New Testament in a Year
ઈસુનો રાજાની માફક યરૂશાલેમમાં પ્રવેશ
(માર્ક 11:1-11; લૂ. 19:28-38; યોહ. 12:12-19)
21 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા. ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા. 2 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ. તમે ત્યાં પ્રવેશ કરશો, એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો, તેને છોડીને અહીં લઈ આવો. 3 જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.’”
4 પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું:
5 “સિયોનની દીકરી,
‘જો તારો રાજા તારી પાસે આવે છે,
તે નમ્ર છે તથા એક ગધેડા પર,
એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર
સવાર થઈન આવે છે.’”(A)
6 શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ. 7 શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો. 8 લોકોમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો ઈસુના માર્ગમાં બિછાવ્યાં. જ્યારે ઘણા લોકોએ વૃક્ષોની ડાળીઓ કાપીને તેના માર્ગમાં બીછાવી. 9 કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,
“દાઉદના દીકરાને હોસાન્ના!
‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’(B)
આકાશમાં દેવનો મહિમા થાઓ!”
10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?”
11 તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.”
ઈસુનો મંદિરમાં પ્રવેશ
(માર્ક 11:15-19; લૂ. 19:45-48; યોહ. 2:13-22)
12 ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. 13 તેણે ત્યાં હાજર હતા તે બધાજ લોકોને જણાવ્યું કે, “શાસ્ત્રમાં લખ્યું છે કે ‘મારું ઘર પ્રાર્થનાના ઘર તરીકે ઓળખાશે.’(C) પરંતુ તમે તો તેને ‘લૂટારાની ગુફા’(D) બનાવી દીઘી છે.”
14 પછી કેટલાક અંધજનો અને અપંગો ઈસુની પાસે આવ્યાં. ઈસુએ તેઓને સાજા કર્યા. 15 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા.
16 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછયું, “આ બાળકો જે કહે છે, તે શું તમે સાંભળો છો?”
ઈસુએ ઉત્તર આપ્યો, “હા, શાસ્ત્ર કહે છે કે, ‘તેં ઘાવણા બાળકોના મુખે તારી સ્તુતિ કરાવી છે તે યોગ્ય સ્તુતિ છે.’(E) શું શાસ્ત્રમાં તમે વાંચ્યું નથી?”
17 પછી ત્યાંથી ઈસુ તે સ્થળ છોડીને યરૂશાલેમ નગરની બહાર આવ્યો અને બેથનિયા ચાલ્યો ગયો. અને ત્યાં રાત રોકાયો.
ઈસુ વિશ્વાસનું સાર્મથ્ય બતાવે છે
(માર્ક 11:12-14, 20-24)
18 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો. 19 ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું.
20 શિષ્યોએ જ્યારે આ જોયું ત્યારે અચંબા સાથે ઈસુને પૂછયું, “આ અંજીરનું ઝાડ એકદમ કેમ સૂકાઈ ગયું?”
21 ઈસુએ તેમને ઉત્તર આપતા કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમને વિશ્વાસ હોય અને મનમાં શંકા ન કરો તો તમે આના કરતાં પણ વિશેષ કરી શકશો. અરે તમે આ પર્વતને કહી શકશો, ‘અહીંથી ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ તો તે પ્રમાણે થશે. 22 જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International