યક્તિ કહે કે, “મને વિશ્વાસ છે કે ઈસુ દેવનો પુત્ર છે.” તો દેવ તે વ્યક્તિમાં રહે છે. અને તે વ્યક્તિ દેવમાં રહે છે. 16 અને તેથી આપણે જાણીએ છીએ કે દેવે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. અને આપણે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો છે.

દેવ પ્રેમ છે. જે વ્યક્તિ પ્રેમમાં રહે છે તે દેવમાં રહે છે, અને દેવ તે વ્યક્તિમાં રહે છે. 17 જો દેવનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થાય તો, પછી જ્યારે દેવ આપણો ન્યાય કરશે તે દિવસે આપણે ભયરહિત રહી શકીશું આપણે નિર્ભય રહીશું, કારણ કે આ જગતમાં આપણે તેના (ખ્રિસ્ત કે દેવ) જેવા છીએ. 18 જ્યાં દેવનો પ્રેમ છે, ત્યાં ભય નથી. શા માટે? કારણ કે દેવનો સંપૂર્ણ પ્રેમ ભય દૂર કરે છે. દેવની શિક્ષા વ્યક્તિને ભયભીત બનાવે છે. તેથી જે વ્યક્તિમાં ભય છે તેનામાં દેવનો પ્રેમ સંપૂર્ણ થતો નથી.

19 આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે પહેલા દેવે આપણા પર પ્રેમ કર્યો. 20 જો કોઈ વ્યક્તિ કહે કે: “હું દેવને પ્રેમ કરું છું.” પરંતુ તે વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઈ કે બહેનનો દ્ધેષ કરે છે. તો તે વ્યક્તિ જુઠો છે. તે વ્યક્તિ તેના ભાઈને જોઈ શકે છે, છતાં તે તેનો દ્ધેષ કરે છે. તેથી તે વ્યક્તિ દેવને પ્રેમ કરી શકતો નથી, કારણ કે તેણે દેવને કદી જોયો નથી. 21 અને દેવ આપણને આ આજ્ઞા કરી છે: જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેણે ખ્રિસ્તમાં તેના ભાઈઓ અને બહેનોને પણ પ્રેમ કરવો જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International