New Testament in a Year
ઈસુ વિશ્રામવારનો પ્રભુ છે
(માથ. 12:1-8; માર્ક 2:23-28)
6 એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં. 2 કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?”
3 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, “દાઉદે શું કર્યું જ્યારે તે અને તેની સાથેનાં માણસો ભૂખ્યા હતા. તે શું તમે વાંચ્યું નથી? 4 દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.” 5 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું કે, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.”
વિશ્રામવારના દિવસે ઈસુ માંદા માણસને સાજો કરે છે
(માથ. 12:9-14; માર્ક 3:1-6)
6 બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો. 7 વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે. 8 પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો. 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”
10 ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો. 11 પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”
ઈસુના બાર પ્રેરિતોની પસંદગી
(માથ. 10:1-4; માર્ક 3:13-19)
12 તે દિવસો દરમ્યાન ઈસુ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયો. અને તેણે આખી રાત દેવની પ્રાર્થનામાં વિતાવી. 13 અને પછી જ્યારે પ્રભાત થયું ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને ચેઓનામાંથી બારની પસંદગી કરી અને તેઓને “પ્રેરિતો” નામ આપ્યું.
14 એટલે સિમોન (ઈસુએ તેનું નામ પિતર પાડ્યું)
અને તેના ભાઈ આંન્દ્ધિયાને,
યાકૂબ
તથા યોહાનને,
ફિલિપને
તથા બર્થોલ્મીને,
15 માથ્થીને
તથા થોમાને,
યાકૂબને (અલ્ફીના દીકરો)
તથા સિમોન,
જેને ઝેલોટીસ કહેતા હતા. તેને,
16 યહૂદા (યાકૂબનો દીકરો)
આ યહૂદા ઇશ્કરિયોત હતો જેણે ઈસુને તેના દુશ્મનોને સોંપ્યો.
ઈસુનો ઉપદેશ અને લોકોને સાજાપણું
(માથ. 4:23-25; 5:1-12)
17 ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા. 18 જેઓ ભેગા થયા હતા તે તેનો ઉપદેશ સાંભળવા તથા તેઓના રોગોમાંથી સાજા થવા માટે આવ્યા હતા. તે લોકો અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા. ઈસુએ તે બધા લોકોને સાજા કર્યા. 19 બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!
20 ઈસુ તેના શિષ્યો તરફ જોતાં જોતાં બોલ્યો,
“તમે લોકો જે ગરીબ છો, તે સૌને ધન્ય છે,
કારણ કે દેવનું રાજ્ય તમારુંછે.
21 તમે જે હમણાં ભૂખ્યા છો, તેઓને પણ ધન્ય છે,
કારણ કે તમે પણ તૃપ્ત થવાના છો.
આજે તમે રડો છો,
તમને પણ ધન્ય છે, કારણ કે તમે હસશો.
22 “માણસના દીકરાને કારણે લોકો તમને તેમના જૂથમાંથી હાંકી કાઢશે, તમારા નામની નિંદા કરશે, તમારી બદનામી કરશે ત્યારે પણ તમને ધન્ય છે. 23 એવું બને તે દિવસે તમે આનંદમગ્ર બનીને નાચી ઊઠજો, કારણ કે આકાશમાં તમને મોટો બદલો પ્રાપ્ત થશે. કારણ કે તેઓના બાપદાદાઓએ પણ આ પ્રબોધકો સાથે આ જ રીતે વ્યવહાર કર્યા છે.
24 “પણ હે ધનવાનો, તમને અફસોસ છે,
કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે.
25 અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે,
કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે,
અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે,
કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો.
26 “જ્યારે બધાજ લોકો તમારું સારું કહેશે ત્યારે તમને અફસોસ છે કારણ કે તેઓના બાપદાદાઓ પણ હંમેશા જૂઠા પ્રબોધકો માટે આવી જ પ્રસંશા કરતા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International