New Testament in a Year
ઈસુને મારી નાખવાનું યહૂદિ આગેવાનોનું કાવતરું
(માથ. 26:1-5; લૂ. 22:1-2; યોહ. 11:45-53)
14 પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વના[a] ફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે. 2 તેઓએ કહ્યું, “પણ અમે પર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ. અમે ઈચ્છતા નથી કે લોકો ગુસ્સે થાય અને હુલ્લડનું કારણ બને.”
એક સ્ત્રીનું કંઈક વિશિષ્ટ કાર્ય
(માથ. 26:6-13; યોહ. 12:1-8)
3 ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન કોઢિયાના ઘરમાં ખાતો હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી. તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી. આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું. તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું.
4 ત્યા કેટલાએક શિષ્યોએ આ જોયું. તેઓ નારાજ થયા અને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “તે અત્તરનો બગાડ શા માટે કરવો જોઈએ? 5 તે અત્તરનું મૂલ્ય આખા વર્ષની કમાણી જેટલું છે. તે વેચી શકાતું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” અને તેઓએ તે સ્ત્રીની કડક ટીકા કરી.
6 ઈસુએ કહ્યું, “તે સ્ત્રીની ચિંતા ના કરો. તમે શા માટે તેને સતાવો છો? તેણે મારા માટે ઘણું સારું કામ કર્યુ છે. 7 તમારી સાથે સદાય ગરીબ લોકો હશે, તમે ઈચ્છો તે સમયે તેમને મદદ કરી શકો છે. પણ હું હંમેશા તમારી સાથે નથી. 8 આ સ્ત્રીએ ફક્ત તે કામ કર્યુ. જે મારે માટે તેનાથી થઈ શકે, તેણે અત્તર મારા શરીર પર રેડ્યું. મારા મરતાં પહેલા મારા દફન માટે અગાઉથી તેણે આ કર્યુ. 9 હું તમને સત્ય કહું છું. સુવાર્તા આખી દુનિયામાં લોકોને જણાવવામાં આવશે. અને દરેક જગ્યાએ જ્યાં સુવાર્તા જણાવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ તેની વાત પણ કહેવાશે. તેણે જે કર્યું છે તેની વાતો થશે અને લોકો તેને યાદ કરશે.”
ઈસુના દુશ્મનોને મદદ કરવા યહૂદા સંમત
(માથ. 26:14-16; લૂ. 22:3-6)
10 પછી બાર પ્રેરિતોમાંનો એક મુખ્ય યાજકોને કહેવા માટે ગયો. આ યહૂદા ઈશ્કરિયોત નામનો શિષ્ય હતો, તે તેઓને ઈસુને સોંપવા ઈચ્છતો હતો. 11 મુખ્ય યાજકો આ વિષે જાણી ઘણા પ્રસન્ન હતા. તેઓએ યહૂદાને આ કરવા માટે પૈસા આપવાનું વચન આપ્યું. તેથી યહૂદા ઈસુને સોંપવાની ઉત્તમ સમયની રાહ જોતો હતો.
પાસ્ખાપર્વ
(માથ. 26:17-25; લૂ. 22:7-14, 21-23; યોહ. 13:21-30)
12 હવે તે બેખમીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૂદિઓ હંમેશા પાસ્ખાપર્વમાં ઘેટાંઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “અમે જઈશું અને પાસ્ખા ભોજન જમવા તારે માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે ક્યાં જઈએ એ વિષે તારી ઈચ્છા શી છે?”
13 ઈસુએ તેના શિષ્યોમાંથી બે જણાને મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “શહેરમાં જાઓ, તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જોશો. તે માણસ તમારી પાસે આવશે. તે માણસની પાછળ જાઓ. 14 તે માણસ એક ઘરમાં જશે. તે વ્યક્તિ જે ઘરનો ધણી છે તેને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તમે અમને તે ઓરડો બતાવો કે જ્યાં તે અને તેના શિષ્યો પાસ્ખા ભોજન ખાઈ શકે.’ 15 માલિક તમને મોટી ઉપલી મેડી બતાવશે. આ મેડી તમારા માટે તૈયાર છે. આપણાં માટે ત્યાં ભોજન તૈયાર કરો.”
16 તેથી શિષ્યો વિદાય થયા ને તે શહેરમાં ગયા. ઈસુએ કહેલી દરેક બાબત એ પ્રમાણે બની. તેથી શિષ્યોએ પાસ્ખા ભોજન તૈયાર કર્યું.
17 સાંજે, ઈસુ બાર પ્રેરિતો સાથે તે ઘરમાં ગયો. 18 જ્યારે તેઓ બધા ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક મારી વિરૂદ્ધ થશે, તમારામાંનો એક હમણા મારી સાથે ખાય છે.”
19 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યે ઈસુને ખાતરી આપી, “ખરેખર તારી વિરૂદ્ધ થનાર તે હું નથી!”
20 ઈસુએ ઉત્તર આપ્યો, “તે માણસ જે મારી વિરૂદ્ધ છે તે તમારા બારમાંનો એક છે. જે રોટલી મારી સાથે એક જ વાટકામાં બોળે છે તે જ તે છે. 21 માણસનો પુત્ર જશે અને મૃત્યુ પામશે. તે લખાણો કહે છે, આ બનશે પરંતુ જે માણસના પુત્રને મારી નાખવા માટે સોંપવાનો છે તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ કદાપિ જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”
પ્રભુ ભોજન
(માથ. 26:26-30; લૂ. 22:15-20; 1 કરિં. 11:23-25)
22 જ્યારે તેઓ ખાતાં હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને રોટલીના ભાગ પાડ્યા. તેણે રોટલી તેના શિષ્યોને આપી. ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”
23 પછી ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેણે તે માટે દેવનો આભાર માન્યો અને તે શિષ્યોને આપ્યો. બધાજ શિષ્યોએ તે પ્યાલામાંથી પીધું. 24 પછી ઈસુએ કહ્યું, “આ દ્રાક્ષારસ મારું લોહી છે. મારું લોહી (મરણ) દેવ તરફથી તેના લોકો સાથે નવા કરારનો આરંભ કરે છે. આ લોહી ઘણા લોકો માટે વહેવડાવવામાં આવ્યું છે. 25 હું તમને સત્ય કહું છું, હવે પછી હું આ દ્રાક્ષારસ પીનાર નથી. જ્યારે હું દેવના રાજ્યમાં તે પીશ ત્યારે તે દ્રાક્ષારસ નવો હશે.”
26 બધા શિષ્યોએ ગીત ગાયું પછી તેઓ જૈતુનના પર્વત તરફ ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International