New Testament in a Year
ઈસુનું તેના વતનમાં ગમન
(માથ. 13:53-58; લૂ. 4:16-30)
6 ઈસુ ત્યાંથી વિદાય લઈને પાછો તેના વતનમાં આવ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. 2 વિશ્રામવારના દિવસે ઈસુએ સભાસ્થાનમાં ઉપદેશ આપ્યો. ઘણા લોકો તેનો ઉપદેશ સાંભળીને નવાઇ પામ્યા. આ લોકોએ કહ્યું, “આ માણસે આ ઉપદેશ ક્યાંથી મેળવ્યો? તેને આ ડાહપણ કેવી રીતે મળ્યું? તે તેને કોણે આપ્યું? અને આવા પરાક્રમો કરવાની તાકાત તેણે ક્યાંથી મેળવી? 3 તે તો ફક્ત એક સુથાર છે. અને તેની મા મરિયમ છે. તે યાકૂબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અહીં આપણી સાથે છે.” તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ.
4 ઈસુએ લોકોને કહ્યું, “બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તેના પોતાના ગામમાં, તેના પોતાના લોકો સાથે અને પોતાના ઘરમાં પ્રબોધકને સન્માન મળતું નથી.” 5 ઈસુએ તે ગામમાં વધારે પરાક્રમી કામ કર્યા નહિ. તેણે જે પરાક્રમો કર્યા તે તો માત્ર કેટલાક બીમાર લોકો પર તેનો હાથ મૂકી સાજાં કર્યા હતાં. 6 ઈસુને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ ન હતો. પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઇને ઉપદેશ આપ્યો.
બાર પ્રેષિતોનું સેવકાર્ય
(માથ. 10:1, 5-15; લૂ. 9:1-6)
7 ઈસુએ બાર શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ તેઓને બબ્બે જણને બહાર મોકલ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. 8 ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: “તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ. 9 જોડા પહેરો અને ફક્ત પહેરેલાં વસ્ત્રો જ રાખો. 10 જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં જ રહો. 11 જો કોઈ ગામ તમને સ્વીકારવા ના પાડે અથવા તમને સાંભળવા ના પાડે તો તે ગામ છોડી જાઓ. તમારા પગને લાગેલી ધૂળ ખંખેરી નાખો. આ તેઓને માટે એક ચેતવણી હશે.”
12 તે શિષ્યો ત્યાંથી વિદાય થયા અને બીજી જગ્યાએ ગયા. તેઓએ લોકોને ઉપદેશ આપ્યો અને તેઓને પસ્તાવો કરવા કહ્યું. 13 તે શિષ્યોએ ઘણાં ભૂતોને લોકોમાંથી કાઢ્યાં અને તેમણે ઘણાં માંદા લોકોને ઓલિવ તેલ ચોળી સાજાં કર્યા.
હેરોદ માને છે ઈસુ એ જ બાપ્તિસ્મા કરનાર યોહાન છે
(માથ. 14:1-12; લૂ. 9:7-9)
14 હેરોદ રાજાએ ઈસુ વિષે સાંભળ્યું, કારણ કે હવે ઈસુ પ્રખ્યાત થઈ ગયો હતો. કેટલાક લોકોએ કહ્યું, “તે (ઈસુ) બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે. તેથી તે આવાં પરાક્રમો કરી શકે છે.”
15 બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.”
16 હેરોદે ઈસુના વિષે આ વાતો સાંભળી. તેણે કહ્યું, “મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!”
યોહાન બાપ્તિસ્તનું મૃત્યુ કેવી રીતે થયું
17 હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો. 18 યોહાને હેરોદને કહ્યું કે તેના માટે તેના ભાઈની પત્ની સાથે પરણવું તે ઉચિત નથી. 19 તેથી હેરોદિયાએ યોહાનને ધિક્કાર્યો. તે તેને મારી નાખવા ઈચ્છતી હતી. પરંતુ હેરોદને યોહાનને મારી નાખવાનું સમજાવવા માટે હેરોદિયા અશક્તિમાન હતી. 20 હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો. હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે. તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ. હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો. પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો.
21 પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી. 22 હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા.
તેથી હેરોદે તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.” 23 હેરોદે તેણીને વચન આપ્યું, “તું ગમે તે માગીશ હું તને આપીશ. હું મારું અડધું રાજ્ય પણ તને આપીશ.”
24 તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?”
તેની માએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.”
25 તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, “કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.”
26 રાજા હેરોદ ઘણો દિલગીર થયો. પણ તેણે છોકરીને જે ઈચ્છે તે આપવાનું વચન આપ્યું હતું. અને ત્યાં હેરોદની સાથે જમતાં લોકોએ તેનું વચન સાંભળ્યું હતું. તેથી હેરોદ તેણી જે માગે તેનો અસ્વીકાર કરવા ઈચ્છતો ન હતો. 27 તેથી રાજાએ યોહાનનું માંથુ કાપીને લાવવા માટે સૈનિકને મોકલ્યો. તેથી સૈનિકે કારાવાસમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. 28 પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું. 29 યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International